સાવિત્રી

Sri Aurobindo symbol
Sri Aurobindo

Sri Aurobindo's major poetic work, an epic in blank verse. In Savitri, a legend from the Mahabharata becomes the symbol of the human soul's spiritual destiny. In poetic language, Sri Aurobindo describes his vision of existence and explores the reason for ignorance, darkness, suffering and pain, the purpose of life on earth and the prospect of a glorious future for humanity. The writing of the epic extended over much of the later part of his life.

Sri Aurobindo Birth Centenary Library (SABCL) Savitri Vols. 28,29 816 pages 1970 Edition
English
 PDF     Poems
Sri Aurobindo symbol
Sri Aurobindo

Sri Aurobindo's major poetic work, an epic in blank verse. In Savitri, a legend from the Mahabharata becomes the symbol of the human soul's spiritual destiny. In poetic language, Sri Aurobindo describes his vision of existence and explores the reason for ignorance, darkness, suffering and pain, the purpose of life on earth and the prospect of a glorious future for humanity. The writing of the epic extended over much of the later part of his life.

Gujarati Translations of books by Sri Aurobindo સાવિત્રી 1973 Edition
Gujarati Translation
Translator:   Pujalal

 નિવેદન

------------------------

                 

                  'સાવિત્રી' એટલે શ્રી અરવિન્દની કાવ્યમયી ભાગવત વાણી. 'સાવિત્રી' છે માનવ આત્માની પરમાત્મા પ્રતિની ને પરમાત્માની માનવ આત્મા પ્રતિની સનાતન યાત્રાનું, કાલને એકલતાનું વરદાન આપતું, વિભુને વૈભવે ભરી વૈખરીમાં અપૂર્વ આલેખન. ઉર્ધ્વમાં ઉર્દ્વથી તે નીમ્નમાં નિમ્ન સુધી પ્રભુનું પ્રકટીકરણ, અને સ્થૂલ-સૂક્ષ્મ સર્વમાં એકાકારતા પામેલો સચ્ચિદાનંદનો જે અમર આવિર્ભાવ જગતનું અને જગતના જીવોનું પરમોચ્ય લક્ષ્ય છે અને ધરણિનું  ધુરંધર ધ્યેય છે તે લક્ષ્યની અને ધ્યેયની સિદ્ધિથી સુધન્ય બનવા સત્ય-જ્યોતિની સુવર્ણ સરણિએ કેવી રીતે આરોહણ અને અવરોહણ થાય છે, તેનું ચમત્કારી ચિત્રણ-એ છે 'સાવિત્રી'. આ મહાકાવ્યની નારાયણી નૌકામાં બેસાડીને શ્રી અરવિન્દ આપણને મૃત્યુના હૃદયમાં રહેલા અમૃતના પારાવારની મુસાફરીએ લઇ જાય છે, અને દેવોના દેવના અમૃતોનું શુભ્ર પ્રભાપાન કરવી, અજરામર જ્યોતિર્મય જીવન પૃથ્વીના પિંડને પરમોદારતાથી સમર્પે છે. 

                   શ્રી અરવિન્દનું ધન્યભાગ બનેલી અંગ્રેજી ભાષામાં લખાયેલું આ મહાકાવ્ય ઉચ્ચમાં ઉચ્ચ બુદ્ધિથી પારની ભૂમિકાઓમાંથી ઊતરી આવેલું હોઈ, ત્યાંની ચૈતન્યજ્યોતિઓમાં પ્રાપ્ત થતાં અગોચર દર્શનોનું પ્રાય: મંત્રમુલક અલૌકિક સુંદર કાવ્યકલેવર આપણને ઉપહારમાં આપે છે અને અંતરાત્માને અનનુભૂત આનંદલહરીઓના લયવાહી પ્રવાહ પર હર્ષની હીંચો લેવરાવતું ઊર્ધ્વ ચેતનામાં આલોકોમાં લઇ જાય છે, અને આત્માને ભૂતલ પારના ભાસ્કરોની ઉષાઓનાં ને દિવ્યાતિદિવ્ય દિવસોનાં દર્શન કરાવે છે.

                   આવા આ અમર કાવ્યનો અનુવાદ કરવા બેસવું એ એક પ્રકારનું ધૃષ્ટતાભર્યું સાહસ જ કહેવાય, કેમ કે ધ્યેયની ચેતનાના જે ધવલગિરિગહ્વરેથી 'સાવિત્રી'નું કાવ્યઝરણું ગંગધારે મુક્ત થયું છે તે ચિદંબરી ચેતના હજી તો આપણે પ્રણત  ભાવે પરિચય વધારી પ્રાપ્ત કરવાની છે. પરંતુ તેમ છતાં કો ગૂઢના

[૧]


આદેશથી ભાવવશ થઇ, શ્રદ્ધા ભરી ભક્તિનો આશ્રય લઇ, શ્રી મહાપ્રભુની સેવામાં એમની આપેલી મારી અલ્પાલ્પ કાવ્યાલેખનની શક્તિનું નૈવેધ લઇ, એમને અનું અર્પણ કરવાના સ્નેહસુલભ શુભાશયથી પ્રેરાઈ હું અનુવાદના કઠિન કાર્યમાં પ્રવૃત્ત થયો છું, અને પ્રભુ પોતાના બાળકને કેવળ બચાવી લે એટલું જ નહિ, પણ સત્ય સરસ્વતીના સાંનિધ્યનો સાથ આપી કૃતાર્થ પણ કરે એવી મારી પ્રાથના છે.

                   કાવ્ય એટલે ભાવારસથી ભરીભાદરી છંદોમયી વાણી. કાવ્યનું પરિશીલન તથા તેમાંથી મળતો અનિર્વચનીય આનંદ એકલા ભાવરસને જ નહિ, પણ એની લયમયતા સાથે સાધેલી લીનતાનેય આભારી છે, એ સહ્રદયો ક્યાં નથી જાણતા ?  એટલે આ અનુવાદમાં સળંગ વપરાયેલા છંદ વિષે પણ બે બોલ બોલવા જરૂરી જણાશે.

                    એમ તો અહીં પ્રયોજાયેલો છંદ સર્વને સુપરિચિત અનુષ્ટુપ છંદ જ છે. વળી એ પણ સ્પષ્ટ છે કે આ વેદપુરાણા છંદમાં ગણમેળનાં તેમ જ સંખ્યા-મેળનાં લક્ષણો રહેલાં છે. 'મનહર' અને 'ઘનાક્ષ્રરી' માં હોય છે તેમ અનુષ્ટુપમાં પણ ચાર ચાર અક્ષરના સંધિઓનો ઉપયોગ થયેલો જોવામાં આવે છે, પરંતુ 'અનુષ્ટુપ'માં આ સંધિઓ અમુક અમુક અક્ષરે લધુ-ગુરુની વિશિષ્ટતા ધારણ કરે છે. આમ જો આપણે લખીએ છીએ તેમ 'અનુષ્ટુપ'ના ચરણને આવા ચાર સંધિઓનું બનેલું ગણીએ તો ચરણનો બીજો સંધિ 'લગાગાગા' નો ને ચોથો 'લગાલગા'નો બને છે. આમાંથી 'લગાગાગા'ની બાબતમાં વ્યુત્ક્રમ થઇ બીજા  અનેક વિકલ્પો ઊભા થાય છે, પરંતુ 'લગાલગા'નો ચોથો સંધિ તો સર્વ સંજોગોમાં એનો એ જ રહે છે, એટલે એને 'અનુષ્ટુપ'નું સ્થાયી લક્ષણ ગણવો જોઈએ.

                      આ વ્યુતક્રમો ને અન્યત્ર લધુ-ગુરુની પસંદગીના વૈવિધ્યને કારણે 'અનુષ્ટુપ,માં અનેક જાણીતા છંદોનો લય સમાયેલો જોવામાં આવે છે, પરંતુ અહીં તો તેનો માટે ઉલ્લેખ જ કરવો યોગ્ય હોવાથી આપણા અનુવાદોમાંથી વાચક એ આવે ત્યારે એને અપનાવી લે  એવી વિજ્ઞપ્તિ કરીશું.

                       વળી અનુવાદનો અનુષ્ટુપ રૂઢ માપમાં જ રહેલો નથી. એ કોઈ કોઈ વાર આરંભના બે સંધિઓના ચરણ રૂપે, કોઈ કોઈ વાર એવા ત્રણ સંધિ રૂપે, અંતના બે સંધિ રૂપે કે પ્રથમ સંધિ વગરના ચરણરૂપે પ્રયોજાયેલો જોવામાં આવશે. અંગ્રજી ચરણનો ભાવ વ્યક્ત કરવા માટે આ પ્રકરણની વ્યસ્તતાને સ્થાન આપવાથી અનુવાદના અનુષ્ટુપનું નામ 'વ્યસ્ત અનુષ્ટુપ' રાખેલું છે. 

[૨]


                        કાવ્યના લયવાહી પાઠમાં બોલીમાં થાય છે તેવાં કે ગધમાં વંચાય છે તેવાં અર્ધ ઉચ્ચારણોને અવકાશ નથી. લધુ-ગુરુ અનુસાર કાવ્યના ચરણનો છંદને અનુસરતા સ્વરભાર કે તાલ સાથે પાઠ કરવો જરૂરી ગણાય છે. અહીં આપણ 'વ્યસ્ત અનુષ્ટુપ'માં પણ તે પ્રમાણે જ વાચક કરશે ને સંધિને અંતે અલ્પ વિશ્રામ અને બીજા તથા ચોથા સંધિ પછી 'યતિ' સ્વીકારશે. લધુ-ગુરુની છૂટ સામાન્યતઃ લેવાઈ નથી, તેથી લધુ-ગુરુ ઉચ્ચારણો યથાવત્ કરવામાં આવશે તો કાવ્યપાઠકને અખંડ લયવાહી 'અનુષ્ટુપ' મનોહર બની ગયેલો જણાશે ને મન, હૃદય તથા કાન, ત્રણેને એમાંથી તૃપ્તિ મળશે.

                        શ્રી અરવિન્દની સમસ્ત 'સાવિત્રી'નો આ સરળ અનુવાદ છ પુસ્તકોમાં પ્રકટ કરવાના અમારા આ સાહસને જેમણે ગ્રાહકો બનીને ને આ ભગવત્સેવા-રૂપ કાર્ય માટે નાની મોટી રકમો ઉદારતાથી આપીને સહાય કરી છે તેમનો આભાર તો અંતરથી માનીશું જ, પરંતુ એવી પ્રાર્થના પણ કરીશું કે શ્રી અરવિન્દની અમોઘ કૃપા અને ભગવતી માની શુભાશિષ એમને 'સાવિત્રી'-ના હાર્દમાં પ્રવેશ કરાવો અને ત્યાં જે પરમ વસ્તુ પ્રકટ થયેલી છે તેની સાથે તદાકારતાનો આનંદ પણ વરદાનમાં આપો !

                        મહાગુજરાતને અમે આમંત્રણ આપીએ છીએ કે ગુજરાતના હૃદયે જેમ શ્રી અરવિન્દનાં પાવન પગલાંની વર્ષો સુધી પૂજા કરી હતી તેમ તે એમના મહાકાવ્ય 'સાવિત્રી'ને અપનાવી લઇ ચિરકાળ પોતાનું બનાવી દે અને એના પાવનકારી પ્રભાવને ગુર્જર ગિરામાં સર્વદેવ સંઘરી રાખે.

 

પૂજાલાલ

શ્રી અરવિન્દ આશ્રમ

પોંડીચેરી-૨

નિવેદન

__________________

 

 

           યોગેશ્વર અને યુગપુરુષ એવા શ્રી અરવિંદના મહિમાવંતા નામનું અને એ નામની સાથે સનાતન ગ્રંથિથી સંકળાયેલ અદ્ ભુત અધ્યાત્મકાવ્ય 'સાવિત્રી'નું આકર્ષણ ભાવિક ભગવત્પ્રેમીઓને અને સત્સંસ્કારી આત્માઓને થાય એ સ્વાભાવિક છે. પરંતુ 'સાવિત્રી' મુશ્કેલ છે, સમજાતું નથી એવું કહેનારા નીકળશે, ને એ વાતેય સાચી છે-જો કેવળ સપાટી ઉપરની બુદ્ધિથી એને સમજવાનો પ્રયત્ન કરવામાં આવે તો. આ છે અધ્યાત્મકાવ્ય, વૈશ્વ કાવ્ય. ચૌદે બ્રહ્યાંડની ભીતરમાં રહેલું રહસ્ય 'સાવિત્રી'નો કાવ્યવિષય છે. એ ઋતંભર રહસ્યનો પરિચય સાધી, એ જેનું રહસ્ય છે તેની સાથે યોગસંબંધ બાંધી, જીવનને એનું જાગતું સ્વરૂપ બનાવી દઈ, પૃથ્વીલોકમાં પ્રભુને ચાલવા માટેનો મંગળ માર્ગ  'સાવિત્રી' બતાવે છે, મૃત્યુના મહાલમાં અમૃતનો આનંદ અનુભવવાની ચિદંબરી ચાવી આપણા હાથમાં મૂકે છે.

          પણ આ ચાવી આપણા અધિકારમાં આવે તેને માટે પ્રથમ તો 'સાવિત્રી' ઉપર આપણી પૂર્ણ પ્રીતિ હોવી જોઈએ, ને તે પછી ધ્યાનભાવ અને આસ્થા પૂર્વક આ અધ્યાત્મ સત્યના મહકાવ્યનું અનુશીલન આરંભાય એ આવશયક ગણાવું જોઈએ. 'સાવિત્રી' બીજાં પુસ્તકોની માફક ન વંચાય એ આપણે ખ્યાલમાં રાખવાનું છે. ઊંડી વસ્તુઓ ઊંડાણમાં પ્રવેશ કર્યા વગર પમાતી નથી, એને માટે તો ગહન ગહવરમાં માર્ગ મેળવવો પડે છે, એ કાળજૂનું સત્ય છે અને આપણેય એનો આદર કરવાનો છે.

          આ વિષયમાં શ્રી માતાજીએ આશ્રમના એક જિજ્ઞાસુ વિદ્યાર્થીને વાતવાતમાં જે કહ્યું છે તે આપણને માર્ગદર્શન કરાવશે. એ આ પ્રમાણે છે :

          '' 'સાવિત્રી' તમને ન સમજાય તો ફિકર નહી, પણ હમેશાં એને વાંચવાનું તો ચાલુ રાખજો. તમને જણાશે કે તમે જયારે જયારે એને વાંચશો ત્યારે હર વખત કંઇક નવું તમારી આગળ પ્રગટ થશે, હર વખત કંઈક નવું તમને મળી આવશે, કોઈક નવો અનુભવ તમને થશે, ત્યાં તમને નહિ દેખાયેલી ને નહિ સમજાયેલી વસ્તુઓ ઉદય પામશે અને ઓચિંતી સ્પષ્ટ બની જશે. કાવ્યના શબ્દો અને પંક્તિઓમાં થઈને અણધારી રીતે હમેશાં કંઈક આવશે. તમે વાંચવાનો ને સમજવાનો પ્રયત્ન કરશો ત્યારે પ્રત્યેક સમયે તમે કંઈક ઉમેરાયેલું જોશો, પાછળ છુપાઈ રહેલું કંઇક સ્પષ્ટપણે અને જીવંત પ્રકારે તમારી આગળ ખુલ્લું થશે. હું કહું છું કે પહેલાં એકવાર

[ ૧ ]


વાંચેલી કડીઓય તમે જયારે એમને ફરીથી વાંચશો ત્યારે હર વખત તમારી આગળ જુદા જ પ્રકાશમાં દેખાશે.  આવું અનિવાર્યપણે બને છે જ. તમારા અનુભવને સમૃદ્ધ બનાવનાર કંઈક, હમેશાં એક નવો આવિષ્કાર પ્રત્યેક પગલે તમે જોવા પામો છો.

              પરંતુ તમે જેમ બીજાં પુસ્તકો કે છાપાં વાંચો છો તેમ તમારે ' સાવિત્રી'નું વાંચન કરવાનું નથી. 'સાવિત્રી' વાંચતી વખતે માથું ખાલી હોવું જોઈએ, મન કોરા પાના જેવું ને બીજી વસ્તુઓથી ભરેલું હોવું જોઈએ નહિ. બીજો કોઈ વિચાર ત્યાં ન જોઈએ. વાંચતી વખતે ખાલીખમ રહેવાનું છે, શાંત ને સ્થિર રહેવાનું છે, અંતરને ઉખાડું રાખવાનું છે. આવું થતાં 'સાવિત્રી' ના શબ્દો, ડોલનો અને લયો, એમાંથી ઉદ્ ભવતાં આંદોલનો સીધેસીધાં આરપાર પ્રવેશીને આવશે, તમારા ચેતનના ચોકઠા ઉપર પોતાની છાપ પાડશે, અને તમારા પ્રયાસ વગર આપોઆપ પોતાનો ભાવર્થ તમારી સમક્ષ પ્રકટ કરશે."

              આ પ્રકારે 'સાવિત્રી' નું પરિશીલન કરવામાં આવે તો ભાવિકોની ભાવનાઓને માગેલું મળવા માંડે અને 'સાવિત્રી' સત્ય જીવનની સંપાદયિત્રી બની જાય.

              'સાવિત્રી પ્રકાશન' ના આ બીજા પુસ્તકમાં મૂળ 'સાવિત્રી'ના બીજા પર્વના માત્ર આઠ સર્ગો જ લીધા છે, એ જ પર્વના બાકીના સાત સર્ગો વત્તા ત્રીજા પર્વના જે ચાર સર્ગો છે તે આપણા ત્રીજા પુસ્તકમાં આવશે. બીજું પર્વ લાંબા લાંબા પંદર સર્ગોનું બનેલું હોવાને કારણે એને બે વિભાગમાં વહેંચી લેવું પડ્યું છે. આ વહેંચણીને પરિણામે આપણા નાનામાં નાના પહેલા પુસ્તક સિવાયનાં પાંચ પુસ્તકો લગભગ એકસરખાં ને પહેલા કરતાં દોઢા ઉપરાંતનાં બની જશે.

              આપણા આ બીજા પુસ્તકમાં અશ્વપતિ યોગમાર્ગે યાત્રા કરતો કરતો ભુવનોની સીડીએ છેક પાતાલગર્ત સુધી પ્રવેશે છે ને ત્યાંનાં રહસ્યોનો સ્વામી બને છે, ને જેને માટે શિવ જીવ બનીને જગતમાં જન્મ લે છે તેને પૃથ્વીલોકના જીવનમાં પૂર્ણતયા સિદ્ધ કરવાની કળા હસ્તગત કરે છે, સચ્ચિદાનંદનો નીચે જે વિપર્યાસ થયેલો છે તેને તેનું મૂળ સ્વરૂપ પાછું આપનારું વિજ્ઞાન પોતાનું બનાવે છે.

              વધિવિધ ભુવનોનું,  તે તે ભુવનોની શક્તિઓનું ને ત્યાં પ્રવર્તતા નિયમોનું સજીવ આલેખન એક પછી એક આવતા સર્ગોમાં થયેલું જોવામાં આવશે. જે વસ્તુનિર્દેશ આપેલો છે તે વાચકને સર્ગની મૂળભૂત વસ્તુનો થોડોક ખ્યાલ આપશે. વિગતો તો વાંચતાં વાંચતાં વાચકે મેળવી લેવી પડશે.

              'સાવિત્રી પ્રકાશન' ઉપર પ્રેમ બતાવી એમાં સહયોગ પૂર્વક જોડાયેલા સર્વે ભાવિકાત્માઓ પ્રતિ મારો ભાવ વહી જાય છે ને પ્રાર્થે છે કે તેઓ સર્વ ભગવત્-કૃપાનું સૌભાગ્ય પોતાનું બનાવે અને ભાગવત જીવનને જ્યોતિર્મય માર્ગે સચ્ચિદાનંદના સાન્નિધ્ય પ્રતિ આગળ ને આગળ જાય.

_પૂજાલાલ

[ ૨ ]

નિવેદન

 

          " સાવિત્રી પ્રકાશન " નું આ ત્રીજું પુસ્તક સહૃદયોના સત્કાર માટે સમર્પતાં આનંદ થાય છે. આપણે હવે અડધે રસ્તે પહોંચી ચૂક્યા છીએ. હવે પછીનાં ત્રણ પુસ્તકોમાં" સાવિત્રી" ની બારેક હજાર પંક્તિઓ અનુવાદ રૂપે આવશે.

           રાજા અશ્વપતિના વિશ્વવ્યાપી યોગની તપોયાત્રા અચિત્ થી આરંભીને એક પછી એક ઊર્ધ્વની ભૂમિકાઓમાં ફરી વળી હતી અને વિશ્વના હૃદયના ગહન ચૈત્યાત્માના જગતમાં પણ એણે પ્રવેશ કર્યો હતો. સુરાસુરોનાં જગતો એણે એ પહેંલાં જોઈ નાખ્યાં હતાં અને પરમાત્માનો કૃપાસ્પર્શ હતો તેથી ત્યાંનાં જોખમોમાંથી રાજા બચી ગયો હતો. પછી તેણે નિરંજન નિરાકારનો અનુભવ કર્યો અને વિશ્વ પારની અવસ્થાઓય પોતાની બનાવી. સત્-અસત્ ને ઉભયથી પર એ પહોંચ્યો. ત્રિકાળદૃષ્ટિવંતો એ મુક્ત-નિર્મુક્ત બની ગયો. પરમજ્ઞાન એણે પ્રાપ્ત કર્યું.

            પરંતુ અશ્વપતિ જેને માટે આ લોકમાં અવતર્યો હતો તે આ લોકમાં અમૃત-જીવનની સિદ્ધિ, પ્રભુનીય માતા એવી આદ્ય શક્તિની કૃપા વિના સંભવતી ન હતી. તેથી એનો ઊંડો અંતરાત્મા પ્રાર્થનાપૂર્વક ભગવતીની વાટ જોતો હતો. આખરે એને એ મહાદેવના દિવ્ય દર્શન થયાં ને ભગવતીએ એને એના જન્મકર્મની સિદ્ધિ થાય એવું વરદાન આપ્યું અને એ કાર્યને માટે પોતાની એક અલૌકિક તેજ:શક્તિ પ્રકટ થશે એવું અભયવચન આપ્યું.

              રાજાએ પોતાની અભૂતપૂર્વ તપસ્યા અંતે ભગવતીના આદેશને અપનાવી લીધો અને પૂર્ણ પ્રેમભક્તિથી માને ચરણે આત્મસમર્પણ કરી દીધું. યોગપુરુષ અશ્વપતિ પછી માના આદેશને અનુરૂપ જીવનકાર્ય આરંભે છે.

              "સાવિત્રી" સર્વતોભદ્ર રહસ્યોનું મહાકાવ્ય છે, શ્રી અરવિંદના યોગાનુભવોનું ને અગોચર દિવ્ય દર્શનોનું મહાકાવ્ય છે. એનામાં વેદોની ગહનતા રહેલી છે, અને ગહન દ્વારા ગહનમાં પ્રવેશ કરી શકાય છે,  તેથી "સાવિત્રી" ના હાર્દને પામવા માટે, એના અતલતલ કૂપોમાં છલકાતાં અમૃતનાં પ્રાણપ્રદાયી પાન કરવા માટે ઊંડે, જેટલું ઊંડે ઉતારાય તેટલું ઊંડે ઉતારવાની જરૂર રહે છે. ત્યાં ગયા એટલે સંસારનાં સારભૂત સત્યો સામે આવી ઊભાં થાય છે, જીવનના કોયડાઓની ચાવીઓ હાથ આવી જાય છે, અને પ્રભુતાએ આરોહવા માટે પ્રકાશનો પંથ પ્રકટ થાય છે. શ્રેય સાધનાર પ્રભાવો આપણામાં કાર્ય કરવા મંડી પડે છે, પ્રભુનો પેમ હૃદયમાં પ્રફુલ્લતા પામતો જાય છે, અજ્ઞાનની રાત્રિનો અંત આણનાર સુપ્રભાતનો ઉદય થઇ, વિજ્ઞાનના મહાસૂર્યનાં સુવર્ણ કિરણોના સ્નાનથી આત્મા પાવન થાય છે, પ્રાણનાં પદ્મો પ્રફુલ્લ બને છે અને આનંદનાં દિવ્ય વિહંગમો આલાપવા માંડે છે.


              ભગવતી શ્રી માએ આ મહાકાવ્ય માટે ઘણું ઘણું કહ્યું છે, તેમાંનું થોડુંક પ્રસાદી રૂપે ભાવિક વાચકોને માટે અહીં આપવું ઉચિત માનું છું. મા કહે છે કે :

              "સાવિત્રી" પોતે તમને સીડીનાં ઊંચામાં ઊંચાં પગથીયે ચડાવી પાર પહોંચાડવાને માટે પૂરતી છે. સાચે જ જો કોઈ એનું ધ્યાન ધરશે તો જરૂરી બધી જ સહાય એને એમાંથી મળી રહેશે.

               જે માણસ પ્રભુને પંથે જવા માગે છે તેને માટે એક સંગીન સહારો છે, જાણે કે પ્રભુ પોતે જ તમને તમારો હાથ ઝાલીને તમારે માટે નક્કી કરાયેલે ધ્યેયે લઇ જતા ન હોય. ને વળી તમારો પ્રશ્ન ગમે તેટલો અંગત પ્રકારનો હોય, તે છતાંય તે માટેનો ઉત્તર "સાવિત્રી" માંથી મળી રહે છે, દરેક મુશ્કેલીને માટે એની ઉપર વિજય મેળવવાનો ઉપાય એમાં આલેખાયેલો છે, ખરેખર, યોગ કરવા માટે જે જે જરૂરનું છે તે તમામ એમાંથી તમને મળી જશે.

                શ્રી અરવિન્દે એક જ પુસ્તકમાં સારા બ્રહ્યાંડને ભરચક ભરી દીધું છે. "સાવિત્રી" એક અદભુત કૃતિ છે, સુભવ્ય અને અનુપમ પૂર્ણતાથી ભરેલી.

                "સાવિત્રી" લખવા માંડતાં શ્રી અરવિન્દે મને કહ્યું હતું, "હું એક નવા સાહસમાં ઝંપલાવવા માટે પ્રબળ પ્રેરાયો છું. આરંભમાં થોડોક ડગમગ થયો પણ હવે હું નિશ્ચય પર આવ્યો છું. તેમ છતાંય હું કેટલી સફળતા મેળવીશ તે જાણતો નથી. સાહસ માટે મારી પ્રાર્થના છે." અને તમે જાણો છો કે--અહીં મારે તમને સાવધાન કરવા જોઈએ--આ તો એમની કહેવાની એક રીત હતી, એ એટલા બધા નમ્રતાથી ભરેલા ને દિવ્ય વિનયવાળા હતા. એમણે કદીય પોતાની જાતને આગળ રાખી કશો દાવો કર્યો નથી. વળી એમણે જે દિવસે ખરેખાત "સાવિત્રી" નો આરંભ કર્યો તે દિવસે તેમણે મને કહ્યું હતું, "એક સુકાન વગરની નાવમાં મેં અનંતની પારાવારતામાં ઝુકાવ્યું છે." ને એક વાર શરૂ કર્યા પછી વચ્ચે અટક્યા વગર પાનાં પર પાનાં લખ્યાં છે, જાણે કે ઉપર  બધું તૈયાર જ રહેલું હોય, અને એમને તો માત્ર કાગળનાં પાનાં ઉપર એની નકલ માત્ર કરવાની હોય તેમ.

                આવી રીતે ઉપરના લોકમાંથી આવેલી "સાવિત્રી" સર્વકાળનું સર્વોત્તમ મહાકાવ્ય બને એમાં નવાય  નથી. એ આધુનિક વેદ છે, મહર્લોકના દ્રષ્તાનું પારનું આર્ષ દર્શન છે, અન્ય સર્વે દર્શન શાસ્ત્રોનો ન્યારો નિચોડ છે. સત્યસરસ્વતીએ એને અપૂર્વ સૂરો સમર્પીને અમર બનાવ્યું છે. કાળને હૃદયે ધ્વનતું અકાળનું એ ગાન છે. ચિદાનંદના લયોને સંમૂર્ત્ત કરતું ભાગવત ભવોનું ને ઋત-રસોનું શાશ્વત શિલ્પ છે.

                તેરેક વરસ ગુજરાતની સેવામાં રહેલા શ્રી અરવિન્દના આ મહાકાવ્ય ઉપર ગુજરાતની સૌથી વધારે પ્રીતિ પ્રદર્શિત થશે ને એમની "સાવિત્રી" ના ગુજરાતી અવતારને ભાવસભર આદરપૂર્વક અપનાવી લઇ ગુજરાત પોતાના ગૌરવમાં વધારો કરશે એવી આશા રાખીશું.

 

૨૧ ફેબ્રુઆરી ૧૯૭૪ 

 પૂજાલાલ

નિવેદન

 

          શ્રી અરવિન્દની ' સાવિત્રી '  ના ગુર્જર અનુવાદનું આ ચોથું પુસ્તક ૧૫ મી ઓગષ્ટ ૧૯૭૪ ને દિવ્ય દિને ભાવિકોના હાથમાં મૂકતાં આનંદ થાય છે. ભગવત્કૃપાએ આ અવસર આપણને આપ્યો છે ને આપણે સર્વપ્રથમ એને આપણા પ્રેમપ્રણામો કૃતજ્ઞતાપૂર્વક સમર્પીશું.

           શ્રી અરવિન્દની અંત:પ્રેરણાથી આ 'સાવિત્રી પ્રકાશન ' શૂન્યમાંથી ઊભું થયું છે, શ્રી અરવિન્દના શ્વાસોચ્છવાસથી સજીવ બન્યું છે અને શ્રી અરવિન્દે માનવ દેહમાં મહર્લોકની જે મહાજ્યોતિને સંમુર્ત્ત કરી છે તેની પ્રતિ આપણા અભીપ્સુ આત્માને પ્રેમથી પ્રેરી ને દયાથી દોરી રહ્યું છે. એની સાથે આપણી એકાકારતા દિન દિન વૃદ્ધિ પામતી જાઓ અને આપણી અલ્પ બુદ્ધિને ભલે ને જે અગમ્ય લાગે, તો પણ જે આપણા અંતરાત્માને પ્રભુતાથી પોષવા સમર્થ છે તેનું અધ્યાત્મ-કાર્ય આપણામાં ગૂઢાગૂઢ પ્રકારે નિરંતર ચાલતું રહો એવું આપણે પ્રાર્થીશું.

            'સાવિત્રી' સામાન્ય પ્રકારનું મહાકાવ્ય નથી તે તો તદ્દન સ્પષ્ટ છે. એ છે ત્રિલોકવ્યાપી ને ત્રિકાલગત પરમાત્મસત્યનું પરમ દર્શન અને પરા વાણીએ આલેખેલું અમર કાવ્ય. એ છે વૈકુંઠી વૈભવોએ ભરેલો વેદવાણીનો વિશ્વકોષ, અભીપ્સુઓ માટેનો અમૃતનો ઉત્સ, જિજ્ઞાસુઓ માટેનો જ્ઞાનનો ખજાનો, જ્યોતિને ઝંખનારાઓ માટેનો મહસોનો  મહાસાગર, પરમ પ્રેમના ઉપાસકો માટેનો પ્રેમનો પારાવાર, ગૂઢ વિદ્યાઓનો ગહન કૂપ, સુખશર્મનું નંદનવન, શાશ્વતી શાંતિઓનું સ્વર્ગસુહામણું સદન, ચિદંબરોની ચાવી, વિષોને ઘોળી પીનાર નીલકંઠનો સ્ફટિક-શુચિ કૈલાસ, આનંદોનો અમરોચ્છવાસ, કલ્યાણોની કાળહૃદયમાંથી ખોદી કાઢેલી ખાણ, આર્ત્તોનું આશ્વાસન, અને પૃથ્વી લોકમાં પ્રભુનાં પાવન પગલાંનું મહામંડાણ.

             મા ભગવતીએ જિજ્ઞાસુ આશ્રમબાળકોને આ વિષે જે કહ્યું છે તેમાંનું થોડું અહીં પ્રસાદી રૂપે આપીશું : 

              " ખરી વાત તો એ છે કે 'સાવિત્રી' નું સમસ્ત સ્વરૂપ એક ઓધને રૂપે ઊંચામાં ઊંચા પ્રદેશથી ઊતરી આવ્યું છે, અને શ્રી અરવિન્દની પ્રતિભાએ એને એક સર્વોચ્ચ સુભવ્ય શૈલીમાં પંક્તિબદ્ધ રચનારૂપે વ્યવસ્થિત કર્યું છે. કેટલીક વાર તો


પૂરેપૂરી પંક્તિઓનો એમની આગળ આવિષ્કાર થયો છે ને એમણે એમને એવી ને એવી અકબંધ રાખી છે, અને શક્ય તેટલા ઊંચામાં ઊંચા શિખર પરથી પ્રેરણા મેળવવાને માટે એમણે અશ્રાંત પરિશ્રમ સેવ્યો છે. અને શું એમણે સર્જન કર્યું છે ! અવશ્ય, એમણે એને એક અપૂર્વ સત્યનું સર્જન બનાવી દીધું છે. 'સાવિત્રી' અનુપમ કૃતિ છે, એમાં બધું જ આવી ગયેલું છે, અને તે એવા સરળ ને સુસ્પષ સ્વરૂપમાં કે ન પૂછો વાત !  સંપૂર્ણ સુમેળવાળી કડીઓ, કાચ જેવી સ્વચ્છ ને સદાકાળ માટે સત્ય. વત્સ ! મેં ઘણીયે વસ્તુઓ વાંચી છે, પણ 'સાવિત્રી' ની સાથે સરખામણીમાં મૂકી શકાય એવી એકેય મને મળી નથી. ગ્રીકમાં, લેટિનમાં, ને ફેન્ચ ભાષામાં તો અવશ્ય મેં ઉત્તમોત્તમ કૃતિઓનો અભ્યાસ કર્યો છે, જર્મન ભાષાની તેમ જ પશ્ચિમના ને પૂર્વના દેશોની બધી મહાન કૃતિઓનો અભ્યાસ કર્યો છે, ને તેમાં એમનાં મહાકાવ્યોનુંય પરિશીલન કર્યું છે, પણ હું ફરીથી કહું છું કે મને 'સાવિત્રી'ના જેવું કશુંય ક્યાંય પણ જોવા મળ્યું નથી. એ બધી સાહિત્યિક કૃતિઓ નિ:સાર, નીરસ, પોલી અને ઊંડી સત્યતા વગરની મને જણાઈ છે. થોડાક ને અત્યંત વિરલ અપવાદો એમાં છે ખરા, પરંતુ, 'સાવિત્રી' જે છે તેના અલ્પ અંશો જેવા જ એ છે. 'સાવિત્રી' કેવી ભવ્ય, કેવી વિરાટ, કેવી સત્યતાથી સુસંપન્ન છે !  શ્રી અરવિન્દે જેનું સર્જન કર્યું છે તે એક અમર ને સનાતન વસ્તુ છે. ફરીથી પાછી હું તમને કહું છું કે આ જગતમાં 'સાવિત્રી' નો જોટો નથી. 'સાવિત્રી' માં જે સત્યવાનનું દર્શન આવેલું છે ને જે દર્શન એની પ્રેરણાનું હૃદય છે ને જે એના મૂળ તત્વરૂપે રહેલું છે તેને એકવાર બાજુએ મૂકીએ અને માત્ર એનાં પધોનો જ વિચાર કરીએ તોપણ તે અદ્વિતીય જણાશે, ઉચ્ચમાં ઉચ્ચ શિષ્ટ સાહિત્યની ક્ક્ષાએ પહોંચેલાં જણાશે. માનસ જેની કલ્પના ન કરી શકે એવું કંઈક શ્રી અરવિન્દે સર્જ્યું છે. કેમ કે 'સાવિત્રી'માં સર્વ કાંઈ આવી જાય છે, સર્વ કાંઈ."

        આવી આ 'સાવિત્રી' ગુજરાતના ગૂઢ આત્માને સ્પર્શવા, ઊર્ધ્વ પ્રતિ ઉદબોધવા, અને અમૃતનાં અયનોએ લઇ જવા આવી છે. શ્રી કૃષ્ણનું ગુજરાત એને અપનાવી લેશે ને ?

 

૧૫  ઓગષ્ટ,  ૧૯૭૪

 - પૂજાલાલ


09.jpg

નિવેદન

       મા ભગવતીની શુભાશિષ અને શ્રી અરવિન્દ મહાપ્રભુની પ્રસન્ન પ્રેરણા ' સાવિત્રી પ્રકાશન' ના કાર્યને અનેક વિધ્નોમાં થઈને આગળ ધપાવી રહી છે. 'સાવિત્રી' મહાકાવ્યના અનુવાદનું આ ઉપાંત્ય પાંચમું પુસ્તક એ દિવ્યાત્માઓની કૃપાનું અમૃતફળ છે. આ પછી પુર્ણાહુતિના પ્રેમપુષ્પ રૂપે ' સાવિત્રી'નું  છઠઠું ને છેલ્લું પુસ્તક મહાગુજરાતના સહૃદયોને સમર્પવાનું સદભાગ્ય સેવવાનો શુભ લહાવો લઈ એક તરફથી હું કૃતાર્થ થઈશ તો બીજી તરફથી 'સાવિત્રી'નું સેવન કરી સહૃદયો સુકૃતાર્થ થશે.

       ' સાવિત્રી' અધ્યાત્મ રત્નોનો અખૂટ ભંડાર છે. શ્રી અરવિન્દને ઋત-ચેતનાના રત્નાકરમાંથી પ્રાપ્ત થયેલાં મહાર્હ રત્નો ' સાવિત્રી' માં ઉદારતાથી વેરાયેલાં વિલસી રહ્યાં છે. પૃથ્વીનાં દારિધ્રોને આ ઉઘાડો રત્નભંડાર આંમત્રણ આપી રહ્યો છે. જેને જે ને જેટલું જોઈએ તે ને તેટલું સુખપૂર્વક લઈ શકે છે. એ અક્ષય છે ને સદાકાળ માટે અક્ષય રહી સ્વર્ગોની સંપત્તિઓ સંસારને આપતો રહેશે.

        પણ ' સાવિત્રી' માં પ્રવેશ કરવાનો મોટા ભાગના માણસોને મુશ્કેલ લાગતો માર્ગ અધ્યાત્મમાં રહેલો છે. જડ માનસ બહાર અટવાયા કરશે, ભાવરહિત હૃદયને ભુલભુલામણી જેવું લાગશે ને એ એમાં ભૂલું પડી જશે. અંતરતર મનને અને ગહનતર હૃદયને એમાં રાજમાર્ગ મળી જશે ને અંતરાત્માનાં દોરાયાં દોરાઈને ને પ્રેરાયાં પ્રેરાઈને એ પોતાની યાત્રાને મહાસુખની યાત્રા બનાવી દેશે. પગલે પગલે એમની આસપાસ અલૌકિક સૌન્દર્ય સત્કારતું પ્રકટ થશે; સ્વર્ગીય સંગીતોના ધ્વનિને ને પ્રતિધ્વનિને સુણતો રસાત્મા પ્રભુના પ્રેમના ધામમાં પ્રવેશશે એ કાવ્યની કટોરીમાં અમૃતરસનાં પાન કરી પરમાનંદમય બની જશે, જ્યોતિઓનાં ઉપવનોમાં વિહાર કેરશે, સત્યોનો સાથ મેળવશે, શાંતિઓનો સહચારિ બની જશે ને મૃત્યુના ઉદરમાંથી અમૃતાત્માનો મહિમા મેળવી જીવનને જગન્નાથજીનું જીવન બનાવી દેશે.

         આ અદભુત મહાકાવ્ય શું છે ને કયે પ્રકારે એનું શ્રેયસ્કર સેવન કરી શકાય છે તે વિષે સાવિત્રીના પાત્રમાં જે પોતે એમાં આલેખાયેલાં લાગે છે તે શ્રી માતાજી આ પ્રમાણે કહે છે :


           "... તો પછી એમ કહેવાય કે " સાવિત્રી' એક આવિષ્કાર છે, એક ધ્યાન છે, અનંતની, સનાતનની શોધ છે. અમૃતત્વની  આ   અભીપ્સા સાથે જો એ વાંચવામાં આવે તો વાચન પોતે જ અમૃતત્વની દિશામાં એક માર્ગદર્શકનું કાર્ય કરશે. 'સાવિત્રી' નું પઠન સાચે જ યોગાભ્યાસ છે, આધ્યાત્મિક એકાગ્રતા છે; પરમાત્માનો સાક્ષાત્કાર કરવા માટે જે કંઈ જરૂરનું છે તે બધું એમાંથી મળી શકે છે. યોગના પ્રત્યેક પગથિયાનો એમાં ઉલ્લેખ થયેલો છે ને સાથે સાથે બીજા બધા યોગોનાં રહસ્યોનો પણ. બેશક, માણસ જો સાચા સહૃદય ભાવથી પ્રત્યેક કડીમાં અહીં જે પ્રકટ કરવામાં આવ્યું છે તેનું અનુસરણ કરે તો વિજ્ઞાનયોગના દિવ્ય રૂપાંતરે આખરે પહોંચશે. ખરેખર, 'સાવિત્રી' એક અચૂક ભોમિયો છે, જે ભોમિયો આપણને કદી છોડીને જતો રહેતો નથી; યોગમાર્ગનું અનુસરણ કરવાની આસ્પૃહા રાખનારને હમેશાં એનો આધાર મળતો રહે છે. 'સાવિત્રી' ની એકેએક કડી પ્રકટ થયેલા મંત્ર સમાન છે ને એ જ્ઞાનની દૃષ્ટિએ માણસે જે કંઈ પોતાનું બનાવ્યું છે તેનાથી ચઢી જાય છે, અને હું ફરીથી કહું છું કે 'સાવિત્રી' ના શબ્દો એવી રીતે અભિવ્યક્ત થયા છે ને એવી રીતે ગોઠવાયા છે કે તેમના લયના ધ્વનિની સૂરતા તમને આદિ નાદ ' ઓમ્' પ્રત્યે દોરી જાય છે.

        વત્સ !  હા, 'સાવિત્રી' માં સર્વનો સમાવેશ થયેલો છે. રહસ્યવાદ, ગુહ્યવિદ્યા, તત્વજ્ઞાન, ઉત્ક્રાંતિનો, માનવનો, દેવોનો,  સૃષ્ટિનો  અને પ્રકૃતિનો ઇતિહાસ, એ બધું જ એની અંદર છે. વિશ્વ શી રીતે, શા માટે અને શા ઉદ્દેશથી સર્જવામાં આવ્યું છે અને એનું ભાવિનિર્માણ શું છે, તે બંધુ જ એની અંદર છે. તમારા સઘળા પ્રશ્નોના સઘળા ઉત્તરો તમને એમાંથી મળશે. બધું જ એમાં સમજાવવામાં આવ્યું છે. મનુષ્યનું ને ઉત્ક્રાંતિનું ભાવી અને હજુ સુધી જેને કોઈ જાણતું નથી તે પણ તેમાં સમજાવવામાં આવ્યું છે. આ બધી વસ્તુઓ એમણે એવા સુંદર અને સ્પષ્ટ શબ્દોમાં વર્ણવી છે કે બ્રહ્યાંડની રહસ્યમયતાઓનું મર્મ મેળવવાની ઈચ્છાવાળા અધ્યાત્મના ' સાહસિકો' એ સર્વેને વધારે સહેલાઈથી સમજી શકે. પરંતુ આ રહસ્યમયતા પંક્તિઓની પાછળ ઠીક ઠીક છુપાયેલી છે, એટલે એને શોધો કાઢવા માટે આવશ્યક સત્ય ચૈતન્યની અવસ્થાએ રોહવાનું હોય છે. બધી ભવિષ્યવાણીઓ, જે આવવા-વાળું છે તે બધું ચોક્કસ ને ચમત્કારી વિશદતા સાથે રજુ કરવામાં આવ્યું છે. શ્રી અરવિન્દ અહીં સત્યને શોધી કાઢવા માટેની, ચેતનાને શોધી કાઢવા માટેની ચાવી આપે છે, જેને લીધે ભેદીને પ્રકાશ ત્યાં પ્રવેશે અને એને રૂપાંતર પમાડે. માણસ અજ્ઞાનમાંથી પોતાને કેવી રીતે મુક્ત કરી શકે અને છેક પરમોચ્ચ ચૈતન્ય સુધી આરોહીને જાય તે માટેનો માર્ગ એમણે બતલાવ્યો છે. ચેતનાની પ્રત્યેક અવસ્થા, પ્રત્યેક ભૂમિકા, આરોહણ કરીને ત્યાં કેવી રીતે જવાય, મૃત્યુનો આડો અંતરાય પણ કેવી રીતે ઓળંગી જવાય અને અમૃતત્વે પહોંચાય તે સર્વ એમણે એમાં બતલાવ્યુ છે. આખી યાત્રા તમને વિગતવાર મળશે અને તમે  જેમ જેમ આગળ વધતા જશો તેમ તેમ મનુષ્યોને સર્વથા અજ્ઞાત એવી વસ્તુઓને પણ શોધી કાઢવાનું તમારે માટે


શક્ય બનશે. એ છે 'સાવિત્રી' અને એના કરતાંય એ ઘણું વધારે છે. 'સાવિત્રી' નો પાઠ કરવો એ ખરેખાત  એક અનુભવ છે. માણસ પાસે જે રહસ્યો હતાં તે એમણે પ્રકાશમાં આણ્યાં છે; આ ઉપરાંત ભવિષ્યમાં જે સર્વ એની રાહ જોઈ રહ્યું છે તે પણ એમણે પ્રકટ કર્યું છે; અને આ બધું 'સાવિત્રી' ના ઊંડાણમાંથી મળી આવે છે. પરંતુ આ સર્વને શોધી કાઢવા માટેનું જ્ઞાન માણસ પાસે હોવું જોઈએ, ચૈતન્યની ભૂમિકાઓનો અનુભવ હોવા જોઈએ, અતિમનસનો અને મૃત્યુ ઉપરના વિજયનો પણ અનુભવ હોવો જોઈએ. પૂર્ણયોગમાં પૂર્ણતયા આગળ વધવાને માટે શ્રી અરવિન્દે બધી જ અવસ્થાઓનો ઉલ્લેખ કર્યો છે, એકેએક પગલાને ચિહ્નનાંકિત કર્યું છે.

      આ સર્વ શ્રી અરવિન્દનો પોતાનો અનુભવ છે અને સૌથી મોટી આશ્ચર્યની વાત તો એ કે એ મારો પોતાનો પણ અનુભવ છે. એમણે મારી સાધનાને સાવિત્રીમાં પરિણત કરી છે. એમાં આવતી પ્રત્યેક વસ્તુ, પ્રત્યેક ઘટના, પ્રત્યેક સાક્ષાત્કાર, સર્વે વર્ણનો અને રંગો સુધ્ધાંય મેં જેવા જોયા હતા તેવા જ, અને શબ્દો તથા શબ્દસમુહો મેં જેવા સાંભળ્યા હતા તેવા જ બરાબર છે. અને આ બધું મેં 'સાવિત્રી' વાંચી તે પહેલાંનું છે. ત્યાર પછી તો 'સાવિત્રી' મેં અનેક વાર વાંચી. પરંતુ તે પૂર્વે જયારે પોતે  'સાવિત્રી' લખતા હતા ત્યારે રાત્રે પોતે જે લખતા તે સવારે મને વાંચી સંભળાવતા. અને વિલક્ષણ જેવું જે મારા ધ્યાનમાં આવ્યું તે એ કે દિન પર દિન જે અનુભવો એ સવારે મારી આગળ વાંચતા તે શબ્દે શબ્દ તેની પહેલાંની રાતના મારા અનુભવો હતા. હા, એ આખું વર્ણન, રંગો, ચિત્રો, જે સૌ મેં જોયું હતું તે અને મેં સંભાળ્યા હતા તે શબ્દો-બધું જ એમણે કવિતામાં, અદભુત કવિતામાં ઉતાર્યું હતું. હા, એ અનુભવો તે પહેલાંની રાતના બરાબર મારા અનુભવો હતા અને એમણે એ સવારે વાંચી સંભળાવ્યા હતા. અને આવું એક દિવસ નહીં પણ દિવસોના દિવસો સુધી સળંગ ચાલતું. હરવખત હું એમનું વાંચી સંભળાવેલું મારા પૂર્વના અનુભવ સાથે સરખાવતી  ને જોતી કે એ બન્ને એકસમાન હતાં. ફરીથી કહું છું કે મેં મારા અનુભવોની એમને વાત કરી હોય ને તે કેડે એમણે એ નોંધી લીધા હોય એવું કશું જ નહોતું, નહિ, પરંતુ મેં જે જોયું હતું એ પહેલેથી જ જાણતાહતા. એમણે લંબાણથી જે આલેખ્યા છે તે મારા અનુભવો તો હતા પણ જોડે જોડે એ એમના પણ હતા. અને આ તો  અજન્મામાં અથવા તો અતિમનસમાં અમારા સહિયારા સાહસનું ચિત્રણ હતું.

         આ બધા એમણે પોતામાં જીવંત બનાવેલા અનુભવો છે, અધ્યાત્મ વાસ્તવિકતાઓ છે, વિશ્વ પારનાંસત્યો છે. આપણે જેમ હર્ષ ને શોક અનુભવીએ છીએ તેમ એમણે સ્થૂલ શરીરમાં આ બધું અનુભવ્યું છે. અચિત્ ના અંધકારમાં એ ચાલ્યા છે, છેક મૃત્યુની સમીપતામાંય ચાલ્યા છે, નરકાયતનની યાતનાઓય  સહી છે, કીચડમાંથી એ બહાર નીકળ્યા છે, પૃથ્વીની પીડામાંથી ઉપર આવ્યા છે અને પૂર્ણતાના શ્વાસોચ્છવાસ લીધા છે, પરમાનંદમાં પ્રવેશ કર્યો છે. એમણે આ બધા પ્રદેશોને


 પાર કર્યા છે, એનાં પરિણામોમાં થઈ એ પસાર થયા છે, દુઃખ સહ્યું છે, અને કલ્પ્યાં ન જાય એવાં દેહનાં કષ્ટ વેઠયાં છે. અત્યાર  સુધીમાં એમના જેટલું કોઈએ સહન કર્યું નથી. દુઃખને પરમાત્મા સાથેની એકતાના આનંદમાં પલટો પમાડવા માટે એમણે દુઃખોનો સ્વીકાર કર્યો. જગતના ઇતિહાસમાં આ અનન્ય ને અનુપમ છે. કદીય ન બન્યું હોય એવું કંઈક એ છે. અજ્ઞાતમાં માર્ગરેખા આંકવાવાળાઓમાં એ પ્રથમ છે, જેને પરિણામે આપણે અતિમનસ પ્રતિ ખાતરીબંધ પગલે ચાલવાને શક્તિમાન થઈએ. આપણે માટે કામ એમણે સરળ બનાવી દીધું છે. 'સાવિત્રી' છે એમનો દિવ્ય રૂપાંતરનો આખોય યોગ, અને પૃથ્વીની ચેતનામાં આ યોગ અત્યારે પહેલી જ વાર આવે છે."

          આવા આ શ્રી અરવિન્દના અપૂર્વ અધ્યાત્મ કાવ્યને અધ્યાત્મભાવથી આત્મા ભરીને આપણે ઉપસીશું, શિવમાનસથી એનું ઉપસેવન કરીશું, પ્રભુપ્રેમથી પુલકિત હૃદયે એની આરાધના કરીશું, પ્રફુલ્લ પ્રાણે પૂજીશું અને એનાં દૈવી આંદોલનોથી આખાયે અસ્તિત્વને આંદોલિત બનાવવાની અભીપ્સા રાખીશું. 'સાવિત્રી' પોતે જ પોતાનું રહસ્યમય હૃદય આપણી આગળ ઉઘાડશે અને એમાંથી સ્વલ્પ પણ જો આપણે આપણા જીવનમાં જીવંત બનાવીશું તો જન્મારા સફળ થઈ જશે.

      ૨૧  ફેબ્રુઆરી,  ૧૯૭૫

                                                                                      ---પૂજાલાલ


નિવેદન

 

           "સાવિત્રી" નું છઠઠું પુસ્તક પ્રભુના પ્રકાશમાં પ્રવેશે છે. શ્રી અરવિન્દનું અલૌકિક અધ્યાત્મકાવ્ય આ સાથે પૂરેપૂરું ગુજરાતી બની જાય છે અને સ્વર્ગીય 'સાવિત્રી' ગુજરાતી સ્વાંગમાં ગુર્જર ધરા ઉપર અને ગુજરાતનાં ભાવિક હૃદયોમાં ઋતચ્છંદની રાસલીલા આરંભે છે.

          સર્વપ્રથમ ગુજરાતે શ્રી અરવિન્દના આતિથ્યની લહાવો વર્ષોનાં વર્ષો સુધી લીધો હતો અને આ અદભુત કાવ્યનો આરંભ પણ ગુજરાતના હૃદયસ્થાને વિરાજતા વડોદરામાં થયો હતો એ જાણી કયું ગુજરાતી હૃદય પ્રફુલ્લિત નહિ બની જાય ?  આમ આરંભાયેલું આ મહાકાવ્ય વર્ષોનો વિહાર કરતું વૃદ્ધિ પામતું ગયું, એનાં અંગો અને ઉપાંગો સમયે સમયે નિત્યની નવીનતા અને પરમાત્મપુષ્ટિઓ પામતાં ગયાં અને યોગેશ્વરની યોગસિદ્ધ ભાગવત ચેતના એનામાં ક્રમે ક્રમે વધારે ને વધારે ઠલવાતી ગઈ. આને પરિણામે ચોવીસેક હજાર અનવધ કાવ્યપંક્તિઓએ એનું અત્યારનું સર્વગુણસંપન્ન શરીર દેવોની દિવ્યતાથી ને પરમાત્માની પૂર્ણતાથી ભરી દઈ આપણી આરાધના માટે આપણને સપ્રેમ સમર્પ્યું છે.

             ચારે પ્રકારની વાણીના વૈભવોએ ભરેલા આ મહાકાવ્યમાં ચૌદે ભુવનની ચેતન-ચમત્કૃતિઓએ છંદોમય રમણીય રૂપ લીધું છે; ત્રિલોકનાં તારતમ્યો એના શબ્દોમાં સમાશ્રય પામ્યાં છે, અને આ લોકનાથ હૃદયાહલાદક રસો એને રૂંવે રૂંવે ઝરણાં બની ફૂટી નીકળે છે અને એમના કલકલ નિનાદથી શ્રવણોને મુદામાધુર્યે ભરી દે છે. વળી એ છે અધ્યાત્મવિદ્યાનો વિશ્વકોષ, યોગસાધનાનું ગાન ગાતું  મહા-શાસ્ત્ર. એના શબ્દોમાં सत्यं शिव सुन्दरम् |  ની ઉષાઓ ઊઘડે છે, એના અક્ષ્રરોમાં અમૃતાર્દ્ર આભાઓ આલય શોધતી આવી વસી છે. ઋગ્વેદના મહસ-મંત્રો, યજુર્વેદની યજન-પ્રાર્થનાઓ, સામવેદનાં સનાતન સંગીતો, ને અથર્વવેદનાં સિદ્ધિપ્રદ સૂકતો ' સાવિત્રી'માં સર્વતોભદ્ર સ્વરૂપે જાણે પ્રકટ થયાં છે, ઉપનિષદો અને ગીતાઓ એનાં અંગોમાં અંગભૂત બની ગઈ છે, અને અદભુત વિકાસે પહોંચેલું પદાર્થવિજ્ઞાન પણ એની કાવ્યમયી કેડીઓમાં હરતુંફરતું હોય એવું જણાઈ આવે છે.


            ' સાવિત્રી' નું અનુવાદકાર્ય તથા સાથે સાથે તેનું પ્રકાશન કેવી રીતે આરંભાયું એ એકદૃષ્ટિએ અંગત જેવું હોવા છતાંય અહીં જણાવું તો સહૃદયોને એમાંય કદાચ રસ પડશે. આમાં મારી ભૂલ થતી હોય તો પ્રથમથી જ ક્ષમા માગી લઉં છું.

            ' સાવિત્રી'નો સળંગ ને પૂર્ણ અનુવાદ કરવાની ઈચ્છા તો ઘણા સમયથી થયા કરતી હતી ને આશ્રમના કોઈ પીઢ પુરુષેય એ માટેની મને સૂચના પણ કરેલી. પરંતુ મારી હિંમત ચાલતી ન હતી. એને માટે ઘણી ઘણી આંતરિક તૈયારીની જરૂર છે એવું મને લાગતું. તેમ છતાંય એકવાર થોડો પ્રયાસ તો મેં કરી જોયો ને સંતોષ ન થવાથી કામ પડતું મૂકયું. વળી એને માટે અનુકૂળ છંદ પણ મને મળ્યો નહોતો. આવી સ્થિતિમાં આગળ ચાલવું અશક્ય હતું, એટલે હું મારી ઈચ્છાને બદલે પ્રભુની ઈચ્છાની રાહ જોવા લાગ્યો.

              લાંબે ગાળે એ સમય પણ આવ્યો. ૧૯૭૨ ની શ્રી અરવિન્દની શતાબ્દીને નિમિત્ત બનાવી 'શ્રી અરવિન્દ મહાપ્રભુ' નામનું ૩૬૬ મુક્તકોનું  મારા અર્ધ્યરૂપ કાવ્ય પ્રકટ કરવાનો અવસર મને મળ્યો. એની સાથે સાથે ' નિતનવિત' ને 'પ્રહર્ષિણી' માં શ્રી માતાજી માટેનાં બસોએક મુક્તકો પણ પ્રકટ કરવાનું પ્રાપ્ત થયું પંદરમી ઓગસ્ટ પસાર થઈ ગયા પછી એક વાર હું મારી રૂમ નજીક ઊભો રહી શ્રી અરવિન્દની સમક્ષ આવેલી સમાધિનાં દર્શન કરતો હતો ત્યાં " હવે 'સાવિત્રી' આરંભ" એવો શ્રી અરવિન્દનો જાણે મને આદેશ થયો હોય એવું અંતરમાં લાગ્યું ને એ આદેશે મારા આત્મા ઉપર અધિકાર જમાવ્યો ને મારા સ્વભાવ અનુસાર આનાકાની વગર હું એને આધીન થઈ ગયો. મારી અલ્પ શકિતનું મને પૂરેપૂરું ભાન તો હતું, પરંતુ ભગવાનનો આદેશ છે, ભગવાનનું કાર્ય છે ને ભગવાનની શકિત એને પાર ઉતારશે એવી શ્રદ્ધા મારામાં જાગી ને એ મહાભારત કાર્યનો આરંભ કરી દેવોનો મેં નિર્ણય કર્યો. પ્રથમ તો એ કાર્યારંભ માટે શ્રી માતાજીના શુભ આશીર્વાદ માગ્યા અને એ મને સહજમાં મળ્યા, ને એથી અધિક તો એમણે ૨૧ ફેબ્રુઆરી ૧૯૭૩ નો દિવસ પણ આશીર્વાદ સાથે અગાઉથી લખી આપ્યો. હવે મારામાં ખરી હિંમત આવી અને મેં અનુવાદના મહાસાહસમાં ઝંપલાવ્યું. વળી આ મહા-કાવ્યના પ્રકાશનનો ભાર અન્ય કોઈ લે એવું નહિ તેથી તે પણ મારા સદભાગ્યે મારે માથે આવ્યું, ને સિત્તેરેક હજારનો ખર્ચ શ્રી અરવિંદને નામે ઉપાડી લીધો. અડતાળીસ વર્ષથી અકિંચન રહેલા મારા જેવા અપ્રખ્યાત માણસ માટે આ મોટી ઘૃષ્ટતા હતી, પરંતુ મને ખાતરી હતી કે મારા કરતાં અનંતગણો સમર્થ મારા સાથમાં છે ને એની શકિત માટે કશું અશક્ય નથી.

           પછી તો પ્રભુના પ્રકાશમાં, પ્રભુનું પ્રેર્યું 'સાવિત્રી પ્રકાશન' આરંભાયું અને એ માટેની ગ્રાહક્યોજના જાહેર થઈ. એક બાજુ ગ્રાહકો નોંધાતા જાય, બીજી બાજુ પ્રથમ પુસ્તક માટેનો અનુવાદ થતો જાય, એક બાજુ વ્યવસ્થા વિચારતી જાય ને


બીજી બાજુ અમલમાં મુકાતી જાય, આમ રમઝટ મચી. ને વીજળી ઉપરના જબરા કાપે મોટું વિધ્ન ઊભું કર્યું, છતાં નક્કી કરેલા દિવસથી બહુ દૂર નહીં એવે દિવસે 'સાવિત્રી' નું પ્રથમ પુસ્તક ગુજરાતના હૃદયની યાત્રા કરવા નીકળ્યું. આવી જ રીતે છ છ મહિને એક-એક ૨૧ ફેબ્રુઆરીએ ને બીજું ૧૫ ઓગષ્ટે, એમ પુસ્તકો પ્રકટ થતાં રહ્યાં અને આજે 'સાવિત્રી' ના છના સેટનું છઠઠું પુસ્તક પ્રભુના પ્રકાશમાં પ્રકટ થાય છે.

             સનાતન એવા શ્રી અરવિન્દ મહાપ્રભુએ જ આ કાર્ય કર્યું છે એવું કહું તો તે અક્ષરશ: સાચું છે. બાકી શરીર-સ્વાસ્થ્ય તકલાદી હોવા છતાંય બે વરસમાં 'સાવિત્રી' નો પૂર્ણ અનુવાદ અને તેના પ્રકાશન માટે પર્યાપ્ત ધન પ્રાપ્ત કરવાનું સહેલું નહોતું; પરંતુ મહાપ્રભુની મીઠી મહેરે એ બધું કરી બતાવ્યું છે. આ ગુજરાતી અનુવાદ મહાપ્રભુનો મહાપ્રસાદ છે, અને ભાવિકો એને અપનાવી લઈ પરમાત્મપુષ્ટિ પ્રાપ્ત કરવાનું નહિ ચૂકે એવી શુભાશા છે.

             અત્ર જણાવવું જોઈએ કે ઓછામાં ઓછી કિંમતે 'સાવિત્રી' જેમનામાં જીજ્ઞાસા હોય તેમને મળે એવો સંકલ્પ આરંભથી  જ રાખ્યો હતો, તે કારણને લીધે જે બારસોએક ગ્રાહકોનાં લવાજમ આવ્યાં છે તે પ્રકાશનના જંગી ખર્ચને પહોંચી વળે એમ નથી. પરંતુ કેટલાક સદભાવી ને સ્નેહી મિત્રોએ તેમ જ સાવ અજાણ્યા આસ્થાળુ ભાવિકોએ ઉદારતાથી સહાય કરી મારો ભાર હલકો ફૂલ બનાવી દીધો છે. આ નિષ્કામભાવી પ્રભુપ્રેમી ઉન્નત આત્માઓનો અંગત ભાવે હું જેટલો આભાર માનું તેટલો ઓછો છે; પણ એમણે તો આ પ્રભુના કાર્યને પ્રભુપ્રીત્યર્થે પોતાનું બનાવી દઈ એને પૂર્ણાહુતિએ પહોંચડવાનું  પ્રેમકાર્ય કર્યું છે, તેથી મારી તો શ્રદ્ધા છે કે પ્રભુ પોતે જ સુપ્રસન્ન ભાવે એમને પોતાનો મહાપ્રસાદ સમર્પશે. મારી પ્રાર્થના છે કે એમના પ્રેમાત્માઓ પ્રભુથી પરિપૂર્ણ બનો !

              'સાવિત્રી' સમજવાનું સરલ તો નથી જ, પરંતુ स्वल्पमप्यस्य धर्मस्य त्रायते महतो भयात् | એ ભગવદ્વચન પણ આપણને મળેલ છે, ભક્તિભાવ સાથે ને સત્યનિષ્ઠાપૂર્વક 'સાવિત્રી' નું પરિશીલન આપણને પ્રકાશમાં લઈ જશે, પરમાત્મ-પ્રેરણાઓ પૂરી પાડશે, બ્રહ્યના મહાબળથી બળવાન બનાવશે, અને મૃત્યુંજય પ્રભુપ્રેમના પીયૂષી પ્રસાદ પીરસશે. શ્રી માતાજીએ આ મહાકાવ્યનો મહિમા કેવા મુક્ત મને ગાયો છે તે આશ્રમના બાળકો આગળના એમના વાર્તાલાપ દરમ્યાન કંઇક નીચેના શબ્દોમાં જાણવા મળ્યું છે. એમના એ વાર્તાલાપમાંથી  થોડું થોડું આ પહેલાંના પુસ્તકોનાં નિવેદનોમાં આવી ગયું છે ને આ છેલ્લા પુસ્તકમાં બાકી રહેલું આપવામાં આવે છે. આશા છે કે એ ઊંડે ઊંડે આસ્થાળુઓને સ્પર્શશે અને એમને શ્રી મહાપ્રભુના મહાકાવ્યનાં પીયૂષોનાં પાન કરાવશે.


       (નીચેનું અવતરણ-ચિહ્નમાં મૂકેલું લખાણ માતાજીના જ શબ્દોમાં નથી, પણ એ શ્રોતાની સ્મૃતિ ઉપરથી લખાયેલું છે.)

       " અને હું ધારું છું કે 'સાવિત્રી' ને અપનાવી લેવા માટે માણસ હજી સુધી તૈયાર થયેલું નથી. એને માટે એ અત્યંત ઉચ્ચ અને અત્યંત વિરાટ છે. એ એને સમજી શકતો નથી, બુદ્ધિની પકડમાં લઈ શકતો નથી, કેમ કે મન વડે એ 'સાવિત્રી'ને સમજી શકે એમ નથી. એને સમજવા માટે ને પચાવવા માટે આધ્યાત્મિક અનુભવોની આવશ્યકતા રહે છે. જેમ જેમ માણસ યોગને માર્ગે વધારે આગળ વધે છે, તેમ તેમ તે 'સાવિત્રી' ને વધારે ને વધારે સારી રીતે આત્મસાત્ કરે છે. ના, 'સાવિત્રી' એક એવી વસ્તુ છે કે માત્ર ભવિષ્યમાં એની કદર થશે. એ છે આવતી કાલની કવિતા. એ અત્યંત સૂક્ષ્મ છે, અત્યંત સંસ્કારશુદ્ધ છે. 'સાવિત્રી' મનમાં કે મન દ્વારા નહીં પણ ધ્યાનગમ્ય અવસ્થામાં આવિષ્કાર પામે છે.

          અને માણસોની ધૃષ્ટતા તો જુઓ, તેઓ એને 'વર્જિલ' કે 'હોમર' સાથે સરખાવે છે અને એ એમનાથી ઊતરતી છે એવું જણાવે છે. તેઓ સમજતા નથી, સમજી શકતા નથી. એમને શું જ્ઞાન છે ?  કશું જ નહિ. એમને 'સાવિત્રી' સમજાવવાનો પ્રયત્ન નકામો છે. એ શું છે તે માણસો જાણશે પણ તે દૂરના ભવિષ્યમાં. એને સમજવાને કોઈ શકિતમાન થશે તો માત્ર નવી ચેતનાવાળી નવી પ્રજા. હું ખાતરી આપું છું કે 'સાવિત્રી' સાથે સરખાવાય એવું નીલાકાશ નીચે કશું નથી. એ છે રહસ્યોનું રહસ્ય, મહાકાવ્યોની પારનું મહાકાવ્ય, સાહિત્યની પાનું સાહિત્ય, કવિતાની પારની કવિતા, અને દર્શનો પારનું દર્શન. અને શ્રી અરવિન્દે જેટલી સંખ્યામાં ચરણો લખ્યાં છે તેને લક્ષ્યમાં લેતાંય એ સર્વાધિક સત્તમ સર્જનકાર્ય છે, ના, આ માનુષી શબ્દો 'સાવિત્રી'નું વર્ણન કરવાને પૂરતા નથી. એને માટે તો સર્વોત્કૃષ્ટતાવાચક શબ્દોની ને અતિશયોકિતઓની આવશ્યકતા રહે છે. મહાકાવ્યોમાં એ અત્યુંદાત્ત છે. ના, 'સાવિત્રી' જે છે તેમાંનું કશું જ શબ્દો કહી શકતા નથી, કંઈ નહિ તો મને એવા શબ્દો મળતા નથી. 'સાવિત્રી' ના મૂલ્યને, એના અધ્યાત્મ મૂલ્યને તેમ જ એનાં બીજાં મૂલ્યોને સીમા નથી. એના વિષયના વિષયમાં એ સનાતન છે, એની હૃદયંગમતાનો અંત નથી, એની રીતે અને એનું રચનાવિધાન અદભુત છે; એ અદ્વિતીય છે. જેમ જેમ તમે એના વધારે સંપર્કમાં આવશો તેમ તેમ તમે વધારે ઊંચે ઉદ્ધારાશો. અહા !  સાચે જ એ એક અનોખી વસ્તુ છે. શ્રી અરવિન્દ માણસો માટે એક સર્વાધિક સુંદર વસ્તુ મૂકી ગયા છે, ને એ શક્ય હોઈ શકે તેટલી સર્વોચ્ચ પ્રકારની છે. એ શું છે ? માણસ એને કયારે જાણશે ? ક્યારે એ સત્યમય જીવન ગાળવા માંડશે ? પોતાના જીવનમાં એ એનો સ્વીકાર ક્યારે કરશે ? આ હજી જાણવાનું રહે છે.

            વત્સ ! તું રોજ 'સાવિત્રી' વાંચવાનો છે; બરાબર વાંચજે, અંતરમાં સાચું


વળણ રાખીને વાંચજે, પુસ્તક ઉઘાડતાં પહેલાં વૃત્તિને થોડી એકાગ્ર કરીને વાંચજે, મનને ખાલી રાખી શકાય તેટલું ખાલી રાખવાનું, એકદમ વિચાર વગરનું બનાવેલું રાખવાના પ્રયત્નપૂર્વક વાંચજે. એને પહોંચવાનો સીધેસીધો માર્ગ છે હ્રદયનો માર્ગ. કહું છું કે જો તું આવી અભીપ્સા રાખીને સાચી એકાગ્રતા સાધશે તો સ્વલ્પ સમયમાં જ એક જવાળા જગાવી શકશે, અંતરાત્માની જવાળા, પાવનકારી જવાળા જગવી શકશે. સાધારણ પ્રકારથી તું જે કરી શકતો નહિ હોય તે તું 'સાવિત્રી'-ની સહાયથી કરી શકશે. અખતરો કરી જો, એટલે તને જણાશે કે જો તું આવી મનોવૃત્તિ રાખીને વાંચશે, આ કંઈક ચેતનાની પાછળ રાખીને વાંચશે, જાણે એ શ્રી અરવિન્દને કરેલું એક અર્પણ છે એવો ભાવ રાખીને વાંચશે તો એ કેવું જુદા પ્રકારનું, કેવું નવીનતાવાળું બની જાય છે તે અનુભવશે. તને જણાશે કે એ ચૈતન્યથી ભરી દેવામાં આવેલી છે; જાણે કે 'સાવિત્રી' એક જીવંત સત્તા, એક માર્ગદર્શિની ન હોય. હું કહું છું કે જે કોઈ યોગ કરવાની ઈચ્છા રાખી સહૃદય ભાવથી પ્રયત્ન કરે છે ને એની આવશ્યકતા અનુભવે છે તે 'સાવિત્રી'ની સહાયથી યોગની સીડીના ઉચ્ચમાં ઉચ્ચ પગથિયે ચડી શકશે, 'સાવિત્રી' જે રહસ્યનું નિરૂપણ કરે છે તે રહસ્યને પામવાને શકિતમાન બનશે, ને આ પણ કોઈ ગુરુની સહાયતા વિના. ને એ ગમે ત્યાં હશે તોય ત્યાં રહીને સાધના કરી શકશે. એને માટે એકલી 'સાવિત્રી, માર્ગદર્શક ગુરુ બની જશે, કેમ કે એને જેની જેની જરૂર પડશે તે સર્વ એને એમાંથી મળી આવશે. સાધક જો ઊભી થયેલી મુશ્કેલી સામે શાંત ને સ્થિર રહે, કે આગળ વધવા માટે કઈ દિશાએ વળવું કે અંતરાયોનો પરાભવ કેવી રીતે કરવો તેની તેને સમજ ન પડે ત્યારે 'સાવિત્રી' માંથી એને જરૂરી સૂચનો ને નક્કર પ્રકારની જરૂરી સહાય અવશ્ય મળવાનાં. જો એ પૂરેપૂરો પ્રશાંત રહેશે, ખુલ્લો રહેશે, સાચા ભાવથી અભીપ્સા રાખશે તો જાણે કોઈ હાથ ઝાલીને દોરી રહ્યું હોય એવી દોરવણી એને 'સાવિત્રી'-માંથી મળશે. એનામાં આસ્થા હશે, આત્મસમર્પણ કરવો સંકલ્પ હશે મૂળભૂત સહૃદયતા હશે તો તે અંતિમ લક્ષ્યે પહોંચશે.

             સાચે જ, 'સાવિત્રી' કોઈ એક સઘન ને સજીવ વસ્તુ છે. ચૈતન્યથી એ પૂરેપૂરી ને ખીચોખીચ ભરેલી છે. એ છે પરમોચ્ચ જ્ઞાન, એ મનુષ્યોની બધી ફિલસૂફીઓથી ને બધા ધર્મોથી પર છે. એ છે અધ્યાત્મ માર્ગ, એ છે યોગ, એ છે તપસ્યા, સાધના, એકમાં જ સર્વ કાંઈ. 'સાવિત્રી' માં અલૌકિક શકિત છે. જેઓ ઝીલવાને તત્પર છે તેમનામાં તે અધ્યાત્મ આંદોલનો જગાડે છે, ચેતનાની એકેએક ભૂમિકાની સ્ફૂર્તિ આપે છે. એ છે અનુપમ. શ્રી અરવિન્દે જે પરમ સત્ય પૃથ્વી ઉપર ઉતારી આણ્યું છે તેની છે એ પરિપૂર્ણતા. વત્સ ! 'સાવિત્રી' જે રહસ્યનું નિરૂપણ કરે છે અને એના દ્વારા શ્રી અરવિન્દ આપણે માટે જે પયગંબરી સંદેશ પ્રકટ કરે છે તે શોધી કાઢવાનો આપણે પ્રયત્ન કરવાનો છે. તમારી આગળ આ કામ


છે. એ મુશ્કેલ તો છે, પરંતુ એને માટે શ્રમ સેવવા જેવો છે."

૫.૧૧.૧૯૬૭                                                                          

આશીર્વાદો

  અને વળી

    " જો તમે વિષાદમગ્ન થયા હો, જો તમે દુ:ખાનુભવ કરી રહ્યા હો, તમે કંઈ આરંભ્યું હોય ને તેમાં તમે જો સફળતા મેળવતા ન હો, અથવા તો ગમે તેટલો તમારો પ્રયત્ન હોય છતાંય તમારે માટે હમેશાં જો વિપરીત જ બનતું હોય, એવું બને કે તમે તમારો મિજાજ ગુમાવી બેસતા હો, જીવન ઘૃણાજનક બની ગયું હોય, ને તમે પૂરેપૂરા સુખરહિત બની ગયા હો, તો તે પાને " સાવિત્રી" કે "પ્રાર્થના અને ધ્યાનભાવો " ઉઘાડો અને વાંચો. તમે જોશો કે એ બધું ધુમાડાની માફક અદૃશ્ય થઈ ગયું છે અને ખરાબમાં ખરાબ હતાશા ઉપર વિજય મેળવવાનું બળ તમારામાં આવ્યું છે ને તમને જે ત્રાસ દેતું હતું તેમનું કશું જ રહ્યું નથી.  એને  બદલે તમને એક અલૌકિક સુખનો અનુભવ થશે, તમારી ચેતનામાં ઊલટ પલટો આવી જશે અને તેની જોડે જાણે કશું જ અશક્ય રહ્યું ન હોય તેમ બધું જ જીતી લેવાનું બળ અને ઉત્સાહ તમારામાં આવેલાં તમે અનુભવશો, અને સર્વને વિશુદ્ધ બનાવતો અખૂટ આનંદ તમારામાં આવી જશે. માત્ર થોડીક લીટીઓ જ વાંચો અને તે તમારા અંતરતમ આત્મા સાથે સંબંધ સ્થાપવાને માટે પર્યાપ્ત થઈ જશે. એમનામાં એક એવું અસાધારણ સામર્થ્ય રહેલું છે ! અજમાવી જુઓ અને મને એની વાત કરો.

        હા, તમારે માત્ર 'સાવિત્રી' ઉઘાડવાની જ હોય છે, આમ, જ્યાંથી ઊઘડે ત્યાંથી ઉઘાડી વાંચો, કશોય વિચાર કરી રાખ્યા વગર વાંચો ને તમને જવાબ મળી જશે. ઊંડી એકાગ્રતા કરો, તમને ત્રાસ આપી રહ્યું હશે તેને અંગે તમને જવાબ મળશે; કહું છું, ને મને ખાતરી છે કે સોએ સો ટકા તમને જવાબ મળશે. અખતરો કરી જુઓ."

        આવી આ સત્ય 'સાવિત્રી' આપણને અનંતદેવના વરદાનમાં મળી છે. એને આપણા આત્મા સાથે અંત:કરણો સાથે અંગેઅંગ વહાલથી વધાવી લો, અને આપણીઅખિલ ચેતના એની અલૌકિક ચેતના સાથે એકાકાર બની જઈ જગતમાં જીવંત સાવિત્રીમયતા સાધો, અને એના અમૃતરસોનું પાન કરી પરમ શિવતાને સિદ્ધ કરો એવી પ્રાર્થના સાથે ॐ शान्ति: शान्ति: शान्तिः |

 

૧૫ મી ઓગસ્ટ,  ૧૯૭૫                                                                                

 પૂજાલાલ

 શ્રી અરવિન્દ આશ્રમ

 પોંડિચેરી- ૨









Let us co-create the website.

Share your feedback. Help us improve. Or ask a question.

Image Description
Connect for updates