સાવિત્રી

Sri Aurobindo symbol
Sri Aurobindo

Sri Aurobindo's major poetic work, an epic in blank verse. In Savitri, a legend from the Mahabharata becomes the symbol of the human soul's spiritual destiny. In poetic language, Sri Aurobindo describes his vision of existence and explores the reason for ignorance, darkness, suffering and pain, the purpose of life on earth and the prospect of a glorious future for humanity. The writing of the epic extended over much of the later part of his life.

Sri Aurobindo Birth Centenary Library (SABCL) Savitri Vols. 28,29 816 pages 1970 Edition
English
 PDF     Poems
Sri Aurobindo symbol
Sri Aurobindo

Sri Aurobindo's major poetic work, an epic in blank verse. In Savitri, a legend from the Mahabharata becomes the symbol of the human soul's spiritual destiny. In poetic language, Sri Aurobindo describes his vision of existence and explores the reason for ignorance, darkness, suffering and pain, the purpose of life on earth and the prospect of a glorious future for humanity. The writing of the epic extended over much of the later part of his life.

Gujarati Translations of books by Sri Aurobindo સાવિત્રી 1973 Edition
Gujarati Translation
Translator:   Pujalal

સર્ગ આઠમો

 

જૂઠાણાંનું જગત, પાપની માતા

અને અંધકારના આત્મજો

 

વસ્તુનિર્દેશ

 

          ત્યાર પછી અશ્વપતિ રાત્રિનું ગૂઢ હૃદય જોઈ શક્યો. પરમ સત્યને ને પ્રભુને બાતલ રાખી રાત્રિ પોતાના નિરાનંદ જગતની રચના કરતી હતી. મહાસુરો અને અરાજકતાના મહારાજો ત્યાંથી ઊભા થતા હતા અને દુઃખશોકનું નરક અનુભવમાં આણતા હતા.

           એ જગત હતું ઉગ્ર અને અઘોર. સ્વર્ગના તારાઓથી એ હમેશાં વંચિત રહેતું, આત્મા જેવી સદ્-વસ્તુનો સદા ઇનકાર કરતું; એ હતું અસત્ અનંતનું પ્રવેશ દ્વાર. બધી જ ઉચ્ચ વસ્તુઓ ત્યાં વિપરીત બની જતી, દેવતાઓનેય દાનવ ધર્મ અનુસરવો પડતો.

             પ્રભુ જાતને જયાં જાતથી છુપાવી છે ત્યાં આત્મરહિત જડતાના પાતાલગર્તને પ્રાણ સ્પર્શો ને આત્મચેતનાને પ્રકટાવવાનો માર્ગ શોધવા લાગ્યો, પણ રાત્રિમાંથી જુદો જ જવાબ આવ્યો. જીવને જબરજસ્ત ભૂખ્યા મૃત્યુંનું રૂપ લીધું, બ્રહ્માનંદ વિશ્વવ્યાપી દુઃખમાં ફેરવાઈ ગયો. એક વિદ્વેષી શક્તિ જન્મી અને એણે આત્માના આરોહણને અટકાવવાનું, જ્યોતિ બુઝાવી નાખવાનું, ચૂપચાપ છાનીમાની આવી પારણામાંના પરમાત્મીય બાળકને મારે નાખવા માટેનું પોતાનું  કારમું કૃત્ય આરંભ્યું. એના કરતૂકને કારણે ઊર્ધ્વનો યાત્રી એનો શિકાર બની જાય છે, ને માણસની અંદરની દિવ્યતાનો દેહાંત થતાં શરીર માત્ર મન-સમેત જીવતું રહે છે.

              વિનાશકારી સૂક્ષ્મ સત્તાઓ અજ્ઞાનની ઠાલથી રક્ષાયેલી રહે છે. પ્રભુનાં બારણાં એમણે સંપ્રદાયની ચાવીથી બંધ કર્યાં છે, પ્રભુની કૃપાને ધર્મનો કૂટ કાયદો અંદર આવવા દેતો નથી. જ્યોતિનો વણજારોને એમણે વચમાંથી રોકી રાખી છે. જ્યાં જ્યાં દેવોનું કાર્ય આરંભાય છે ત્યાં ત્યાં આડે આવીને તે એને અટકાવે છે, સત્યના

૧૯૬


વિજયોને પરાજયોમાં ફેરવી નાખે છે, જૂઠાણાને સનાતન સત્યનું નામ આપી ઉદઘોષે છે. આત્મરહિત પોતાના જગતમાંથી નીકળીને તેઓ પ્રભુની સામે પડે છે. રાત્રિના અંધકારમાં એમણે અડંગા નાખ્યાં છે ને આવતા દિવ્ય કિરણને એ પ્રવેશવા દેતી નથી. દેવોનાં સંતાનોનેય એ તમોગ્રસ્ત બનવી દે છે. એમની આ નારકીયતા-માંથી પસાર થયા વિના પરમોચ્ચ ધામે પહોંચાતું નથી. તેથી યાત્રીએ ધીર ને વીર બનવાનું હોય છે.

                 રાજા અશ્વપતિ આ નિરાશાજનક રાત્રિમાં પ્રવેશ્યો ને એને પડકાર આપતો આગળ વધ્યો. એના જ્યોતિર્મય આત્માના પગલાંથી પ્રવેશદ્વારના અંધકારને ધ્રાસકો પડયો.  રાજાએ જોયું તો ત્યાં બધું ઊલટું જ હોય એવું લાગતું હતું. ત્યાંના જન્માંધ જીવો પાપને પુણ્ય સમજતા, નિરાનંદતાની શિક્ષા પોતે ભોગવતા ને બીજાઓને તે ભોગવવાની ફરજ પડતા. શોક, દુઃખ, દુરિત એમના સ્વભાવમાં નિત્યની વસ્તુઓ બની ગયાં હતાં બીજાઓની પીડા એમને પ્રસન્ન બનાવતી, શાંતિ એમને અશાંત બનાવી દેતી, ખૂનખાર ઝેરવેરનું ઝનુન એમને ચઢતું. આ હતો એમનો જીવનધર્મ. નિર્દય કાળમુખી કોઈ કારમી શક્તિની આરાધનામાં તેઓ ઘૂંટણિયે પડતા. દ્વેષ ત્યાંનો મોટો ફિરસ્તો હતો. દ્વેષ દુઃખને ને દુઃખ દ્વેષને પોતાની મિજબાની બનાવતાં.

                  ત્યાની નિર્જીવ વસ્તુઓમાં પણ આ વિપરીત ધર્મ પ્રવેશ્યો હતો. એ વસ્તુઓને જેઓ ઉપયોગમાં લેતા તેમનું અમંગલ થતું,  કેમ કે એ હાથ વગર હાનિ પહોંચાડતી, ને ઓચિંતી હણી પણ નાખતી. બધી જ વસ્તુઓ ત્યાં સચેત ને સાથે સાથે દુષ્ટતાથી ભરેલી હતી.

                   અશ્વપતિ ત્યાં વિનાશે વાળતા ભૂતના ભણકારા સાંભળ્યા, દાનવી ચિહ્નોની મોહિનીઓ જોઈ, રક્તતરસ્યું વરુ ને ફાડી ખાનાર કૂતરાઓનું ભષણ સાંભળ્યું. નરકના હુમલા ને આસુરી પ્રહારો ઝીલતો ઝીલતો, વિષના ઘૂંટડા પીતો પીતો એ ગમે તેમ કરીને પણ પોતાના આત્માના પ્રકાશમાન સત્યને અખંડ સાચવી રહ્યો હતો.

                    આમ અચિત્ ના ગર્તમાં ગૂંગળામણ વેઠતો અશ્વપતિ એનું રહસ્ય પામ્યો. સંવેદનરહિત જગતનો સિલબંધ ઉદ્દેશ અને અજ્ઞાન રાત્રીનું મૂગું શાણપણ એને સમજાયું. એણે જોયું કે પરમાત્મા ત્યાં પોઢ્યો હતો અને એ અવસ્થામાં રહી વિશ્વની રચના કરતો હતો. ત્યાં હતું અજ્ઞાત ભાવિ, પોતાની પળની રાહ જોતું. લુપ્ત થયેલા તારાઓના ઇતિહાસ ત્યાંની વહીમાં લખાયેલો હતો. વૈશ્વિક સંકલ્પની સુષુપ્તિમાંથી એને ત્યાં પ્રકૃતિના રૂપાંતરનું રહસ્ય મળ્યું.

                     એક જ્યોતિ, એક અદૃશ્ય હસ્ત એના સાથમાં હતો, ને એને લીધે ભ્રાંતિ,

૧૯૭


 ભૂલ ને વેદના આનંદની ઝણેણાટીમાં ફેરવાઈ જતાં હતાં. પોતે ત્યાં એક માધુર્યના આલિંગનોમાં હતો. એને જણાયું કે રાત્રિ તો સનાતનનું છાયામન અવગુંઠનમાત્ર છે, મૃત્યુ જીવનગૃહનું ભોયરું છે. વિનાશમાં એને સર્જનની ઝડપે ગતિ દેખાઈ, નરક સ્વર્ગે જતો ટૂંકો માર્ગ માલૂમ પડયો.

                       પછી તો અચિત્ નું જાદૂઈ કારખાનું તૂટી પડયું. આધ્યાત્મિક શ્વાસોછવાસ લેતી પ્રકૃતિનો બદ્ધ આત્માનો કરાર રદ થયો. અસત્યે સત્યને પોતાના વિરૂપ સ્વરૂપને સમર્પી દીધું. દુખ-દુરિતના ધારાઓનો અંત આવ્યો. રાત્રિમાં ઉઘાડ શરૂ થયો, પરમ સુખસભર શુભ પ્રભાત પ્રકટ્યું. કાળના વિદીર્ણ હૈયાના વ્રણો રુઝાઈ ગયા. ભેદો ભૂંસાઈ ગયા, કેમ કે પ્રભુ ત્યાં હતો. આત્માએ સભાન શરીરને પોતાના પ્રકાશથી દેદીપ્યમાન બનાવ્યું. જડતત્વ અને બ્રહ્યસત્તા હળીમળીને એકાકાર બની ગયાં.

 

 

પછીથી રાત્રિનું છૂપું હૈયું એ નીરખી શક્યો:

નરી અચેતના કેરા શ્રમે એના

કરી ખુલ્લી અપારા ઘોર રિક્તતા.

ખાલી અનંતતા એક હતી, આત્મા ન ત્યાં હતો;

ઇન્કારતો સદા કેરું સત્ય, એવો નિસર્ગ જે

તે શેખીખોર ને મિથ્થા સ્વાતંત્ર્યે સ્વવિચારના

પભુનો કરવા લોપ અને રાજ્ય એકલો જ ચલાવવા

આશા રાખી રહ્યો હતો.

હતો ન રાજ અતિથિ, સાક્ષી જ્યોતિ હતી નહીં;

સાહ્ય લીધા વિના સૃષ્ટિ

ને પોતાની નિરાનંદ સર્જવા માગતો હતો.

એની વિશાળ ને અંધ આંખ દૈત્ય-કાર્યો જોઈ રહી હતી,

હતા સાંભળતા એના બ્હેરા કાન અસત્ય, જે

એના મૂગા ઓઠ ઉચ્ચારતા હતા;

મોટાં રૂપો હતી લેતી મહાઘોર અને વિપથગામિની

એની સ્વછંદ કલ્પના,

આંદોલાતી હતી ક્રૂર ખ્યાલોવાળી

મનોહીન એની ઇન્દ્રિયચેતના; 

૧૯૮


 

ઉત્પન્ન કરતાં એક પશુભાવી સિદ્ધાંત જિંદગીતણો

આપ્યો પાપે અને દુઃખે જન્મ દાનવ જીવને.

અરૂપ ગહનો કેરા થયા ઊભા અરજકો,

આસુરી જીવન જન્મ્યા ને બળો દૈત્ય સ્વભાવનાં,

વિશ્વવ્યાપી અહંકારો વાસનાએ, વિચારે ને વિકલ્પથી

સંકાજે ત્રાસ આપતા,

વિશાળાં મન ને જન્મ્યાં જીવનો જ્યાં હતો ના આત્મ અંતરે :

અધીરા વિશ્વકર્માઓ ભ્રમ કેરા નિવાસના,

વિશ્વ વ્યાપેલ અજ્ઞાન ને અશાંતિ છે તેના પટનાયકો,

શોક ને માર્ત્યતા કેરા પ્રવર્તકો,

અધોગર્તતણા કાળા કલ્પો મૂર્ત્ત પોતામાં કરતા હતા.

આવ્યો પોલાણમાં એક છાયાભાવી પદાર્થ, ને

જન્મી આકૃતિઓ ઝાંખી વિચારશૂન્ય શૂન્યમાં,

મળ્યાં વમળ સર્જતાં વિરોધી અવકાશને

જેની કાળી ગડીઓમાં આત્મસત્-તા કલ્પતી લોક નારકી.

ત્રિગુણા તમની પટ્ટી વીંધીને આંખ એહની

ઓળખી કાઢતી દૃષ્ટિ તેમની અંધ મીટની :

અસ્વાભાવિક અંધારે ટેવાઈ તે નિહાળતી

સત્યરૂપ બનાવેલી અસત્યતા,

અને રાત્રી બનાવેલી સચેતના.

ઉગ્ર, કરાળ ને રૌદ્ર એક ભુવન એ હતું,

ભીમરૂપ વિપત્કારી સ્વપ્નાંઓનું ગર્ભસ્થાન પુરાતન,

તમિસ્રે ગૂંચળું વાળી રહેલું કીટ-પોત શું

સ્વર્ગના તારકો કેરા

ભલાઓની અણીઓથી જે તમિસ્ર એને રક્ષિત રાખતું.

દરવાજો હતું એહ અસત્ એક આનંતનો,

હતું એ શાશ્વતી પૂરેપૂરી ઘોર સ્વતંત્ર અસ્તિઓતણી,

અધ્યાત્મ વસ્તુઓ કેરો નકાર હદપારનો.

આત્માને ભુવને જેઓ એકવાર સ્વયમેવ પ્રકાશતા,

બદલાઈ હવે તેઓ પોતાનું તિમિરે ભર્યું

 

 

૧૯૯


 

ઉલટું રૂપ પામતા :

ધબી સત્વ જતું એક અર્થહીન અભાવમાં,

જે તે છતાં હતું શૂન્ય વિશ્વોને જન્મ આપતું;

અચિત્ ગળી જઈ વૈશ્વ મનને ઉપજાવતું

હતું બ્રહ્યાંડ પોતાની પ્રાણહારી સુષુપ્તિથી;

પડેલો પરમાનંદ ભાન ખોઈ કાળા પ્રાણ-વિરામમાં,

વીંટળાયેલ પોતાની આસપાસ પડી 'તી પારમા મુદા

વળી પાછી કુંડાલાકારની મહીં,

પ્રભુનો શાશ્વતાનંદ,

જન્મ છે જ્યાં મહાપીડા ને મૃત્યુ ઘોર યાતના

ત્યાં મૂગા લાગણીહીન જગ કેરી જમીનમાં

સ્થાપી સ્થિર કરાયલા

ક્રોસની પર ખીલીઓ મારી દુઃખી દશામાં છે જડયો હજુ

વ્યથા ને શોખના જૂઠા મર્મવેધક રૂપમાં,

કે રખે સધળું પાછું અતિ શીઘ્ર

પલટાઈ જઈ રૂપ પરમાનંદનું ગ્રહે.

સર્પ-ત્રિકાતણા કાળા પોતા કેરા ત્રિપાદાસનની પરે

બેઠી છે ચિંતના પુજારિણી પાપવિકારની,

વિપરીત નિશાનીઓ દ્વારા શાસ્ત્ર વાંચતી એ સનાતન,

ચોકઠું પ્રભુતા કેરું જિંદગીનું ઉલટાવી દેતી જાદૂતણે બળે.

અંધકારસ્થ માર્ગોમાં આસનશ્રેણિ મધ્યના,

દીવા જ્યાં દુષ્ટ આંખોના છે ને બાજુ આવેલા ઓરડા મહીં

પ્રાણઘાતક સૂરોએ સ્તોત્રનું ગાન થાય છે

તે વિચિત્ર નારકીય અને કાળા ધર્મના આલયોમહીં

અપવિત્ર મંત્રશબ્દ ઉચ્ચારી અભિચારનો

અનિષ્ટ ભાખતી દીક્ષાધારિણી ગૂઢ ત્યાં

રહસ્યતાઓનો વિધિ પોતાતણો આચરતી હતી.

વ્યથાવ્યાકુલ હૈયાને અને દેહમાટીને લલચાવતો

હતું ત્યાં દુઃખ ખોરાક નિત્ય કેરો નિસર્ગનો,

હતી અત્યંત પીડા ત્યાં વિધિસૂત્ર મુદાતણું,

૨૦૦


 

સ્વર્ગીય સુખની ત્રાસ કરતો ત્યાં વિડંબના.

પ્રભુના બેવફા માળી બન્યું 'તું શુભ, તે તહીં

પાતું પુણ્યતણું પાણી વિશ્વના વિષવૃક્ષને,

બાહ્ય વચન ને કર્મ વિષયે સાવધાન એ

પાખંડનાં પ્રસૂનોની કલમોને દેશી પાપે ચઢાવતું.

ઉમદા વસ્તુઓ સર્વ સેવતી 'તી નીચેના લોક મધ્યના

પોતાના વિપરીતને :

દેવો કેરાં સ્વરૂપોને પાળવો પડતો હતો

ધર્મ દાનવ લોકનો;

મુખ સ્વર્ગતણું છદ્મ અને ફંદો બની નરકનો જતું.

મોઘ ગોચર દૃશ્યોને હૈયે ઘોર કર્મના અમળાટથી

ભરેલા મર્મની મહીં

સીમાતીત અને આછી અવલોકી એણે ત્યાં એક આકૃતિ;

જન્મેલી વસ્તુઓને સૌ ગળી જાનાર મૃત્યુની

પર આસીન એ હતી.

થીજેલું સ્થિર મોઢું ને સ્થિર એની હતી આંખો બિહામણી,

છાયા શા લાગતા એના પ્રલંબાવેલ હસ્તમાં

હતું ઘોર ત્રિશૂળ,  ને

વીંધતી એ હતી સર્વ પ્રાણીઓને એક ભાગ્યવિધાનથી.

 

હતું નહીં કશું જયારે ચૈત્યહીન જડતત્વ વિના, અને

આત્મારહિત પોલાણ હતું હૃદય કાળનું,

ત્યારે સ્પર્શી પ્રાણશક્તિ પ્હેલ વ્હેલી સંજ્ઞારહિત ગર્તને;

ખાલીખમ હતું તેને જગાડીને

આશાનું ને દુઃખ કેરું એને ભાન કરાવિયું,

સ્વકીય દૃષ્ટિથી જેમાં પ્રભુ પોતે રહેલા છે છુપાયલો

તે અગાધ રાત્રિને ઘા કર્યો એણે પોતાના મંદ રશ્મિથી.

એ સૌ વસ્તુમહીં સત્ય સુપ્ત ને ગૂઢ તેમનું

શોધવા માગતી હતી,

ને સંજ્ઞાહીન રૂપોને પ્રેરનારો અનુચ્ચારિત શબ્દ જે

 

 

૨૦૧


 

તેને તે ઢૂંઢતી હતી;

અદૃશ્ય ઋતધર્માર્થે પ્રભુનાં ગહનોમહીં

વલખાં વીણતી હતી,

આછા અંધારથી પૂર્ણ અવચેતનતામહીં

એના માનસને માટે ફાંફાં એ મારતી હતી,

મથતી શોધવા માર્ગ આત્મા માટે અસ્તિત્વે આવવાતણો.

પરંતુ રાત્રિ મધ્યેથી અન્ય ઉત્તર આવિયો.

બીજ એક નખાયું 'તું એ રસાતલ-ગર્ભમાં,

મૂક ને ન શલાકાઓ શોધી કાઢેલ છોતરું

હતું વિકૃત સત્યનું,

હતો કોષાણુ કો એક અસંવેદી અનંતનો.

ગર્ભે પ્રકૃતિના ઘોર નિજ વૈશ્વ સ્વરૂપમાં

અવિદ્યાએ કર્યો સજ્જ જન્મ દારુણતા ભર્યો,

પછી અઘોર કો એક દૈવ વિનાશક મુહૂર્તમાં

સાવ અચિત્ તણી નિદ્રાથકી કૈંક સમુદ્ ભવ્યું,

મૂક શૂન્યે અનિચ્છાથી આપ્યો 'તો જન્મ એહને,

એણે વિનાશના ઘોર રાક્ષસી સ્વશરીરની

છાયા ભૂ પર પાથરી,

ઠંડાંગાર કરી દીધાં સ્વર્ગો એણે ધમકી આપતા મુખે.

આપણા વિશ્વને માટે વિજાતીય અસીમ કો

શક્તિ એક અનામી ને છાયા-ઘેર્યો એક સંકલ્પ ઉદભવ્યો.

માપ્યો ન કોઈથી જાય એવા એક કલ્પનાતીત આશયે

વિરાટ એક અસતે વાઘા રૂપતણા ધર્યા,

અચેત ગહનો કેરા અજ્ઞાને હદપારના

ઢાંકી શાશ્વતતા દીધી શૂન્યાકાર અવસ્તુથી.

શોધનાર મને લીધું સ્થાન જોનાર ચૈત્યનું:

ભીમકાય અને ભૂખ્યા મૃત્યુ કેરું રૂપ જીવન ધારતું,

બદલાઈ ગયો બ્રહ્યાનંદ વિશ્વવ્યાપી દુઃખસ્વરૂપમાં.

રહી તટસ્થ પોતાને પ્રચ્છન્ન રાખતો

હતો તે ખાતરી થતાં

૨૦૨


 

જીતી દિગ્દેશને લેતો ઘોર એક પ્રતિરોધ મહાબલી.

જૂઠાણું, મૃત્યુ ને શોક પર રાજા જેમ રાજ્ય ચલાવતા

એણે પૃથ્વી પરે ક્રૂર આધિપત્ય સ્થાપ્યું દોરદમામથી;

મૂળ શિલ્પતણી શૈલી ભૂના ભાગ્યવિધાનની

વિસંવાદી કરી દઈ

આદિ સંકલ્પ વિશ્વાત્માતણો એણે અસદરૂપ બનાવિયો,

પ્રક્રિયા દીર્ધ ને ધીરી ધૈર્ય ધારંત શક્તિની

મહામથનની સાથે સંયોજી, ને

અધોર પલટાઓની સાથે સંકલિતા કરી.

ભ્રમારોપ કરી મૂળ તત્વમાં વસ્તુઓતણા

રૂપ અજ્ઞાનનું એક આપ્યું એણે સર્વ-વિદ્ ઋતધર્મને;

એણે સંભ્રમમાં નાખ્યો જિંદગીના ગૂઢ આશય મધ્યના

ખાતરીબંધ સ્પર્શને,

જડતત્વતણી નિદ્રામહીં છે જે અંત:સ્ફુરિત જ્ઞાનથી

માર્ગદર્શન આપે છે તેને ચૂપ બનાવિયો,

વિરૂપિતા કરી નાખી જંતુઓ ને જનાવરો

કેરી સહજ-પ્રેરણા,

વિચારે જન્મ લેનારી માનવીની મનુષ્યતા

કરી નાખી એણે કુરૂપતા ભરી.

સાદી-સીધી પ્રભા આડે છાયા એક પડી ગઈ :

ગુહા-ગહવરમાં સત્યજ્યોતિ જે જલતી હતી,

ને રાજતો હતો દેવ દેવળે જે તેને સંગાથ આપતી,

ગુપ્તતાના સ્થિર કો પટ-પૂઠળે

વેદિકાગૃહમાં દૃષ્ટે કોઈની યે પડયા વણ પ્રકાશતી,

તે સત્યજ્યોતિ પે એક અંધકાર ફરી વળ્યો.

વિરોધી શક્તિ આ રીતે જન્મ પામી ભયંકરી,

શાશ્વતી જગદંબાના મહાબલ સ્વરૂપની

કરતી જે વિડંબના,

અને રાત્રિમહીં છાયામૂર્ત્તિ સ્વીય વિકૃતા વર્ણઘૂસરી

વિસ્તારી, કરતી હાંસી માની જ્યોતિર્મયી અનંતતાતણી.

૨૦૩


 

આરોહંતા ચૈત્ય કેરા ભાવાવેગ વચ્ચે અટક નાખતી,

લાદતી એ બલાત્કારે

ખમચાતી અને ધીરે ગતિ જીવનની પરે;

ગૂઢ વર્તુલરેખાની પર ક્રમવિકાસની

છે મુકાયેલ જે એના હસ્તનો ભાર દાબતો

તે દિશા બદલી નાખી એની એના વેગને મંદ પડતો :  

એના છેતરતા ચિત્ત કેરી કુટિલ રેખને

ન જોઈ શકતા દેવો, ને લાચાર મનુષ્ય છે;

દાબી ચૈત્યાત્મ મધ્યેનો દઈ ઈશ-સ્ફુલિંગને

નિપાત પશુતા પ્રત્યે બલાત્કારે કરાવે એ મનુષ્યનો.

છતાં ભીષણતાયુક્ત ચિત્તે એના સહજફૂરણા ભર્યા

કાળને હૃદયે 'एक एव'  કેરી વૃદ્ધિ અનુભવંત એ,

ને એ નિહાળતી ઢાળામહીંથી માનવીતણા

અમૃતાત્મા પ્રકાશતો.

પોતાના રાજ્યને વાસ્તે ધાસ્તી એની મહીં રહે

ને ભયે ને રોષે જાય ભરાઈ એ,

અટૂલા આત્મ-તંબૂની મહીંથી રશ્મિ નાખતી

જે પ્રત્યેક જોત અંધકાર મધ્યે પ્રકાશતી

હિંસ્રની જેમ તે એની આસપાસ ફર્યા કરે

ઘોર ચોરતણી ચાલે ચૂપચાપ આશા પ્રવેશની કરી

દિવ્ય બાલકને પૂરો કરી દેવા એના પારણિયામહીં.

કળી શકાય ના એવાં છે એનાં બળ ને છળ,

મોહિનીને ને મૃત્યુ રૂપ હોય છે  સ્પર્શ એહનો;

શિકારના જ આનંદ દ્વારા મારી નાખતી સ્વ શિકાર એ;

શુભનેય બનાવી દે આંકડી એ ખેંચી નરકમાં જવા.

એને લીધે જગત્ દોડી જતું ઘોર પોતાની યાતના ભણી.

ઘણી યે વાર તો યાત્રી જતો શાશ્વતને પથે

કારણે વાદળાંતણા

મનના ઝંખવાયેલા ચંદ્રે ચાલે અલ્પસ્વલ્પ પ્રકાશમાં,

કે વિમાર્ગે લઇ જતી

૨૦૪


 

વાંકીચૂંકી ગલીઓમાં એકલો આથડયા કરે,

કે મળે નવ જ્યાં માર્ગ એવા રણ-પ્રદેશમાં

જઈ ગાયબ થાય છે,

ને પરાભવ પામીને એની સિંહ-છલંગથી

પરાજિત બની બંદી પડે એના પંજા નીચે ભયંકર.

અને કામી ઊંહકારે નાશકારક મોંતણા

મદમસ્ત બનેલા એ,

પવિત્ર અગ્નિનો એકવારનો જે સહચારી સખા હતો

ને મર્ત્ય માનવી જાય મરી ઈશ પ્રતિ ને જ્યોતિની પ્રતિ,

એને હૈયે અને ભેજે વિરોધી કો એક રાજ્ય ચલાવતો,

માતૃશક્તિતણી પ્રત્યે વેરભાવે વર્તનાર સ્વભાવનો.

પાર્થિવ પ્રકૃતિને જે મોટી મોટી બનાવતી

અને એનું મૂળ રૂપ બગાડતી,

તે આસુરી અને દૈત્ય-સ્વભાવી શક્તિઓતણી

આધીનતાતણો અંગીકાર પ્રાણ કરંત ને

સેવામાં એમની અર્પી દેતો સૌ નિજ સાધનો :

પાંચમા વ્યૂહનો શત્રુ બુકાનીમાં અવ દોરે વિચારને;

નિરાશાવાદના એના ચાલક મર્મરાટથી

શ્રદ્ધા હણાઈ જાય છે,

ને હૈયામાં રહીને કે બ્હારથી કાન ફૂંકતો,

પાપી ને તિમિરગ્રસ્ત જૂઠાબોલી પ્રેરણાઓ સુણાવતો,

દિવ્ય પદ્ધતિને સ્થાને નવીન સ્થાપના કરે.

આત્માનાં શૃંગને માથે એક નીરવતા ઠરે,

પડદા પૂઠના દેવમંદિરેથી પ્રભુ પાછો જતો રહે,

વધૂનો ખંડ છે ખાલી ને ઉષ્માહીનતા ભર્યો;

આભામંડળ સોનેરી ન હવે નજરે પડે,

પ્રસ્ફૂરે ન હવે શુભ્ર રશ્મિ અધ્યાત્મતાતણું,

ને સદાકાળને માટે ચુપકીદી છૂપો અવાજ ધારતો.

ચોકિયાત-મિનારાનો દેવદૂત

૨૦૫


 

યાદી કેરે ચોપડેથી ચેકી નાખે નામ એક લખાયલું;

સ્વર્ગમાં કરતી ગાન જવાળા એક ઠરી મૂક થઇ જતી,

સત્યનાશમહીં અંત આવે આત્મા કેરી વીરકથાતણો.

દુઃખપર્યવસાની આ વાત આંતર મૃત્યુની

દિવ્ય તત્વતણો જયારે અર્થદંડ અપાય છે

અને મન તથા દેહ મરવા કાજ જીવતાં.

 

કેમ કે પરમાત્મા દે રજા માધ્યમોને પ્રવર્તવાતણી,

અને છે સૂક્ષ્મ ને ભીમકાય ભીષણ શક્તિઓ

જેઓ ઢાલ બનાવે છે અવિદ્યાના બનેલા ઢાંકણાતણી.

ઓલાદો ઘોર ગર્તોની તામિસ્ર બલના કાર્યવાહકો,

વિદ્વેષી જ્યોતિના, તેઓ અસહિષણુ બને છે શાંતિની પ્રતિ,

સખા ને ભોમિયા કેરું લઇ રૂપ બનાવટી

મન આગળ આવતા,

હૈયે શાશ્વત સંકલ્પ છે જે તેની સામે વિરોધમાં પડે,

અને નિગૂઢ ને ઊર્ધ્વે ઉદ્ધારંતા

સ્વરૈકય સાધનારાને સંતાડે અવગુંઠને.

એની વિજ્ઞાનવાણીનાં બનાવતાં આપણે કાજ બંધનો;

દ્વારોએ પ્રભુનાં મારી દે એ તાળાં ચાવીએ સંપ્રદાયની,

ધર્મધારાતણા દ્વારા બ્હાર રાખે અશ્રાંતા પ્રભુની કૃપા.

માર્ગે માર્ગે પ્રકૃતિનાં નિજ થાણાં છે બેસાડેલ એમણે,

જ્યોતિની વણજારોને આવતાં અવરોધતા;

જ્યાં જ્યાં પ્રવૃત્ત થાયે છે દેવો ત્યાં ત્યાં આવી એ વચમાં પડે.

ઝૂંસરી છે નખાયેલી તમે છાયા હૈયા ઉપર વિશ્વના,

ઢાંકી રખાય છે એના ધબકારા પરમોચ્ચ મુદાથકી,

ને ઝગારા મારનાર મનની સીમ બાંધતી

પરિરેખા રચે બાધા સ્વર્ગના દિવ્ય અગ્નિના

પ્રવેશો સૂક્ષ્મ થાય ત્યાં.

કાળા સાહસિકો જીતી જતા હોય એવું હંમેશ લાગતું;

દેતા તેઓ ભરી પાપ-સંસ્થાઓએ નિસર્ગને,

૨૦૬


 

સત્યના વિજયોને દે પલટાવી પરાજયે,

છે સનાતન ધર્મો તો જૂઠાણાં, એ એવી ઉદઘોષણા કરે,

ને માયાવી અસત્યોથી લાદે પાસા વિનાશના;

વિશ્વનાં મંદિરોમાં એ બેઠા છે સ્થાનકો લઇ,

ને પચાવી પડયા છે એ એનાં રાજસિંહાસનો.

દેવોની ઘટતી જાતી તકો પ્રત્યે તિરસ્કાર બતાવતા,

સૃષ્ટિ જાગીર પોતાની છે જીતેલી એવો દાવો રજૂ કરે,

અને કાળતણા પોતે પોલાદી પ્રભુઓ બની

પોતાને અભિષેકીને માથે મુગટ પ્હેરતા .

પૂરા પાવરધા ઇન્દ્રજાળના ને મ્હોરાંના કાર્યની મહીં,

સૃષ્ટિના પતનોના ને પીડાઓના કળાકુશળબાજ એ,

માટીને મંદિરે પૃથ્વીલોકની જિંદગીતણા

વિજયી રાત્રિની યજ્ઞવેદીઓની એમણે રચના કરી.

પવિત્ર અગ્નિની ખાલી પડેલી પ્રાન્તભૂમિમાં

કોઈથી જાય ના ભેદી એવી આછા અંધારે ભર આડની

સામે આવેલ વેદીની પીઠે ચાલી રહેલી વિધિ ગૂઢ, ત્યાં

ધારી કિરીટ ગંભીર મંત્રપાઠે પુરોહિત

બોલાવી હૃદયે સ્વીય લાવે છે ઘોર સંનિધિ :

પ્રભાવપૂર્ણ આપીને નામ પાવન એમને

મંત્રાક્ષરો ચમત્કારી ઉચ્ચારે એ જાદૂઈ સંહિતાતણા

અને આવાહતો કાર્ય અણદીઠ પ્રસાદનું;

દરમ્યાન ધૂપની ને જપાતી પ્રાર્થના વચે,

જગ જેથી રહ્યું ત્રાસી તે સૌ ઘોર સતામણી

મેળવાતી, મનુષ્યના

હૈયા કેરી કટોરીમાં ફેનથી ઊભરી જતી,

ને ધર્મપૂત મદિરા રૂપે રેડી એ સમર્પાય એમને.

દેવતાઈ ધરી નામો દોરતા એ અને રાજ્ય ચલાવતા.

આવ્યા છે એ વિરોધીઓ બનીને પરમોચ્ચના

એમના એક લોકથી,

છે જ્યાં વિચાર ને શક્તિ પણ આત્મા નથી જહીં,

૨૦૭


 

ને વિશ્વની વ્યવસ્થાને સેવે તેઓ દુશ્મનાવટ દાખવી.

રાત્રીનો આશરો લે એ અને ત્યાંથી યુદ્ધની યોજના કરે.

અચિંની અસિ ને જ્યોતિર્મયી આંખ વિરુદ્ધમાં

ગાઢ અંધારને કિલ્લે બુર્જ પૂઠે એમનો વસવાટ છે

અસૂર્ય શાંત એકાંત મધ્યે સલામતી ભર્યો :

ભમતું રશ્મિ સ્વર્ગીય પ્રવેશી શકતું ન ત્યાં.

ધારી બખ્તર ને જીવલેણ છદ્મવેશે રક્ષાયલા રહી,

જાણે કે શિલ્પશાળામાં સર્જનાત્મક મૃત્યુની

દૈત્યરૂપ સુતો અંધકાર કેરા બેસીને ત્યાં પ્રયોજતા

પૃથિવી પરનું નાટય, રંગમંચ વિનાશાત્મક એમનો.

પડેલા વિશ્વનો જેઓ ઉદ્ધાર કરવા ચહે

તે બધાને અવશ્ય આવવું પડે

એમની શક્તિની કાળી કમાનો હેઠ કારમી;

કેમ કે દેવતાઓનાં પ્રભાપૂર્ણ બાળકોનેય નાખવા

અંધકારમહીં ખાસ એમનો અધિકાર છે,

હક છે ઘોરતા ભર્યો.

નરકાલયને પાર કર્યા વગર કોઈએ

પ્હોંચી ના સ્વર્ગમાં શકે.

 

વિશ્વોના સફારીને આ સાહસે ખેડવું પડે.

અતિપ્રાચીન આ દ્વન્દ્વયુદ્ધે યોધ બનેલ એ

પ્રવેશ્યો મૂક ને આશા છોડતી રાત્રિની મહીં

જ્યોતિર્મય નિજાત્માથી પડકારો આપતો અંધકારને.

ઊમરાના તિમિરે પગલાંએ ભયભીત બનાવતો

આવ્યો એ ઉગ્ર ને દુઃખપૂર્ણ એક પ્રદેશમાં

વસતા જ્યાં હતા જીવો આસ્વાદ જેમને કદી

મુદાનો ન થયો હતો;

જન્મથી અંધ લોકોની જેમ તેઓ જ્યોતિ શું તે ન જાણતા,

સૌથી ખરાબની સૌથી  સારા સાથે કરતા તે બરાબરી,

એમની દૃષ્ટિએ પુણ્ય મુખ પાપતણું હતું, 

૨૦૮


 

દુઃખ-દુરિત તેઓની સ્વાભાવિક હતી સ્થિતિ.

ઘોર શાસનની દંડ દેતી દારુણ પદ્ધતિ

દુઃખ ને શોકને દેતી હતી રૂપ સામાન્ય કાયદાતણું ,

હર્ષહીણું બની જાય જગ આખું એવો હુકમ કાઢતી;

એણે જીવનને દીધું પલટાવી

સખ્ત સ્નેહીતણા ધર્મપ્રકારમાં,

એણે રીબામણી દીધી બનાવી રોજરોજનો

તહેવાર સુખે ભર્યો.

સુખને દંડ દેનારો થયો પસાર કાયદો;

ઘોર પાપો ગણી હાસ્ય ને પ્રમોદ કેરી બંધ થઇ ગઈ :

મન પ્રશ્ન કરે ના તે લેખાતું 'તું શાણું સંતોષથી ભર્યું,

મંદતાપૂર્ણ હૈયાનું ઔદાસીન્ય શાંતિનું નામ પામતું :

નિદ્રા હતી ન ત્યાં, તંદ્વામાત્ર આરામમાં હતી,

આવતું મૃત્યુ, તે કિંતુ આપતું ના હતું રાહત અંત વા;

જીવ જીવ્યા જ હંમેશા કરતો ને સહ્યા જ કરતો વધુ.

વધુ ઊંડે તપાસીને

રાજા તાગ દુઃખના એ રાજ્યનો કાઢતો હતો;

યાતના પૂઠ એથીયે ચઢી જાતી અઘોર યાતનાતણા

જગનો ત્રાસ રાજાની આસપાસ વૃદ્ધિમંત થયો હતો,

ને એ ત્રાસમહીં મોટો દુષ્ટ આમોદ આવતો

થતો જે ખુશ પોતાની ને પરાયાંતણી ઘોર વિપત્તિથી.

ત્યાં વિચાર અને પ્રાણધારણા, બે લાંબી શિક્ષા બન્યાં હતાં,

બોજારૂપ હતો શ્વાસ, અને આશા શાપરૂપ હતી તહીં,

દેહ બન્યો હતો ક્ષેત્ર યંત્રણાનું ને પુંજીભૂત પીડનું;

એક દુઃખ અને બીજા દુઃખની વચગાળમાં

જોવાતી વાટ જે તે જ હતી આરામની સ્થિતિ.

હતો નિયમ આ ત્યાં સૌ વસ્તુઓનો

ને એને પલટો દેવાતણું સ્વપ્ન ન કોઈ સેવતું હતું :

કઠોર ગમગીનીએ ભર્યું હૈયું

ને ના હાસ્ય કરે એવું મન કર્કશતા ભર્યું

૨૦૯


 

ઓચાવીને બનતી અળખામણી

મીઠાઈ હોય ના તેમ હડસેલી સુખને મૂકતાં હતાં;

થકવી નાખનારી ને કંટાળો ઉપજાવતી

શાન્તાવસ્થા હતી તહીં :

દુઃખસહનથી માત્ર જિંદગીમાં રંગ કૈં આવતો હતો;

પીડા કેરા મસાલાની

ને મીઠાની અશ્રુઓના હતી એને જરૂરત.

મટી હોત જવાતું તો જાત રૂડું બધું બની;

તે ન તો કૈં મળે મોજ તીવ્રતાએ ભર્યાં સંવેદનો વડે :

ઈર્ષાની ઉગ્રતા હૈયું ખવાતું બાળતી હતી

ખૂનખાર ઝેરવેર અને લોલુપતાતણો

મરાતો ડંખ ત્યાં હતો,

લલચાવી જઈ ખાડે પડે એવી થતી ત્યાં કાન-ફૂંકણી,

ને દગાબાજ ઘા થતો,

મંદ ને દુઃખથી પૂર્ણ ઘડીઓ પર આ બધાં

ચમકીલાં છાંટણાં પડતાં હતાં.

દુર્દશાનું નાટય ચાલી રહેલું અવલોકવું,

અમળાતા દુખી જીવો દાંતા નીચે અભાગ્યના,

રાત્રિમાં શોકની દૃષ્ટિ દયાજનકતા ભરી,

મહાત્રાસ અને હૈયું ભયનું ઘણ મારતું,

આ સૌ ભર્યાં હતાં ભારે કટોરામાંહ્ય કાળના,

કડવા સ્વાદથી એના ખુશાલી ઉપજાવતાં

ને એની મોજ લેવામાં સહાય કરતાં હતાં.

આવી દારુણ સામગ્રી

રચતી 'તી જિંદગીની લાંબી નરકયાતના :

કાળા કરોળિયા કેરી જાળના તંતુ આ હતા

જેમાં જીવ ઝલાતો 'તો ધ્રૂજતો ને લપેટાયેલ તંતુએ;

આ હતો ધર્મ, આ ધારો હતો પ્રકૃતિનો તહીં.

હીન એક મંદિરે દુષ્ટતાતણા

કાળી કોક દયાહીન શક્તિની એક મૂર્તિને

૨૧૦


 

પૂજવાને વળી વાંકા શૈલહૈયાચોક ઓળંગવા પડે,

દુર્ભાગ્યનાં તલો જેવી ત્યાંની ફરસબંધીઓ

વટાવીને જવું પડે.

હર પથ્થર ત્યાં એક હતી ધાર તીક્ષ્ણ નિર્દય શક્તિની,

રેંસાયેલાં વક્ષ કેરા થીજી ગયેલ રકતથી

લબદાઈ લગાયલો

ગાંઠાળાં રૂક્ષ વૃક્ષો ત્યાં મરતાં માણસો સમાં

ઉભાં 'તાં અકડાયેલી સ્થિતિમાં યાતનાતણી,

હર બારી થકી બ્હાર ડોકિયું કરતો હતો

અનિષ્ટ ભાખતો હોતા હત્યા રૂપી મોટી મ્હેરતણે સમે

ગાતો સ્તોત્ર મહિમ્નનું

પુરો ઉન્મૂલ, પ્રધ્વંસ પામેલાં ગૃહે લોકનાં,

દાઝયા--તડફતા દેહો--હત્યાકાંડ હતો બોંબતણો બધો.

ગાતા એ, "શત્રુઓ ભોંયભેળા, ભોંયભેળા અમ થયેલ છે,

એક વારેય જે આવી પડે આડે અમારી મરજીતણી,

પ્રહાર તેમને માથે થાય છે, તે મર્યા પડયા;

કેવામોતા અમે છીએ, તું યે કેવો દયાળુ છે !"

પ્રભુની ઘોર ગાદીએ પ્હોંચવાને તેઓ આવું વિચારતા

ને પોતાનાં બધાં કર્મો જેની વિરુદ્ધ જાય છે

તેને આવા આદેશો પણ આપતા,

પોતાનાં કર્મને મોટું રૂપ દેતા વિભુનું વ્યોમ સ્પર્શતું,

પ્રભુને નિજ પાપોમાં સાગરીત બનાવતા.

ત્યાં દ્રવંતી દયા માટે સ્થાનની શક્યતા 'તી,

બળ નિર્ઘૃણ ને લોઢા જેવા ભાવો તહીં સત્તા ચલાવતા,

બેતારીખી બાદશાહી ત્રાસની ને તમિસ્રની

અમલી ત્યાં બની હતી :

આણે લીધું હતું રૂપ એક કાળમુખાળા દેવતાતણું,

પોતે સર્જી હતી ઘોર દુર્દશા જે તેનું પૂજન પામતો;

એણે રાખ્યું ગુલામીમાં હતું જગત દુ:ખિયું,

ને ચાલુ દુઃખની જોડે ખીલો મારી જડાયલાં

૨૧૧


 

હૃદયો નિ:સહાય જે

તે ગૂંદી કીચડે દેતાં

પોતાને તે છતાં એનાં પગલાં પૂજતાં હતાં.

હતું જગત એ શોક કેરું ને ઝેરવેરનું,--

શોક જેનો એકમાત્ર આનંદ ઝેરવેર છે,

ને ઝેરવેર જે માને બીજાંઓના શોકને નિજ ઉત્સવ;

દુઃખ સ્હેતા મુખે વ્યાપે વ્યાત્ત વક્રરેખાઓ કડવાશની;

દુ:ખાન્ત ક્રૂરતા જોતી પોતાની ત્યાં તક ઘોર અનિષ્ટની.

એ પ્રદેશે હતો દ્વેષ મહાદૂત સ્વર્ગનો શ્યામ વર્ણનો;

કાળા મણિ સમો હૈયે ટમકી એ રહ્યો હતો,

ચૈત્યને દહતો એની અમંગલ પ્રભાથકી

એના સામર્થ્થના ઘોર ગર્તે આળોટતો રહી.

વસ્તુઓ તહીંની આ દુર્ભાવોને ઝરતી લગતી હતી,

કેમ કે ઉભરાઈને જડમાં યે હતું મન પ્રવેશતું,

અને નિર્જીવ ચીજો યે

ઝીલેલી દુષ્ટતા દ્વારા દુષ્ટ ઉત્તર આપતી,

એમને ઉપયોગે જે

લેતાં તેઓતણી સામે બળો દ્વેષી પ્રયોજતી,

હાની પ્હોંચાડતી હાથ વિના ને કો વિલક્ષણ પ્રકારથી

ઓચિંતી નાખતી હણી,

નક્કી થયેલ શસ્ત્રો એ બની જાય ન દેખાતા નસીબનાં.

કે દુર્ભાગી જેલ કેરી ભીંત જીવો એ પોતે જ બનાવતા,

જ્યાં ધીરે સરતી હોરા દરમ્યાન સજા પામેલ જાગતા,

ઘડીઓ જ્યાં ગણાતી 'તી ઘોર ઘંટાનિનાદથી.

ભૂંડી પરિસ્થિતિ દ્વારા ભૂંડા જીવો વધુ ભૂંડા બની જતા:

હતી સભાન ત્યાં ચીજો ને બધી એ હતી વિકૃતિએ ભરી.

આ રસાતલને રાજ્યે હામ ભીડી રાજા આક્રામતો વધ્યો,

ગર્તે સૌથી વધુ ઊંડે, સૌથી તામિસ્ર હાર્દમાં

પ્રવેશ્યો ને કર્યો ક્ષુબ્ધ પાયો એનો અંધકાર વડે ભર્યો,

પ્રાચીન હકના એના દાવાની ને એની અબાધ શક્તિની

૨૧૨


 

સામે સ્પર્ધા ભર્યું સાહસ આદર્યું :

રાત્રિ મધ્યે ઝંપલાવ્યું જાણી લેવા એના અઘોર હાર્દને,

નરકે નારકી મૂળ શોધ્યું, શોધ્યું વળી કારણ તેતણું,

યાતના પૂર્ણ ઊંડાણો એનાં ખુલ્લાં

થયાં એના પોતાના ઉરની મહીં;

સુણ્યો કાન દઈ એણે શોર એની તુમુલાયિત આર્ત્તિનો,

સુણી ધબક હૈયાની એની પ્રાણહારી એકલતાતણી.

ઠંડીગાર અને બ્હેરી હતી ઉપર શાશ્વતી.

અવિસ્પષ્ટ અને ઘોર માર્ગોમાં સર્વનાશના

અવાજ સાંભળ્યો એણે ભૂતો કેરો મારવા કાજ દોરતો,

દૈત્ય સંકેતની એણે મોહિનીઓતણો ત્યાં સામનો કર્યો,

વિરોધી વ્યાલના છૂપા છાપા મધ્યે થઇ એ સંચર્યો વળી.

ડારનારા પ્રદેશોમાં ને રિબાતાં એકાંતો માંહ્ય એકલો

સાથી વગર ઘૂમ્યો એ માર્ગો મધ્ય થઇ નિર્જનતા ભર્યા,

ઘાટ વગરને વ્હેણે જુએ જ્યાં વાટ રગતિયું વરુ,

ને ઊભી ભેખડે કાળાં ગરુડો જ્યાં કરે ચીત્કાર મૃત્યુનાં,

શિકારી કૂતરા એને ફાડી ખાનાર ત્યાં મળ્યા,

માનવીઓતણાં હૈયાં પૂઠે જે પડતા હતા

ને ભસ્યા કરતા, દૈવ કેરાં ખુલ્લાં બીડોમાં થઇ દોડતા,

તલહીન રણક્ષેત્રો માંહે અગાધ ગર્તનાં

દ્વન્દ્વયુદ્ધો કર્યાં એણે છાયાલીન મૂક નિર્નેત્ર ગહવરે,

સહ્યા નરકના એણે હુમલા ને પ્રહારો આસુરી સહ્યા,

ને રુઝાવામહીં ધીરા એવા ક્રૂર ઘા ઝીલ્યા ભીતરે થતા.

અવગુંઠિત માયાવી શક્તિ કેરો બંદીવાન બનેલ એ

જૂઠાણાની જીવલેણ જાળ મધ્યે ઝલાયલો

ને જતો ઘસડાઈ એ,

વારે વારે શોક કેરા ફાંસાઓમાં ગૂંગળામણ વેઠતો,

કે ફેંકાતો ગળી જાતા શંકા કેરા કાળા કળણની મહીં,

કે ભૂલ ને નિરાશાના ખાડાઓમાં પુરાતો પટકાઈને;

ઝેરના ઘૂંટડા એણે પીધા એના રહ્યો એકે ન ત્યાં સુધી.

 

 

૨૧૩


 

આશા કે હર્ષ એકે જ્યાં આવવાને સમર્થ ના

એવે લોકે પૂર્ણ પાપરાજ્ય કેરી કસોટી કારમી સહી,

છતાં એણે નિજાત્માનું પ્રભાપૂર્ણ સત્ય અક્ષત રાખિયું.

ગતિ કે બળને માટે શક્તિમાન હતો ન એ,

જડતત્વતણા પૂરા નકારે કેદ અંધ એ,

મૂળાધારતણી કાળી જડતા શું જડાયલો

રાજા અશ્વપતિ હતો,

છતાં બે હાથની વચ્ચે ચૈત્યાત્માની જોત એણે ઝબૂકતી

ઝાલી રાખી મહામૂલ્ય ખજાના સમ સાચવી.

મનોવિહીન રિકતે ત્યાં સત્ત્વે એના ભીડી હામ પ્રવેશવા;

અસહિષ્ણુ મહાગર્તો હતા જે ત્યાં

તેમને ના હતું જ્ઞાન વિચારનું

કે સંવેદનનું કશું;

વિચાર વિરમ્યો, પામી લોપ ઇન્દ્રિય-ચેતના ,

તે છતાં યે ચૈત્ય આત્મા એનો જોતો હતો ને જાણતો હતો.

અણુશ: ખંડતારૂપ પામનારા અનંતમાં,

આરંભો મૂક છે જેના લુપ્ત આત્મા કેરી સમીપમાં,

પાર્થિવ વસ્તુઓ કેરી સૃષ્ટિની કૌતુકે ભરી

ક્ષુદ્ર નિ:સારતા કેરું ભાન એને થયું તહીં.

કાઢ્યો એણે તાગ કાળી તલહીન રહસ્યામયતા ભર્યા

નિઃસીમ વ્યર્થ ઊંડાણોવાળા એ અબ્ધિઓતણો,

જહીંથી મથને પૂર્ણ ઉદભવ્યો છે પ્રાણ મરેલ વિશ્વમાં,

કિન્તુ અચિત્ તણાં પોલા પ્રદોષે એ ગૂંગળાઈ જતો હતો.

તહીં અનુભવી એણે

મને જેને ગુમાવી છે તે સંપૂર્ણ એક્સ્વરૂપતામહીં

અસંવેદી વિશ્વ કેરી સીલબંધ યથાર્થતા,

લહ્યું અજ્ઞાન રાત્રીમાં રહેલા મૂક જ્ઞાનને.

પાતાળી ગુપ્તતામાં એ આવ્યો, જ્યાં નિજ ઘૂસરા

ને નગ્ન ગાદલા પાર કરે તિમિર ડોકિયું,

ને એ ઊભો જઈ છેલ્લી તાળે વાસી અવચેતન-ભૂમિએ,

 

 

૨૧૪


 

સદાત્મા છે જહીં પોઢયો

અને એને ન પોતાના વિચારોનુંય ભાન કૈં

ને પોતે છે રચ્યું વિશ્વ, ને રચ્યું છે પોતે શું તે ન જાણતો.

ઢળ્યું હતું તહીં ભાવિ અવિજ્ઞાત

વાટ જોતું પોતાની ઘટિકાતણી, 

વિલુપ્ત તારકો કેરી તહીં છે નોંધની વહી.

વૈશ્વ સંકલ્પના ઘેરા ધારણે ત્યાં રાજાની નજરે પડી

ગુપ્ત ચાવી પ્રકૃતિની સ્વરૂપાંતરતાતણી.

એના સંગાથમાં એક હતી જ્યોતિ, અદૃશ્ય કર એક ત્યાં

હતો સ્ખલન ને દુઃખ પર મૂકી રખાયલો,

ઝણેણાટી ભર્યા મોદે પલટો એ પામી જાય તહીં સુધી,

ધક્કો માધુર્યનો એક ભુજાશ્લેષતણા લાગે ન ત્યાં સુધી.

નિહાળ્યો રાત્રિમાં એણે છાયારૂપી બુરખો શાશ્વતાત્મનો,

ને જાણ્યું મૃત્યુને એણે જિંદગીના ગૃહનું એક ભોંયરું,

નિહાળી નશામાં એણે સૃષ્ટિની ઝડપી ગતિ,

સ્વર્ગીય લાભના મૂલ્ય રૂપ એણે નુકસાન નિહાળિયું,

અને નરકને ટૂંકા રસ્તા રૂપ સ્વર્ગ દ્વારે લઇ જતા.

માયાના ગૂઢ ને ભેદી કારખાનામહીં પછી

ને ચમત્કારથી પૂર્ણ અચિત્ ના મુદ્રણાલયે

આદ્ય રાત્રિતણા શીર્ણ ફરમાઓ થઇ ગયા,

ને અવિદ્યાતણી પાકી પત્રછાપો છિન્નભિન્ન થઇ ગઈ.

બની પ્રકૃતિ જીવંત, શ્વાસોચ્છવાસ ઊંડો અધ્યાત્મ સેવતી,

કાઢ્યા એણે કાયદાઓ યંત્ર જેમ અકડાઈ પ્રવર્તતા,

કલમોને કરી નાખી રદ બદ્ધ આત્મા કેરા કરારની,

સમર્પી સત્યને દીધી જૂઠે પાછી પોતાની પીડિતાકૃતિ.

દુઃખના કાયદા કેરાં કોષ્ટકો રદ થૈ ગયાં,

ને સ્ફુર્યા તેમને સ્થાને પ્રભાએ પૂર્ણ અક્ષરો.

અણદીઠી અંગુલીએ પ્રવીણ લહિયાતણી

 અંત:પ્રેરિત આલેખ્યા લેખ એના ફૂટડા ઝડપે ભર્યા;

પૃથ્વી ઉપરનાં રૂપો દસ્તાવેજો એના દિવ્ય બની ગયાં, 

૨૧૫


 

મૂર્ત્તિમંત થઇ પ્રજ્ઞા મન જેને કરી વ્યક્ત શક્યું ન 'તું,

અચિત્-તાને ભાગડાઈ વિશ્વ કેરા નિ:શબ્દ ઉર માંહ્યથી;

રૂપાંતર લભી પાકી પદ્ધતિઓ ઊહાપોહી વિચારની.

ચૈતન્યને પ્રબોધંતો નિશ્ચેષ્ટ વસ્તુઓમહીં,

અવિનાશી તણી હીર-લિપિ એણે

કાળા અણુ પરે લાદી, લાદી મૂક પિંડપુંજતણી પરે,

પતિતા વસ્તુઓ કેરા ઝાંખા હૃદયની પરે

આલેખ્યું કોતરી એણે યશોગાન વિનિર્મુક્ત અનંતનું,

આલેખ્યું નામ તે છે જે પાયો શાશ્વતતાતણો,

જાગેલા હૃષ્ટ કોષોની પર એણે રેખાંકિત કર્યું વળી

અનિર્વાચ્ય કેરા ચિત્રમયાક્ષરે

પ્રેમનું મધુરું ગાન વાટ જોઈ રહેલું કાળ-વિસ્તરે,

ને આલેખ્યો ગ્રંથ ગૂઢ પરમાનંદ પર્વનો

અને સંદેશ આલેખ્યો અતિચેતન અગ્નિનો.

પછી પવિત્ર ઘબકો જિંદગીની થઇ પાર્થિવ દેહમાં;

નારકી ચમકારનું થયું મૃત્યુ, મારી ના શકતું હવે.

ઉઘાડ રાત્રિમાં આવ્યો અને સ્વપ્નગર્ત શી લુપ્ત એ થઇ.

રિક્ત આકાશને રૂપે પાવડાટી ખાલી જેને કરેલ છે

તે અસ્તિત્વતણા પોલાણની મહીં

સ્થાન આ ભૂમિકાએ જે છે લીધેલું અનુપસ્થિત દેવનું,

ત્યાં વિશાળી અંતરંગી પરમાનંદથી ભરી

આવી રેલાયલી ઉષા,

કાળના દીર્ણ હૈયાએ

બનાવેલી વસ્તુઓના ઘા રુઝાઈ ગયા બધા,

અને પ્રકૃતિને હૈયે કરી વાસ શક્યો ના શોક તે પછી:

અસ્તિત્વ ભેદનું શામ્યું, કેમ કે પ્રભુ ત્યાં હતો.

સચેત દેહને દીપ્ય કર્યો ચૈત્ય પુરુષે નિજ રશ્મિથી,

જડતત્વ અને આત્મા ઓતપ્રોત એકરૂપ બની ગયા.


 

આઠમો  સર્ગ  સમાપ્ત









Let us co-create the website.

Share your feedback. Help us improve. Or ask a question.

Image Description
Connect for updates