સાવિત્રી

Sri Aurobindo symbol
Sri Aurobindo

Sri Aurobindo's major poetic work, an epic in blank verse. In Savitri, a legend from the Mahabharata becomes the symbol of the human soul's spiritual destiny. In poetic language, Sri Aurobindo describes his vision of existence and explores the reason for ignorance, darkness, suffering and pain, the purpose of life on earth and the prospect of a glorious future for humanity. The writing of the epic extended over much of the later part of his life.

Sri Aurobindo Birth Centenary Library (SABCL) Savitri Vols. 28,29 816 pages 1970 Edition
English
 PDF     Poems
Sri Aurobindo symbol
Sri Aurobindo

Sri Aurobindo's major poetic work, an epic in blank verse. In Savitri, a legend from the Mahabharata becomes the symbol of the human soul's spiritual destiny. In poetic language, Sri Aurobindo describes his vision of existence and explores the reason for ignorance, darkness, suffering and pain, the purpose of life on earth and the prospect of a glorious future for humanity. The writing of the epic extended over much of the later part of his life.

Gujarati Translations of books by Sri Aurobindo સાવિત્રી 1973 Edition
Gujarati Translation
Translator:   Pujalal

સર્ગ  ચોથો

ચૈત્યાત્માની ત્રિવિધ શક્તિઓ

 

વસ્તુનિર્દેશ

 

           અહીં એક નીચી ઉદાસીન ભોમ આગળથી આરોહવાનો ઉત્સાહ આરંભાતો હતો. ત્યાં કાળા વાળના વાદળમાં ચંદ્રમા સમાન વદનવાળી એક સ્ત્રી દેખાઈ. ખડ-બચડી જમીન ઉપર આવેલા એક ઘાયલ કરતા તીણા પથ્થર ઉપર એના પગ રાખેલા હતા. જગતની ટૂકો ઉપરની એ દિવ્ય દયા હતી અને સંસારને પોતાના દુઃખભર્યા દેહ રૂપે સ્વીકારી લઈ એ સર્વે ના સંતાપ અવલોકી રહી હતી. સાત સંતાપોની એ માતાના હૃદયે સાત ઘા ઝરતા હતા. એક ઊંડી કરુણાના રસમાં એ લીન હતી. એણે કોમળ સ્વરે શરૂ કર્યું :

           " ઓ સાવિત્રી ! હું તારો છૂપો આત્મા છું. મારાં સંતાનોના સંતાપો હું મારા હૃદયમાં લઈ લઉં છું. દેવોના નિર્દય સમારની નીચે દુઃખથી અમળાનારાઓનો હું આત્મા છું, હું સ્ત્રી છું, ધાત્રી છું, ગુલામડી છું, પરોણા ખાતું પશુ છું. મને મરનારના હસ્ત ઉપર પણ હું હેતથી હાથ ફેરવું છું, મારા પ્રેમને તુચ્છકારનારની પણ હું સેવાચાકરી કરું છું, માનીતી રાણીને સ્થાને રહું છું ને લાડવાયી ઢીંગલી પણ બનું છું. હું અન્નપૂર્ણા છું, પૂજાતી ગૃહદેવતા છું. આચરાતા લાખલાખ અત્યાચારો જોયા છતાંય હું કશું કરી શકી નથી. બચાવવાનું બળ મારામાં નથી. માત્ર મારી નિષ્ફળ પ્રાર્થના ઊર્ધ્વે આરોહતી રહી છે. મારામાં એક અંધ શ્રદ્ધા અને દામણી દયા રહેલાં છે. પ્રભુ પ્રત્યે પેખતી આશા મારામાં છે. ' હું આવું છું ' એવું પ્રભુ કહે છે પણ હજી સુધી એ આવ્યો નથી. છતાંય હું જાણું છું કે એ આખરે આવશે."

            એ જેવી બોલાતી બંધ પડી તેવો જ એના દયાભાવના જવાબમાં એક સમયનો દેવ એવા એક રિબાતા અસુરોનો અવાજ ગાજી ઉઠ્યોઃ

             " હું વિષાદોનો માનુષ છું. મારી વેદનાઓનો આનંદ લેવા માટે પ્રભુએ પૃથ્વી બનાવી છે. વિશ્વવિશાળ ક્રોસ ઉપર મને ખીલે મારેલો છે. અનિર્વાણ અગ્નિની મેં શોધ કરી છે ને પોતે પેટાવેલા પાવકમાં હું ફૂદા માફક બળું છું. હું

૬૧


કરવા માગું છું તે હું કદી કરી શકતો નથી. મારા વિચારની ધારથી નરક, અને મારા સ્વપ્નના  મહિમાથી સ્વર્ગ મને રિબાવે છે. હું છું બંડખોર પણ નિઃસહાય. ભવ અને ભાગ્ય મને છેતરે છે અને મારી મહેનતનું બધું પડાવી લે છે. મને ગુલામીના પાઠો પઢાવાય છે. પ્રભુ સામે ને માનવ સામે મારો વિરોધ છે. દયા દુર્બળતા છે. એકવાર મારો જવાળામુખી ફાટી નીકળશે તો હું સારા સંસાર ઉપર મારું સામ્રાજય સ્થાપીશ ને ઈશ્વરની જેમ મનુષ્યોનાં સુખદુઃખનો ઉપભોગ કરીશ. દુઃખ સહેવામાં મારી શ્રેષ્ઠતા રહેલી છે. હું દુષ્ટ છું ને દુષ્ઠ  રહીશ; હું દુઃખ વેઠીશ, જહેમત ઉઠાવીશ, રડીશ અને ધિક્કારીશ."

         સાવિત્રીએ સંભાળ્યું ને પોતાના દયાના સ્વરૂપની પ્રતિ વળી ઉચ્ચાર્યું : " ઓ દિવ્ય દયાની દુઃખમયી દેવી !  તું મારું જ એક પ્રકટ અંશસ્વરૂપ છે. તું છે તેથી મનુષ્યો દુર્ભાગ્યવશ થઈ જતા નથી. એક દિવસ બળ લઈને હું પાછો આવીશ ને તારાં અંગો ઓજથી ઊભરાઈ જશે, જ્ઞાન તારા ભાવિક હૃદયનું સંચાલન કરશે, તારો પ્રેમ માનવજાતને બાંધશે, દુઃખ દુનિયામાંથી દેશનિકાલ થશે, રાક્ષસી ક્રૂરતામાંથી જગત મુક્ત બનશે ને સર્વે સદાકાળ સુખશાંતિમાં સહેલશે." 

         સાવિત્રી આગળ ચાલી. ત્યાં આત્માના ઊર્ધ્વમાર્ગે સર્વ કંઈ સુંદર હતું. અહીં એક શિલામય સિંહાસન ઉપર એક સ્ત્રીનાં દર્શન થયાં. સોનેરી-જામેલી એનાં વસ્ત્રો હતા. એના હાથમાં હતું ત્રિશૂલ ને વજ્ર; એક પોઢેલા સિંહની પીઠા ઉપર એના પાય હતા. પાતાળનાં સત્ત્વો એનાથી ભય પામતાં હતાં. એ હતી શક્તિસ્વરૂપિણી દેવી. એ બોલી:

         " સાવિત્રી ! હું તારો ગુપ્ત ચિદાત્મા છું. આ જગતમાં ઊતરી આવીને હું દૈવી ને આસુરી શક્તિઓના યુદ્ધને જોઈ રહી છું.  હું દુર્ભાગીઓને સહાય કરું છે, વિનાશ પામવા બેઠેલાઓને બચાવી લઉં છું. દલિતોના પોકારો પ્રત્યે મારા શ્રવણ વળેલા છે. અત્યાચારીઓનાં સિંહાસન હું ઉથલાવી નાખું છું. તજાયેલાઓ અને તુરંગનો ત્રાસ વેઠનારાઓ મારા આવાગમનની વાટ જોતા હોય છે. હું છું દુર્ગા, અસુરવિનાશિની, દૈત્યોને એમની બોડમાં જ પૂરા કરનારી દેવી. સૌભાગ્યશાળીઓની હું લક્ષ્મી છું. સંહાર-સમયે હું કલીનું મુખ ધારણ કરું છું. પ્રભુએ મને એના કામની સોંપણી કરી છે ને કશાનીય  પરવા કર્યા વગર હું તે કરતી રહું છું. થોડાકને હું પ્રકાશ પ્રત્યે દોરી જઉં છું, થોડાકને હું બચાવી લઉં છું, પણ મોટા ભાગના અરક્ષિત રહેલા પાછા પડે છે. મારા કઠોર કાર્યને માટે મેં મારા હૃદયને કઠોર બનાવ્યું છે. ધીરે ધીરે પૂર્વમાં પ્રકાશ પ્રકટે છે, જગત ધીરે ધીરે પ્રભુને માર્ગે પ્રગતિ કરે છે. પ્રભુ જયારે પૃથ્વીના આત્માને મળવા પ્રકટ થશે ત્યારે  હું સ્વર્ગના રૂપેરી દરવાજાનો રૂપારવ સાંભળીશ."

          આના ઉત્તર રૂપે નીચેના માનવ લોકમાંથી એક પ્રતિધ્વનિ આવ્યો. શૃંખલિત વામણા દૈતેય માનસમાં થઈ એ પસાર થયો હતો. કામનાના આ મોટા જગતનો

૬૨


અહંકાર બોલતો હતો. માણસના ઉપયોગ માટે એ પુથ્વી અને સ્વર્ગ  ઉપર અધિકાર ધરાવવા વાંછતો હતો. વિચાર કરતું પશુ પ્રકૃતિનો પ્રભુ બનવા માગતું હતું. એની પીડાઓ એની પ્રગતિનું સાધન છે. એનું મૃત્યુ અમૃતત્વની પ્રાપ્તિમાં સહાયભૂત બને છે. એનો આત્મા પ્રકૃતિનો મહેમાન છે, એનું સચેત મન પ્રકૃતિનો બળવાન ને બંડખોર સેવક છે. અવાજ આવ્યો:

          " હું પૃથ્વીની શક્તિઓનો વારસ છું, એના કીચડમાં વિકસિત થતું દૈવત છું. સ્વર્ગના સિંહાસન પર મારો દાવો છે. પાંચે તત્ત્વો મારે માટે જ અસ્તિત્વ ધરાવે છે. હું એમને મારી સેવામાં પલોટું છું. અજ્ઞાન અને અબળ જન્મેલો હું પ્રકૃતિથી વધારે મોટો અને ઈશ્વરથી વધારે ડાહ્યો છું. પ્રભુએ અધૂરું રાખેલ હું પૂરું કરું છું. પ્રથમ સ્રષ્ટા પ્રભુ, તો હું અંતિમ સ્રષ્ટા છું. પંચ તત્ત્વ ઉપર પ્રભુત્વ મેળવીને હું મારા ચમત્કારોનાં યંત્રો ચલાવીશ. સ્થૂલ તેમ જ સૂક્ષ્મના કાયદા મારા કબજામાં આવશે. પૃથ્વીનો પ્રભુ બનીને હું સ્વર્ગને સર કરીશ."

          સાવિત્રી પોતાની શક્તિના સ્વરૂપને સંબોધી બોલી:

          " ઓ શક્તિસ્વરૂપિણી દેવી ! તું મારા આત્માનો એક અંશ છે. કાળના મહા-પ્રયત્નને ને મનુષ્યજાતિને મદદગાર થવું એ તારું કામ છે. તું છે તેથી તો માણસ આશા રાખે છે ને હામ ભીડે છે, આત્માઓ સ્વર્ગારોહણ કરી શકે છે ને પરમાત્મ -દેવની સમીપમાં દેવો સમાન ચાલી શકે છે. પણ  જ્ઞાન વગરની એકલી શક્તિ હવાઈ છે, એ શાશ્વત વસ્તુઓનું મંડાણ કરી શક્તિ નથી. એક દિન હું પાછી આવીશ અને પ્રકાશ લાવીશ. તારું જ્ઞાન તારી શક્તિ ઉભય બૃહદાકાર બની જશે. મનુષ્યો દ્વેષરહિત બની જશે, દુર્બળતા દૂર થઈ જશે, અહંકાર ઓગળી જશે ને બધું જ બળપૂર્ણ, પરમાનંદપૂર્ણ ની જશે."

             આગળ આરોહતાં સાવિત્રી એક ઉન્નત ને સુખારામ ભર્યા સ્થાનમાં આવી.. એક જ દૃષ્ટિએ ત્યાંથી બધું જોઈ શકાતું હતું, સર્વ ત્યાં સામંજસ્યભર્યું હતું. ત્યાંના સ્ફાટિકશુચિ પ્રકાશમાં એક દેવી બિરાજેલી હતી. એણે મંદ સંગીતમય સુસ્વરે સાવિત્રીને સંબોધી : 

              " સાવિત્રી ! હું તારો ગૂઢ આત્મા છું. ઘવાયેલી વેરાન પૃથ્વીના ઘા રુઝાવવા ને એના હૃદયને સુખશાંતિએ ભરવા માટે હું આવેલી છું. હું છું શાંતિ ને છું પ્રેમપૂર્ણ દયાભાવ, હું મૌન છું, વિશ્વના નકશાનો અભ્યાસ કરતું જ્ઞાન છું, શુભમાં શુભ માટે હું શ્રમ સેવું છું, પ્રભુ માટે કાર્યરત રહું છું, સ્ખલનોનેય આરોહણનાં પગથિયામાં પલટાવી દઉં છું.

               પ્રભુ અનેક સ્વરૂપોએ મનુષ્યમાં વૃદ્ધિ પામે છે, ને માનવ માટીને  સ્વર્ગના સુવર્ણનું રૂપ આપે છે. પ્રભુ શુભ છે, પ્રભુ અનિષ્ટો સામેનું પવિત્ર યુદ્ધ છે, ચિતાભસ્મમાંથી ઊભી થતી મુક્તિ છે, વિકટ વાટની રક્ષા કરતી મરણિયણ વીરતા છે, ઘોર રાત્રિના હૃદયમાં પહેરો ભરતો સંતરી છે. પ્રભુ જ્ઞાન છે, એકલવાયો ઉન્નત

૬૩


વિચાર છે, પયગંબરી શબ્દ છે, મનોહર સૌન્દર્ય છે, સત્ય છે, બૃહદાત્માની મહા-સંપત્તિ છે, અણુમાં અંતર્લીન અનંતતા છે, મૃત્યુની ભુજાઓમાં ભરાયેલી અમરતા છે. સાન્ત વસ્તુના વિચારને અનંતતા વરશે, શાશ્વતતા કાળનું કાંડું પકડશે ત્યારે મનુષ્ય પોતાની ક્ષુદ્રતામાંથી મુક્ત થશે અને પ્રભુનો અંતેવાસી બની જશે. તે દરમિયાન હું પૃથ્વી ઉપર દેવાત્માઓને  ઉતારું છું, આશાનું ઉદ્દીપન કરું છું, રાય અને રંકને શાંતિ સમર્પું છું, અજ્ઞ તેમ જ પ્રજ્ઞની  ઉપર કૃપા દર્શાવતી રહું છું. પૃથ્વી કબૂલ થશે તો હું એને બચાવી લઈશ."

            એ બોલી ને પાતાળપ્રદેશમાંથી એક વિકૃત અને ધ્રૂજારીએ ભરેલો પડઘો આવ્યો. ઇન્દ્રિયોથી શૃંખલિત થયેલું માનવ મન ઈશ્વરી શક્તિ સામે ગર્વિષ્ઠ આક્રોશ કરવા લાગ્યું. માણસ સપાટીઓ જ જુએ છે, થોડાક ઊંડાણમાં ઊતરી શકે છે, પણ સત્યના આત્માને જોઈ શકતો નથી. આકળો બનીને એ  જ્ઞાન માટે તરવાર ચલાવી જુએ છે, પણ એના ઘાથી સત્યનો આત્મા કાં તો છટકી જાય છે, કાં તો મરણશરણ થાય છે, એને તર્કસિદ્ધિ ગોચર વસ્તુ ખાતરીબંધ જણાય છે. એનું જ્ઞાન અજ્ઞાનના મહાસાગરના કાંઠા ઉપરના કાંકરા જેવું જ હોય છે. આમ છતાંય ઊઠેલા આક્રોશમાં ભવ્યતાનો સ્વરભાર હતો, વિશ્વવ્યાપી કારુણ્ય એના સૂરમાં  કંપમાન બનેલું હતું :

             " હું પ્રભુના મોટા અજ્ઞાની જગતનું મન છું, ને એનાં રચેલાં પગથિયાં પર થઈ જ્ઞાનની દિશામાં આરોહતું રહું છું. છે તે સર્વની શોધે લાગેલો હું વિચાર છું, જડ પદાર્થ ને ગોચરતાની સાંકળે બંધાયેલો દેવ છું, કાંટાળી વાડમાં પુરાયેલું પશુ છું, એરણ સાથે અટવાઈ ગયેલો લુહાર છું. મેં આકાશના અને આકાશના તારાઓના માપસર નકશા દોર્યા છે, એમના આયુષ્યનો અડસટ્ટો કાઢ્યો છે, પૃથ્વીના પેટાળમાં પ્રવેશી ત્યાંની સંપત્તિ બહાર ખેંચી કાઢી છે. પદાર્થ વિજ્ઞાનની પદ્ધતિએ મેં ઘણું ઘણું પ્રાપ્ત કર્યું છે, પૃથ્વીનું, જીવનનું, જીવાણુઓનું, વનસ્પતિનું, માણસની ઉત્પત્તિ અને વંશાવલિનું જ્ઞાન મેં મેળવ્યું છે. પ્રભુ જો કામ કરતો હોય તો તેનાં રહસ્યો મેં શોધી કાઢયાં છે. જોકે હજુ કેટલુંક રહસ્યમય જેવું રહી ગયું છે તો પણ તે ઝાઝો સમય એવું નહિ રહે.

               મારી મોટી ફિલસૂફીઓ તાર્કિક અનુમાનો છે, ગૂઢ સ્વર્ગો  ભેજાની કલ્પનાની કરામતો છે, બધું જ અડસટ્ટો છે, સ્વપ્ન છે. એમાં પડયા વિના મને મારી મર્ત્ય સીમાઓમાં રહીને જ કામ કરવા દો. પ્રાણીમાત્રને મર્યાદા છે ને તેમાં જ એને રહેવાનું છે. માણસ શી રીતે અમર અને દિવ્ય બની શકે ? માયાવી દેવતાઓ એવાં સ્વપ્ન ભલે સેવે, વિચારવંત મનુષ્ય તેમ નહિ કરે."

                સાવિત્રીએ સ્વર ને એનો વિકૃત ઉત્તર સાંભળ્યો, ને એ પોતાના  પ્રકાશના સ્વરૂપ પ્રત્યે વાળીને બોલી :

                " ઓ પ્રકાશની દેવી ! સુખ અને શાંતિની માતા ! તું જ મારો એક પ્રકટ

૬૪


અંશ છે. તું છે તેથી આત્મા વિસ્મૃત શિખરોએ આરોહશે ને ચૈત્ય પુરુષ સ્વર્લોકના સ્પર્શથી જાગ્રત થશે. તું છે તેથી જીવ શિવની સમીપ સરે છે, દ્વેષ હોવા છતાંય પ્રેમ પ્રવૃદ્ધ થાય છે, અંધકારગર્તમાં જ્ઞાન અણહણાયેલું રહી ચાલે છે. પરંતુ કેવળ બુદ્ધિની કઠોર શિલામયી ભોમ ઉપર સ્વર્ગની સુવર્ણ વર્ષાથી કંઈ વળવાનું નથી. એના વડે પૃથ્વીની માટીમાં અમર વૃક્ષ ફાલવા ફૂલવાનું નથી, જીવનતરુની ડાળીએ બેસી દિવ્ય વિહંગમ ગાવાનું નથી, સ્વર્ગના સમીરો મર્ત્યલોકના વાયુમંડળમાં વાવાના નથી. અંત:સ્ફુરણાનાં કિરણો તું વર્ષાવશે તોય માનવનું મન એને પાર્થિવ પ્રકાશ જ માની લેશે ને એનો આત્મા આધ્યાત્મિક અહંભાવમાં અલોપ થઈ જશે, એનો ચૈત્ય આત્મા સાધુતાની કુટીરમાં જ સ્વપ્ન સેવતો ભરાઈ રહેશે ને માત્ર પ્રભુની પ્રકાશમયી છાયાને જ ત્યાં અવકાશ મળશે. માણસની શાશ્વત માટેની ક્ષુધા તારે પોષવાની છે, એના હૃદયને દેવોના  અગ્નિથી ભરી દેવાનું છે, એના દેહમાં ને જીવનમાં પ્રભુનાં પગલાંને નીચે ઉતારી લાવવાનાં છે. 

           એક દિવસ પ્રભુનો હસ્ત હસ્તમાં લઈ હું પાછી ફરીશ અને તને પરમપૂર્ણનાં દર્શન થશે. તે અવસરે પરમપાવન વિવાહોત્સવ ઊજવાશે અને પ્રભુના પરિવારનો પ્રસવ થશે. ભુવને ભુવને જ્યોતિ ઝળહળવા માંડશે, શાશ્વત શાંતિ સર્વત્ર વ્યાપી જશે."

 

 

 નિમ્ન, નત, ઉદાસીન ભૂમિકામાંહ્યથી અહીં

આરોહણાર્થનો આધ ભાવાવેગ શરૂ થયો;

નારી એક હતી બેઠી સજી વસ્ત્રે ઝાંખા ઉજાશથી ભર્યા,

મુખ એનું શશી-શુભ્ર વાદળા શા કાળા વાળમહીં હતું.

માટીનાં રૂખડાં ઢેફાં સાવ સાદા એના આસનમાં હતાં,

એના ચરણની નીચે તીણો ને ઘા કરતો પથરો હતો.

એ હતી કરુણા દિવ્યા શિખરો પર વિશ્વના

સ્પર્શતાં 'તાં દુ:ખશોક જેને સૌ પ્રાણવંતનાં,

જોતી 'તી એ દૂર દૂર ભીતરી મનમાંહ્યથી

બ્હારની વસ્તુઓ કેરું સંદેહાત્મક આ જગત્ ,

જૂઠા દેખાવ છે જેમાં અને સત્યાભાસી આકૃતિઓ જહી,

આ શંકાસ્પદ બ્રહ્યાંડ વિસ્તરેલું અજ્ઞાનાત્મક શૂન્યમાં,

પીડાઓ પૃથિવી કેરી, તારકોનો પરિશ્રમ અને ત્વરા,

જોતી જીવનનો જન્મ મુશ્કેલીએ થતો અને

                          અંત આતંકથી ભર્યો.

પોતાના દુઃખના દેહરૂપે વિશ્વતણો સ્વીકાર એ કરી

 ૬૫


 

સાત સંતાપની માતા સાત ઘા ધારતી હતી

ને વીંધાઈ એમનાથી હૈયું એનું લોહિયાળું બન્યું હતું :

વિલંબિત થતી એને મુખે સુન્દરતા હતી

                         ઉદાસીનપણાતણી,

પુરાણાં અશ્રુને અંકે આંખો એની ઝંખવાઈ ગઈ હતી.

વેદનાથી વિશ્વ કેરી હૈયું એનું વિદારાઈ ગયું હતું

ને લદાયું હતું ભારે

કાળમાં જે હતા શોક અને સંઘર્ષ, તે વડે,

એક વ્યથિત સંગીત

એના ભાવ ભર્યા સૂર પૂઠે ખેંચાઈ આવતું.

તલ્લીન ગાઢ કારુણ્ય કેરી મોટી મુદામહીં,

સૌમ્ય રશ્મિ કરી ઊંચું ધૈર્યવંતી સ્વદૃષ્ટિનું

મૃદુ મીઠા અને શિક્ષાદાયી શબ્દોમહીં એ મંદ ઊચરી:

       " હે સાવિત્રી ! હું તારો ગૂઢ આત્મ છું.

આવી છું જગની પીડામહીં ભાગ પડાવવા,

લઈ હું લઉં છું હૈયે મારે દુઃખો મારાં બાળકડાંતણાં.

તારકોની તળે છે જે દુઃખશોક  ત્યાં હું ધાત્રી બનેલ છું;

દેવો કેરા દયાહીન દંતાળ હેઠ જે બધા

આક્રોશ કરતા દુઃખે અમળાઈ રહેલ છે

                          તેમનો હું ચિદાત્મ છું.

છું હું નારી તથા ધાત્રી, દાસી છું હું, પશુ છું પીટ પામતું;

કર્યા છે જેમણે ક્રૂર ઘા તે હસ્તોતણી સંભાળ હું લઉં;

જે હૈયાંએ ઉવેખ્યો છે મારો પ્રેમ અને ઉત્સાહ, તેમની

                         સેવામાં સજ્જ હું રહું;

છું હું આરાધિતા રાણી, ઢિંગલી લાડ માણતી,

અન્નદાત્રી અન્નપૂર્ણા ને છું હું ગૃહદેવતા

                     પૂજા-અર્ચન પામતી.

જે સૌ દુઃખ સહે છે ને જે સૌ આક્રન્દનો કરે

                       તે સૌમાં હું રહેલ છું.

પૃથ્વીથી મોઘ આરોહી જતી છે મુજ પ્રાર્થના,

મારાં જીવંત સતત્વોની પીડાઓથી હું આક્રાંત થયેલ છું,

                             છું હું આત્મા દુઃખની દુનિયામહીં.

રિબાતી માંસમાટીની ને  રિબાતાં ઉરોતણી

                                સ્વર્ગે જે ચીસ ના સુણી

૬૬


 

અને પાછી ફરીને જે દેહે ને હૃદયે પડી,

તેણે વિદીર્ણ કીધો છે આત્મા મારો

                           નિઃસહાય શોકથી ને પ્રકોપથી.

પોતાની ઝૂંપડીમાં મેં નિહાળ્યો છે બળતો કૃષિકારને,

મેં રેંસાતું નિહાળ્યું છે શબ મારેલ બાળનું,

મેં બળાત્કારનો ભોગ બેનેલી ને

નગ્ન કરાયલી, ખેંચી જવાતી સ્ત્રી કેરી છે ચીસ સંભાળી

નારકી કૂતરાઓ શા ટોળા કેરી ભસાભસતણી વચે,

જોયા હું કરતી 'તી, ના હતી શક્તિ મારામાં રક્ષવાતણી.

પ્રભુએ પ્રેમ આપ્યો છે મને, એની શક્તિ આપી નથી મને.

પરોણાએ ચલાવાતા કે તેજીએ પ્રેરતા ચાબખા વડે

પશુના જોતરાયેલા શ્રમકાર્યે છે પડાવેલ ભાગ મેં;

પક્ષી ને પશુની ભોએ ભરેલી જિંદગીમહીં

                          છું ભાગીદાર હું બની,

એની શિકારની ખોજ રોજ લાંબી દૈવ-આધીન ખાધની,

લપાઈને, દબાઈને એનું ક્ષુધિત ઘૂમવું,

તીક્ષ્ણ ચાંચે અને પંજે પકડાતાં પીડા ને ત્રાસ એહના

                          એ સૌમાં મુજ ભાગ છે.

સામાન્ય જનના નિત્ય-જીવને મુજ ભાગ છે,

એનાં છોટાં સુખોમાંહે ને છોટી ફિકરોમહીં

દબાણે તકલીફોના ને અનિષ્ટોતણી જડ જમાતમાં,

ન રાહતતણી આશા, એવી શોકસરણીમાં ધરાતણી,

ન ઈચ્છેલા, નિરાનંદ કંટાળો આપતા શ્રમે,

બોજામાં દુઃખના એના, ફટકાઓમહીં એના નસીબના

                        મારો ભાગ રહેલ છે.

દયા બની રહું છું હું લળેલી દુઃખની પરે,

છું ઘવાયેલ હૈયાને રૂઝ દેતું મૃદુ સ્મિત,

સહાનુભૂતિ છું જેહ જિંદગીની કરે ઓછી કઠોરતા.

અદૃષ્ટ મુખ ને હસ્ત મારા સંવેદે મનુષ્ય સમીપમાં;

બની છું દુઃખ સ્નેહનાર ને એનો આર્ત્તનાદ હું.

કપાયેલ મરાયેલા માણસોની સંગાથે હુંય છું ઢળી,

બંદીની કોટડીમાં હું કારાવાસે એની સાથે રહેલ છું,

કાળની ઘૂંસરી મારે ખભે ભારે બનેલ છે :

સૃષ્ટિના બોજમાંથી હું ના કશું ઇનકારતી,

૬૭


 

સહ્યું છે મેં બધું ને હું  જાણું છું કે સહેવાનું હજીય છે :

છેલ્લી નિદ્રામહીં જયારે જશે ડૂબી જગત્ તદા

કદાચ હુંય પોઢીશ મૂક શાશ્વત શાંતિમાં.

સહી છે મેં શાંતભાવી સ્વર્ગ કેરી તટસ્થતા,

ક્રૂરતા મેં નિહાળી છે દુઃખ સ્હેતા જીવો પ્રત્યે નિસર્ગની

ને તે વેળા ચૂપચાપ ત્યાં થઈને જતો પ્રભુ

જોયો છે મેં, જે સહાય કરવા વળતો ન 'તો.

છતાં પોકાર મેં કીધો નથી એની ઈચ્છા કેરી વિરુદ્ધમાં

ને આક્ષેપ નથી મૂક્યો વિશ્વમાંના એના નિયમની પરે.

માત્ર આ દુઃખના મોટા ને કઠોર જગને પલટાવવા

છે ઊઠી મુજ હૈયાથી એક ધૈર્યધારણાવંત પ્રાર્થના;

ઈશ્વરાધીનતા એક પાંડુવર્ણી શિર મારું ઉજાળતી,

મારામાં કરતાં વાસ અંધ શ્રદ્ધા અને દયા;

ઓલવી ન શકતો જે કદી એવા હું વૈશ્વાનરને વહું,

સૂર્યોને જે ટકાવે  છે તે વહું કરુણા વળી.

હું છું આશા મીટ માંડે છે જે મારા પ્રભુ પ્રતિ,

પ્રભુ મારો ન આવ્યો જે મારી પાસે હજી સુધી;

સ્વર એનો સુણું છું હું, ' આવું છું હું ' એવું હમેશ જે કહે:

જાણું છું કે આવશે એ એક દિવસ આખરે."

અટકી એ, અને એની દિવ્ય આ ફરિયાદમાં

                       હતી કરુણતા તેના જવાબમાં

નીચાણમાંહ્યથી એક પડઘાના સમાન ત્યાં

ઉપાડી લઈને ઘોર ટેક બોલ્યો અવાજ એક  રોષનો,

ઘનગર્જનના જેવો કે કોપેલા હિંસ્રની ત્રાડના સમો,

જે જનાવર ગર્જે  છે ઊંડાણોમાંહ્ય આપણાં,

એકદા જે હતો દેવ એવા એક

યંત્રણા વેઠતા દૈત્ય કેરો અવાજ એ હતો.

" છું મનુષ્ય વિષાદી હું, છું હું તે જેહ વિશ્વના

વિશાળા ક્રોસ પે ખીલે મારીને છે રખાયલો;

નિર્મી છે પ્રભુએ પૃથ્વી માણવાને મજા મારી વ્યથાતણી,

મારો ભાવાવેશ એણે બનાવ્યો છે વિષય સ્વીય નાટકે.

મોકલ્યો છે મને એણે નગ્ન એના કડવા જગની મહીં

ને મર્યો છે મને એના દંડાઓથી શોકના ને વ્યથાતણા,

કે હું આક્રોશતો એના ચરણોમાં પેટ ઘસડતો પડું

૬૮


 

ને અર્પું અર્ચના મારી મારા લોહી ને મારાં અશ્રુઓ વડે.

ચિરાતો ગીધની ચાંચે પ્રોમીથિયસ હું જ તે,

મનુષ્ય શોધ છે જેણે કરી અમર અગ્નિની,

જગાડી જવાળ એણે જે તેમાં પોતે બળનારો પતંગ શો;

છું ઢૂંઢનાર જેને ના કદી પ્રાપ્તિ થઇ શકે,

છું યોદ્ધો જે કદીયે ના જયશાળી બની શકે,

છું દોડનાર હું જેને કદીયે ના થયો સ્પર્શ સ્વ લક્ષ્યનો;

મારા વિચારની ધારે મને નરક રીબવે,

દીપ્તિએ મુજ સ્વપ્નોની મને સ્વર્ગ રીબાવતું.

મારા માનવ આત્માથી થયો છે લાભ શો મને ?

પરિશ્રમ કરું છું હું પશુ પેઠે, પશુ પેઠે મરી જાઉં.

મનુષ્ય બળવાખોર, છું દાસ નિઃસહાય હું;

ભાગ્ય ને મુજ સાથીઓ

પચાવી પાડતા મારું મ્હેનતાણું મને.

મારી દાસત્વની સીલ રક્તે મારા શિથિલાયિત હું કરું,

દુખતી મુજ બોચીથી ખંખેરી હું

નાખું છું ઢીંચણો અત્યાચારોના કરનારના,

કિંતુ તે પીઠ પે મારી બીજા જુલમગારને

                         અસવાર બનાવવા:

મારા શિક્ષણદાતાઓ ગુલામીનો મને પાઠ પઢાવતા,

મારા ભાગ્યતણા કષ્ટદાયી કરારની પરે

બતાવતી મને મ્હોરછાપ ઈશ્વરની અને

                        મારી પોતાતણી  સાચી સહી વળી.

રાખ્યો છે પ્રેમ મેં, કિન્તુ મારી ઉપર કોઈએ

પ્રેમ રાખ્યો નથી મારો થયો છે જન્મ ત્યારથી;

બીજાઓને અપાયે છે મારું કર્મોતણું ફળ;

મારે માટે રહે છે જે બધું તે છે મારા વિચાર પાપિયા,

મારો કૃપણ કંકાસ પ્રભુની ને માનવીની વિરુદ્ધમાં,

જેમાં મારો નથી હિસ્સો તે ધનોની અદેખાઈ જ એકલી

ને નથી જે બન્યું  મારું તે સૌભાગ્ય પ્રત્યેનો દ્વેષ દાઝતો.

જાણું છું કે રહેવાનું ભાગ્ય મારું એનું એ જ હમેશનું,

બદલ્યું જાય ના એવું છે એ કાર્ય એક મારા સ્વભાવનું;

મારે ખાતર રાખ્યો છે પ્રેમ  મેં, ના પ્રેમના પાત્ર કારણે,

મેં મારી જાતને માટે સેવ્યો છે પ્રેમ, ને નથી

૬૯


 

બીજાઓનાં જીવનોને બનાવ્યાં પ્રેમપાત્ર મેં.

પ્રત્યેક આપ પોતે છે કાયદાએ નિસર્ગના,

આ પ્રકારે બનાવ્યું છે ક્રૂર ઘોર પોતાનું પ્રભુએ જગત્ ,

આ પ્રકારે ઘડેલું છે ક્ષુદ્ર હૈયું મનુષ્યનું;

ટકાવી શકતો માત્ર બલથી ને છલથી જન જિંદગી:

કેમ કે છે દયા એના દિલની બલહીનતા,

એની ભલાઈ છે એક શૈથિલ્ય નાડીયંત્રનું,

એની માયાળુતા મૂડી રોકાયેલી આશાએ બદલાતણી,

એનું પરોપકારિત્વ મુખ બીજું ' અહં' તણું :

કરે એ જગની સેવા કે જેનાથી સેવા એની કરે જગત્ .

જાગે દૈવત મારામાં દૈત્યનું એકવાર જો,

ઊઠે એટનાથકી જાગી એન્સિલેડસ જો, તદા

સારા જગતનો નાથ બનીને રાજ્ય હું કરું,

ભોગવું પ્રભુની પેઠે સુખદુઃખ મનુષ્યનાં.

પરંતુ પ્રભુએ માંરુ પ્રાચીન બળ છે હર્યું. 

મંદા બનેલ હૈયામાં મારા સંમતિ મંદ છે,

ઉગ્ર સંતોષ છે એક વ્યથાઓથી મારી ખાસ પ્રકારની,

જાતીલાંઓથકી જાણે મને તેઓ વધુ ઉચ્ચ બનાવતી;

માત્ર દુઃખ સહીને હું બઢિયો જાઉં છું બની.

ભીમકાય અનિષ્ટોનો હું છું ભોગ બની ગયો,

દૈત્ય-દારુણ કર્મોનો છું હું કર્તા,

સર્જાયો છું અનિષ્ટાર્થે , ભાગ્યે મારે અનિષ્ટ  છે;

અનિષ્ટરૂપ છે મારે બનવાનું, જીવવાનું અનિષ્ટથી;

કરી શકું ન બીજું કૈં હું જે છું તે થયા વિના;

સ્વભાવે મુજને જેવો બનાવ્યો છે

                        તેવું મારે રહેવાનું જ છે રહ્યું.

સહું છું, શ્રમ સેવું છું, રડું છું હું;

                      વિલપું છું, કરતો રહું છું ઘૃણા."

સાવિત્રીએ સુણ્યો સાદ, સુણ્યો એનો પ્રતિધ્વનિ,

ને દયાના નિજાત્માની દિશામાં એ વળી વદી:

" દૈવી ઓ દુઃખની, માતા દિવ્ય વિષાદની,

અસહ્ય વિશ્વનો શોક સહેવાને

તું અંશ મુજ આત્માનો એક આગે કરેલ છે.

છે તું તેથી જનો તાબે થાય ના વિધિદંડને,

૭૦


 

પરંતુ સુખને માટે પ્રાર્થે, દૈવ સામે રહે ઝઝૂમતા;

છે તું તેથી અભાગીઓ આશા રાખી શકે હજી.

પરંતુ તુજમાં શક્તિ છે આશ્વાસનની, અને

                        પરિત્રાણતણી નથી.

બળની આપવાવાળી બની પાછી આવીશ દિન એક હું.

અને શાશ્વતને પ્યાલે પિવડાવીશ હું તને;

પ્રભુના શક્તિના સ્રોતો તારા અંગેઅંગમાં વિજયી થશે

અને પ્રજ્ઞાતણી શાંતિ

ભાવાવેશે ભર્યા તારા હૈયાને રાખશે વશે.

તારો પ્રેમ બની જાશે બંધ માનવજાતિનો,

અને તારો દયાભાવ રાજમાન થતો રાજા બની જશે

                         કર્યો કેરા નિસર્ગનાં :

વિલોપાઈ જઈ દુઃખ ગુજરી જગથી જશે;

સૃષ્ટિ મુક્ત બની જાશે પશુ કેરા પ્રકોપથી,

રાક્ષસી ક્રૂરતામાંથી ને એના કષ્ટમાંહ્યથી.

હરહંમેશને માટે શાંતિ ને શર્મ ત્યાં હશે."

 

        વધી આગળ સાવિત્રી ઊર્ધ્વ માગે નિજાત્મના.

પર્ણ-પિચ્છી વૃક્ષકો ને ખડકો ચઢાણે હતાં

                          દીપ્તભાવી ભવ્ય શોભાવડે ભર્યાં,

શાંત સમીર હૈયાને ઉષ્મા દેતો ચાટુકાર બન્યો હતો,

નાજુક તરુઓમાંથી સૂક્ષ્મ એક સુગંધી શ્વાસ ઊઠતો.

બધું સુંદરતાયુક્ત, સૂક્ષ્મ, ઉચ્ચ ને વૈચિત્ર્યભર્યું બન્યું.

ભીમકાય અહીં એક ગાદી કેરા આકારે કોતરાયલા

શીલાપટ પરે નારી હતી એક વિરાજિતા

                          સોનેરી ને જામલી ચમકે સજી,

હતી ત્રિશૂળધારી એ અને વજ્રે સજાયલી,

પાયા એના હતા પીઠે એક પોઢેલ સિંહની.

એના ઓઠો પરે એક હતું સ્મિત ભયંકર,

એની આંખોતણે ખૂણે સ્વર્ગ્ય અગ્નિ કરી હાસ્ય રહ્યો હતો;

શૌર્ય ને શક્તિ સ્વર્ગીય એને દેહે પુંજીભૂત બન્યાં હતાં,

પાતાળી દેવતાઓના જયની એ તર્જના કરતી હતી.

એના મસ્તકની આસપાસ એક આભામંડળ જે હતું

તે જવાળાઓ કાઢનારી વિધુતોનું બન્યું હતું,

૭૧


 

સર્વોપરિત્વની મોટી મેખલાથી જામો એનો સજયો હતો,

ને એની સાથ રાજંત હતાં રાજત્વ  ને જય,

                         વિશ્વ કેરા વિશાળા સમરાંગણે

સપાટ સામ્યની સામે મૃત્યુના, ને સૌને સમ બનાવતી

બળવાખોર રાત્રીની સામે એ રક્ષતાં હતાં

શ્રેણિબદ્ધ શક્તિઓની વ્યવસ્થિત પરંપરા,

                        અવિકારી મૂલ્યો ઉદાત્તતાતણાં,

                         તુંગતાઓ શિખરોએ વિરાજતી,

સત્ય કેરું આભિજાત્ય હક ખાસ ધરાવતું,

                        ને આદર્શતણા શાસક સૂર્યમાં

ત્રિપુટી પ્રાજ્ઞતાની ને પ્રેમની ને પ્રહર્ષની,

અને એકમાત્ર એકતંત્ર રાજ્ય કેવલાત્મક જ્યોતિનું.

મનની ભીતરી ભોમે વિરાજંતી ભવ્યરૂપ નિજાસને 

માતા શક્તિમયી જોતી હતી નીચે વહેતી વસ્તુઓ પ્રતિ,

આગળ વધતાં કાળ-પગલાંના ધ્વનિને સુણતી હતી,

સૂર્યોનાં ચક્કરો જોતી હતી અપ્રતિરોધ્ય એ,

અને સાંભળતી 'તી એ ગગડાટ પ્રભુ કેરા પ્રયાણનો.

લોલકાતાં બળો વચ્ચે સંઘર્ષમાંહ્ય એમના

એની જ્યોતિર્મયી આજ્ઞા કેરો શબ્દ શ્રેષ્ઠ સર્વથકી હતો,

રણનાદ સમી એની વાણી નિનદતી હતી,

                       કે યાત્રીના સ્તોત્રગાન સમી હતી.

હારી ગયેલ હૈયામાં ફરી આશા જગાડતો

સમર્થ સૂર સંવાદી મંત્ર જેવો એનો ઉચ્ચ સમુચ્ચર્યો:

" ઓ સાવિત્રી ! હું તારો ગુપ્ત આત્મ છું.

છું આવી હું ઊતરીને માનવી લોકની મહીં

અને પ્રવૃત્તિ એની હું નીરખું છું એક નિર્નિદ્ર આંખોથી,

આવી છું જ્યાં ધરા કેરા ભાગ્યની છે કાળુડી વિપરીતતા,

ને જ્યાં ઉજ્જવળ ને કાળાં બળોનું ઘમાસાણ છે.

પૃથ્વીના ભય શોકે ભરેલા મારગો પરે

કરું અભાગિયાંઓને હું સહાય

ને બચાવી લઉં છું હું સર્વનાશતણા ભોગ બનેલને.

બદલો બળવંતોને તેમના બળનો દઉં,

બળ મારું દુર્બળોનું બની બખ્તર જાય છે;

લાલાયિત જનોને હું દઉં હર્ષ તેમની લાલસાતણો:

૭૨


 

ટોળાની તાળીઓ કેરું અનુમોદન પામતા

દાનાઓ ને મહાનોને ન્યાયયુક્ત ઠરાવંત નસીબ હું,

પછીથી કચેરી નાખું તેમને હું

લોહ-નળી એડી હેઠ અદૃષ્ટની.

લળેલો કાન છે મારો દલિતોના આર્ત્ત પોકારની પ્રતિ,

નાખું છું ઉથલાવી હું અત્યાચારી રજાઓનાં સિંહાસનો :

બહિષ્કૃત, શિકારાર્થે શોધાતાં જીવનોતણો

ક્રૂર જગતની સામે પોકાર એક ઊઠતો

આજીજીએ ભરી મારી પાસે અપીલ લાવતો,

એ અવાજ ત્યકતનો ને અનાથનો

ને કારાગારમાં પૂર્યા એકાકી બંદિવાનનો.

મારા આગમને  લોકો લે વધાવી શક્તિ સર્વસમર્થની

યા તો સાભાર આંસુએ સ્તવે એની કૃપા ઉદ્ધારકારિણી.

વિશ્વને આક્રમી લેતા દૈત્યને હું દઉં દંડ પ્રહારથી

ને એની લોહીએ લાલ બોડે રાક્ષણને હણું.

છું હું દુર્ગા દૃપ્તની ને બલવંતો કેરી ઉપાસ્ય દેવતા,

છું હું લક્ષ્મી રાજરાણી નિષ્કલંક અને સૌભાગ્યવંતની:

કલીનું મુખ હું ધારું કરું સંહાર તે સમે,

ખૂંદુ હું પગની નીચે શબો દૈત્યદલોતણાં.

પ્રભુએ છે મને સોંપ્યું નિજ ઉર્જિત કાર્યને,

પાઠવી છે મને જેણે તેની સેવું ઈચ્છા લાપરવાઈથી,

નિઃશંક ભયની પ્રત્યે, પરિણામ પ્રત્યે પાર્થિવ હું તથા.

પુણ્ય ને પાપ કેરા ના તર્કવિતર્કમાં પડું

પણ મારે ઉરે એણે મૂકેલા કર્મને કરું.

ડરું ના સ્વર્ગ કેરા હું ભ્રૂ ભંગે રોષથી ભર્યા,

નારકી હુમલો લાલ આવે તેથી ડગું નહીં;

નાખું હું કચડી દેવલોકના પ્રતિરોધને,

ચાંપું ચરણની  હેઠ પિશાચોની બાધાઓ લાખ લાખ હું.

માર્ગે પ્રભુતણે દોરી જાઉં છું હું મનુષ્યને

અને એની કરું રક્ષા રક્તવર્ણા વરુ ને વિષવ્યાલથી.

મેં એના મર્ત્ય હસ્તે છે સ્થાપી મારી તરવર ધુલોકની 

ને વક્ષસ્ત્રાણ દેવોનું છે પ્હેરાવેલ એહને.

મનુષ્યમનનો મૂઢ ગર્વ ખંડિત હું કરું

અને વિશાળતા પ્રત્યે સત્ય કેરી જઉં દોરી વિચારને;

૭૩


 

સાંકડી સફાલીભૂત જિંદગી હું વિદારું છું મનુષ્યની

ને સૂર્યે માંડવા મીટ બેળે પ્રેરું આંખો શોકાર્ત્ત એહની,

કે મરે  એ મહી માટે અને જીવે નિજાત્મમાં. 

જાણું છું લક્ષ્ય હું, જ્ઞાન મને છે ગુપ્ત માર્ગનું :

અદૃશ્ય ભુવનો કેરા નકશાનો મેં અભ્યાસ કરેલ છે;

યુદ્ધનો મોખરો છું હું, હું સિતારો પ્રયાણનો.

પરંતુ પ્રતિરોધે છે બોલ મારો જગ જંગી હઠે ભર્યું,

ને માનવી ઉરે છે જે વક્રતા ને અનિષ્ટ, તે

બુદ્ધિથી બળિયાં છે ને છે ઊંડાં ઘોરગર્તથી.

ને વિરોધી બલો કેરો વિદ્વેષ ચતુરાઈથી

પાછું મૂકે ફેરવીને ભાગ્યના ઘડિયાળને

ને સનાતનની ઈચ્છા થાકી જ્યાદા બળવાન જણાય એ.

અનિષ્ટ વિશ્વનું ઊંડું અતિશે છે

ને ઉન્મૂલ કરી એને નાખવું એ અશક્ય છે :

વિશ્વનું દુઃખ એવું તો વિશાળું છે

કે ન પ્રાપ્ત થતું ઓસડ એહનું.

મારી પાસે થઇ થોડા જે જ્યોતિ પ્રતિ જાય છે

તેમને હું માર્ગદર્શન આપતી;

થોડાકને બચાવું છું, મોટો ભાગ બચાવ્યા વણનો રહી

પડી પાછળ જાય છે;

થોડાકને કરું સાહ્ય, મથામણ કરી કરી

ઘણા નિષ્ફળ જાય છે :

કરતી હું રહું મારું કાર્ય કિંતુ કરી કઠણ કાળજું :

પ્રકાશ પૂર્વમાં ધીરે ધીરે છે વધતો જતો,

માર્ગે પ્રભુતણા વિશ્વ ધીરે ધીરે વધ્યે જતું.

મારા કાર્ય પરે સીલ પ્રભુની છે મરાયલી

અને એની શક્ય નિષ્ફળતા નથી :

વિશ્વના આત્મને જ્યારે મળવાને બહાર આવશે પ્રભુ

ત્યારે ઊઘડતાં દિવ્ય દ્વારો કેરો રવ રૌપ્ય સુણીશ હું."

બોલી એ ને નિમ્ન કેરા માનવી લોકમાંહ્યથી

મળ્યો જવાબમાં એનાં વચનોને પડઘો વિકૃતાયલો;

અવાજ આવતો 'તો એ ખર્વ અસુર સત્ત્વના

મન કેરા અવકાશોમહીં થઈ,

વિરૂપાંગ શૃંખલાએ બદ્ધ છે જેહ દેવતા

૭૪


 

જે પોતાની બંડખોર સામગ્રીને સ્વભાવની

વશમાં આણવાતણા

અને ઓજાર પોતાનું બ્રહ્યાંડને બનાવવા

કેરા મહાપ્રયાસે વ્યગ્ર હોય છે.

કામનાના આ મહાન સચરાચરનું ' અહં'

પૃથ્વીની ને બૃહદાકાર સ્વર્ગની

માનવી ઉપયોગાર્થે દાવા સાથે માગણી કરતું હતું,

પૃથ્વી ઉપર પોતે જે ઘડી જીવન છે રહ્યું

તેને માથે માનવી છે વિરાજતો

તેનો પ્રતિનિધિ છે એ, તેનો સચેત આત્મ છે,

વિકાસ પામતી જ્યોતિ તે શક્તિનું પ્રતીક છે,

અને જે દેવતારૂપ થવું પ્રકટ જોઈએ

તેનું આધારપાત્ર છે.

વિચાર કરતું પ્રાણી, પ્રકૃતિનો  ઉધામા કરતો પ્રભુ,

એણે એને બનાવી છે ધાત્રી, શસ્ર, ગુલામડી,

અને વેતનમાં એને ને એને પરિલાભમાં,

છટકાય ન જેનાથી એવા ઊંડા નિયમે વસ્તુઓતણા

આપે છે નોજ હૈયાનો શોક, આપે દેહનું મૃત્યુ ને વ્યથા;

બને માણસનાં દુઃખો સાધનો પ્રકૃતિતણાં

વૃદ્ધિ ને દૃષ્ટિ માટેનાં અને સંવેદનાતણાં;

મૃત્યુ માણસનું સાહ્ય કરે એને પ્રાપ્તિમાં અમૃતત્વની.

હથિયાર અને દાસ એ પોતાની દાસી ને હથિયારનો

શ્લાઘા સ્વતંત્ર સ્વેચ્છાની ને મહોચ્ચ પોતાના મનની કરે,

એને પ્રકૃતિ પોતાના ચૂન્યા માર્ગો પર જાય ધકેલતી,

સ્વામી સ્વામિત્વની નીચે આવે છે એ, શાસ્તા શાસિત થાય છે,

સ્વયંચાલિત યંત્ર એનું બને છે એ સચેતન,

ભોળે ભાવે કામનાથી એની એ ભોળવાય છે.

એનો ચૈત્યાત્મ મ્હેમાન એનો છે, છે રાજમૂક અચેષ્ટન,

એનું શરીર છે એનો યંત્રપુત્ર,

અને છે જિંદગી એની એહની જીવનપ્રથા,

સચેત મન એનું છે બલી બંડખોર સેવક એહનો.

અવાજ એ ચઢયો ઊંચે

ને પ્રહાર કર્યો એણે અંતરસ્થ કો એક સૂર્યની પરે :

" હું પૃથ્વી પરનાં ઓજો કેરો વારસદાર છું,

૭૫


 

ધીરે ધીરે બનવું છું સિદ્ધ મારા ભૂમિના અધિકારને;

એના દિવ્યત્વ પામેલા કર્દમે છું દેવ હું વૃદ્ધિ પામતો,

આરોહું હું કરી દાવો ગાદી ઉપર સ્વર્ગની.

જન્મેલો સર્વને અંતે પૃથ્વીનો હું બની પ્રથમ છું ખડો;

એની મંદ સહસ્રાબ્દીઓ જોતી 'તી વાટડી મુજ જન્મની.

જોકે વાસ કરું છું હું મૃત્યુ-ઘેરેલ કાળમાં,

ને અનિશ્ચિત છું સ્વામી હું મારા દેહનો ને મુજ આત્મનો

જેમને ઘરને સ્થાને મળ્યું નાનું ટપકું તારકો વચે,

મારે માટે અને મારા ઉપયોગાર્થે તે છતાં

વિશ્વ છે વિરચાયલું.

વિનાશ પામતી માટીમહીં અમર આત્મ હું,

છું હું માનવને રૂપે હજી અવિકસ્યો પ્રભુ;

હોય એ ન છતાં છે એ મારામાં સંભવી રહ્યો.

મારા માર્ગ પરે સૂર્ય અને ચંદ્ર પ્રદીપકો;

ફેફસાંને કાજ મારાં શ્વાસ લેવા હવાની શોધ છે થઈ,

વિશાળા ભીંતની આડ વિનાના અવકાશને

સ્વરૂપે એ અનુકૂલિત છે બની,

પાંખાળા રથનાં મારાં ચક્રો એને ચીરીને માર્ગ મેળવે,

તરવા, સરવા નાવે મારે માટે સિંધુ છે સરજાયલો,

એ મારું સ્વર્ણ-વાણિજ્ય વહે છે પીઠની પરે :

મારી મોજતણા નૌકાતલે સરકતા જતા

ચિરાઈ હાસ્ય એ કરે,

દૈવ ને મૃત્યુની એની કાળી તાક કેરી હાંસી કરંત હું.

પૃથ્વી ભૂ-તળિયું મારું ને આકાશ છાપરું જિંદગીતણું .

અનેક મૌનથી પૂર્ણ યુગોમાં સૌ તૈયાર થયું હતું.

પ્રયોગો પ્રભુએ કીધા પ્રાણી-આકૃતિઓ લઈ

ને તૈયાર થયું સર્વ તે કેડે જ જન્મ મારો થયો પછી.

જન્મ્યો દુર્બળ ને નાનો અને અજ્ઞાનપૂર્ણ હું,

જીવ એક નિરાધાર મુશ્કેલીઓતણા જગે,

ટૂંકાં વર્ષોમહીં મારાં મૃત્યુને પડખે લઈ

કરું છું હું મુસાફરી : 

મોટો પ્રકૃતિથી છું હું થયો, શાણો અદકો પરમેશથી.

કદી પ્રકૃતિએ જેનું સ્વપ્ને સેવ્યું હતું નહીં

તેને મેં સિદ્ધ છે કર્યું,

૭૬


 

શક્તિઓ ઝૂંટવી એની જોતરી છે મારું કાર્ય કરાવવા,

આપ્યો છે ઘાટ મેં એની ધાતુઓને, નિપજાવેલ છે નવી;

દૂધમાંથી બનાવીશ કાચ ને કપડાં વળી,

લોઢું મખમલી, પાણી બનાવીશ અભંગુર શિલામય,

કલાકારીગરી કેરી ચાલાકીથી કરે છે પ્રભુ તેમ હું

રચીશ બહુશઃ રૂપો એક આદ્ય તત્ત્વથી જીવકોષના,

કોટિશઃ જીવનો એકમાત્ર પ્રકૃતિ ધારતાં,

કલ્પનાથી જાય કલ્પ્યું મનમાંહે અગોચર પ્રકારનું

તે સર્વે ને સ્થૂલ રૂપે નવે ઘાટે ઘડીશ હું

ઘાટગ્રાહી ઘન નક્કર રૂપમાં;

પટુતા મુજ જાદૂની બીજા સર્વે જાદૂઓથી બઢી જશે.

એવો એકે ચમત્કાર નથી જેને કરીશ નહિ સિદ્ધ હું.

ઇશે અપૂર્ણ છોડયું જે તેને પૂર્ણ કરીશ હું,

ગૂંચોવાળા ચિત્તમાંથી અને અર્ધા વિરચાયેલ ચૈત્યથી

એનાં પાપ અને ભૂલ કરી નાખીશ દૂર હું;

એણે નવું ન નિર્મ્યું જે તે નિર્મીશ નવીન હું :

એ હતો આદિ સ્રષ્ટા, હું છેલ્લો સર્જનહાર છું.

જેમાંથી જગતો એણે બનાવ્યાં છે

શોધ મેં તે અણુઓની કરેલ છે :

વિશ્વ શક્તિ આધ ઘોરરૂપ કાર્યે પ્રયુક્ત તે

છલંગ મારતી સજાતીય શત્રુઓ નાખશે હણી,

નાબૂદ કરશે રાષ્ટ્ર કે સમાપ્ત જાતિને નાખશે કરી,

હતાં જ્યાં હાસ્ય ને હર્ષ ત્યાં છોડાશે મૌન કેવળ મૃત્યુનું.

યા અદૃશ્ય અણુ કેરું વિખંડન

પ્રભુની વાપરી શક્તિ સુખો મારાં વધારશે,

વિત્તની કરશે વૃદ્ધિ, ને અત્યારે ચાલતો વિદ્યુતો વડે

રથ મારો, તેને વેગ સમર્પશે

અને મારા ચમત્કારોતણાં ચક્ર ચલાવશે.

પ્રભુના હાથમાંથી હું એનાં જાદૂગરીનાં સાધનો લઈ

એનાં ઉત્તમ આશ્ચર્યોથકી મોટાં સાધીશ તેમના વડે.

કિંતુ એ સર્વ મધ્યે મેં સમતોલ રાખ્યો છે સ્વ વિચારને;

મારા સ્વરૂપનો છે મેં કર્યો અભ્યાસ, ને કર્યું

છે પરીક્ષણ વિશ્વનું,

જિંદગીની કળાઓની પર મારું છે પ્રભુત્વ સ્થપાયલું.

૭૭


 

કેળવી જંગલી જીવ એને મારો મિત્ર છે મેં બનાવીયો;

સાચવે  ઘર એ મારું અને મારી ઈચ્છાની રાહ એ જુએ

ઊંચી આંખ કરી કરી.

મેં મારી જાતિને શિક્ષા આપી છે સેવવાતણી

અને આજ્ઞાધીનતા રાખવાતણી.

વૈશ્વિક લહરીઓની રહસ્યમયતાતણો

ઉપયોગ કરી દૂર-દૃષ્ટિ મેં મેળવેલ છે,

સુણું છું હું શબ્દો દૂર સુદૂરના :

છે મેં આકાશને જીત્યું અને સારી પૃથ્વી છે નિકટે ગ્રથી :

અલ્પ સમયમાં ગુહ્યો જાણીશ મનનાંય હું :

જ્ઞાન-અજ્ઞાનની સાથે મારી રમત ચાલતી,

પાપ ને પુણ્ય છે મારી શોધ કેરી કરામતો,

જેમની હું પર પાર જઈ શકું

યા તો પ્રભુત્વની સાથે જેમને હું ઉપયોગે લઈ શકું.

જાણીશ ગૂઢ સત્યો હું, કબજે હું કરીશ ગૂઢ શક્તિઓ.

દૃષ્ટિમાત્રે કે વિચારમાત્રે મારા શત્રુઓને હણીશ હું,

સઘળાં હૃદયો કેરી અનુચ્ચારિત લાગણી

સંવેદી હું લઈશ ને

જોઈશ ને સાંભળીશ માણસોના સંતાડેલ વિચારને.

બનીશ પ્રભુ પૃથ્વીનો, તે પછી હું જીતીશ સ્વર્ગલોકને;

બનશે સહયોગીઓ દેવો મારા કે મારા પરિચારકો,

મારી સેવેલ એકે ના ઈચ્છા જાશે મરી વણપુરાયલી :

સર્વજ્ઞતા અને સર્વશક્તિમત્તા, બન્ને મારાં બની જશે."

સાવિત્રીએ સુણ્યો સૂર અને એનો વિરૂપ પડઘો સુણ્યો

ને પોતાના શક્તિ કેરા આત્મા પ્રત્યે વળી એ આમ ઉચરી :

" મહાબલતણી માતા !  માતા કર્મોતણી ને માત ઓજની,

તું છે મારા ચિદાત્માનો અંશ એક

મનુષ્યજાતિને સાહ્ય આપવા ને

કાળ કેરા કાર્યને સાહ્ય આપવા

પ્રાદુર્ભૂત કરાયલો.

તું છે માણસમાં તેથી રાખે છે એ આશા ને હમ ભીડતો;

તું છે તેથી મનુષ્યોના આત્મા સ્વર્ગે આરોહી શકતા અને

સાન્નિધ્યે પરમાત્માના દેવો જેમ ચાલવાને સમર્થ છે.

કિંતુ પ્રજ્ઞા વિનાની છે શક્તિ વાયુ સમોવડી,

૭૮ 


 

શ્વસી એ શકતી શૃંગો ઉપરે ને ચૂમી આકાશને શકે

કિંતુ નિર્મી શકે ના એ છેક પારતણી શાશ્વત વસ્તુઓ.

આપ્યું છે માનવોને તેં બળ, આપી પ્રજ્ઞતા તું શકી નથી.

એક દિવસ આવીશ પાછી હું જ્યોતિને લઈ,

ત્યારે આદર્શ આપીશ હું તને પરમેશનો;

પ્રભુ જેહ પ્રકારે તે પ્રકારે તું જોશે જીવાત્મા ને જગત્

પ્રતિબિંબન  પામેલાં ચૈત્યાત્માના તારા સ્વચ્છ સરોવરે.

જેવી વિશાળ છે તારી શક્તિ તેવું જ્ઞાન તારું બની જશે.

જીવનોને મનુષ્યોના તજી જાશે ભય ને બલહીનતા,

શમી અંતરમાં જાશે અહંતાનો અવાજ,ને

વિશ્વને ભોજયને રૂપે

દાવા સાથે માગનારી એની સિંહગર્જનાય શમી જશે,

મહાબલ બની જાશે બધું, જાશે બની સર્વ મહામુદા

અને શક્તિ સુખે ભરી."

 

હજીય ચઢતાં ઊંચે ઊર્ધ્વ માર્ગે નિજાત્માના

આવી પ્રવેશ પામી એ ઉચ્ચ એક સુખિયા અવકાશમાં,

મિનારો એક મોટો ત્યાં હતો દર્શનનો, બધું

અવલોકી શકાતું 'તું જહીં થકી.

ને કેન્દ્રિત થયું 'તું જ્યાં સર્વ એક જ દૃષ્ટિમાં,

જેમ દૂરત્વને લીધે પૃથક્ દૃશ્યો એક શાં જાય છે બની

ને પરસ્પર સંગ્રામ કરનારા રંગોમાં મેળ આવતો.

નિઃસ્પંદિત હતો વાયુ ને સુગંધે હવા ગાઢ ભરી હતી.

કલગાન વિહંગોનું ગુંજાર મધમાખોતણો હતો,

ને હતું સર્વ ત્યાં છે જે સાધારણ પ્રકારનું,

નૈસર્ગિક અને મીઠું ને છતાંયે

હૈયા ને આત્મની સાથે દિવ્યતાનો ગાઢ સંબંધ રાખતું.

સામીપ્ય પુલકે પૂર્ણ હતું આત્મા કેરું સ્વ-મૂળ સાથનું,

ને પ્રત્યક્ષ લાગતી 'તી ગૂઢમાં ગૂઢ વસ્તુઓ

સમીપસ્થ ને યાથાતથ્યથી ભરી.

જીવંત  કેન્દ્રરૂપે એ શાંતિની દર્શનાતણા

અહીંયાં એક બેઠી'તી નારી સ્વચ્છ અને સ્ફાટિક જ્યોતિમાં :

એની આંખોમહીં સ્વર્ગે સ્વપ્રકાશ અનાવૃત કર્યો હતો,

ચંદ્રપ્રભા સમા એના હતા પાય, અને હતું

૭૯


 

મુખ એનું તેજસ્વી સૂર્યના સમું :

મૃત ને દીર્ણ હૈયાને સ્મિત એનું પુનર્જીવન પામવા

અને શાંતિતણા હસ્ત લહેવાને મનાવી શકતું હતું.

સુણાતું મંદ સંગીત સ્વર એનો પ્લવમાન બની ગયો :

" હું છું તારો ગૂઢ આત્મા, હે સાવિત્રી !

ઘવાયેલી ને અટૂલી પડેલી પૃથવી  પરે

આવી છું ઊતરી નીચે દુઃખ એનાં શમાવવા,

હૈયું એનું હુલાવીને એને આરામ આપવા,

ને અંબાના અંક મધ્યે એનું મસ્તક મૂકવા,

જેની એ પ્રભુનાં સ્વપ્ન સેવે, એની શાંતિને થાય માણતી,

અને કઠોર ને કિલષ્ટ પૃથિવીના દીનોના તાલની મહીં

સ્વરમેળ સુસંવાદી તાણી આણે ઊર્ધ્વનાં ભુવનોતણો.

પ્રકાશમાન દેવોનાં એને હું દર્શનો દઉં

અને તડફડી એની જિંદગીને બળ ને સાંત્વના દઉં;

વસ્તુઓ ઉચ્ચ અત્યારે છે જે માત્ર શબ્દો ને માત્ર રૂપકો

તેમને હું કરું ખુલ્લી એની આગળ તેમના

શક્તિ કેરા સ્વરૂપમાં.

ચોર પેઠે પ્રવેશંતી છું હું શાંતિ

યુદ્ધે લોથપોથ હૈયે મનુષ્યના,

રાજ્યે નરકના એનાં કૃત્યોએ સરજાયલા

છું હું સરાઇ વાસો જ્યાં દેવદૂતો કરી શકે;

છું હું સદભાવ જે આપે આશીર્વાદો દયાભાવ ભર્યા કરે;

છું હું નીરવતા કોલાહલ પૂર્ણ સંચારે જિંદગીતણા;

છું હું જ્ઞાન દઈ ધ્યાન વિશ્વ કેરો નકશો નિજ ન્યાળતું.

જે અસંગતતાઓ છે માનવી હૃદયે ભરી,

ભલાઈ ને બુરાઈ જ્યાં સુએ સાથે અડોઅડ જ સેજમાં

ને જ્યાં પ્રકાશની પૂઠે પડેલો છે અંધકાર પદે પદે,

એનું સૌથી વિશાળું જ્યાં જ્ઞાન અજ્ઞાન માત્ર છે,

ત્યાં છું હું શક્તિ સેવંતી શ્રમ સર્વોચ્ચ કારણે,

કરતી પ્રભુને માટે કામ, ઊંચે શિખરો પ્રતિ પેખતી.

પાપ ને ત્રુટિનેયે હું પગલાંને માટે પગથિયાં કરું,

અને પ્રકાશ પ્રત્યેની

લાંબી યાત્રાતણું રૂપ આપું સૌ અનુભૂતિને.

અચેતનમહીંથી હું ઊભું ચેતનને કરું

૮૦


 

ને મૃત્યુમાં થઈ દોરી જઉં અમર જીવને.

બહુ છે પ્રભુનાં રૂપો જે દ્વારા એ વૃદ્ધિ પામે મનુષ્યમાં;

મારે એ દિવ્ય કેરી

છાપ એના વિચારો ને એનાં આચરણો પરે,

માનવી મૃત્તિકા કેરા માપને એ ઊંચાઈઓ સમર્પતાં,

કે રૂપાંતર ધીરેથી પમાડીને

એને સ્વર્ગતણું સોનું બનાવતાં.

પ્રભુ છે શુભ જે માટે માનવીઓ કરે યુદ્ધ અને મરે,

પ્રભુ છે ધર્મનું યુદ્ધ અધર્માસુર સામને,

છે એ મુક્તિ ચિંતામાંથી પોતાની જે મૃત્યુથી મુક્ત ઊઠતી,

છે એ શૌર્ય ટકીને જે કરે રક્ષા મરણોન્મુખ માર્ગની,

કે અટૂલો એ ટટાર રહે ઊભો છિન્નવિચ્છિન્ન મોરચે,

કે ઘોર પડછંદાતી રાતે છે ચોકિયાત એ.

એ છે મુગટ ઝાળોમાં જળાવેલા શહીદનો,

અને સાનંદ કીધેલું સંત કેરું ઈશ્વરપ્રણિધાન એ,

અને એ વીરતા છે જે કાળ કેરા ઘાવ લેખવતી નથી,

મૃત્યુ ને દૈવની સાથે મલ્લ યુદ્ધે ઊતરેલું મહાબલ

છે એ ઓજસવંતનું.

મહિમોજજવલ ગાદીએ છે મૂર્ત્તિમંત જ્ઞાન એ,

મનીષીના રાજ્યની એ પ્રશાંતા એકતંત્રતા.

છે એ વિચાર ઉત્તુંગ ને એકાકી અજ્ઞાન જનસંઘથી

પર ઊંચે વિરાજતો :

છે એ પેગંબરી શબ્દ, દ્રષ્ટાની આર્ષ દૃષ્ટિ એ.

છે એ સૌન્દર્ય પીયૂષ ભાવાવિષ્ટ ચિદાત્મનું,

છે એ સત્ય કરે આત્મા જેનાથી પ્રાણધારણા.

છે એ વૈભવસંપત્તિ આધ્યાત્મિક વિરાટની

રેડતી સ્વાસ્થ્ય દેનારા પ્રવાહોમાં દરિદ્રી જિંદગી પરે;

છે એ શાશ્વતતા એક હોરામાંથી બીજા હોરાતણી મહીં

લલચાવાયલી જતી,

છે એ અનંતતા એક નાના શા અવકાશમાં :

મૃત્યુના બાહુઓમાં એ રહેલું અમૃતત્વ છે.

છું હું આ શક્તિઓ ને એ આહવાને મુજ આવતી.

આમ માનવ આત્માને ઉઠાવી હું લઈ જતી

સમીપતર જ્યોતિની.

૮૧


 

પરંતુ નિજ અજ્ઞાને વળગેલું રહે છે મન માનવી,

ને પોતાની ક્ષુદ્રતાને વળગેલું રહે હૈયું મનુષ્યનું,

ને દુઃખશોક માટેના પોતાના અધિકારને

જિંદગી જગતીતણી.

કાળને શાશ્વતી જયારે લઈ લે હાથની મહીં,

સાન્ત-વિચારની સાથે કરે લગ્ન અનંતતા,

ત્યારે જ જાતથી મુક્તિ માનવી મેળવી શકે

અને વાસ પ્રભુ સાથે કરી શકે.

તે દરમ્યાન દેવોને લાવું છું હું ધરા પરે;

આણું છું આશ હું પાછી નિરાશ હૃદયોમહીં;

આપું છું શાંતિ દીનોને અને ગૌરવવંતને

મૂર્ખની ને મનીષીની પર મારા ઢોળું છું હું પ્રસાદને.

હું બચાવીશ પૃથ્વીને બચી જાવા પૃથ્વી કબૂલ જો થશે.

ત્યારે વણઘવાયેલો પ્રેમ આખર માંડશે

પગલાંઓ માટી પર મહીતણી;

મનુષ્યમન સ્વીકારી લેશે સત્યતણા સર્વોપરિત્વને,

ને દેહ ધારશે પારાવાર મોટા પ્રભુના અવતારને."

બોલી એ ને અધોવર્તી અજ્ઞાનભૂમિકા થકી

આવ્યો પોકાર ને આવ્યો પડઘો પ્રવિકંપતો

નગ્ન વિરૂપ રૂપમાં.

શૃંખલાએ ઇન્દ્રિયોની બદ્ધ માનવ ચિત્તનો

આક્રોશ ઊઠતો હતો,

નિજ દેવોપમા શક્તિ કેરી જાતો

ફરિયાદ લઈ ગૌરવથી ભરી,

જે મર્ત્યના વિચારોની વાડે પુરયલી હતી,

સાંકળે પૃથ્વીલોક કેરા અજ્ઞાનની બંધાયલી હતી.

બંદી બનેલ પોતાના દેહનો ને માથાનો મર્ત્ય માનવી

મહાસામર્થ્થથી પૂર્ણ નિખિલત્વ પ્રભુનું જોઈ ના શકે

કે પડાવે ભાગ એની વિશાળી ને ઊંચી એકાત્મતામહીં,

અંતર્કિત રહ્યો છે જે જ્ઞાનહીન આપણાં હૃદયોમહીં

ને પોતે સર્વની સાથે એક, તેથી વસ્તુઓ સર્વ જાણતો.

મનુષ્ય માત્ર જુએ છે સપાટીઓ જ વિશ્વની.

પછી ગોચરની પૂઠે શું સંતાઈ રહેલ છે

તેની વિસ્મિત એ થોડી કરે ખોજ નીચેનાં ગહનોમહીં;

૮૨


 

પરંતુ પડતો બંધ જરાવારમહીં જ એ,

અસમર્થ પ્હોંચવાને હાર્દમાં જિંદગીતણા

કે સંબંધ બાંધવાને સ્પંદમાન હૈયા શું વસ્તુઓતણા.

જુએ છે એ સત્ય કેરા અનાવૃત શરીરને

જોકે પડી ભ્રમે જાય વાઘા પાર વિનાના જોઈ એહના,

કિંતુ એ અવલોકી ના શકે એના અંતરસ્થિત આત્મને.

પછી ઉદ્દામ વેગે એ કેવળ જ્ઞાન કારણે

વિગતો સૌ વિદારે ને કરે છે ઘાવ, ખોદતો :

ઉપયોગાર્થ ધારે એ છે આકારે જ જે ભર્યું;

સદ્-વસ્તુ છટકી જાય યા મરી એ જાય એની છરી તળે.

ખીચોખીચ ખજાનાઓ ભર્યા અનંતતાતણા

તે એને ભાસતા માત્ર ખાલી વિસ્તાર યા જંગી મરુસ્થલી.

એણે છે સાન્તને કીધું પોતાનું ક્ષેત્ર કેન્દ્રનું,

વિશ્લેષણ કરે છે એ એની આયોજનાતણું

ને એની પ્રક્રિયાઓની પર સ્થાપે પ્રભુત્વને,

સંચાલન કરે છે જે સર્વનું તે

એની દૃષ્ટિથકી છુપાયલું રહે,

પૂઠે અદૃશ્ય છે તેને ચૂકી જાય એની આંખ નિરીક્ષતિ.

એની પાસે અંધ કેરો સૂક્ષ્મ અચૂક સ્પર્શ છે,

ધીરા યાત્રિક કેરી યા દૃષ્ટિ છે દૂર દૃશ્યની;

આવિષ્કાર સંપર્કો ચૈત્યાત્માના એના બની ગયા નથી.

છતાંયે આવતી એની પાસે જ્યોતિ આંતર-સ્ફુરણાતણી

અને અજ્ઞાતમાંહેથી પ્રેરિત જ્ઞાન આવતું;

પરંતુ ખાતરીબંધ લાગે એને

માત્ર બુદ્ધિ અને સંવેદના ઇન્દ્રિયજ્ઞાનની,

વિશ્વાસપાત્ર સાક્ષીઓ માને એ માત્ર તેમને.

આમ બાધિત થાયે એ, એળે એનો ભવ્ય પ્રયત્ન જાય છે;

એની અજ્ઞાનતા કેરા મહાસાગરને તટે

જ્ઞાન એનું કાંતિમાન કાંકરાઓ નિરીક્ષતું.

એ પોકારતણા તેમ છતાં ભવ્ય હતા ભાર સ્વરોતણા,

એના ધ્વનિમહીં કંપમાન થાતો હતો કરુણ વિશ્વનો.

" મન છું હું ઈશ કેરા મોટા અજ્ઞાન લોકનું,

એણે રચેલ સોપાનો દ્વારા ઊંચે આરોહી જ્ઞાનમાં જતું;

આવિષ્કારક સૌનો હું છું વિચાર મનુષ્યનો.

૮૩


 

દ્રવ્યે ને ઇન્દ્રિયગ્રામે શૃંખલાએ બદ્ધ હું એક દેવ છું,

કાંટાની વાડમાં પૂરી રાખેલું એક છું પશુ,

વૈતરું કરતું પ્રાણી છું હું નીરણ માગતું,

છું હું લુહાર બાંધેલો નિજ એરણ ને ધમણભઠ્ઠીએ.

છતાંય ગાંઠ ઢીલી મેં કરી છે ને વિસ્તાર્યું મુજ સ્થાન છે.

માનચિત્ર બનાવ્યાં છે વ્યોમોનાં મેં,

તારાઓનું પૃથ્થક્કરણ છે કર્યું,

કક્ષાઓ વર્ણવી છે મેં ઘરેડોમાં આકાશી અવકાશની,

કોસોનું માપ કાઢયું છે સૂર્યોને જે આધા અન્યોન્યથી કરે,

કાળમાં તેમના દીર્ધ આયુ કેરી છે મેં ગણતરી કરી.

ખોદીને હું પ્રવેશ્યું છું પેટાળે પૃથવીતણા

ને એની ભૂખરી મંદ માટીએ જે રાખ્યાં છે ધન સંઘરી

તેમને પડ ફોડીને આણ્યાં છે મેં પ્રકાશમાં.

પડે પથ્થરના એના થયાં જે પરિવર્તનો

કર્યું છે મેં વર્ગીકરણ તેહનું

ને શોધી તિથિઓ કાઢી છે મેં એના ચરિત્રની,

બચાવી પૃષ્ઠ લીધાં છે આખી આયોજના કેરાં નિસર્ગની.

ઉત્ક્રાંતિ-તરુની રૂપરેખા મેં સજ્જ છે કરી,

ડાળ ને ડાળખી,એકે એક પર્ણ છે નિજ સ્થાનમાં જ જ્યાં,

ગર્ભ પર્યંત કાઢયું છે પગેરું મેં રૂપોના ઈતિહાસનું,

અને વંશાવળી છે મેં બનાવી જે જીવે છે તે તમામની.

છે શોધ્યું મેં જીવતત્વ, જીવકોષ ને જાતિ જીવકોષની

ને જીવ એકકોષીય,--પૂર્વજો મનુજાતના,

આદિ રૂપો દીનહીન જેઓમાંથી થયો પ્રકટ માનવી;

કેવી રીતે થયો એનો જન્મ ને એ કેવી રીતે મરી જતો

તેનું જ્ઞાન મને પ્રાપ્ત થયેલ છે;

ન કિન્તુ હજુ જાણું હું એક આ કે શો એ ઉદ્દેશ સાધતો,

કે કશું લક્ષ્ય છે કે ના, કે છે ઉદ્દેશ કે નહીં,

કે પૃથ્વી પરની શક્તિ કેરાં વ્યાપક કર્મમાં

પુરઃપ્રેરણા કો ઋદ્ધ સર્જનાત્મક સહૈતુક હર્ષનું

છે રહ્યું કે નથી રહ્યું.

એની અટપટી છે મેં

પ્રક્રિયાઓ ગ્રહી, બાકી નથી એકે રહી ગઈ :

એની યંત્રાવલી જંગી આખી છે મુજ હાથમાં;

૮૪


 

મેં મારા ઉપયોગાર્થે બનાવી છે બંદી વૈશ્વિક શક્તિઓ.

એનાં અત્યણુ તત્વોમાં મેં ઝીણી દૃષ્ટિ છે કરી,

અદૃશ્ય અણુઓ એના ખુલ્લા થઈ ગયેલ છે :

જેને પઢી ગયું છે હું એવો ગ્રંથ બધું દ્રવ્ય બનેલ છે.

માત્ર થોડાંક પાનાંઓ વાંચવાનાં હવે બાકી રહેલ છે.

રહો જીવનના છે મેં જોયા, જોયા મનના પણ માર્ગ મેં;

કીડી ને વાંદરાની મેં પદ્ધતિઓ પઢેલ છે

ને મેં વર્તન શીખ્યું છે માનવીનું અને કીટક જવનું.

પ્રભુ જો કરતો હોય કામ તો મેં છે એનાં ગુહ્ય મેળવ્યાં.

પરંતુ હજુ સંદેહે રહેલું છે કારણ વસ્તુઓતણું,

એમનું સત્ય ભાગે છે રિક્તતામાં પીછો લેવાય છે તદા;

બધુંય સમજાવાયું હોય ત્યારેય ના કશું

થયું વિજ્ઞાત હોય છે.

કોણે પસંદ કીધી છે પ્રક્રિયા ને ક્યાંથી છે શક્તિ ઉદ્દભવી

તે નથી જાણતું હું ને નહીં જાણું કદી પણ કદાચ હું.

રહસ્ય એક છે જન્મ આ પ્રચંડ નિસર્ગનો;

રહસ્ય એક છે સ્રોત્ર મનની ભ્રમજાલનો,

રહસ્ય એક છે તુક્કો બહુરૂપી બનતી જિંદગીતણો.

જે હું શીખેલ છું તેની સામે વિવાદ આદરી

યદ્દચ્છા કૂદકો ભરે;

જે મેં રચેલ છે તેને ગ્રહી દૈવ વિદારતું.

જડદ્રવ્યતણી શક્તિ કેરાં કાર્યો પ્હેલેથી જોઈ હું શકું,

કિંતુ જોઈ શકું ના હું પ્રયાત્રને ભાગ્ય કેરી મનુષ્યના :

એની પસંદગીના ના

એવા માર્ગો પરે એને હાંકી લઈ જવાય છે,

ચાલતાં ચક્રની નીચે ખૂંદાયેલો પડંત એ.

મહાન દર્શનો મારાં અનુમાનો છે તર્ક અનુસારનાં;

માનવાત્મા પરે દાવો કરતાં સ્વર્ગ ગૂઢનાં

કલ્પના કરતા માથા કેરું ઊંટવૈદું છે ધૂર્તતા ભર્યું :

છે સર્વ સ્વપ્ન યા તો છે સટ્ટાબાજી વિચારની :

અંતે જગત પોતે જ બની સંદેહ જાય છે :

ઠઠ્ઠો અત્યણુનો દ્રવ્યપુંજની ને રૂપની મશ્કરી કરે,

હાસ્ય એક ધ્વની ઊઠે સાન્ત છદ્મવેશમાંથી અનંતના.

કદાચ જગ છે ભ્રાંતિ આપણી દૃષ્ટિની થતી,

૮૫


 

પુનરાવૃત્ત થાનારી યુક્તિ સંવેદનાતણા

પ્રત્યેક ચમકારમાં,

અસત્ય સત્યતા કેરા દબાણે જન્મ પામતી

દૃષ્ટિથી જીવને નાખી ભ્રમણામાં દેતું એક અસત્ મન,

 

પુનરાવૃત્ત થાનારી યુક્તિ સંવેદનાતણા

પ્રત્યેક ચમકારમાં,

અસત્ય સત્યતા કેરા દબાણે જન્મ પામતી

દૃષ્ટિથી જીવને નાખી ભ્રમણામાં દેતું એક અસત્ મન,

અથવા નૃત્ય માયાનું આવરી લે અણજન્મેલ શૂન્યને.

પહોંચી હું શકું એક વિશાળતર ચેતના

તોયે છે શો લાભ એથી વિચારને ?

એને સદા અનિર્વાચ્ય એના દ્વારા પ્રાપ્ત સદ્-વસ્તુ થાય, કે

એ નિરાકાર આત્માનો લઈ પીછો છેક એની ગુહા સુધી

કરી લે પ્રાપ્ત એહને,

કે અજ્ઞેય બનાવાય નિશાન ચૈત્ય-આત્મનું

તેથી કારજ શું સરે ?

નહીં, દો કરવા કાર્ય મને મારી મર્ત્ય મર્યાદાની મહીં,

જિંદગી પારની મારે જિંદગી નવ જોઈએ,

યા તો મનતણી શક્તિ પાર કેરું વિચારવું;

આપણી અલ્પતા રક્ષા આપણી છે અનંતથી.

જામી ગયેલ ઠંડીથી એકાકી ને નિર્જના ભવ્યતામહીં

મોટા શાશ્વત મૃત્યુથી મરવાને મને બોલાવ તું નહીં,

શીત વિરાટ આત્માની અમર્યાદિતતામહીં

છોડી દેવાયલું નગ્ન ગુમાવીને પોતાની માનવીયતા.

પ્રત્યેક જીવ જીવે છે મર્યાદાઓ વડે સ્વીય સ્વભાવની

ને એ ટાળી શકે કેવી રીતે ભાગ્ય પોતાનું સહજાત જે ?

છું માનવીય હું, રે'વા મને દો માનવીય તો,

અચિત્ માં હું પડું મૂગું ને પોઢી જઉં ત્યાં સુધી.

મોટો ઉન્માદ છે આ, છે એક કપોલકલ્પના

કે માટીની મહીં છૂપો રહેલો છે પ્રભુ, એવું વિચારવું

ને સનાતન જે સત્ય તે રહી કાળમાં શકે,

અને બોલાવવું એને

કરવાને પરિત્રાણ જાતનું ને જગત્ તણું.

જે મૂળતત્ત્વો પોતે બનેલો છે

ખુદ તેને રૂપાંતરિતતા દઈ

શી રીતે માનવી મૃત્યુમુક્ત દિવ્ય બની શકે ?

માયાવી દેવતાઓ આ સ્વપ્નને સેવતા ભલે,

નહીં સેવે માનવીઓ વિચારતા.

૮૬


 

સાવિત્રીએ સુણ્યો સુર, સુણ્યો વિકૃત ઉત્તર

ને વદી એ જ્યોતિ કેરા નિજાત્માની ભણી વળી :

"દૈવી જ્યોતિર્મયી, માતા આનંદ અથ શાંતિની,

મારા આત્માતણો છે તું અંશ પ્રાદુર્ભૂત કરાયલો,

ઉદ્ધારી જીવને એનાં ભુલાયેલાં શિખરોએ લઈ જવા,

ને સ્પર્શોએ સ્વર્ગ કેરા ચૈત્યાત્માને જગાડવા.

તું છે તેથી જતો આત્મા પ્રભુ કેરી સમીપમાં,

તું છે તેથી વૃદ્ધિ પામે પ્રેમ વિદ્વેષ છે છતાં,

ને રાત્રિગર્તમાં જ્ઞાન ચાલે વણહણાયલું.

પરંતુ બુદ્ધિની કાઠી પથરાળ જમીનની

પર સ્વર્ગતણી સ્વર્ણ વર્ષાના વરસાદથી

માટીમાં પૃથવીની ના તરુ નંદનબાગનું

પુષ્પે પામે પ્રફુલ્લતા,

ને દિવ્ય લોકનું પંખી આવી બેસે ડાળોએ  જિંદગીતણી

અને મર્ત્ય હવા કેરી મુલાકાતે આવે સ્વર્ગ-સમીરણો.

વિભાઓ વરસાવે તું અંત:સ્ફુરિત જ્ઞાનની

તે છતાં માનવી કેરું મન એને પૃથ્વીની માનશે પ્રભા,

આધ્યાત્મિક અહંભાવે ડૂબશે આત્મ એહનો,

કે જ્યાં પ્રભુતણી શુભ્ર છાયામાત્ર આવવાને સમર્થ છે

ત્યાં સાધુત્વતણી દીપ્ત કોટડીમાં પુરાયલો

ચૈત્ય એનો રહેશે સ્વપ્ન સેવતો :

તારે ઉછેરવાની છે ભૂખ એની શાશ્વત વસ્તુ કાજની

ને સ્વર્ગ્ય અગ્નિએ એનું ભરવાનું છે હૈયું તીવ્ર ઝંખતું,

પ્રભુને આણવાના છે એના દેહ અને જીવનની મહીં.

પ્રભુના હાથ શું હાથ મિલાવીને

હું આવીશ ફરીથી એક દી અહીં

અને તું મુખડું જોવા પામશે પરમાત્મનું.

સંપાદિત થશે ત્યારે પાણિગ્રહણ પાવન,

પ્રભુનો જન્મશે ત્યારે પરિવાર ધરાતલે.

હશે પ્રકાશ ને શાંતિ સઘળાં ભુવનો વિષે."

૮૭


  ચોથો  સર્ગ  સમાપ્ત









Let us co-create the website.

Share your feedback. Help us improve. Or ask a question.

Image Description
Connect for updates