સાવિત્રી

Sri Aurobindo symbol
Sri Aurobindo

Sri Aurobindo's major poetic work, an epic in blank verse. In Savitri, a legend from the Mahabharata becomes the symbol of the human soul's spiritual destiny. In poetic language, Sri Aurobindo describes his vision of existence and explores the reason for ignorance, darkness, suffering and pain, the purpose of life on earth and the prospect of a glorious future for humanity. The writing of the epic extended over much of the later part of his life.

Sri Aurobindo Birth Centenary Library (SABCL) Savitri Vols. 28,29 816 pages 1970 Edition
English
 PDF     Poems
Sri Aurobindo symbol
Sri Aurobindo

Sri Aurobindo's major poetic work, an epic in blank verse. In Savitri, a legend from the Mahabharata becomes the symbol of the human soul's spiritual destiny. In poetic language, Sri Aurobindo describes his vision of existence and explores the reason for ignorance, darkness, suffering and pain, the purpose of life on earth and the prospect of a glorious future for humanity. The writing of the epic extended over much of the later part of his life.

Gujarati Translations of books by Sri Aurobindo સાવિત્રી 1973 Edition
Gujarati Translation
Translator:   Pujalal

સર્ગ ચોથો

પાર્થિવ વાસ્તવતાની સ્વપ્નમયી સંધ્યા

 

વસ્તુનિર્દેશ

 

       પછી એક ઢોળાવ આવ્યો. લથડતો લથડતો  એ એક ભૂખરા ઉતાર તરફ નીચે સરકતો હતો. આદર્શના જગતની અદભુત છાયા લોપાઈ ને વિચાર નીચેના સ્તરો પર ઊતર્યો. એક અણઘડ વાસ્તવતા તરફ એનો વેગ વળ્યો. સ્વપ્નમય સૃષ્ટિ ઓછી આનંદક બની ગઈ ને એ દિવસ-સમયના ધુમ્મસ જેવી દેખાતી હતી.

        સાવિત્રીના હૃદયને એક તીવ્ર તંગી ઘેરી વળી હતી; એની ઈન્દ્રિયો ઉપર એક ભેંકાર ભય લદાયો હતો. વિષાદ-ઘેર્યા ઘોર અવાજો એને કાને અથડાતા હતા. કાંતિમાન ઝમકમાં વચ્ચે વચ્ચે તૂટ પડતી ત્યારે સાવિત્રીની દૃષ્ટિ મેઘ-છાયા પર્વતો પર પડતી, પિંગળવર્ણ સ્રોતો જોતી, મોટા મોટા મિનારાવાળાં શહેરો, ઓવારાઓ, બંદરો ને ત્યાંના ધોળા સઢનાં દૃશ્યો દેખાતાં ને પાછાં અલોપ થઈ જતા. એ સૌની વચમાં શ્રમ કરતા સમૂહો દેખાતા, બદલાયા કરતા ને ભૂખરા લબાચાઓમાં વીંટાયેલા એમના છાયામય આકારો સ્વપ્નના હોય તેવા લાગતા. અનિશ્ચિત પરિસ્થિતિમાં વિશ્વાસ રાખી તેઓ પોતાના જીવનના કાર્યક્ષેત્રમાં ફેરફાર આણવા માટે મૃત્યુની રાહ જોતા.

          વળી ત્યાં શ્રમકાર્યોનો મોટો ઘોંઘાટ, વિચારો ને કર્મોનો કોલાહલ ઘૂ ઘૂ ઘૂઘવતા સમુદ્ર જેવો સંભળાતો હતો. વિચારોનાં ભૂત, આશાઓથી નાસીપાસી, કુદરતના આકારો, મનુષ્યની કૃતિઓ, તત્ત્વજ્ઞાનો, સાધનામાર્ગો, ધોરાધોરણો, પુરાણા સમાજોનાં પ્રેતો, રાક્ષસી ઈમારતો, ને કીટકોનીય કૃતિઓ,-ચિત્રખંડોની માફક પ્રવાહમાં પસાર થઈ જતાં સાવિત્રીએ જોયાં. એના મન આગળ થઈને ઝંખવાયેલા આવિષ્કારો પસાર થયા, મુક્તિપ્રદાતા શબ્દો, દેવોના સન્દેશાઓ, પેગંબરોની વાણી, ને લોપ પામેલા ધર્મમતોના સારરહિત બનેલાં શાસ્રો સરકી ગયાં. આદર્શો, વિધિઓ, વિજ્ઞાનો, કાવ્યો, કલાકારીગરીની કૃતિઓ અથાકપણે આવ્યાં ને ગયાં. પણ

૬૭


એ સધળાં પોલા શૂન્યને પાર કરતાં સપનાં જ હતા. એકાંતસેવી ઋષિરાજો, નિર્જન વનવાસી મુનિવરો, સ્થિર આસને બેસીને સ્વર્ગની કે શબ્દાતીત આત્મશાંતિની શોધ કરતા હતા. વળી જાણે સમાધિસ્થ ન હોય એવા નિદ્રિત જીવોય ત્યાં બેઠેલા દેખાયા ને તે પણ એક સ્વપ્ન હતું. ભૂતકાળે સર્જેલું ને સંહારેલું સર્વ કાંઈ ત્યાં હતું. એકવારનું જીવતું ને અત્યારે ભુલાયેલું, નવો આવિષ્કાર પામી વર્તમાનનું પ્રીતિ-પાત્ર બનેલું, અને ભાવિની આશાઓ આણે છે તે સર્વ ખલાસ થઈ ગયા છતાં આગ્રહભેર પાછાં ફરતાં હતાં; કેમ કે ખોજની યાતનામાંય આનંદ છે, શ્રમ કરી મેળવવામાં ને મેળવેલું ગુમાવવામાંય આનંદ છે, સર્જવામાં, સંરક્ષવામાં ને સંહારી નાખવામાંય  આનંદ છે. યુગચક્રો પસાર થઈ જાય છે ને પાછાં આવે છે, એના એ જ શ્રમો ને નિષ્ફળ અંત આણે છે, સંસાર ચાલ્યા કરે છે, નિત્ય નવાં રૂપો ને નિત્ય પુરાણાં રૂપો આવૃત્ત થયા કરે છે : આ બધું સ્વપ્ન જેવું એને ભાસ્યું.

          ફરી પાછો યમનો વિનાશક અવાજ ગાજ્યો : " જોયાં આ પ્રતીકાત્મક જગતનાં રૂપો. આ સર્જનાત્મક સ્વપ્ન પૃથ્વી પરનાં નક્કર કાર્યોને પ્રેરે છે. જો આ અસ્તિના પાપનું, જીવનેચ્છાનું, ને અસાધ્ય રોગ જેવી આશાનું પરિણામ. પ્રકૃતિમાં પલટો આવતો નથી, માણસ એનો એ જ રહે છે ને પ્રકુતિના નાફેર નિયમને અનુસરે છે. માણસ એટલે મન ને એ વિચાર પાર જઈ શકતો નથી. મર્યાદા મધ્યમાં જ એ સલામત છે. એ સ્વર્ગો જુએ છે ખરો પણ ત્યાં આરોહી શકતો નથી. મનની જાળમાં એ ઝલાયેલો છે. પ્રાણની ભીંતો સામે એનો આત્મા અમસ્તો જ પાંખો ફફડાવે છે. એના હૃદયની પ્રાર્થના ઊંચે ચડે છે પણ તે એળે જાય છે. દેદીપ્યમાન દેવોથી એણે શૂન્યને વસાવ્યું છે. નિર્વાણ જ એક એને માટે આરો છે. શબ્દ મૌનમાં ને નામ શૂન્યમાં શમી જાય છે.

           પ્રભુને એ પોતાનો પ્રેમી કહીને નકામો પોકારે છે. જે શાશ્વત છે તેની પર ક્રોધનું ને પ્રેમનું આરોપણ કરે છે, જે અવર્ણ્ય છે તેને નિરર્થક હજારો નામ આપે છે. તું પ્રભુને નીચે બોલાવતી નહીં. વેગે વહેતા કાળમાં સનાતન શી રીતે વસી શકશે ? આ જગત લક્ષ્યરહિત છે. અસ્તિત્વમાં આવેલું કશું જ સ્થાયી નથી. ધર્મ મતો બચાવી લેવા આવ્યા, પણ તે પોતાને જ બચાવી શક્યા નથી. કાળે એમને જૂઠા પાડયા છે. તત્ત્વદર્શનોએ એકે સમસ્યા હલ કરી નથી. વિજ્ઞાન ફોગટનું જ પોતાને સર્વસમર્થ માને છે, પછી ભલે ને એણે સૂર્યો શાના બન્યા છે તે શોધી કાઢયું હોય, પદાર્થોને રૂપાંતર પમાડી તેમને સ્વ-સેવામાં પ્રયોજ્યા હોય, આકાશમાં એ અધ્ધર ગતિ કરતું હોય કે સમુદ્રની સપાટી નીચે સંચરતું હોય. માણસો પોતે કોણ છે ને શા માટે હ્યાં આવ્યા છે તે જાણતા નથી ને શીખ્યા નથી. આ રાજકારણો, સ્થાપત્યો શુભાશુભનું ચણતર ઊભું કરી માનવના આત્માને બંદિ બનાવી દે છે. ક્રાંતિઓમાં દૈત્યો ને દારૂ પી મત્ત બનેલા દેવતાઓ મહાતોફાન મચાવે છે. લડાઈઓ, ખૂનરેજી, પાગલ બનેલી પાયમાલી ઘડીના છટ્ટા ભાગમાં સૈકાઓની સિદ્ધિઓને હતી ન હતી

૬૮


    કરી નાખે છે. વિજેતાના રાજમુકુટ માટે ભાવિ માનવોને  દુઃખરૂપ ભારે દંડ ભરવો પડે છે. વીરનું વદન ને પશુનાં અંગો, દાનવનો ને અર્ધ-દેવનો સંમિશ્રિત મહિમા, જાહોજલાલી ને હેવાનિયત ને શરમ આવે એવાં કૃત્યો સેળભેળ થઈ ગયેલાં છે.

          ને આ બધું શાને માટે ? આ યાત્રાનો અંત ક્યાં ? આ સર્વની યોજના કોણે કરી છે ? કે પછી સ્વયંચાલિત સચરાચર આમ પોતાને માર્ગે સંચરી રહ્યું છે ? કે પછી સ્વપ્ન સેવતા મન સિવાય બીજું કાંઈ છે જ નહિ ? હવે જો મન જ બધું હોય તો મહાસુખની આશાને ઉચાળા ભરાવ. મન સત્યને કદી સ્પર્શી શકતું નથી, પ્રભુના સ્વરૂપને જોઈ શકતું નથી.મન પ્રકાશ ને છાયાનું વણાટ કામ છે. સત્યાસત્ય, હર્ષશોક, વગેરે દ્વન્દ્વો  એમાં વાણા-તાણા બનેલા છે. માટે પૃથ્વીને પ્રભુનું ધામ બનાવવાનો વિચાર કરતી નહીં. સત્ય નહીં, માત્ર સત્યનો વિચાર અહીં આવી શકે છે. અહીં પ્રભુ પોતે નહિ, માત્ર પ્રભુનું નામ હોય છે. પ્રભુ હોય તોય એને જગતની કશી પડી નથી. એ પરમપ્રજ્ઞાવંત ને વિચારથી પર છે. એના એકાંત આનંદને પ્રેમની જરૂર નથી. શોક, દુઃખ ને મૃત્યુ જ્યાં પ્રવર્તે છે ત્યાં જગદંબાની મધુરી મુદા ટકી શકતી નથી. માટે ઓ શાશ્વતીની સુતા ! જ્યોતિ જ્યાં સહજ છે, જ્યાં આનંદનું રાજ્ય છે, જ્યાં વસ્તુમાત્રની ભૂમિકા બની અમર આત્મા વિરાજી રહ્યો છે ત્યાં તારું સ્થાન લે. પ્રભુ તરફ વળ ને બીજું બધું પાછળ છોડ. સત્યવાનને ભૂલી જા. આત્મવિલોપન કરી દે. પ્રભુનાં શિખરોએ પહોંચવા માટે પોતા માટે પોતે મરી જવું પડે છે. હું મૃત્યુ અમૃતત્વનું દ્વાર છું."

          સાવિત્રીએ તત્ત્વદર્શી દેવને ઉત્તર આપ્યો : " પાછો ફરીથી તું સત્યની આંખોને અંધ બનાવવા માટે પ્રકાશને બોલાવશે ? જ્ઞાનને અજ્ઞાનની જાળનો ફંદો બનાવશે ? જીવતા જીવને મારી નાખવા માટે શબ્દને બાણ બનાવશે ? થાક્યાંપાક્યાં ને ઘવાયેલાં હૃદયોને, પ્રભુની લીલામાંથી નીકળી જઈ કેવળ શાંતિ શોધતાં હોય તેમને તારાં વરદાનો આપ. મારે એ જોઈતા નથી. મારામાં જગદંબાની પ્રચંડ શકિતને અવસ્થિત થયેલી જો. એનું જ્ઞાન છે સૂર્યોજ્જવલ, એનો પ્રેમ છે ભડભડતું મૌન. જગત એક આધ્યાત્મિક કોયડો છે. तत्सत् નો કંગાલ અનુવાદ છે, પ્રતીકમાં પૂરી શકાય નહિ એવું પ્રતીક છે. એની શકિતઓ આવી છે નિત્યના ઊર્ધ્વમાંથી ને એમણે પાતાળમાં પ્રવેશ કર્યો છે. ત્યાંથી એ પોતાનું ચમત્કારી કાર્ય સિદ્ધ કરવા માટે ઉપર આવે છે. ચૈત્ય જીવ અવ્યક્તનું એક સ્વરૂપ છે. મન અચિંત્યનું ચિંતન કરવા મથે છે, જીવન અમરાત્માને જન્મ આપવા ઝંખે છે, શરીર અપરિમેયનું મંગલ મંદિર બનવા માગે છે. જગત સત્યથી ને પ્રભુથી છેદ મૂકીને છૂટી પાડેલી વસ્તુ નથી. યમ ! તારા પ્રયાસો નિષ્ફળ નીવડશે, તારી અંદર થઈને માનવજીવ સ્વર્ગલોકમાં જશે.

            મારું મન સનાતન સૂર્યની મશાલ છે, મારું જીવન છે અમૃત અતિથિના શ્વાસોચ્છવાસ, મારું શરીર છે સનાતનનું નિકેતન. પૃથ્વી ઉપર જે અદભુત ઉત્ક્રાંતિ ચાલી રહી છે તેને જોયા પછી કોણ કહેશે કે પ્રભુ પૃથ્વી ઉપર નહિ

૬૯


થાય ? વિચારે જડ મસ્તિષ્કને  પકડમાં લીધું છે, માંસમાટીમાં થઈ ચૈતન્યમય આત્મા ડોકિયાં કરે છે, અમર પ્રેમીનો સ્પર્શ અનુભવાય છે. પ્રભુ, ક્યારનોય સમીપવર્તી બની ચૂક્યો છે, પરમ સત્ય સાન્નિધ્યમાં જ પ્રકાશ છે. કાળું નાસ્તિક શરીર ભલે એને અત્યારે જાણતું ન હોય, જ્ઞાનવાન પ્રકાશનો ને દૃષ્ટિમાન આત્માનો ઈનકાર કેમ કરશે ?

          જાણ કે હું અનંતના મહિમાની નિવાસિની છું. નામી-અનામી ઉભયની સમીપવર્તિની છું. અનિર્વચનીય મારો અંતેવાસી છે. આત્માથી આત્માને હું મળી છું, પણ મારા પ્રભુના પિંડ ઉપર પણ મારો પ્રેમ છે. સર્વ હૃદયો શું એક બની રહેનારા હૃદયને એકાકી મુક્તિ સંતોષ આપી શક્તિ નથી. અભીપ્સા સેવતા સંસારની હું પ્રતિનિધિ છું. મારા આત્માની મુક્તિ હું સર્વને માટે માગું છું."   

           વળી પાછો યમનો અવાજ ગાજ્યો, ગહનતર ગાજ્યો. પોતના મોઘ નિયમના ભાર નીચે જાણે દબાઈ ગયો ન હોય, જાણે પોતાના નિરર્થક સંકલ્પથી પીડિત થયો ન હોય, તેમ એ હતો અવજ્ઞા ભર્યો, થાકેલો ને દયાળુ બનેલો. એની જૂની અસહિષ્ણુતા એનામાં દેખાતી ન હતી. જીવન અસંખ્યાત માર્ગોએ મહાશ્રમે મચે છે, પણ કશું પરિણામ આવતું નથી. ઘાણીએ જોડેલા બળદિયાની જેમ એ ગોળ ગોળ ફર્યા કરે છે. પોતાના અજ્ઞાનના ને આશંકાના ભાર નીચે કચરાય છે. જ્ઞાન ઊલટાનો ભાર વધારે છે ને વિકાસ એ ભારનેય વિકસાવે છે. પાર્થિવ મન નિરાશ બની જાય છે, થાક વધે છે, કામ માટે ઉત્સાહ રહેતો નથી.

             તો શું બધું એળે ગયું સમજવું ? નહિ, નહિ. કોઈ મોટી વસ્તુ સધાઈ હોય છે. અચિત્ માંથી કોઈ જ્યોતિ, કોઈ શકિત પ્રકટ કરી શકાઈ હોય છે. રાત્રિમાંથી જીવન બહાર નીકળ્યું હોય છે. એને પ્રભાતનું દર્શન થયું હોય છે. દૂરના દેવનો સ્વર સંભળાયો હોય છે. આ પ્રકારનો ફેરફાર યમમાં પણ થયો લાગતો હતો. એણે આપણા નિત્યતા માટેના અલ્પજીવી પ્રયાસો સ્વીકાર્યા, છતાં એ સૌને ઉપર શંકાની છાયા ફેંકી. એ બોલ્યો : " તને જ્ઞાન થયું છે. દૃષ્ટિવંતા દેવો તને મુક્ત કરે છે, ઊઠ. જીવનના જંગી દબાણમાંથી તેં તારા મનને મુક્ત રાખ્યું હોત તો તું પણ દેવો સમાન સર્વજ્ઞ અને શાંત બની જાત. પણ તારા હૃદયમાં તીવ્ર ભાવાવેગ ભર્યા છે. જગતને તું ઊધુંચતું કરી નાખવા અને ભાગ્યના લેખો પલટાવી નાખવા માગે છે. કાર્યમાં વેગ આણવા માગનારા ને ઈશ્વરની ઉપરવટ થવા ઇચ્છનારા મહાન આત્માઓ તારા જેવા હોય છે. પોતાની તોતિંગ ઈચ્છાશકિતથી તેઓ વર્ષો પર બળાત્કાર કરે છે. પણ શાણાઓ શાંત હોય છે. પર્વતોના જેવાં તેમનાં આસનો દૃઢ હોય છે. તેમનાં મસ્તકો સ્વર્ગલોકમાં સ્વપ્નમુકત રહેલાં હોય છે.

              અભીપ્સા સેવતાં શિખરોએ મહાન મધ્યસ્થો ઊભા છે ને માનવ આત્માને તેઓ સ્વર્ગની દિશામાં અર્ધ-માર્ગે આરોહણ કરવી સંતોષ માને છે. જ્ઞાનીએ કાળચક્રની ગતિને અનુસરે છે; પોતાના અતિજ્ઞાનને તેઓ અંતરમાં સંયત રાખે છે.

૭૦


 નહિ તો માણસનું કમજોર જીવન રાક્ષસી બળોએ ક્યાંનું ક્યાં ઘસડાઈ જાય ને અગાધમાં ગેબ થઈ જાય. દેવો વધારે નજીકમાં ડગલાં ભરે છે ત્યારે બધું ડામાડોળ બની જાય છે ને ઊથલપાથલ મચે છે, પ્રભુ પોતાના વિચારને સંતાડી રાખે છે ને પોતે જાણે ભૂલો કરતો હોય એવો ભાસે છે. તું પણ તેટલા માટે અધીરી મા થા. આ જગત મંદ છે, તે યાદ રાખીને ચાલજે. તારામાં જે અલૌકિક શકિત પ્રકટ થઈ છે તે પેલી મહાશકિત દેવી માતાની, જેની તેં આજે પ્રભાતે પૂજા કરી હતી. એણે તારામાં પ્રવેશ કર્યો છે. પણ તારા બળને ઉદ્દામ આસુરી પ્રકારે વાપરતી નહિ. સંસારની સ્થિર રેખાઓને સ્પર્શતી નહિ. પુરાણા મહાનિયમોને પીડતી નહિ. પ્રતિષ્ઠા પામેલી પ્રશાન્ત વસ્તુઓનો આદર કરજે."

          પરંતુ સાવિત્રી બોલી : " જે મહાનિયમોને તું આસમાને ચઢાવી દે છે, તે નિયમો એટલે શું ? શું તે આત્મરહિત ઘોર બળોનો જડ સ્વપ્નમાં ચાલતો ચકરાવો નથી ? જો તારા નિયમો જ સર્વ કાંઈ હોત તો ચૈત્ય જીવની આશાઓ અર્થરહિત બની જાત. પ્રભુને સપ્રમાણ પુરવાર કરતા કલ્પો નવીન ને અજ્ઞાત પ્રત્યે ઝડપે જાય છે. તારું નિયંત્રણ કદાપી તોડવામાં ન આવે તો પૃથ્વીના યુગોથી શું સરવાનું હતું ? મહિમાઓએ મોરવાનું છે, દેવતાઈ વાણીથી ને માનવદેવોની પ્રેરણાથી માણસે દીપ્તિમંતા દેવમાર્ગોએ છલંગીને જવાનું છે. તો તું સચેત મનને જડતાથી જકડી લેવાનું માગ નહિ. તારા કાયદાઓને હું ખૂંદીશ. મુકિતમાં મહાલવા માટે મારો જન્મ થયો છે. બેતારીખ દેવતાઓની હું સમોવડી છું. કાળ પાસે હું મારા સંકલ્પની શાશ્વતતાનો ને એની પળોમાં હું પ્રભુનો દાવો કરું છું."

         યમદેવે જવાબ વળ્યો : " તો તું તારી મુકિતને ને સનાતન સરણીને વિસારી નાશવંત પૃથ્વીનાં નમાલાં કાર્યો પ્રત્યે તારા અમર સંકલ્પને શા માટે અધોદિશાએ વાળે છે ? અથવા તો તું પૃથ્વી પરનાં સારરહિત સુખોનું સેવન કરવા તારા ઉચ્ચ વિચારને અને સાતત્વિક સામર્થ્યને શા માટે નીચે વાળે છે ? આવી ઊંચી વસ્તુઓને શું આમ વેડફી મારવી યોગ્ય છે ?  મૃત્યુ સામે ને કાળના પાશો સામે તેં જે મહાપ્રયત્ન આદર્યો છે તેની સહાયથી તો તું દેવપદને પામી જાય. જેની ઉપર તારો પ્રેમ છે તેની મહામુકિતનો ભોગ આપી તું તેને પિંડના ટુકડાઓ માત્ર આપવા માગતી હોય એવું લાગે છે. પ્રભુનાં પ્રાંગણો કરતાં સત્યવાનને શું તારા ભુજપાશ વધારે મીઠડા લાગશે ? "

          સાવિત્રી વદી: " સત્યવાનના ઓજસ્વી હસ્તે અમારે માટે જે માર્ગ કાપી કાઢયો  છે તેની ઉપર હું પગલાં માંડીશ. પ્રભુએ મને લગામમાં લીધી છે ને એની ચલાવી હું ચાલુ છું. એણે  મને દેહ આપ્યો છે, ભાસ્વંત ભાવનાઓ આપી છે, તે શા માટે ? મારામાં પોતાની પ્રભુતાને પ્રફુલ્લાવવા માટે, પરમ પ્રેમને પૃથ્વી ઉપર પોષવા માટે. દૂર સુદૂરનાં શાંત સ્વર્ગો ભલે અમારી વાટ જોતાં રહે. પ્રભુએ સ્વર્ગનું સર્જન તો સહેલાઈથી કર્યું છે, માત્ર પૃથ્વીનું શિલ્પ એને માટે મુશ્કેલ હતું.

૭૧


પૃથ્વી ઉપર દેવોને પ્રકટાવવામાં એનો મહિમા રહેલો છે. પ્રભુએ માનવ આત્માને મહાન કામ સોંપ્યું છે. જીવનની મર્યાદાઓની મધ્યમાં વિરાટ વિશાળતા આણવી, પ્રેમ અને સૌન્દર્ય સર્જવાં,--આ રમત પ્રભુ રમાડી રહ્યો છે. પ્રેમના બંધનમાં પરમ મુકિત અનુભવવાની છે, સૌથી વધારે બદ્ધ થવાતું હોય ત્યાં સૌથી વધારે સ્વાતંત્ર સંવેદવાનું છે. પ્રેમના નિષ્ઠુર નિયમનમાં રહીનેય હસવાનું છે, યમ ! સમજાય છે ? "

         યમનો ઈનકાર સાવિત્રીના સ્વરની સામે આથડયો : " તું ગમે તેટલી જબરી ભલે હોય ને દેવોના દરબારમાં તારું ગુપ્ત નામ ભલે ગવાતું હોય, તો પણ તારો ભંગુર ભાવ મહાન દેવોએ બાંધેલી લોખંડી દુર્ગ-દીવાલ તોડી પાડવા સમર્થ નથી. તું સાક્ષાત્ જગદંબા હોય તો પણ નિસર્ગનો નિયમ તારા સંકલ્પથી બળવાન છે. પરમેશ્વરે પોતેય પોતાના બનાવેલા નિયમ પાળે છે. નિયમ નિત્યની વસ્તુ છે. પુરુષ કાળસાગર પરનો પરપોટો છે. તારી પાછળ રહેલી  કોઈ શકિતને જોરે તું  પરમ સત્યનું પ્રથમ ફળ ચાખવા માગે છે. પણ સત્ય શું છે ને ક્યાં છે ? સૌ પોતપોતાની ઇચ્છાનુસાર સત્ય કલ્પી લે છે. બાકી કાળના બજારના કોલાહલમાં એનાં પગલાં કોણે સુણ્યાં છે ? આ જગતમાં સર્વ સત્ય છે, છતાં સઘળું જૂઠું છે.

          માણસ એક સાથે છે પશુ અને દેવ. એ છે અભીપ્સા રાખતું પ્રાણી ને નિષ્ફળ નીવડેલ દેવતા, છતાંય એ બેમાંથી એકે નથી. એ છે માત્ર મનુષ્ય,અને એ પ્રભુની સીડીએ ઉપર આવેલી વસ્તુતા પ્રત્યે આરોહે છે. પદાર્થમાત્ર આભાસ છે. કોઈ એનું સત્ય જાણતું નથી. ભાવનાઓ છે એક અજ્ઞાન દેવતાનાં અનુમાનો. સનાતન સત્ય મર્ત્યોના સહવાસમાં રહેતું નથી. તું મને જીવંત સત્યનું કલેવર પ્રથમ બતલાવ, પછીથી હું તને સત્યવાન પાછો આપીશ. સત્ય તો એ છે કે સત્યવાન મરી ગયો છે ને બીજા કોઈ પણ સત્યનો જાદૂ મૃતને જીવતો બનાવી શકશે નહીં. થયું છે તેને પૃથ્વીની કોઈ પણ શકિત મિટાવી શકશે નહિ. માટે સત્યવાનને છોડીને જગતમાં પાછી જ અને જીવ."

          સ્ત્રીસ્વરૂપાએ જવાબ આપ્યો : " યમ ! તું દેવ છે ખરો, પણ પ્રભુ નથી. પ્રભુ જયારે રાત્રિમાંથી ઉપર જાય છે ત્યારે તે સમયની તું એની છાયા છે. અચેતન દેવનું તું કાળું મસ્તક છે, અમૃત્વની આડે આવેલો પાપ અર્ગલ છે.

          પરસ્પર વિરોધી સર્વે વસ્તુઓ પ્રભુનાં જ સ્વરૂપો છે. પ્રભુ એક છે એ અનેક પણ એ જ છે, અવ્યક્તરૂપ છે ને અનંત વ્યકિતસ્વરૂપ પણ એ જ છે. પ્રભુ છે સનાતનની મુદ્રાધરતું મૌન, શાશ્વત શબ્દને એનો પ્રકાશ પ્રેરે છે. પ્રભુ છે અવિચલની અમર નીરવતા; એ છે સર્જક આત્મા ને સર્વશકિતમાન ઈશ્વર. એનો સંકલ્પ સર્વનું સંચાલન કરી રહ્યો છે. પ્રભુ છે સર્વથી પર ને છે કેવળસ્વરૂપ. એ જ છે આત્મા, એ જ છે જડ પદાર્થ, શૂન્યાકાર પણ એ જ છે, વ્યકિતસ્વરૂપ, વિશ્વસ્વરૂપ ને પરાત્પર પણ એ જ છે અને તેમ છતાંય એ એમાંનો એકે નથી. આ સર્વ રહસ્યમયી સમસ્યા છે. માણસ માત્ર સપાટીને જોઈ શકે છે. સર્વ કાંઈ

૭૨


સેળભેળ થઈ ગયેલું જોવામાં આવે છે, પણ તે સર્વની પાછળ એક યોજના છે ને એક ગુપ્તજ્ઞાન કાર્ય કરી રહેલું છે. પતનો આવે છે, ઠોકરો ખવાય છે પણ પ્રત્યેક પતનમાં ને ઠોકરમાં હેતુ રહેલો હોય છે. આ સર્વ સંવાદો ને વિવાદો મળીને ઉત્રક્રાંતિ મહાસંગીત સર્જે છે.

          એક પરમ સત્યે સર્વ સર્જ્યું છે, પણ આ સત્યે પોતના સ્વરૂપની આસપાસ જડદ્રવ્યની ચાદર લપેટી રાખી છે. નીરવ આકાશમાં આ સત્યે સૂર્યોને સળગાવ્યા છે, સત્ ને એણે જડ દ્રવ્યમાં પલટાવી દીધું છે, જ્ઞાનને ઢંકાયલી ને બહાર આવવાને મથામણ કરતી જ્યોતિનું રૂપ આપ્યું છે, આનંદને એણે જડ જગતનું સૌન્દર્ય બનાવ્યો છે. અંતવંત વસ્તુઓમાં સચૈતન્ય અનંતનો નિવાસ છે, નિઃસય જડ-તત્ત્વની સમાધિસ્થતામાં એ અંતર્લીન અવસ્થામાં પોઢેલો છે. એનું સ્વપ્ન આપણાં મન, હૃદય ને ચૈત્યને પ્રક્ષિપ્ત કરે છે. એ જ એમને કઠોર પૃથ્વી ઉપર એમની પંગુ ને બદ્ધ સ્થિતિમાં કામે લગાડે છે. અંતર્લીન ચૈતન્ય ક્રમે ક્રમે બહાર પ્રકટ થવા માંડે છે. એમ કરતાં એક સંવેદનશીલ સત્ત્વ સર્જાય છે, જે સુખદુઃખાદિના અનુભવમાં અલ્પ કાલ જીવતું રહી મૃત દેહને છોડી દે છે. પરંતુ આ અનુભવો દ્વારા ભીતરમાં છુપાયેલો એક ચૈત્ય આત્મા વૃદ્ધિ પામતો જાય છે. પૃથ્વી પરના અર્થરહિત જીવનને એ સાર્થ બનાવે છે. અર્ધ-દેવ પ્રાણી એવો વિચાર કરતો મનુષ્ય ઉત્પન્ન થાય છે. એ કીચડમાં આળોટે છે ને તે છતાં વિચાર વડે સ્વર્ગ પ્રત્યે ઊડે છે. વિહરતો, વિમર્શતો, હસતો ને રડતો ને સ્વપ્ન સેવતો  એ  પશુની પેઠે પોતાની લાલસાઓને  સંતોષે છે ને છેવટે એ સર્વમાંથી છટકીને  આધ્યાત્મિક જાગૃતિ માનસમાં અનુભવે છે. તે પછી એની મુકિતનો ને ઘુતિમાન ધુલોકનો એને માટે આરંભ થાય છે. એને શાશ્વતતાની ઝાંખી થાય છે, અનંતનો  સ્પર્શ થાય છે ને  અલૌકિક ઘડીઓમાં એને દેવોનો સમાગમ થાય છે. વિશ્વને એ  પોતાના વિશાળતર સ્વરૂપ રૂપે જુએ છે, હૃદયગુહામાં પ્રભુ સાથે એનો ગુપ્ત વાર્તાલાપ ચાલે છે.

           થોડાક આત્માઓ પરમ શૃંગે આરોહવાનું સાહસ આદરે છે, માતરિશ્વાના શ્વાસોચ્છવાસ લે છે, બૃહદ્ બ્રહ્યના સંદેશા ઝીલે છે, અંતર્જ્ઞાનની અપરિસીમ  આભામાં અંધોળે છે, સત્યલોકની સરહદે પહોંચી જાય છે. આમ માણસ ત્યાં જઈ તો શકે છે, પણ ટકી શકતો નથી. ત્યાં હોય છે વિશ્વ-વિરાટ વિચાર, જેના નાનામાં નાના અંશમાંથી આપણાં તત્ત્વદર્શનો જન્મ્યાં છે, તેમ છતાંયે આરોહણપરાયણા જ્યોતિ એથીયે ઊર્ધ્વમાં જઈ શકે છે. અને ત્યાં હોય છે સનાતન સૂર્યો, અમર પ્રકાશના સાગરો, સ્વર્ગોને આક્રાંત કરવાવાળી જવાળાઓની ગિરિપરંપરા. ત્યાંનો નિવાસી દેદીપ્યમાન દ્રષ્ઠા બની જાય છે, અદ્વેતનું અખંડ ભાન એનામાં પ્રબુદ્ધ થાય છે. આત્માનાં એકાંતો, મસ્તિષ્કની આકાશીય વિશાળતાઓ, હૃદયના રહસ્યમય ખંડો એની આગળ ઊઘડી જાય છે.

             ઊંચામાં ઊંચું ઉડ્ડયન ઊંડામાં ઊંડી દૃષ્ટિએ પહોંચી છે. સ્વયં-સ્ફુરિત જ્ઞાન

૭૩


છૂપાં સત્યોને શોધી કાઢે છે, વિચારને સૂર્યદૃષ્ટિ પ્રાપ્ત થાય છે, શબ્દ સત્યના ગૂઢ નિલયમાં પ્રવેશે છે ને જીવન વચ્ચેનો પડદો વિદીર્ણ થઈ જાય છે. ત્યાં છે અધિમનસની સરહદ, માનવ જીવના અનુભવને માટે અત્યંત વિશાળ ચેતનાનો પ્રદેશ. વિશ્વ-વિધાયક દેવ-સ્વરૂપો ત્યાં અવસ્થિત છે ને દરેક દેવ સ્વીય સ્વભાવ અનુસાર પોતાનું જગત બનાવે છે. ત્યાં ત્રણે કાળ એકાકાર બની ગયેલા હોય છે, અવકાશ એકમાત્ર મહાગ્રંથ બની ગયેલો હોય છે. નીચેના ને ઉપરના ગોલાર્ધોને સંયોજતી ને વિયોજતી રેખા ત્યાં આવેલી છે ને એ કાળને ને અકાળ શાશ્વતતાને અળગાં રાખે છે.

           સનાતન જ્યોતિના એ સોનેરી રાજ્યમાં પરમ વિરાજે છે. એ છે સર્વજ્ઞ ને સર્વશકિતમાન ને એકાકી. નીરવતાને પામેલા વિચાર પાર ઊર્ધ્વમાં અનામી હોવા છતાં નામધારી વિશ્વમાતા કાળાકાળ પારની પ્રકાશમાન પરમ શાન્તિમાં વિરાજમાન છે. એના અંકમાં સનાતન શિશુનાં દર્શન થાય છે. ત્યાં છે આપણી ભવિષ્યની આશા, અંધકારની ઝંખનાનો સૂર્ય, અમર સંવાદિતાનો મંગળ મેળ. આપણાં સર્વે સત્યો જેના માત્ર ટુકડાઓ છે તે પરમ સત્ય ત્યાં પ્રકાશે છે, સંઘર્ષ-માત્રને શમાવી દેનાર પરમ પ્રેમ ત્યાં પુલકાવે છે, આપણાં ઝુરતાં દુઃખો જેની પ્રાર્થનાઓ કરી રહ્યાં છે તે પરમાનંદ ત્યાં પ્રાપ્ત થાય છે. મહિમાઓ ત્યાંથી પૃથ્વી ઉપર પધારે છે, માનવ જીવને પ્રભુ ત્યાંથી આવી મળે છે, સૃષ્ટિનાં સ્વપ્નાનું સૌન્દર્ય ત્યાંથી ઉદય પામે છે, સનાતનની પૂર્ણતા કાળ-જન્મી પૂર્ણતાને ત્યાં રહીને પોકાર કરે છે. પ્રભુનું સત્ય મનુષ્ય આગળ ઓચિંતુ પ્રકટ થાય છે અને અંતવંત સ્વરૂપોને એ પકડી પાડે છે.

          અતિમનસ વિજ્ઞાનનું જગત નિત્યજ્યોતિનું જગત છે. ત્યાનું શરીર આત્મ-તત્વનું બનેલું હોય છે. ત્યાં કર્મ દ્વારા ચૈત્ય આત્મા આવિષ્કાર પામે છે, વિચાર અચૂક અને અનપેક્ષ હોય છે, જીવન એક અંખડ આરાધના બની એકસ્વરૂપને માટે થતા મહાયજ્ઞના પ્રહર્ષણનું રૂપ લે છે. સાન્ત સ્વરૂપમાં અનંતનું, અશરીરીના મુખનું ત્યાં દિવ્ય દર્શન થાય છે. એક આત્મા અનેક રૂપે વિલસતો હોય છે. અનંત એવો એક પરુષ અસંખ્ય વ્યક્તિ-સ્વરૂપોમાં વ્યક્ત થાય છે, કાળની ઘડીઓમાં થઈને અકાળ ડોકિયાં કરે છે, અનિર્વચનીય વાણીના વાઘા પહેરે છે, સર્વાશ્ચર્યસ્વરૂપ પ્રત્યેક  ઘટનાને ચમત્કારી બનાવી દે છે, પ્રત્યેક રૂપમાં સર્વસૌન્દર્યમયનું આશ્ચર્ય ઉલ્લસે છે. સત્ય આત્માને માટે સોમરસનું સુવર્ણપાત્ર બની જાય છે. પ્રત્યેક સત્ત્વ ત્યાં આત્માનું જ એક અંગ છે, એકતા ઉપર એનો અમર દાવો છે. બહુસ્વરૂપનું માધુર્ય ને ભેદનો આનંદ એકસ્વરૂપ સાથેની અંતરંગતાને લીધે તેજીલાં બની ગયેલાં હોય છે.

          પણ યમ ! કોણ તને સત્યનું દેદીપ્યમાન વદન બતાવી શકશે ? અમારા માનુષી શબ્દો સત્યની છાયા નાખી છાવરી લે છે. વિચાર માટે એ પ્રકાશનો અચિંત્ય અત્યાનંદ છે અને વાણી માટે અવર્ણનીય , આશ્ચર્ય, એનું તને દર્શન થાય તો તુરંત તું સુજ્ઞ

૭૪


બની જાય, રે ! તારો અંત પણ આવી જાય. આપણા આત્માઓ જો પ્રભુના સત્યનો સક્ષાત્કાર કરે અને આપણો પ્રેમ એને આલિંગનમાં લઈ લે તો આપણે પ્રભુના સ્વરૂપ સાથે સારૂપ્ય સાધીએ અને આપણું પાર્થિવ જીવન પ્રભુમય બની જાય. "

           હવે છેલ્લી વાર યમ જવાબમાં બોલ્યો : " સત્ય જો પોતાની સ્વપ્નમયી છાયાથી પર હોય તો એ બન્નેની વચ્ચે સેતુનું કાર્ય કોણ કરશે ? પૃથ્વીની ધુમ્મસ-ઘેરી હવામાં આવી પોતાનો મહિમા વેડફી મારવાનું કોણ  એને સમજાવશે ? મારી જાળ-માંથી છુટવાને પાંખો ફફડાવી રહેલા ઓ સુંદરશરીરધારી જીવ ! બોલ, તારામાં એ બળ છે ? માનવ છળવેશમાં છુપાયેલી તું કોણ છે ? તારા અવાજમાં અનંતતાનો ધ્વનિ છે, તારા શબ્દોમાં સત્ય બોલે છે, પારની વસ્તુઓનો પ્રકાશ તારી આંખોમાં પ્રકાશે છે. શું તારામાં કાળ ને મૃત્યુને  જીતવાનું સામર્થ્થ છે ? હોય તો તે ક્યાં છે ? સ્વર્ગની પ્રતિમૂર્ત્તિ પૃથ્વી ઉપર ઊભી કરવા માટેની પ્રભુની શકિત તારામાં છે ? શકિત વગરનું જ્ઞાન જગતનું રૂપાંતર કરવાને  શકિતમાન નથી. સત્યે નહિ, એક અંધ શકિતએ અજ્ઞાનનું જગત રચ્યું છે ને માનુષી જીવનોની  વ્યવસ્થા સાધી છે. પ્રકાશ દ્વારા નહિ, શકિત દ્વારા મહાન દેવતાઓ વિશ્વ ઉપર શાસન ચલાવે છે. શકિત છે પ્રભુનું શસ્ત્ર, શકિત છે ભાગ્ય ઉપર મરાયેલી મુદ્રા, અમૃતત્વનો દાવો કરવાવાળી ઓ માનુષી ! તારામાં શકિત હોય તો તેને પ્રકટ કર. તે પછી હું તને તારો સત્યવાન પાછો આપીશ. અથવા તો જો મહાસમર્થ શ્રીમાતા તારા સાથમાં હોય તો એના મંગળ મુખનું દર્શન કરાવ. હું મહામાતાને આરાધીશ. અમર્ત્ય આંખોને મૃત્યુની આંખમાં દૃષ્ટિ કરતી બનાવ. એ અવિનાશી શકિતના સ્પર્શથી પૃથ્વી ઉપરના મૃત્યુને અમર જીવનમાં પલટાવ. આ થયા પછી જ તારો મૃત સત્યવાન પુનરુજજીવન પામશે અને તને પાછો મળશે. પ્રણતા પૃથ્વી પ્રભુના ગુપ્ત શરીરને સમીપવર્તી બનાવશે અને પરમપ્રેમ પલાયિત કાળને પકડી પાડશે."

           સાવિત્રીએ યમ સામે મીટ માંડી જોયું ને એને કશો ઉત્તર ન આપ્યો. સવિત્રીમાં તત્કાલ એક મહૌજસ્વી રૂપાંતર થઈ ગયું. એના અંતરમાં અધિષ્ટિત મહાદેવીના આભામંડલે, એના મુખ પર પ્રકાશતી અમૃતસ્વરૂપની જીવંત જ્યોતિએ એનાં અંગોને આવરી લીધાં. એની આસપાસની હવા જાજવલ્યમાન સાગર બની ગઈ. અવતારે આડે પડેલો પડદો અળગો કર્યો. અનંતતાની મહીં સાવિત્રી હતી તો એક નાનકડી માનવ મૂર્ત્તિ, છતાંય અત્યારે એ સનાતનનું સક્ષાત્ ધામ બની ગઈ હતી. એનો આત્મા બન્યો 'તો બ્રહ્યાંડનું કેન્દ્ર ને અવકાશ હતો એનું બહારનું અંબર.  બે તારાઓ જેવી એની આંખો સર્વજ્ઞત્વ સ્ફુરતું હતું. એનાં ઊર્ધ્વના આત્મામાં રહી જે શકિત શાસન ચલાવતી હતી અને એનાં હૃદયકમળમાં જેનું સાન્નિધ્ય હતું તે એનાં ભવાં વચ્ચેના આજ્ઞાચક્રમાં ઊતરી. ધ્યાનના  ધામમાં રહી એ તૃતીય નેત્ર ઉઘાડે છે ને જે દેખાતું નહોતું તે દેખાવા માંડે છે. નિત્યનું જ્ઞાન અને નિત્યનો સંકલ્પ મર્ત્યના સંકલ્પને પોતાનો બનાવી દે છે. ત્યાંથી તે કંઠના

૭૫


વિશુદ્ધ ચક્રમાં ઊતરી ને વાણીએ અમર શબ્દનું રૂપ લીધું. વિશ્વવિચારની સાથે તાલમેળ સીધી એણે હૃદયમાં પ્રવેશ કર્યો અને ભાગ્યને પલટાવી નાખનારી શકિતને જગાડી. નત નાભિચક્રમાં પ્રવેશી કામનાને  એણે અલૌકિક અર્ચિષનું રૂપ આપ્યું. સ્વાધિષ્ઠાન ચક્રમાં જઈ ક્ષુદ્ર પ્રાણને એણે પોતાનું નિવાસસ્થાન બનાવ્યું. પછી મૂલાધારમાં જઈ ત્યાં સૂઈ રહેલી કુંડલિનીને  આઘાત કર્યો ને સહસ્રફણાધારી સર્પને જગાડયો , ને એ જવાલામય મહાસ્થંભ સમાન ઊંચે ઉભો થયો ને વિશ્વાત્માને આશ્લેશ્યો. જડતત્ત્વની મૂકતા બ્રહ્યાત્મની નીરવતા સાથે સંયોજાઈ ગઈ, અને પાર્થિવ પ્રવૃત્તિઓ પરમાત્માની નીરવ  શકિતથી સભર બની ગઈ.

            આમ રૂપાંતર પામી ગયેલી સાવિત્રી આદેશશબ્દની રાહ જોતી ઊભી. શાશ્વતતાએ મૃત્યુ સામે મૃત્યુંજય મીટ માંડી. અંધકારે પરમેશ્વરની સજીવ સત્તાને પ્રત્યક્ષ કરી. પછી સમાધિષ્ઠ હૃદયના મૌનને સંબોધતો  અણરવ આત્માનો શબ્દ સંભળાયો :

             " હે સર્વસમર્થ  યમરાજ ! હે વિજયી મૃત્યુદેવ !  મારાં તને અભિનંદન છે. તું છે અનંતનો મહાપ્રભાવી અંધકાર, સર્વને અસ્તિત્વ માટે સ્થાન કરી આપનારી રિક્તતા; વિશ્વને તું ભરખી જાય છે. સર્વ-જ્ઞાન  જેમાં સૂતું છે તે અજ્ઞાન તું છે; તું છે મારી છાયા, તું છે મારું હથિયાર. માનવ જીવ પ્રકાશ પ્રત્યે પ્રેરાય અને પ્રયત્નશીલ બને તે માટે મેં તને ત્રાસની, શોકની અને દુઃખની તીક્ષ્ણ તરવરે સજ્યો છે. તું માનવને મહિમાઓ પ્રત્યે હાંકે છે, નિત્યના સુખ માટે ઝૂરતો બનાવે છે, અમૃતત્વ માટેની એની તેજીલી આવશ્યકતા બની જાય છે. હજી તારી જરૂર છે, તું ભલે રહે. પણ એક દિવસ માણસ તારા અગાધ ઊંડા હૃદયનું માપ લેશે, તારી મીટમાં જે અણનમ પ્રશાંત અનુકંપા છે તેનું રહસ્ય જાણશે. પરંતુ અત્યારે તો તું મારી અવતારી શકિતના માર્ગમાંથી હઠી જા, અને તારા કફનમાંથી પ્રકાશમાન દેવને-સત્યવાનને મુક્ત કર. સત્યવાન જીવનનો ને ભાગ્યનો વિધાતા બનીને વિરાજશે. પૃથ્વી ઉપર એ પ્રભુનો પ્રતિનિધિ છે, પ્રજ્ઞાનો ને પ્રભાનો પ્રિયતમ છે, સનાતન વધુનો સનાતન વર છે."

             મૃત્યુએ હજીય આનાકાની કરી. જાણવાની ને જોવાની એ ના પાડતો હતો, છતાંય એ જાણતો 'તો ને જોતો'તો. એનો આત્મા નમ્યો પણ  દેવોનેયે બંધનકારક એનો સંકલ્પ એના સ્વભાવને વશ હતો. બન્નેને એકબીજાની સામે ઊભા 'તા,-કાળા દુર્ગ જેવો યમ ને એને ઘેરતો સાવિત્રીનો દિવ્ય આત્મા. સાવિત્રીની સચેત શકિતએ એની ઉપર સાગ્રહ આક્રમણ કર્યું, --સામેથી, ઉપરથી ને આસપાસથી. પ્રકાશે પાવક બનીને યમના વિચારોને આચમી લીધા; એના હૃદયમાં પ્રવેશતાં વાર એ એને માટે અસહ્ય યાતનારૂપ થઈ થઈ પડયો; એની નસેનસમાં મહાવેદના બની એ વહેવા લાગ્યો; એનો અંધકાર બડબડાટ સાથે સાવિત્રીની ભડભડતી જવાળામાં પ્રણાશ પામ્યો. યમે રાત્રિનું આવાહન કર્યું, પણ એ ફફડાટ ભરી  પાછી પડી; એણે પાતાળને પોકાર કર્યો, પણ તેય ગ્લાનિગ્રસ્ત બનીને જતું રહ્યું. એ અચિત્

૭૬


તરફ વળ્યો, તો તેણે એને સીમારહિત રિક્તતામાં પાછો ખેંચ્યો; એણે પોતાના પુરાણા બળને બોલાવ્યું પણ તેણે કશું સંભાળ્યું નહિ. હવે એને લાગ્યું કે પરાજય પૂરેપૂરો અનિવાર્ય છે, પોતે માનવ જીવને પોતાનો શિકાર બનાવી શકશે નહિ; અમર આત્માને મર્ત્ય થવાની ફરજ પાડવાનું કામ એને માટે હવે અશક્ય હતું, એટલે એ નાઠો ને પોતે જે કાળા શૂન્યમાંથી આવ્યો હતો તેમાં અદૃશ્ય થઈ ગયો.

            સાવિત્રી ને સત્યવાનના ચૈત્યોમાંથી સાંધ્યપ્રકાશનો પ્રદેશ પ્રલીન થઈ ગયો, ને બન્ને ત્યાં એકલાં અવશેષમાં રહ્યાં. બેમાંથી એકે ન હાલ્યું કે ચાલ્યું. બન્નેની મૂત્તિઓ વચ્ચે અરવ, અદૃશ્ય ને અર્ધપારદર્શક એક દીવાલ દેખાઈ. સર્વે અજ્ઞાત ને અવિકલ્પ સંકલ્પની પ્રતિક્ષા કરવા લાગ્યાં.

 

 

ઢોળાવ એક આવ્યો જે ધીરે ધીરે નીચે ઊતરતો હતો;

સરકી એ જતો એક ઠોકરાતા ભૂરા ઉતરણ પ્રતિ.

નિસ્તેજ-હૃદયી ડૂલ ચમત્કાર થઈ આદર્શનો ગયો;

એનું સંકુલ આશ્ચર્ય ઊજળાં ને નાજુક સપનાંતણું

અને અલિખિતા અર્ધ અવિસ્પષ્ટ

એની ઉદાત્તતાઓને સાવિત્રીએ તજી હતી:

પડયો  વિચાર નીચેની સપાટીઓતણી પ્રતિ;

બની કઠોર ને તંગ

કો કાચી સત્યતા માટે એ સવેગ જતો હતો.

પ્લ્વતી 'તી હજી સંધ્યા, પણ એણે સ્વરંગો બદલ્યા હતા

ને એ ગાઢ લપેટાઈ હતી ઓછા આમોદી સ્વપ્નની પરે;

હવા પર ઠરી'તી એ પરિશ્રાંત રાશિઓના સમુહમાં;

મંદ લાલોતણી સાથે પ્રતીકાત્મક એહના

રંગો મેળે મળી જતા,

ને પ્રાયઃ લાગતા 'તા એ દિન કેરી ધૂંધળી ધૂમિકા સમા.

તણાવ તંગ ને ઘોર ઘેરો એના હૈયાને ઘાલતો હતો;

એની સંવેદના ભારે થઈ ભીષણ ભારથી,

વધુ વિષણ્ણ ને મોટા સ્વરો એને શ્રવણે પડતા હતા,

અને કડક તૂટોમાં ઝબકંતી પ્રભાતણી

દૃષ્ટિ પકડતી એની મેદાનોને વેગભેર ધસી જતાં,

પર્વતો અભ્રથી છાયા ને વિશાળા પ્રવાહો પિંગ વર્ણના,

અને ફોક ફેરફાર વિનાના નભની પ્રતિ

મિનારા ને ટાવરોની તુંગતા ધરતાં પુરો :

 

૭૭


 

છાયા-રૂપો માનવીના વિચારનાં

ને નકામી નીવડેલી આશાઓનાં મનુષ્યની

રૂપો પ્રકૃતિ કેરાં ને કળાઓનાં,

દર્શનો ને સાધનાઓતણાં ને નિયમોતણાં,

અને જૂના સમાજોના મૃતાત્મનાં,

દૈત્યની રચનાઓનાં, રચનાઓતણાં કીટકજાતની.

જાણે કે નષ્ટ શેષાંશ નવ હોય વીસરાયેલ જ્યોતિના

તેમ મન સીમીપેથી એના ભાગી જતા હતા

ઘસડાઈ જતી પાંખે

આવિષ્કારો ઝંખવાયા અને શબ્દો વિમોચતા,

આદિષ્ઠ કાર્યથી રિક્ત, રિક્ત ત્રાયક શકિતથી,

સંદેશો શુભવાર્તાઓ લાવતા દેવતાણા,

પેગંબરોતણી વાણી અને શાસ્ત્રો પંથોનાં  લોપ પામતા.

આદર્શો, તંત્ર, વિજ્ઞાનો, કાવ્યો, કાર્યો કલાકારીગરીતણાં

અશ્રાંત પામતાં નાશ ત્યાં, ને પાછાં પુનરાવૃત્તિ પામતાં,

જેમને ઢૂંઢતી એક અવિશ્રાંતભાવે સર્જકશકિત કો.

પણ સર્વ હતાં સ્વપ્નાં કરી પાર જતાં રિક્ત અસીમને.

શૃંગોએ શૈલનાં યા તો તટોએ સરિતાતણા

એકાકી ઋષિઓ કેરા તપ:સેવી સ્વરો બોલાવતા હતા,

અથવા વનવીથીઓ કેરા નિર્જન હર્દથી

શોધતા સ્વર્ગ-આરામ કે નિઃશબ્દા શાંતિ બ્રહ્યસ્વરૂપની,

કે નિશ્ચલ શરીરોમાં પ્રતિમા શાં, સમાધિસ્થિરતા ધરી

વિચાર વિરમી જાતાં નિદ્રાવિહીન તેમનો,

સૂતો જીવો હતા બેઠા, ને આયે સપનું હતું.

ભૂતકાળે બનાવેલી ને હણેલી વસ્તુઓ સર્વ ત્યાં હતી,

એનાં લુપ્ત ભુલાયેલાં  હતાં રૂપો જીવંત એકવારનાં ,

ને સૌ અત્યારના સ્નેહો પ્રકટેલા નવા બની,

ને ભાવી લાવતું 'તું જે આશાઓ સૌ

કયારનીયે નિષ્ફલા નીવડેલ જે,

મોઘ યત્નોમહીં ગ્રસ્ત ને સમાપ્ત થયેલ જે,

પુરાવૃત્તિઓ વ્યર્થ યુગથી યુગ પામતી,

અહીંયાં એ બધું હતું.

અશ્રાંત સઘળું પાછું આવતું 'તું હજી આગ્રહ રાખતું.

કેમ કે ખોજ માટેની યંત્રણા સુખ આપતી,

૭૯


 

શ્રમકાર્યે હતો હર્ષ, પ્રાપ્તિમાં ને ખોવામાં હર્ષ આવતો.

સર્જવાનો હતો હર્ષ, રક્ષવામાં હતો ને હણવામહીં.

ચક્રની ગતિએ ચાલ્યા યુગો જાતા હતા ને આવતા ફરી,

એના એ જ શ્રમો, એના એ જ વંધ્ય અંતને લાવતા હતા,

રૂપો નિત્ય નવાં, નિત્ય પુરાણાં લાવતા હતા,

લાવતા 'તો દીર્ધ ઘોર પરિભ્રમણ વિશ્વનાં .

 

એકવાર ફી ઊઠયો ઘોર નાશક નાદ એ :

વિશ્વોનું મોઘ જાનારું પરિભ્રમણ લંઘતું,

હરાવી સર્વને દેતું એના જંગી ઇનકારતણું બલ

દુઃખી કાળતણી અજ્ઞ પ્રયાત્રાનો લઈ પીછો રહ્યું હતું.

" નિહાળ મૂર્ત્તિઓ તું આ પ્રતીકાત્મક રાજ્યની,

જો એની દૃઢ રેખાઓ સર્જનાત્મક સ્વપ્નની

પ્રેરતી પૃથિવી કેરાં મોટા નક્કર કાર્યને.

માનવી જિંદગી કેરું જે દૃષ્ટાંત બનેલ છે

એ એની ગતિમાં આંકી શકશે પરિણામ તું

જેહ પ્રકૃતિ આપે છે પાપને અસ્તિતાતણા,

ભ્રમને  વસ્તુઓમાંના

ને ઈચ્છાને જીવવાની બેળે ફરજ પાડતી,

અને માનવના અશારૂપી  અસાધ્ય રોગને.

અવિકારી વ્યવસ્થાની  ક્રમિક શ્રેણિની મહીં

મનુષ્ય પલટો પામી શકતો ના

પલટો જ્યાં નથી પ્રકૃતિ પામતી :

રહે એ અનુવર્તંતો  સ્થિર એનો કાયદો ફેફારનો;

વારંવાર કહેવાઈ ગયેલી એહની કથા

નવી આવૃત્તિ પામતી,

હમેશાં ઘૂમતાં રે'તા ચક્કરોમાં જાતિ ગોળ ફર્યા કરે.

મન એનું પુરાયું છે ચકરાવા લેતી સરહદોમહીં :

કાં કે મન મનુષ્ય છે,

અને વિચારની પાર એ ઊડી શકતો નથી.

સીમા જો નિજ એ છોડી શકે તો એ સુરક્ષિત રહી શકે :

જુએ છે એ કિંતુ ના એ આરોહણ કરી શકે

છે મહત્તર પોતાનાં સ્વર્ગો જે તેમની પ્રતિ;

પાંખો હોવા છતાં પાછો પડે છે એ જમીને નિજ જન્મની.

૮૦


 

પોતાના મનની જાળે છે બંદીવાન એ બન્યો,

ભીંતો સામે જિંદગીની અફાળે છે પાંખો એ નિજ આત્મની.

હૈયું એનું વૃથા ઊંચે ઉઠાવે છે ઝંખતી નિજ પ્રાર્થના,

દેદીપ્યમાન દેવોએ વસાવીને રૂપરહિત શૂન્યતા;

થઈ નિરાશ તે કેડે વળે એ શૂન્યની પ્રતિ

ને માગે મોક્ષ એ એના સુખભાવી અભાવમાં,

નિર્વાણે શાંત આત્માના પોતાના સપનાતણાં.

મૌનમાં શમતો શબ્દ, શમતું નામ શૂન્યમાં

સમુદાયોમહીં મર્ત્ય એ બોલાવે અવર્ણ્ય પ્રભુને પૃથક્

એકલા નિજ આત્મની ઉપરે પ્રેમ રાખવા,

કે નાખે એ નિજાત્માને  એના શૂન્ય સમાલિંગનની મહીં,

કે સર્વમય નિષ્પક્ષે  કરે પ્રાપ્ત પોતાની પ્રતિમૂર્ત્તિને;

સ્વીય સંકલ્પ આરોપી દે એ નિશ્ચલની પરે,

અને શાશ્વતને રોષ અને પ્રેમ કેરાં લક્ષણ આપતો,

ને હજારો નામ આપે એ અનિર્વચનીયને.

એના જીવનમાં નીચે બોલાવીને પ્રભુને લાવવાતણી

આશા તું રાખતી નહીં :

જે સનાતન છે તેને શી રીતે તું બોલાવી લાવશે અહીં ?

સવેગ સરતા કાળે એને માટે નિવાસ ના.

જડદ્રવ્યતણે વિશ્વે વૃથા તું લક્ષ્ય શોધતી;

કશું લક્ષ્ય નથી ત્યાં, છે ઈચ્છા માત્ર અસ્તિમાં આવવાતણી.

બધા પ્રકૃતિના બાંધ્યા ચાલે એના એ જ રૂપે રહી સદા.

જો આ રૂપો રહે છે જે અલ્પ કાળ ને ચાલ્યાં જાય જે પછી,

જીવનો આ જો કરે જે ઝંખના ને પરિશ્રમો

ને પછીથી સાવ લુપ્ત થઈ જતાં,

જો આ ઈમારતો સ્થાયી સત્ય ના જેમની મહીં,

જો ઉદ્ધારક આ ધર્મો પોતાનો જે કરી ઉદ્ધાર ના શકે.

પરંતુ વરસો કેરા ગળું દાબંતા હસ્તમાં

પોતે પ્રણાશ પામતા,

ગયેલા બ્હાર ફેંકાઈ માનવીના વિચારથી

અને કાળે ઠરાવાયેલ જૂઠડા,

તત્વજ્ઞાનો  કરી દેતાં નંગા જે સહુ પ્રશ્નને

પરંતુ પૃથિવી કેરો થયો આરંભ ત્યારથી

એકે પશ્ન ઉકેલ્યો જેમણે નથી,

૮૧


 

અને વિજ્ઞાન-વિદ્યાઓ જેમની છે વ્યર્થ સર્વસમર્થતા

બાહ્ય સૂર્યો બનેલા છે તેનું જ્ઞાન જેથી માનવ મેળવે,

બાહ્ય જરૂરિયાતોને પોતાની પાડવા

જેના દ્વારા રૂપો સૌ પલટાવતા,

શીખ્યા છે વ્યોમની વાટે સવારી કરતાં અને

સમુદ્રજલની નીચે સ્વ-નૌકાઓ ચલાવતાં,

કિંતુ પોતે કોણ છે ને શેં આવ્યા છે તેનું જ્ઞાન ન પામતા;

આ તંત્રો રાજયનાં-શિલ્પો મનનાં માનવીતણા,

શુભાશુભતણી ઈંટે દીવાલોમાં પૂરતાં મનુજાત્મને,

તાડોવાળાં ગૃહો છે જે મહેલો ને કેદખાનાંય સાથમાં,

સડે શાસન-વેળા જે ને ધબે એ તે પહેલાં ધબી જતાં;

ક્રાંતિઓ આ, દૈત્યની કે પીધેલા દેવતાણી,

ક્ષુબ્ધ કરતી કાયા ઘવાયેલી જાતિની માનવીય જે,

પુરાણે મુખડે માત્ર નવા રંગો લગાડતી;

આ યુદ્ધો, વિજયી હત્યાકાંડો આ ને પાયમાલીય પાગલી,

ઘડીમાં શતકો કેરું શિલ્પ લુપ્ત થઈ જતું,

પરાજિતોતણું રક્ત ને તાજ જીતનારનો

પડશે આપવું જેનું મૂલ્ય પીડા સહી સહી

માણસોએ જન્મનાર ભવિષ્યમાં,

દિવ્ય મુખ વિજેતાનું અંગો ઉપર વન્યનાં,

દમામ દૈત્યો અર્ધ-દેવ કેરા મહિમા સાથ મિશ્રિત,

મહાપ્રભાવ ને સાથે પશુતા ને કલંક શરમાવતું,--

શા માટે સઘળું છે આ, શ્રમ, ઘોંઘાટ કેમ આ,

ક્ષણભંગુર હર્ષો ને અકાલ અશ્રુ-સાગર,

ઝંખના, આશા, પોકાર, યુદ્ધ, જય, પરાજય,

લક્ષ્યવિહીન યાત્રા જે અટકી ન કદી શકે,

જાગતો શ્રમ ને નિદ્રા અસંબદ્ધ, આ શા ઉદ્દેશથી બધું ?

ગાન, ચિત્કાર, આક્રંદ, પ્રાજ્ઞતા, વચનો વૃથા,

મનુષ્યનું હાસ્ય, દેવો કેરી ઉકિ્ત કટાક્ષની ?

ક્યાં લઈ જાય છે કૂચ, યાત્રા ક્યાં જાય છે લઈ ?

માર્ગનો નકશો કોની પાસે છે ને પ્રત્યેક ભૂમિકાતણી

કોણ છે યોજના કરી ?

સ્વયંચાલિત વા વિશ્વ પોતાને મારગે જતું ?

અથવા તો નથી કાંઈ સ્વપ્નસેવી એક મનતણા વના :

૮૨


 

ક્પોલક્લ્પના એક છે જગત્ જે સત્યરૂપ બનેલ છે,

સચેત મનના દ્વારા પોતાને જ કથિતા કલ્પિતા કથા,

પ્રતિબિંબિત ને વાઘ વગાડાતું

જડદ્રવ્ય તણી મિથ્થા આભાસી ભૂમિકા પરે,

અસત્  વિરાટમાં પોતે જ્યાં અવસ્થિત છે થયું.

કર્ત્તા છે મન, દ્રષ્ટા છે, નટ છે, રંગમંચ છે:

મન કેવળ છે ને એ વિચારે જે તે દૃશ્યમાન થાય છે.

જો હોય મન સર્વસ્વ તો તજી દે આશા તું સુખ-શર્મની;

જો હોય મન સર્વસ્વ તો તજી દે આશા પરમસત્યની.

કેમ કે મન ના સ્પર્શ કદી પામી શકે સત્ય-શરીરનો,

આત્માને પ્રભુના જોઈ શકે મન કદીય ના;

કેમ કે પ્રભુથી પાછું વળી એ જવ જાય છે

આભાસી વસ્તુઓની વ્યર્થતા પ્રતિ,

છાયા માત્ર ગ્રહે ત્યારે પ્રભુની એ, હાસ્ય એનું ન સાંભળે.

મન વસ્ત્ર વણાયેલું છે છાયા ને પ્રકાશનું

જેમાં ખરું અને ખોટું સીવી લે છે અંશો  સંમિશ્ર એમના;

અથવા મન છે લગ્ન થયું પ્રકૃતિ હસ્તકે

પ્રતિજ્ઞાપત્રની સાહ્યે સત્ય ને જૂઠની વચે,

સુખ ને દુઃખની વચે.

ના આ ઝગડતું જોડું છુટું પાડી શકાતું કો અદાલતે.

સિક્કો સોનાતણો એક છે પ્રત્યેક વિચાર, જ્યાં

મિશ્રધાતુતણો ઝગમગાટ છે,

સવળી-અવળી એની બાજુઓએ ભ્રાંતિ ને સત્ય છે રહ્યાં:

આ છે ભેજાતણો શાહી સિક્કો, ને આ પ્રકારનું

નાણું એનું ચલણી સઘળુંય છે.

જીવંત સત્યને પૃથ્વી પર તું ના રોપવાનું વિચારતી,

કે જડદ્રવ્યનો  લોક પ્રભુ કેરા ધામમાં પલટાવવા;

નથી ત્યાં આવતું સત્ય, કિંતુ આવે માત્ર વિચાર સત્યનો,

પ્રભુ પોતે નથી ત્યાં, છે પ્રભુનું નામમાત્ર ત્યાં

આત્મા જો હોય તો તે છે અશરીરી અને અજ;

પોતે કોઈ નથી એ ને સ્વામી ના કોઈ એહનો, 

શાના આધારથી તો તું રચશે સ્વ સુખી જગત્ ? 

પ્રાણ ને મનને દૂર ફગાવી દે, છે પછી આત્મરૂપ તું,

સર્વવ્યાપકતા સર્વદર્શી કેવળ એકલી,

૮૩


 

પ્રભુ જો હોય તો તેને વિશ્વ કેરી પડી નથી;

સ્થિર નિષ્પક્ષ દૃષ્ટે એ વસ્તુઓ સૌ વિકોલતો,

દંડયાં છે હૃદયો સર્વે એણે શોકથકી ને કામનાથકી,

જવાબ આપતો ના એ પ્રાર્થનાના જ્ઞાનહીન પુકારને.

નીચે પરિશ્રમે લાગ્યા હોય છે યુગ તે સમે

એ સનાતન, અક્ષુબ્ધ ને અસ્પૃષ્ટ

પોતે જે કૈં બનાવ્યું છે તે મધ્યેના તમમાથી,

આસપાસતણા તારા વચ્ચે ઝીણી વિગતો અવલોકતો

પશુની યાતનાની ને માનવીના નસીબની:

અપાર જ્ઞાન છે એનું, અતિક્રાંત કરે તારો વિચાર એ;

એનો એકલ આનંદ અપેક્ષા ના તારા પ્રેમતણી કરે.

વિચારણે  મનુષ્યોના  એનું સત્ય ન નિવાસ કરી શકે:

સત્ય તું વાંછતી હોય તો સદાને માટે મન કર સ્થિર.

હણાયેલું મૂક અદૃષ્ટ જ્યોતિએ.

અમરાનંદ ના વાસ મનુષ્યોના વાતાવરણમાં કરે:

શી રીતે મહતી માતા સ્વ પ્રશાંત પ્રમોદને

રાખે આમોદથી પૂર્ણ સાંકડા આ ભંગુર પુષ્પપાત્રમાં,

ને હૈયાં જે સમાંક્રાન્ત થતાં પાર્થિવ શોકથી

અને લાપરવા મૃત્યુ જે દેહોને હણી મન થતાં શકે,

ત્યાં પોતાનો મહાનંદ નિવસાવે મધુરો ને અખંડિત ?

પ્રભુએ જે પ્રયોજ્યું છે જગત્  પલટાવવા

કેરાં સ્વપ્ન ન સેવતી,

બદલી નાખવાને તું મથતી ના એનો ધર્મ સનાતન.

દુઃખ સામે વસયેલાં દ્વારોવાળાં હોય જો સ્વર્ગધામ તો

પામી તું ના શકી ભોમે તે આનંદ કેરી તું કર ખોજ ત્યાં;

યા તો અમર્ત્ય ગોલાર્ધે જ્યોતિ છે સહજા જહીં

ને છે આનંદ રાજવી,

ને આત્મા છે વસ્તુઓની મૃત્યુથી મુક્ત ભૂમિકા,

ત્યાં પસંદ કરી લે તું નિજ સ્થાન

ઊર્ધ્વવર્તી, પુત્રી, શાશ્વતતાતણી !

જો આત્મા હોય તું ને હો' તારી પ્રકૃતિ કાંચળી,

તો ઉતારી નાખ વેશ ને થા નગન આત્મ તું,

અવિકારી અમર્ત્ય નિજ સત્યમાં,

૮૪


 

નિત્ય માટે એકમાત્ર મૂક કેવલ એકમાં.

વળ તો પ્રભુની પ્રત્યે, એને માટે સઘળું તજ પૂથળે;

ભૂલી પ્રેમ જઈ, ભૂલી જઈને સત્યવાનને,

મિટાવી જાતને દે તું પ્રભુની સ્થિર શાંતિમાં.

નિઃસ્પંદ પરમાનંદે પ્રભુના થા, ઓ હે આત્મ ! નિમગ્ન તું.

કેમ કે પ્રભુને શૃંગે પ્હોંચવાને

મરવાનું છે તારે જાતની પ્રતિ:

હું, મૃત્યુ, દરવાજો છું અમૃતત્વે પ્રવેશનો."

કુતર્કી દેવને કિંતુ સાવિત્રી ઉત્તરે વદી:

" એકવાર ફરી પાછો બોલાવી તું લાવશે શું પ્રકાશને

સત્ય કેરી આંખો અંધ બનાવવા,

બનાવી જ્ઞાનને દેશે ફૂંદો અજ્ઞાન-જાળનો

ને મારો જીવતો આત્મા હણવાને

શબ્દને શું બાણ એક બનાવશે ?

થાકી ગયેલ જીવોને, યમરાજ ! વર તારા સમર્પ તું,

સમર્પ હૃદયોને જે કાળ કેરા ઘા સહી શકતાં નથી,

તન ને મનની સાથે બંધાયેલા છો એ બંધો વિદારતા

અને ભાગી જઈ શુભ્ર શાંતિમાં છો પ્રવેશતા

ભગવાનતણી લીલામાંથી એક આશ્ચયાર્થે પુકારતા,

જરૂર વરદાનો છે તારાં મહાન, કેમ કે

તું પોતેય  स एव છે !

પરંતુ ધામ છું હું જે મહામાતા કેરી પ્રચંડ શકિતનું,

ધામ એની દૃષ્ટિનું જે

વળેલી છે અર્થ જોવા સમસ્યારૂપ વિશ્વનો,

ધામ સંકલ્પનું એના જે સંકલ્પતણી પરે

જ્ઞાનના સૂર્યની જવાળાદાર પાણી બનેલ છે,

ધામ પ્રેમતણા એના હૈયાના દીપ્ત મૌનનું,

તે આરામ કઈ રીતે શોધવાની અનંતા શાંતિની મહીં ?

છે વિશ્વ એક અધ્યાત્મ વિરોધાભાસ, જેહનો

આવિષ્કાર થયેલો છે અપેક્ષાને કારણે અણદીઠની,

વિચાર અથ વાણીથી પર નિત્ય છે જે તે तत्-સ્વરૂપનો

જીવની ગ્રાહ્યતા માટે કંગાલ અનુવાદ છે,

છે પ્રતીક, કદી જેનું ન પ્રતીક થઈ શકે,

ખોટી બોલાયેલી ભાષા, છે જૂઠી જોડણી છે સત્ય તોય જે.

૮૫


 

આવી છે શકિતઓ એની શાશ્વત શિખરોથકી

ને અંધાર અચિત્  ગર્તે ગરકી એ ગયેલ છે

અને છે ઉદભવી ત્યાંથી કરવાને નિજ અદભુત કાર્ય એ.

છે ચૈત્ય જીવ અવ્યક્તરૂપની એક આકૃતિ,

પ્રયાસ મન કેરો છે કરવાનો વિચાર અવિચાર્યનો,

મથે જીવન બોલાવી લાવવાને જ્ન્માર્થે અમૃતાત્મને,

ને અસીમાત્મને દેહ મથે લાવી મંદિરે પધરાવવા.

કાપી પૃથક્ કરાયેલું નથી વિશ્વ સત્ય ને પરમાત્મથી.

સેતુ બંધાય ના એવો કાળો ખાડો ખોધો છે અમથો જ તેં,

અમથી છે કરી ઊભી ભીંત અંધી અને દ્વારવિહીન તેં,

તારામાં થઈને સ્વર્ગે જાય જીવ મનુષ્યનો,

મૃત્યુ ને રાત્રિની મધ્ય થઈને સૂર્ય સ્વર્ગનો

બળાત્કારે નિજ મારગ મેળવે;

આપણા સત્ત્વની ધારે એની દેખાય છે ધુતિ.

મન મારું છે મશાલ પ્રગટેલી જે સનાતન સૂર્યથી,

મારું જીવન છે પ્રાણોચ્છવાસ એક લેતો જે અમરાતિથિ ,

છે સનાતનનું ધામ મારું મર્ત્ય કલેવર.

મશાલ કયારનીયે  છે બનેલી અમર પ્રભા,

બની જીવન ચૂક્યું છે ઓજ અમર આત્મનું,

બની ગૃહ ગયેલું છે ભાગ એક ગૃહસ્થનો.

શા આધારે કહે છે તું

કે કદી અજવાળી ના શકે સત્ય મનને માનવીતણા,

ને મહાસુખ આક્રાંત મર્ત્યના ઉરને કદી

કરવાને સમર્થ ના,

કે પોતે જે રચ્યું છે તે

જગતે પ્રભુ કેરો ના અવતાર થઈ શકે ?

સૃષ્ટિ જો હો' થઈ ઊભી અર્થરહિત શૂન્યથી,

અશરીરી શકિતમાંથી જન્મ્યું જો જડદ્રવ્ય હો,

અચેત તરુએ ઊંચે આરોહી જો શક્યું જીવન હોય, ને

લીલમી પર્ણરૂપે જો હોય ફૂટી શક્યો આનંદ લીલમી,

ને ફૂલોમાં હોય ફૂલી શક્યું એનું હાસ્ય સુંદરતાતણું,

અને જો માંસપેશીમાં, શિર ને જીવકોષમાં

જાગી ઊઠી શકી સંવેદશીલતા,

ને ભૂરા દ્રવ્યને ભેજાતણા ઝાલી શક્યો હોય વિચાર જો,

૮૬


 

ચૈત્ય ડોકી શક્યો હોય

માસમાટી મધ્યમાંથી પોતાની ગુપ્તાથકી,

તો અનામી જ્યોતિ મારી તરાપ માણસો પરે

શેં આવી શકશે નહીં,

અને પ્રકૃતિની નિદ્રથકી અજ્ઞાત શકિતઓ

પ્રકટી શકશે ન શેં ?

દેદીપ્યમાન સત્યની

અત્યારે પણ ઊઠે છે સૂચનાઓ જાગી તારકના સમી

માનસી ચંદ્રિકાયુક્ત અવિદ્યાની પ્રભાવી પ્રતિભાથકી;

સ્પર્શ અમર પ્રેમીનો અત્યારેય  આપણાથી લહાય છે:

જો જરા જેટલું દ્વાર ઊઘાડું થાય કક્ષનું,

તો રોકી શકશે કોણ છાનામાનો પ્રવેશ પરમેશનો

કે સુપ્તાત્મા પરે એની ચૂમી કેરી

કરવાને મનાઈ કોણ છે ક્ષમ ?

ક્યારનો સમીપે છે પભુ, સત્ય ક્યારનુંય સમીપ છે:

ના એને ઓળખી કાઢે કાળો નાસ્તિક દેહ જો

તો તેથી નહિ સ્વીકારે જ્યોતિને જ્ઞાનવાન શું

ને શું દ્રષ્ટા નિજાત્માને નકારશે ?

વિચારે, ઈન્દ્રિયે, રૂપે હું બંધાઈ રહી નથી;

મારો નિવાસ છે દિવ્ય મહિમામાં અનંતના,

અનામી ને અવિજ્ઞાત કેરી છું હું સમીપમાં,

અનિર્વાચ્ચ બનેલો છે ગૃહે મારે સહવાસી સખા હવે.

જ્યોતિર્મયી કિનારીએ કિંતુ ઊભી રહીને શાશ્વતીતણી

શોધી કાઢેલ છે મેં કે વિશ્વ પ્રભુસ્વરૂપ  છે;

બ્રહ્યથી બ્રહ્યનો ભેટો કર્યો છે મેં, આત્માથી આત્મનો કર્યો,

મારા પ્રભુતણા પીંડ ઉપરેયે પરંતુ મુજ પ્રેમ છે.

એને અનુસર્યો છે મેં એના પાર્થિવ રૂપમાં.

પ્રત્યેક ઉરની સાથે એકરૂપ ઉર જે છે બનેલ, તે

એકાકી મુકિતથી પામી પરિતોષ નહીં શકે:

અભીપ્સા રાખતા વિશ્વ કેરી પ્રતિનિયુક્ત હું,

મારા આત્માતણી મુકિત હું સૌને કાજ માગતી."

 

વધુ ઘેરો પછી ગાજ્યો પોકાર યમનો પુનઃ

જાણે કે ભારની નીચે પોતાના વ્યર્થ ધર્મના

૮૭


 

પોતાના જ હઠીલા ને અર્થહીન સંકલ્પથી દબયાલો,

અવજ્ઞાએ , ભર્યો, થાકી ગયેલો , અનુકંપતો,

હવે રાખી ના એ નિજ જૂના અસહિષ્ણુ અવાજને,

લાગ્યો એ કિંતુ નિઃસંખ્ય માર્ગે જાતિ જિંદગીના અવાજ શો,

સદૈવ શ્રમ સેવે જે ને કરે પાપ્ત ના કશું

કારણે જન્મના ને ફેફરના,

એને ટકાવતિ એની શકિતઓ છે મર્ત્ય, તે કારણે વળી,

નિશ્ચિત અવધિ-સ્તંભો આસપાસ ઘૂમે વિશાળ ચક્કરે

લક્ષ્યરહિત દોડમાં,

જેની ઝડપ વાધે છે હમેશાં ને એની એ જ છતાં રહે.

એના ભાગ્ય, યદ્દૃચ્છા ને કાળ સાથે ચાલતા દીર્ધ ખેલમાં,

ખેલમાં હાર કે જીત છે નિઃસાર એવું નિશ્ચય જાણતું,

નિજ અજ્ઞાન ને શંકા કેરા ભાર હેઠળે કચરાયલું,

જે ભાર જ્ઞાનથી લાગે વધતો ને થતો વિશાળ વૃદ્ધિથી,

પાર્થિવ મન ડૂબે છે, નિરાશા રાખતું બને,

દેખાય વૃદ્ધ ને થાક્યું ને ગુમાવે છે ઉત્સાહ સ્વ-કાર્યનો.

તે છતાં શૂન્ય શું સર્વ કે વૃથા સર્વ પ્રાપ્તિઓ ?

કો મહંત સધાઈ છે વસ્તુ, કો જ્યોતિ, શકિત કો

કરાઈ મુક્ત છે જંગી ગ્રાહમાંથી અચિત્ તણા:

પ્રાકટ્ય રાત્રિમાંથી એ પામી છે; એ પ્રભાતો નિજ પેખતી,

હમેશાં ઘૂમતાં રે'તાં, જોકે એકે એ ટકી શકતું નથી.

આ ફેરફાર દેખાતો હતો દેવ કેરા દૂર ફેંકાયેલા અવાજમાં;

બદલાયું હતું એનું ઘોર રૂપ, ને સનાતન પામવા

માટેનો આપણો અલ્પજીવી આયાસ એ સ્વીકારતું હતું,

અશક્ય દિનનાં તોય સુભવ્ય સૂચનો પરે, 

નહીં તો શું થયું હોત તેની મોટી શંકાઓ નાખતું હતું.

સાવિત્રી પ્રતિ પોકાર્યો તરંગાઈ આવતો એ મહાસ્વર :

" અવગુંઠન રૂપોનું ને તિરસ્કાર તેમનો,

ઉભેના પરની જ્ઞાનપ્રાપ્તિ છે તુજને થઈ

તે માટે ઊઠ નિર્મુક્ત દૃષ્ટિમંતા દેવો દ્વારા થયેલ તું.

જો રાખ્યું હોત તેં મુક્ત મન તારું

જિંદગીના સુપ્રચંડ દબાણથી

તો સર્વજ્ઞ અને શાંત તું તેઓના જેવી હોત થઈ ગઈ.

પરંતુ તીવ્ર ઉદ્દામ ભાવવાળું હૈયું તારું નિષેધતું.

૮૮


 

છે એ ઝંઝાતણું પક્ષી અંધાધૂંધી ફેલાવનાર શકિતનું,

ઉદ્ધારી જગ જે લેશે ને એની પાસથી બળે

ખેંચી લેશે ભાગ્ય કેરો પઢ્યો ના જાય એ પડો,

મૃત્યુનું રાજ્ય ને ધારો ને સંકલ્પ જાણ્યો જેહ જતો નથી.

ઉતાવળા થતા કર્મે , અતિક્રામક  ઈશના

છે મહાન આત્માઓ જેમનામાં પ્રેમનો અતિરેક છે,

અને જે તુજ જેવા છે ઘડાયેલા કાં કે તું ઉભયેય છે,

સાંકડી જિંદગી કેરી સીમાઓમાં આવગમન એમનું,

છે અત્યંત વિશાળ એ સ્વભાવો જે કાળની પાર કૂદતા.

પૂજારી શકિત કેરા એ, શકિત કેરો પ્રતિક્ષેપ ન જાણતા,

એમનો ભીષ્મ સંકલ્પ ક્ષુબ્ધ વર્ષો માથે ફરજ લાદતો.

જ્ઞાનીઓ છે શમી; મોટા પર્વતો વિરમ્યા વિના

આરોહ્યે જાય પોતાના અપ્રાપ્ય વ્યોમની પ્રતિ,

નિર્વિકાર પદે તેઓ નિજ બેઠા, અને મસ્તક એમનાં

અવિકાર્ય સ્વર્ગ-દેશે સ્વપ્નરહિત રાજતાં.

અભીપ્સુ એમનાં ઉચ્ચ પ્રશાંત શિખરો પરે

સ્વર્ગને અડધે રસ્તે ઉઠાવંતા ચઢતા ચૈત્ય-જીવને

મહાબલિષ્ઠ મધ્યસ્થો છે ઉભા તુષ્ટ ભાવથી 

પરિક્રમણ તારાઓ કરે છે તે વિલોકવા.

પૃથ્વીના બળની સાથે ચાલતા એ ગતિહીન પ્રકારથી,

યુગો આવી જતા તેઓ જુએ છે ને એ એના એ જ હોય છે.

જ્ઞાનીઓ યુગચક્રોને અનુરૂપ વિચારતા,

દૂરની વસ્તુઓના એ સાંભળે છે પદધ્વનિ;

અવિચાલિત એ રાખે નિગ્રહી જોખમે ભર્યા

પોતાના જ્ઞાનને સ્વ-ગહનોમહીં,

કે રખે માનવી કેરા દિનો ભંગુરતા ભર્યા

ડૂબે અજ્ઞાતની મહીં,

અફાટ સાગરો કેરા અગાધે  જયમ નાવ કો

મહામકર શું બાંધી બેસે ખેંચાઈને તળે.

જો, કેવું સૌ પ્રકંપે છે

દેવો જયારે સંચરે  છે અત્યંત નિકટે થઈ !

બધું ખળભળે, આવે ભયમાં ને યાતનાગ્રસ્ત થાય ને

વિદારાઈ તળે ઉપર થાય છે.

ઉતાવળે જતા કલ્પો ઠોકરાતા જશે અત્યંત વેગથી

૮૯


 

જો અપૂર્ણ ધરા પરે

સ્વર્ગનું બળ ઓચિંતું ઊતરે, ને અનાવરણ જ્ઞાન જો

યોગતાહીન આ જીવો પર ઘા ઊતરે.

દેવોએ પડદા પૂઠે રાખેલી છે નિજ ભીષણ શકિતને :

વિચાર પ્રભુ પોતાનો છુપાવે છે

ને એ ભૂલો કરતોય જણાય છે.

સ્થિર થા, મંદવેગી થા લોકે ધીરા અને શાણપણે ભર્યા.

અંધારાયાં અરણ્યોમાં પ્રભાતે તું પ્રાર્થતી જેહને હતી

તે દેવી ઘોર તારામાં છે તેથી તું મહાબલિષ્ઠ છે બની.

દુર્દાન્ત દૈત્ય જીવોની જેમ તારા બળને ના પ્રયોજ તું !

પાકી પ્રણાલિકાઓને સ્પર્શતી ના,

સ્પર્શતી ના પુરાણા રૂઢ કાયદા,

કર આદર તું મોટી સ્થપાયેલી

વસ્તુઓમાં રહેલી સ્થિરતાતણો."

ઉત્તરે કિંતુ સાવિત્રી ભીમકાય દેવને વળતું વદી :

" કપરા ચક્કરે જેઓ શૃંખલાબદ્ધ છે થઈ

તે ઘોર શકિતઓ કેરો મંદ-દૃષ્ટિ જડ સંચાર જેહ છે

ચૈત્યવિહીન પાષાણ-નેત્રયુકત યાંત્રિક સ્વપ્ન સાથનો,

તે શું છે સ્થિર શાંતિ એ ?

ફેરફાર વિનાનો જો હોય નિયમ સર્વ કૈં ,

તો વૃથા આશ આત્મની :

નવાની ને અવિજ્ઞાતતણી પ્રત્યે કલ્પો નિત્ય વધ્યે જતા

પ્રભુ કેરું યાથાતથ્થ સમર્થતા.

પૃથ્વી કેરા યુગો શા કામના હતા

જો કદી હોત ના તૂટ્યો્ નિરોધ ઘૂસરો, અને

જો તમિસ્ર બીજમાંથી મહિમાઓ ફાટી ના હોત નીકળ્યા,

જે દરમ્યાનમાં ધીરી જિંદગી માનવીતણી

શબ્દોએ દેવતાઈ ને માનવી દૈવતો વડે

આવિષ્કૃત કરાયેલા અણચિંત્યા ભવ્ય માર્ગોતણી પરે

કૂદી હોત ન સત્વરા ?

સચેત માનસોની ને હૃદયોની ઉપરે લાદતો નહીં

સ્થિરતા જડ જે બાંધી રહેલી છે વસ્તુઓને અચેતન.

પ્રાણીઓની પ્રજા માટે રૂડું રાજ્ય અચેતન

જે સંતોષ ધરી રે'તી બદલાતી ન એવી ઘૂંસરીતળે;

૯૦


 

ઉદાત્તતર ઉધોગ, શ્રેષ્ઠ માર્ગ પ્રત્યે માનવ જાય છે.

તારો નિયમ ખૂંદુ છું જીવતા પાયની તળે;

કેમ કે મુકિતમાં ઊંચે આવવાને જન્મ મારો થયેલ છે.

જો હું સમર્થ હોઉં તો ઓજ અવગુંઠનને તજો,

સહચારી ને પુરાણ શકિતઓનું સમોવડું,

નહીં તો નિષ્ફલીભૂત આત્મા મારો ધબી જજો

આદિ નિદ્રામહીં દેવરૂપતાને માટેની પાત્રતા વિના.

મારા સંકલ્પની માગું શાશ્વતી હું દાવો કાળ પરે કરી,

એની પળોમહીંથી  હું માગું દાવો કરી પ્રભુ."

યમ બોલ્યો જવાબમાં

ભૂલી મુકિત અને ભૂલી માર્ગ શશ્વત્સ્વરૂપનો,

ક્ષણભંગુર પૃથ્વીનાં ક્ષુદ્ર કર્યોતણી પ્રતિ,

ઉચ્ચ અમર સંકલ્પે  તારા શાને ઝૂકવું જોઈએ તળે ?

ને દેવોને રળી આપે એવો મોટો વાપરી નાખવો શ્રમ,

ઝૂઝવું જુદ્ધમાં, સ્હેવા ઘા મહાદુઃખ આપતા,

ને તેયે સંસરી જાતી વસ્તુઓની છોટી પેટીમહીં નિજ

પૃથ્વી જે ક્ષુદ્ર હર્ષોને સંરક્ષી સાચવી શકે

તે હર્ષો ઝડપી લેવા બળનો ને વિચારનો

શું ઉચ્ચ ઉપયોગ આ ?

બાલે ! તેં દેવતાઓને ખૂંધા છે પગની તળે

તો શું તારા પ્રેમપાત્ર માટે માત્ર

કરવા પ્રાપ્ત પૃથ્વીની જિંદગીની કંગાલ કરચો કંઈ

મુકિત મોટી કરીને રદ એહની,

દયાળુ દેવતાઓએ બોલાવી લીધ એહના

આત્માને સ્વર્ગધામોને વ્હેલો વ્હેલો મહાહર્ષ મળંત જે

તેનાથી એહને વંચિત રાખવા ?

પ્રભુના પ્રાંગણોથી શું ભુજાઓ છે તારી અધિક મીઠડી ? "

દેતી જવાબ સાવિત્રી,

" સીધી હું પગ માંડું છું માર્ગે મારે માટે કાપી કઢાયલા

સમર્થ હસ્તના દ્વારા, અધ્વ જેણે અમારા છે પ્રયોજિયા.

અને મધુર ને ઘોર સૂર આદેશ આપતો

ત્યાં દોડું છું, ચલાવે છે મને હાંકી લગામો પરમેશની.

પ્રભાવી ભુવનો કેરી

એણે છે કેમ આલેખી વિશાળી નિજ યોજના

૯૧


 

કે ભાવવેશથી પૂર્ણ નિજ પ્રાણે ભરી એણે અનંતતા ?

કે શા માટે રચ્યું એણે મારા મર્ત્ય સ્વરૂપને

ને મારામાં કામનાઓ રોપી દીપ્ત અને દૈવતશાલિની,

જો એનો ના હોત હેતુ

પામવા ને ફૂલવાનો અને પ્રેમાનુભૂતિનો,

વિચારો ને બૃહત્તાઓ અને સુવર્ણ શકિતઓ

રૂપ છે માનુષી એની પ્રતિમાને કંડારી વૈભવે ભરી ?

દૂર કેરું દિવ્ય ધામ પોતાની સ્થિર શાંતિમાં

વાટ જોઈ શકે છે ત્યાં અમારા આવવાતણી.

સહેલી પ્રભુને માટે સ્વર્ગોની રચના હતી.

એને માટે હતી પૃથ્વી એક મુશ્કેલ વાનગી.

પૃથ્વીએ મહિમાવંતો છે આ પ્રશ્ન બનાવિયો,

માનવ જાતિ ને એનો છે સંઘર્ષ મહિમાવંત એહથી.

છે અમંગળ છદ્મો ત્યાં, છે ભયંકર શકિતઓ;

છે ગૌરવ રહેલું ત્યાં દેવોને સર્જવાતણું.

નથી અમર આત્મા શું, શું નિત્યમુક્ત એ નથી,

નિર્મુક્ત કાળ-ગ્રાહથી ?

આવ્યો છે કેમ એ નીચે મર્ત્યના અવકાશમાં ?

સોંપણી છે કેરી એણે મનુષ્યસ્થ એના ઉદાત્ત આત્મને

અને પ્રકૃતિનાં શૃંગો પર એણે ગુપ્ત આદેશ છે લખ્યો.

છે આ મુકિત સ્થિતપ્રજ્ઞ નિત્ય રે'નાર આત્મની,

સીમાઓમાં જિંદગીની સુવિશાળ,

ગ્રંથિઓમાં જડદ્રવ્યતણી બલી,

ભુવનોમાંહ્યથી કાર્ય-સામગ્રી સર્જતો બૃહત્ ,

સ્થૂળ સંકીર્ણ સેરોથી સૂક્ષ્મજ્ઞાન બનાવતો,

અને યુદ્ધ તથા રાત્રીમાંથી પ્રેમ ને સૌન્દર્ય બનાવતો,

છે અજાયબ આ હોડ, છે ક્રીડા દિવ્ય કોટિની.

આ કઈ જાતનો મોક્ષ આત્માને કે લે નહીં નગ્ન રૂપ એ

ત્યાં સુધી એ મુકિત અનુભવે નહીં,

ને લીલાના ગોઠિયાનાં અંગોની આસપાસમાં

પ્રેમી જે બંધનો નાખે તેને ચૂમી શકે ન જે,

કરે પસંદ ના એનો અત્યાચાર

અને આશ્લેષમાં એના કચડાઈ જવું ના જેહને ગમે ?

નિઃસીમ નિજ હૈયાથી ગ્રાહ લેવા વધુ રૂડા પ્રકારથી

૯૨


 

સીમિત કરતા એના બાહુઓનું ચક્ર એ અપનાવતી,

વશમાં આણતા એની ભુજાના ભારની તળે

પરમાનંદથી પૂર્ણ બની એ લચકી પડે,

ને હસે વૈભવી એનાં નિયંત્રણતણી મહીં,

બદ્ધ સૌથી વધારે ત્યાં મુક્ત અધિક સર્વથી.

તારાં પ્રલોભનોને આ મારો ઉત્તર, મૃત્યુ હે ! "

 

એના પોકારને ભેટ્યો ઇનકાર નાફેર યમરાજનો:

તું ગમે તેટલી હોય શકિતશાળી, ને છૂપી સુર-સંસદે

નિગૂઢ નામ તારું છો ઉચ્ચારાતું હો' ગમે તેટલું, છતાં

તારા હૃદયનો ઉગ્ર ભાવ ભંગુરતા ભર્યો

સંસિદ્ધ વસ્તુઓ કેરી લોહ-ભિત્તિ ભાંગવાને સમર્થ ના,

દીક્ -કાલે જે વડે મોટા દેવો વાડે રક્ષે છે નિજ છાવણી.

માનુષી છદ્મની પૂઠે ગમે તે હોય તું ભલે,

ને માતા ભુવનો કેરી હોય તું તોય તે ભલે,

ને દાવો તુજ તું હોય ઠોકી બેસાડતી ભલે

  દૈવયોગતણા  દેશોતણી પરે,

છતાંય તુજ સંકલ્પ કરતાં છે વૈશ્વ ધર્મ મહત્તર.

પ્રભુ પોતેય પોતાના બનાવેલા નિયમો અનુવર્તતો :

ધર્મનિયમ છે સ્થાયી ને કદી એ પલટી શકતો નથી,

કાળને સાગરે વ્યકિત  એક બુદબુદમાત્ર છે.

તારો આત્મા અગ્રદૂત છે આગામી ને મહત્તર સત્યનો,

છે સ્રષ્ટા એહ પોતાના વધુ મુક્ત સ્વધર્મનો,

જેનો આધાર એ લે છે તે પુઠેની શકિતનો ગર્વ રાખતો,

તારા વગરના બીજા કોઈએ જોઈ જે નથી

તે ઊંચેથી જ્યોતિ કેરી બડાઈ જેહ મારતો;

સત્યના જયનાં પૂર્વ પરિણામો પર દાવો કરંત તું.

કિંતુ છે સત્ય શું, કોણ કરી પ્રાપ્ત શકે એના સ્વરૂપને

ઇન્દ્રિયોની આભાસી મૂર્ત્તિઓ વચે,

મનનાં અનુમાનોની જામેલી ઠઠની વચે,

અને વિચાર કેરા જ્યાં કરે વાસ અનિશ્ચયો,

તેવી જગતની કાળી સંદેહી સ્થિતિઓ વચે ?

કેમ કે સત્ય ક્યાં છે ને કાળ કેરા બજારમાં

અંત આવે નહીં એવા થતા કોલાહલોમહી

૯૩


 

સુણાયો  'તો ક્યારે એનો પદધ્વનિ  ?

ને ધ્યાન આપતું ભેજું કરીને પાર જાય જે

ને જે ઠગંત આત્મને

તે કૈં  હજાર પોકારો મધ્યે સત્ય કેરો અવાજ છે કયો ?

કે સત્ય સમ છે કાંઈ તારકીય ઉચ્ચ નામ સિવાયનું

કે અસ્પષ્ટ અને ભવ્ય શબ્દ, જેના દ્વારા વિચાર માનવી

અનુમોદે અને પૂત બનાવી દે વરણી સ્વ-સ્વભાવની,

હૈયા કેરી આસ્પૃહાને જ્ઞાન-કંચુક ધારતી,

ચૂનેલા મધ્ય ચૂનેલા પ્રિય પોષેલ ભાવને,

અર્ધ-જ્યોતિતણાં બાલોમહીં વ્હાલો લાગતો તે વિચારને

ઊંચા અવાજ સાથે જે ટોળેટોળાં

ક્રીડાક્ષેત્રોમહીં મનતણા મળે

અથવા શિશુ નિદ્રામાં એના શય્યાવાસોમાં વાસ મેળવે ?

પ્રભુની 'હા' તથા 'ના' ની વચ્ચે સર્વ વસ્તુઓ હ્યાં પ્રલંબાતી,

સાચી બે શકિતઓ તોય એકબીજા માટે બન્નેય જૂઠડી,

મનની ચંદ્રિતા રાત્રીમહીં યુગલ તારકો

તાકી રે'તા બે વિરુદ્ધ આવેલી ક્ષિતિજો પરે,

શુભ્ર મસ્તક ને શ્યામ પુચ્છ નિગૂઢ હંસનું,

ક્ષિપ્ર ને લંગડો પાય, બલી એક પાંખ, તૂટેલી દૂસરી

અનિશ્ચિચ જગત્ કેરું કલેવર ટકાવતી,

એવો એક મહાવ્યાલ આકાશોમાં અવચેતનનો ખરો.

તારા ઉદાત્ત ગર્વિષ્ઠ

સત્યને છે રહેવાનું અત્યંત ભયજોખમે

અટવાઈ જઈ મર્ત્ય ક્ષુદ્રતાની મધ્યમાં જડદ્રવ્યની.

સર્વ આ જગને સાચું, છે છતાં સર્વ જૂથડું :

વિચારો જાય છે એના દોડી શાશ્વત શૂન્યમાં,

વાધી વાધી કૃત્ય એનાં બની જતાં

સરવાળો કાળ કેરા ગોલાકારિત શૂન્યનો.

આમ પશુ અને દેવ એકસાથે મનુષ છે,

પ્રભુની પ્રેયસી કેરો એક વિષમ કોયડો,

અશક્ત કરવા મુક્ત ભીતરે જે છે તે દેવસ્વરૂપને,

નિજ સ્વરૂપથી ન્યૂન સત્ત્વ, ને તે છતાં અધિક કૈંક છે,

અભીપ્સા કરતું પ્રાણી ને નાસીપાસ દેવતા,

તોય ના પશુ, ના દેવ, કિંતુ છે માત્ર માનવી,

૯૪


 

 પરંતુ માનવી બદ્ધ શ્રમ સાથે કૃપાશીલ ધરાતણા,

પ્રયત્ન કરતો શ્રેષ્ઠ થવાતણો,

પ્રભુની ચઢતો સીડી વધુ ઉચ્ચ વસ્તુઓએ લઈ જતી.

આભાસો છે પદાર્થો ને નથી કોઈ તેમનું સત્ય જાણતું,

ભવાનાઓ અજ્ઞ એક દેવનાં અનુમાન છે.

સત્ય અર્થે ન આવાસ અવિવેકી ઉરમાં અવનીતણા :

પરંતુ બુદ્ધિ ના હોય તો સ્વપ્નાંનું કોકડું જિંદગી બને,

છે કિંતુ એક અંધારા ગર્ત કેરે માથે બુદ્ધિ અવસ્થિતતા

ને છેવટે ખડી છે એ શંકાના પાટિયા પરે.

ને મર્ત્ય માણસો સાથે વસે સત્ય સનાતન.

કે મર્ત્ય હૃદયે તારે વસ્તું એ ન હોય તો

બતલાવ મને દેહ તું જીવમાન સત્યનો,

કે રૂપરેખ આલેખ મારે માટે તું એના મુખડાતણી

જેથી આજ્ઞાધીન હુંય કરું એની ઉપાસના.

પછી પાછો તને તારો આપીશ સત્યવાન હું.

કિંતુ હ્યાં માત્ર તથ્યો છે તે કલાયસ કાયદો.

જાણું છું સત્ય હું આ કે સત્યવાન મરેલ છે

અને તારુંય માધુર્ય પ્રલોભાવી

એને પાછો લાવવાને સમર્થ ના.

જાદૂઈ સત્ય ના કોઈ મૂએલાંને જિવાડતું,

પૃથ્વીની શકિત ના કોઈ

એકવાર થયું હોય તેને રદ કરી શકે,

ન કોઈ પરમાનંદ

લાવી શકે મનાવીને ભૂતને જીવવા ફરી.

કિંતુ કેવળ જિંદગી

આશ્વાસના શકે આપી વાચારહિત શૂન્યને

ને વિચાર વડે કાળ-રિક્તતાને ભરી શકે.

તો છોડી મૃત તારો તું, સાવિત્રી ! જીવ જિંદગી."

આપ્યો જવાબ નારીએ ઘોર છાયા-સ્વરૂપને,

ને એ જ્યાં બોલાવા લાગી ત્યાં અદૃશ્ય મર્ત્યભાવ થઈ ગયો;

એનું સ્વરૂપ દેવીનું દૃશ્યમાન એની આંખોમહીં થયું,

સ્વર્ગના સ્વપ્નના જેવી આવી એને મુખે પ્રભા.

" હે મૃત્યુ ! તુંય છે દેવ, પરંતુ પ્રભુ તું ન તે,

છે કિંતુ માત્ર તું તેનો પડછાયો એના મારગની પરે

૯૫


 

જયારે એ રાત્રિ છોડીને ઊર્ધ્વ માર્ગે વિદાય લે

ને સાથે ઘસડી જાય વળગેલી તેની અચિત શકિતને.

છે તું મસ્તક તામિસ્ર નિદ્રામાં મગ્ન ઇશનું,

છે તું એની અવિદ્યાની સંજ્ઞા અનનુતાપિની,

એના અઘોર અંધારા ગર્ભ કેરું સ્વાભાવિક છે શિશુ,

અનિષ્ઠ અર્ગલા છે તું એની અમરતા પરે.

પરસ્પર વિરોધી સૌ છે સ્વરૂપો પ્રભુના મુખડાતણાં.

બહુસ્વરૂપ છે જે તે અસંખ્યરૂપ एक છે.

एक સ્વહ્રદયે ધારી વહે છે સમુદાયને;

અપૌરુષેય છે એ, છે અબોધગમ્ય, એકલો,

પોતાના વિશ્વને જોતો અનંત વ્યકિતરૂપ એ;

મૌન ધારી રહેલું છે મહા મૂક મુદ્રા નિત્યસ્વરૂપની,

એનો પ્રકાશ પૂરે છે પ્રાણ શાશ્વત શબ્દમાં;

એ છે અચલની ઊંડી મૃત્યુથી મુક્ત ચૂપકી,

એની નકારતી શાંતિ શુભ્રા સંજ્ઞારહિતા ને અનંકિતા,

છતાં સર્જક આત્મા છે સ્થિત સર્વશકિતમાન અધીશ્વર,

અને વિલોકતો એનો સંકલ્પ પાર પાડતાં

સ્વરૂપો દેવલોકનાં,

જોતો ઈચ્છા પ્રેરતી જે અર્ધ-ચેત મનુષ્યને

અને અંધી અને આનાકાની કરંત રાત્રિને.

આ આત્યંતિક સીમાઓ દિવ્ય મોટી, શકિતઓ વિપરીત આ,

છે પાસાં જમણાં ડબાં પ્રભુ કેરા શરીરનાં;

અસ્તિત્વ સમતોલાયું બે બલિષ્ઠ ભુજા વચે

મન સામે ખડું થાય

ન ઉકેલાયલા ઊંડા ખાડા સાથે વિચારના.

નીચેની ગમ અંધારું, અગાધ જ્યોતિ ઊર્ધ્વમાં,

જ્યોતિમાં છે થઈ યુક્ત, વિયોજાઈ મન દ્વારા વિયોજતા,

મોં સામે મોં કરી ઊભી, વિપરીત, અવિયોજય પ્રકારથી,

બે વિરોધી વસ્તુઓ જે, પ્રભુ કેરા મહાન વિશ્વકાર્યને

અરથે છે જરૂરની,

બે ધ્રૂવો જેમના સ્રોત્રો જગાડે છે વિશાળી  વિશ્વશકિતને.

એના આત્માતણી આભા કરી દેતી રહસ્યમયતામહીં

સમ પાંખો વડે છાઈ  દઈ બ્રહ્યાંડ ઊર્ધ્વથી,

છે એમ ઉભય એકે ને આદિ-અંતવિહીન છે :

૯૬


 

અતિક્રાંત કરી બન્ને केवले એ પ્રવેશતો.

સત્-તા એની છે રહસ્યમયતા મન પારની,

મર્ત્ય અજ્ઞાનને એનાં ચરિતોથી વ્યામોહ થઈ જાય છે;

અંતવંત નિજ ક્ષુદ્ર વાડાઓમાં પુરાયલું

થતું ચકિત, વિશ્વાસ કરતું ના પ્રભુની ઘૃષ્ટતામહીં,

જે હામ ભીડતો થાવા અકલ્પ્ય સર્વરૂપ, ને

જોવા ને કરવા કાર્ય એક અંતવિહીનવત્ .

માનવી બુદ્ધિની સામે આ એનો અપરાધ છે;

જ્ઞાત હોવા છતાં હોવાનો અજ્ઞેય સદાયનો,

સર્વ હોવા છતાં પાર રહેવાનો ગૂઢાત્મક સમસ્તથી,

નિરપેક્ષ સ્વયં તોય રહેવાનો સાપેક્ષ કાલને જગે,

સનાતન અને સર્વજ્ઞાનવાન, જન્મ વીંઢારવાતણો,

સર્વસમર્થ, ને ક્રીડા યદૃચ્છા ને દૈવ શું કરવાતણો,

બ્રહ્ય હોવા છતાં દ્રવ્ય ને શૂન્ય બનવાતણો,

સીમાતીત સ્વયં રૂપાકૃતિ ને નામથી પરો

છતાં શરીરમાં વાસ કરવાનો, એક પરમ તે છતાં

પશુ, મનુષ્ય ને દિવ્યસ્વરૂપ બનવાતણો :

નિઃસ્પં દ સિંધુ ઘેરો એ લહેરાતાં મોજાંમાં હસતો જતો :

સર્વવ્યાપક, એ સર્વ છે, --પરાત્પર, કો નહીં.

વિશ્વવ્યાપી ગુનો એનો છે આ ધર્મબુદ્ધિ આગળ માનવી,

કે પુણ્ય-પાપની પાર રહે સર્વસમર્થ એ,

દુષ્ટતાને જગે છોડી દઈ સાધુસમાજને

એમના ભાગ્યને વશે,

અને દુરિતને રાખી આ વિશાળા જગે રાજ્ય ચલાવતું.

અંશ માત્ર જુએ છે જે આંખો ચૂકી સમસ્તને

તેમને સર્વ લાગે છે

વિરોધાત્મક, સંઘર્ષ, દૈવયોગ,

અત્યલ્પ અર્થથી મુક્ત લક્ષ્યહીન પરિશ્રમ;

જનો જુએ સપાટી જ, ઊંડાણો ના સ્વીકારે શોધ એમની :

રહસ્યમયતા એક સંકરાળી દૃષ્ટિને પડકારતી,

આપે આહવાન યા ક્ષુદ્ર ચમત્કાર નીરુત્સાહી બનાવતો.

અચિત્ યથાર્થ જે તેની કઠોરા  કલ્પનામહીં,

વિશ્વ-અજ્ઞાનના આકસ્મિક  વિભ્રમની મહીં

છતાં આવે ઝાંખવામાં યોજના ને બુદ્ધિ એક છુપાયલી.

૯૭


 

રહ્યો છે હેતુ પ્રત્યેક ઠોકરે ને પ્રત્યેક પાતની મહીં;

અંગવિન્યાસ છે એક પ્રકૃતિનું સૌથી વધુ પ્રમાદિયું

લેટવાનું લહેરથી,

આગેકદમ એ એક કરે સજજ કે ઊંડું પરિણામ કો.

વિદગ્ધ સૂર દાબીને ઘવાયેલા સાભિપ્રાય સ્વરાંકને,

આ કોટિક વિસંવાદો ટપકાંઓ બનેલ છે

ક્રમોત્ક્રાંતિતણા મોટા વાદ્યવૃન્દીય નૃત્યની

સંવાદી વસ્તુની મહીં.

એક પરમ સત્યે છે બેળે આણ્યું વિશ્વ અસ્તિત્વની મહીં;

એ જેમ કફને તેમ લપેટાયું છે પોતે જડદ્રવ્યથી,

મૃત્યુ કફન છે એહ, અવિધા પણ એહ છે.

સૂર્યોને નીરવાકાશે જળવાને એણે વિવશ છે કર્યા,

ચિંતનામાં નિરાકાર વિશાળા ને વ્યાપેલા વ્યોમતત્વની

જવાલા-સંકેત છે તેઓ એના બોધે અગૃહીત વિચારના :

છે એણે જ્ઞાનને કીધું મથનારી જ્યોતિ ગુંઠન ધારતી,

અજ્ઞાન, ધન ને મૂક દ્રવ્ય-સ્વરૂપ છે આત્માને સમર્પિયું,

સંમુદાને સમર્પ્યું છે રૂપ સુંદરતાતણું

એણે અચેત વિશ્વની.

અંતવંતી વસ્તુઓમાં છે નિવાસ સચૈતન્ય અનંતનો :

છે અંતર્લીન એ પોઢ્યો નિઃસહાય જડતત્વતણે લયે,

નિદ્રાધીન અસંવેદી પોતાના શૂન્યમધ્યથી

વિશ્વને એ પ્રશાસતો;

સ્વપ્ન સેવંત એ બ્હાર પ્રક્ષેપે મનને અને

હાર્દ ને ચૈત્યજીવને

રહી અપંગ ને બદ્ધ કરવાને કામ કઠોર ભૂ પરે;

વિકીર્ણ બિંદુઓ દ્વારા કરે કાર્ય ભગ્ન અખિલરૂપ એ;

ટુકડા લસતા એના છે હીરાઓ પ્રજ્ઞાવંત વિવેકના,

પરાવર્તન છાયાળું એનું અજ્ઞાન આપણું.

મૂક રાશિમહિંથી એ આરંભાતું ધારોત્ક્ષેપ અસંખ્યમાં,

મસ્તિષ્ક ને શિરામાંથી રચે એ એક સત્ત્વને,

એનાં સુખો તથા દુઃખોમાંથી ચેતન જીવને.

અસ્પષ્ટ લાગણીઓનું ઝુંડ એક, ટપકું વેદનાતણું

થોડા સમયને માટે બચે પૂઠે

આઘાતોને જિંદગીના પ્રતિ-ઉત્તર આપતું,

કચરાઈ જઈ કેડે, યા તો એનું બળ ક્ષીણ થઈ જતાં

તજી દે મૃત રૂપ એ,

તજી દે એ બૃહદ્  વિશ્વ જેમાં પોતે વસ્યું હતું,

૯૮


 

કચરાઈ જઈ કેડે, યા તો એનું બળ ક્ષીણ થઈ જતાં

તજી દે મૃત રૂપ એ,

તજી દે એ બૃહદ્   વિશ્વ જેમાં પોતે વસ્યું હતું,

હતું અતિથિ કો એક તુચ્છ અવગણાયલો.

પરંતુ વૃદ્ધિ પામે છે ચૈત્ય એના ઘરમાંહ્ય  છુપાયલો;         

દેહને એ સમર્પે છે બલ એનું અને વૈભવ એહનો;

લક્ષ્ય અનુસરે છે એ જ્ઞાનહીન લક્ષ્યરહિત લોકમાં,

પૃથ્વી કેરી અર્થહીન જિંદગીને બનાવે અર્થયુક્ત એ.  

વિચાર કરતો આવ્યો છે મનુષ્ય અર્ધ-દેવ અને પશુ.

આળોટે છે કીચડે એ છતાં ઊડે સ્વર્ગ પ્રત્યે વિચારોથી;

રમતો, ચિંતતો, હાસ્ય કરતો, રડતો અને

સપનાંઓ નિષેવતો,

તુચ્છ સ્વ-લાલસાઓને સંતોષે પશુ જેમ એ;

વિદ્યાર્થીની આંખથી એ જિંદગીની પોથીને પઢતો રહે.

બુદ્ધિ ને ઇન્દ્રિયજ્ઞાન કેરી ગૂંચમાંહ્યથી,

સાંકડા ક્ષેત્રમાંહેથી અંતવંત વિચારના

આધ્યાત્મિક મને અંતે એ પ્રબુદ્ધ બની જતો;

આરંભાતી ઉચ્ચ મુકિત, આરંભાતો અવકાશ પ્રભા ભર્યો:

કરે શાશ્વતતા કેરી ઝાંખી એ ને કરે સ્પર્શ અનંતનો,

મહાન અણચિંતેલી ઘડીઓમાં

ભેટો એને દેવતાઓતણો થતો,

ને એને લાગતું વિશ્વ સ્વ-સ્વરૂપ પોતાનું જ બૃહત્તર,

દિશા ને કાળને દેતો બનાવી એ સુયોગ નિજને મળ્યો

આત્માની તુંગતાઓ ને ઊંડાણોને જોડાવાનો પ્રકાશમાં,

છૂપી વાતો કરે છે એ પ્રભુ સાથે હૈયા કેરી ગુહામહીં.

સ્પર્શો છે કિંતુ આ, ઉચ્ચ ક્ષણો છે આ જિવાયલી;

ઉજાળ્યો છે આત્મ એનો ખડંકોએ  એક સર્વોચ્ચ સત્યના,

છતાં છે પ્રતિબિંબો એ સૂર્યનાં સલિલોમહીં.

અલ્પોએ  હામ ભીડી છે અંત કેરા પરમારોહાણે જવા

ને તોડીને જવા સીમા ઊર્ધ્વ કેરી અંધ કરંત જ્યોતિની,

ને લહેવા આસપાસ શ્વાસ એક બલવત્તર વાયુનો,

સંદેશ ઝીલવા એક વિશાળતર આત્મના

ને ન્હાવા રશ્મિમાં એના અતિકાય અંત:સ્ફ્રુરિત જ્ઞાનના.

કૂટસ્થ મનને માથે ઊંચાઈઓ છે પ્રભોજજવલતા ભરી,

૯૯


 

અનંતતાતણી આભા પ્રત્યે ઉઘાડ એમનો,

સત્યના ધામ કેરા એ પ્રાંતરો છે અને આશ્રિત રાજ્ય છે,

ઊદ્દૃધૃત જાગીરો મન કેરી અમેય એ.

માનવી ત્યાં મુલાકાતે જવાને શકિતમાન છે

ત્યાં પરંતુ ન નિવાસ કરી શકે.

આનંત્યોમાં થતો વ્યાપ્ત વૈશ્વિક એક વિચાર છે;

તનુમાં તનુ એના જે અંશો તે હ્યાં બનતા તત્વદર્શનો,

આપે જે પડકારાઓ સવિસ્તાર નિજ નિઃસીમતાથકી

પ્રત્યેક એક સર્વજ્ઞ યોજનાને મૂર્ત્તિમંત બનાવતો.

કિંતુ આરોહતી જ્યોતિ હજુ એની વધુ ઊંચે ચઢી શકે;

દૃષ્ટિની બૃહતીઓ, છે, ને સૂર્યો છે સનાતન,

છે મહાસાગરો મૃત્યુમુક્ત એક પ્ર્ર્કાશમયતાતણા,

અર્ચિના અદ્રિઓ છે જે આક્રાંત સ્વર્ગને કરે

પોતાનાં શિખરો વડે,

ત્યાં રહેતું સર્વ એક ભભૂકો દૃષ્ટિનો બને;

મનને જાય છે દોરી શિખા જવલંત ને દૃષ્ટિની,

ધૂમકેતુતણા દીર્ધ પુચ્છ જેમ

એની પૂઠે વિચાર ઘસડાય છે;

હૈયું દિપ્ત ધરે લાલી ધુતિ ને દિૃષ્ટ ધારતું,

પ્રજવળી ઇન્દ્રિયજ્ઞાન અવબોધે તદાત્મતા.

ઉડાણ ઉચ્ચમાં ઉચ્ચ આરોહે છે નિમ્નમાં નિમ્ન દર્શને :

સ્વીય સહજ આકાશ કેરા ઉરુ ઉઘાડમાં

અંતર્બોધતણી વીજો ધૂમાધૂમ કરે રુચિર વૃન્દમાં

ને છુપાં સત્યનો પીછો લઈ કાઢે તેમને બ્હાર સર્વને

તેમનાં ગહવરીથકી,

નિરપેક્ષા દૃષ્ટિ કેરી આગ્નેયી ધાર એહની

વિદારીને પ્રવેશે છે

તાળે વાસ્યાં અવિજ્ઞાત એકાંતસ્થાન આત્મનાં ,

આકાશીય ગુપ્ત સ્થાનો ઢૂંઢી મસ્તિષ્કનાં વળે,

પ્રકાશિત બનાવી દે હૈયાના ગૂઢ ઓરડા;

આવિષ્કારતા એના પ્રાસના અગ્રભાગથી

નામાવરણ ને રૂપપડદાની પર દીધેલ ભારથી

જે કૈં છે તે સર્વ કેરો ગુપ્ત આત્મા ઉઘાડો થઈ જાય છે.

છે ત્યાં વિચારને આંખો આવિષ્કારતણી સૂર્યસમોજજવલા;

૧૦૦


 

બલિષ્ઠ, પ્રેરણાદાયી સ્વરનું રૂપ ધારતો

શબ્દ પ્રવેશતો સત્ય કેરા એકાંત ઓરડે

આવેલ છેક અંતરે,

વિદારી કરતો દૂર પડદો જે પ્રભુ ને જિંદગી પરે.

અપાર સાંતનો, કેડે, અંત્ય વિસ્તાર વિસ્તરે,

અંતરીક્ષીય સામ્રાજ્ય અધિમાનસ ધામનું,

સીમા શાશ્વતતા કેરી એવું મધ્યે આવેલું રાજ્ય કાળનું,

એવું અતિ વિશાળું કે

ન એ અનુભવે ગમ્ય બને માનવ જીવને :

અહીં એકત્ર સૌ થાય એક સ્વર્ણવર્ણ આકાશની તળે :

અનંત શક્યતાઓના એના આવાસની મહીં

વિશ્વને રચવાવાળી શકિતઓ સ્થિત થાય છે;

પ્રત્યેક દેવતા ત્યાંથી બનાવે છે સ્વ-સ્વભાવતણું જગત્ :

સરવાળાતણા સંઘ સમા શ્રેણીબદ્ધ ભાવો તહીં થતા;

એક દૃષ્ટે ગ્રહાયેલા વિચારોનાં વૃન્દ ત્યાં થાય છે જમા;

એક શરીર છે સર્વ કાળ, એક ગ્રંથ ત્યાં અવકાશ છે :

છે તહીં દેવતા કેરી દૃષ્ટિ વૈશ્વ પ્રકારની,

અને છે પરિસીમાઓ અમર્ત્ય મનની તહીં :

અળગા પાડનારી ને જોડનારી રેખા ગોલાર્ધકોતણી

પરિબદ્ધ બનાવે ત્યાં શ્રમને દેવલોકના,

સંરક્ષંતી શાશ્વતીને કાળના શ્રમકાર્યથી.

મહિમાવંત પોતાના રાજ્યમાં નિત્યજ્યોતિના

સર્વસત્તાક, કોઈના પ્રશાસન તળે નહીં,

સર્વસમર્થ, સર્વજ્ઞ ને એકાકી સત્ય પરમ રાજતું

સોનાના દેશમાં રાખી રહેલું છે અમેય નિજ ધામને;

ગલિયારામહીં એના સુણે છે એ પદધ્વનિ

આવી રહેલ અવ્યક્તમાંહ્યથી, ને માનવોને જહીં સુધી

અજ્ઞાત થાય વિજ્ઞાત ને દૃગ્ગોચર થાય ના

ત્યાં સુધી જે નથી પાછો ફરવાનો કદાચન.

ફેલાવા ને ભભૂકાથી ઉપરે વૈશ્વ દૃષ્ટિના,

ઊર્ધ્વે નીરવતાથીયે શબ્દહીન વિચારની,

નિરાકાર રૂપો અમર સર્જતી,

અનામી તોય પામેલી પ્રતિષ્ઠા દિવ્ય નામની,

અતીત કાલ-હોરાથી ને અતીતા અકાલથી,

૧૦૧


 

મહાશકિતમતી માતા વિરાજે છે પ્રભાએ પૂર્ણ શાંતિમાં,

ધારતી નિજ ઉત્સંગે સર્વકાલીન બાલને,

જોતી તે દિનની વાટ જયારે દૈવ સાથ એ કરશે કથા.

આપણા ભાવિની આશા કેરી છે પ્રતિમૂર્ત્તિ ત્યાં;

સૂર્ય છે ત્યાં કરે જેની પ્રતીક્ષા અંધકાર સૌ,

નાશ પામે નહીં એવી સ્વરસંવાદિતા તહીં;

વિશ્વના વિપરીતો સૌ ત્યાં આરોહી એકરૂપ બની જતાં:

છે એ સત્ય તહીં જેના ટુકડાઓ છે સત્યો જગતીતણાં,

છે એ પ્રકાશ જેની છે છાયા અજ્ઞાન વિશ્વનું

જ્યાં સુધી સત્ય પોતે જે નાખી છે છાય તેહને

પાછી ખેંચી નથી લેતું તહીં સુધી,

છે ત્યાં પ્રેમ ઉરો જેને કરતાં સાદ આપણાં

નીચે આવી કલહો સૌ શમાવવા,

છે તહીં પરમાનંદ જેને માટે

દુનિયાભરનાં  દુઃખો ઝંખનાએ ભરેલ છે: 

કો વાર ભૂ પરે દેખા દેતો આવે મહિમા દિવ્ય ત્યાં થકી,

માનવી જીવની લેવા ભેટ ત્યાંથી આવે છે દેવરૂપ કો,

આવે સુન્દરતા, આવે સ્વપ્ન રાજે છે જે પ્રકૃતિને મુખે.

ત્યાં શાશ્વતીથકી જન્મી પૂર્ણતા, તે

કાળ-જન્મી પૂર્ણતાને બોલાવે છે આવવાને સમીપમાં,

પ્રભુનું સત્ય આશ્ચર્યે નાખી દે છે તહીં જીવન માનવી,

પ્રતિમા પ્રભુની સાંત સ્વરૂપોને પકડી પાડતી તહીં.

નિત્યસ્થાયી જ્યોતિ કેરું એક જગત છે તહીં,

પ્રદેશોમાં અમર્ત્ય અતિમાનસી ,

અહીંયાં ગૂઢતામાં જે સ્વ-મસ્તક છુપાવતું,

જડદ્રવ્યતણા રૂપ કેરા બંધારણે કડા

અશક્ય લાગતો જેનો કોયડો તર્કબુદ્ધિને

તે સમસ્યા ટળી જતી,

તે સત્ય ત્યાં છદ્મ મુખનું અળગું કરી

બનીને વસ્તુઓ કેરો ત્યાં સ્વભાવ ને સાધરણ ધર્મ ત્યાં.

અધ્યાત્મ તત્ત્વમાંથી ત્યાં બનાવાયેલ દેહમાં--

વેદિપાષાણને  સ્થાને દેહ છે જે નિત્યકાલીન અગ્નિના,

તે દેહે ચેષ્ટનો ચૈત્ય

આત્મા કેરાં ચેષ્ટનોને અનુરૂપ બની જતાં,

૧૦૨

 

 


 

વિચાર માંડતો પાય ભૂલચૂક કર્યા વણ અબાધિત,

અને જીવન છે ચાલું રહેલી અર્ચનાવિધિ,

પ્રહર્ષણતણો યજ્ઞ સમર્પાતો કૈવલૈકસ્વરૂપને.

વૈશ્વ દર્શન, અધ્યાત્મ ભાવ સંવેદનાતણો

અખિલાનંતને લ્હેતો વસેલો સાંત રૂપમાં

ને પ્રકાશતણા સ્પંદમાન આનંદમાં થઈ

અશરીરીતણા શુભ્ર મુખને અવલોકતો,

ક્ષણના સત્યમાંહે ને ક્ષણના આત્મની મહીં

આચમે શાશ્વતી કેરા મધુ-મધતણો રસ.

બ્રહ્યાત્મા એક જે એકે  નથી ને જે અસંખ્ય છે,

એક ગૂઢો અંતહીન પુરુષ સ્વ-જગત્  તણો

કરે ગુણિત પોતાની વ્યકિતતા કોટિસંમિતા,

ને પોતાની દિવ્ય છાપ મારે સ્વીય સઘળાંય કલેવરે,

ને પ્રત્યેકમહીં બેસે અમરત્વ ને અનન્યત્વને ધરી.

પ્રત્યેક નિત્યના કર્મ પૂઠે અચલ છે સ્થિત,

ગતિ ને દૃષ્ટિ કેરી એ છે બન્યું પૃષ્ઠભૂમિકા,

નિજ શકિત અને શાંત સ્થિરતા પે ટકાવી સર્વ રાખતું,

પરિવર્તનને રાખે ટકાવી એ

અવિકારીતણી મૃત્યુરહિતા સંતુલા પરે.

યાત્રા કરંત હોરાઓમાંથી બ્હાર અકાલ ડોકિયું કરે;

અનિર્વાચ્ય પહેરો છે જામો વાણીતણો, જહીં

જાદૂઈ સૂત્ર શા સર્વ શબ્દો એના વાણે-તાણે વણાયલા

સરતા સહ સૌન્દર્ય, ને પ્રેરંતા પોતના ચમત્કારથી,

અને વિચાર પ્રત્યેક નિજ નિર્મિત સ્થાન લે

અંકાયેલો વિશ્વની સ્મૃતિની મહીં.

સત્ય પરમ છે જેહ અપૌરુષેય ને બૃહત્ 

તે ખામી વણ યોજે છે ઘડી ને ઘટનાવલિ,

ઉપાદન દ્રવ્ય એનું સદા એનું એ જ શુદ્ધ સુવર્ણ છે,

કિંતુ છે એ ઘડાયેલું ઉપયોગાર્થ આત્મના,

સોમ-કલશ ને પુષ્પધાની એનું સુવર્ણ જાય છે બની. 

દૈવી આવિર્ભાવ રૂપ છે બધું પરમોચ્ચ ત્યાં:

સર્વાશ્ચર્યમય દ્વારા બની જાય

પ્રત્યેક ઘટના એક ચમત્કૃતિ,

સર્વસુન્દરતારૂપ ચમત્કાર બને પ્રત્યે રૂપમાં;

૧૦૩


 

આનંદમય આક્રાંત કરે સ્પંદો હૈયા કેરા પ્રહર્ષથી,

પ્રમોદ શુદ્ધ સ્વર્ગીય છે ઇન્દ્રિય-પ્રયોજન.

પ્રત્યેક જીવસત્તા ત્યાં આત્મનું એક અંગ છે,

કોટીવિચારવંતો જે સર્વ તેનો જ અંશ એ,

દાવો એનો અકાલી એકતા પરે,

માધુર્ય બહુરૂપીનું, અને આનંદ ભેદનો,

બની જતો ગાઢ સંબંધે એકરૂપના.

 

પરંતુ સત્યનું ભવ્ય મુખ કોણ બતાવી તુજને શકે ?

અમારા માનુષી શબ્દો માત્ર એને છાયાએ છાવરી શકે.

વિચાર કાજ છે સત્ય અચિંત્ય હર્ષ જ્યોતિનો,

ને અવર્ણ્ય ચમત્કાર વાણીને કાજ એહ છે.

કરી જો શકે સ્પર્શ, મૃત્યો ! પરમ સત્યને

તો શાણો તું બની જાય ઓચિંતાંનો ને પોતે જાય તું મટી.

પ્રભુના સત્યને જોઈ, ચાહી, આશ્લેષમાં લઈ

શકે જો આપણા આત્મા તો એની અમિત પ્રભા

હૈયાંને આપણાં બંદી બનાવી દે,

પ્રભુની પ્રતિમારૂપે જાત પામે  પુનર્નિમાણ આપણી,

ને જીવન ધરા કેરું બની જાય જીવન પ્રભુતાતણું."

પછી છેલ્લી વાર બોલ્યો સાવિત્રીને ઉત્તર આપતો યમ:

" અહીંની નિજ છાયાને અતિક્રાંત કરે પરમ સત્ય જો

પ્રથક્  બનેલ જ્ઞાને ને ચઢતાં બૃહતો વડે,

તદા એની અને એણે બનાવેલા સ્વપ્ન-ભુવનની વચે

છે જે અખાતનો ખાડો, તેને પાર કયો પુલ કરી શકે ?

કે એને માણસો માટે નીચે ઉતારવાતણી

આશા કોણ કરી શકે,

ને ઘવાયેલ પાયોએ કઠોર ધરતી પરે

ચાલવાને મનાવી એહને શકે

અગમ્ય મહિમાધામ અને  આનંદને તજી,

વેડફી મારવા એની દીપ્તિ ઝાંખી હવામાં પૃથિવીતણી ?

મર્ત્ય અંગોમહીં સૌન્દર્ય મૂર્ત્ત હે !

ઓ જીવ ! પાશથી મારા જવા છૂટી પાંખોને ફફડાવતા,

તારામાં શકિત છે શું એ ?

તો છે કોણ સંતાતી માનુષી છળવેશમાં ?

૧૦૪


 

તારા અવાજમાં સૂર વહિ આવે અનંતનો,

તે તારા સાથમાં જ્ઞાન, સત્ય બોલી રહ્યું છે તુજ શબ્દમાં;

પારની વસ્તુઓ કેરી પ્રભા તારી આંખોમાં છે પ્રકાશતી.

કિંતુ ક્યાં બળ છે તારું કાળને ને મુત્યુને જીતવાતણું ?

પ્રભુની શકિત તારામાં છે હ્યાં મૂલ્યો સ્વર્ગના રચવાતણી ?

કેમ કે સત્ય ને જ્ઞાન વૃથા ચમક એક છે,

જો જ્ઞાન શકિત ના લાવે વિશ્વને પલટાવવા,

જો મહાબલ ના આવે સત્યને સ્વ-અધિકાર સમર્પવા.

આંધળી શકિતએ એક, નથી સત્યે, આ અજ્ઞાન રચ્યું જગત્ ,

સત્ય ના, આંધળી શકિત મનુષ્યોનાં જીવનોની વિધાયિકા:

મોટા દેવો શકિતથી, ના સત્યથી શાસતા જગત્ :

શકિત છે પ્રભુનું શસ્ત્ર, છે મુદ્રાછાપ દૈવની.

અમૃતત્વતણો દાવો કરતી માનુષી અહો !

કર પ્રકટ તું તારી શકિત, ઓજ નિજાત્માંનું બતાવ તું,

સત્યવાન તને  તારો પાછો આપીશ તે પછી.

યા મહાબલ માતાનો સહારો હોય જો તને

તો મને મુખ તેનું તું બતલાવ, કે એની અર્ચના કરું;

આંખો અમર આલોકો આંખોમાં મૃત્યુદેવની,

અવિનાશી શકિત એક સ્પર્શી જડ વસ્તુઓ

રૂપાંતર પમાડી દો પૃથ્વીના મૃત્યુને અમર જીવને.

તે પછીથી ફરી તારી પાસે પાછો મરેલો તુજ જીવશે,

કદાચ કરશે ઊંચી દૃષ્ટિ પૃથ્વી પડીને પ્રણિપાતમાં

ને પોતાની પાસ લ્હેશે પ્રભુના ગુપ્ત પિંડને,

પકડી પાડશે પ્રેમ ને પ્રહર્ષ પલાયમાન કાલને."

 

સાવિત્રી યમને જોતી રહી ને ના કંઈ ઉત્તરમાં વદી.

પ્રાયઃ લાગી રહ્યું 'તું કે યમ કેરા પ્રતીકમાં

વિશ્વના તિમિરે પાડી હતી 'હા' સ્વર્ગ-જ્યોતિને,

ને અચિત્-પડદા કેરી પ્રભુને ના કૈં જરૂર હતી હવે.

સાવિત્રીમાં સુપ્રચંડ સ્વરૂપાંતર આવિયું.

આભામંડલ દેવીનું એની અંતર્નિવાસિની,

પ્રકાશ અમરાત્માનો વ્યાપ્ત એને વદને જે થયો હતો

ને એના દેહને ગેહે હતો તાણ્યો તંબૂ જેણે નિજૌજનો,

ઊભરાઈ જઈ તેણે હવા દીધી બનાવી સિંધુ તેજનો.

૧૦૫


 

ગૂઢાવિર્ભાવ કેરી કો એક પ્રજ્વલતી ક્ષણે

અવતારે ધકેલીને કર્યું આધું પોતાનું અવગુંઠન.

મૂર્ત્તિ એક, બાલા અનંતની મહીં

હજી ઊભી જણાતી 'તી ધામ પોતે સનાતનસ્વરૂપનું,

જાણે કે વિશ્વનું કેન્દ્ર હતો ચૈત્યાત્મ એહનો

ને બધું બૃહદાકાશ હતું માત્ર એનો કંચુક બ્હારનો.

દૂરના સ્વર્ગના શાંત ગરિષ્ઠ મહિમાતણું 

ચાપ જાણે ઊતરીને આવ્યું હોય પૃથ્વીની નમ્રતામહીં

તેમ લલાટ-વિસ્તાર સાવિત્રીનો અર્ધગોળ વિરાજતો

હતો સર્વજ્ઞની દૃષ્ટિતણી પરે,

તારિકા બે હતી એની આંખો વિશ્વ વિલોકતી.

હતી ચલાવતી રાજય શકિત એના સત્ત્વને શિખરે રહી

અને સાન્નિધ્ય આવાસ કરતું જે પદ્મની ગુહ્યતામહીં,

તે આવ્યું ઊતરી, એના આજ્ઞાચક્રે અધિષ્ઠિત થઈ ગયું,

જ્યાં ઈશ મનનો બેઠો છે પોતાના નિયંતૃ-કક્ષની મહીં;

તહીં એકાગ્રતા કેરા સ્થાને સ્વાભાવિક આરૂઢ એ થઈ

ત્રીજી આંખ ઉઘાડે છે ગૂઢવર્તી મનુષ્યમાં,

જયારે અદૃષ્ટ કેરી જે અદૃષ્ટ અવલોકતી,

જયારે પ્રકાશ સોનેરી સંમુદાથી એના મસ્તિષ્કને ભરે

અને શાશ્વત-પ્રજ્ઞાન પ્રેરે એની પસંદગી

અને શાશ્વત સંકલ્પ મર્ત્ય સંકલ્પને લે નિજ ગ્રાહમાં. 

ઉઠ્યું સળવળી એહ ગાતા એના કંઠના પદ્મની મહીં,

થયો સ્પંદિત વાણીમાં એની અમર શબ્દ ત્યાં,

વિશ્વના ચૈત્ય-આત્માનાં પગલાંએ ધ્વન્યું જીવન એહનું

વૈશ્વ વિચારની સાથે ચાલતું તાલમેળમાં.

નિગૂઢ ગહવરે જેમ પ્રવેશે છે પ્રભુનો સૂર્ય સર્પતો

પીછો લેતા દેવતાઓથકી એની જ્યોતિ છે જ્યાં છુપાયલી,

તેમ એ સરકી પેઠું એના હૃદય-પદ્મમાં

અને પ્રારબ્ધને દેતું પલટી જે બળ તે ત્યાં જગાડિયું.

આવ્યું રેલાઈ એ નાભિ-ચક્રની ગહરાઈમાં,

સાંકડા ઘરમાં વાસો કર્યો ક્ષુદ્ર પ્રાણ કેરા સ્વભાવના,

દેહની લાલસાઓની પર ફૂટ્યું ફૂલ દિવ્ય પ્રહર્ષનું,

શુચિ સ્વર્ગીય જવાલાનું રૂપ એણે કામનાને સમર્પિયું,

ગુહામાં બળથી ઘૂસ્યું

૧૦૬


 

છે જ્યાં સૂતી વિશ્વ-શકિત કુંડલાકારની મહીં

ને સહસ્રફણાવાળી સર્પાકાર શકિતની પર ઘા કર્યો

જે ભભૂકંત આરોહી વિશ્વાત્માને ઊર્ધ્વે  આશ્લેષતી જઈ,

આત્માના મૌનની સાથે જોડી દેતી મૂકતા જડદ્રવ્યની,

ને પૃથ્વીનાં ભર્યાં એણે કાર્યો આત્માતણા નીરવ ઓજથી.

સાવિત્રી પલટાઈને

આમ વાટ બોલવાના શબ્દની અવલોકતી.

આંખોમાં મૃત્યુની જોઈ રહી શાશ્વતતા હતી.

થઈ પ્રત્યક્ષ જીવંત સત્યતા શ્રી પ્રભુની અંધકારને.

સુણાયો સ્વર તે પછી,

નિઃસ્પંદતાતણા આત્મા જેવો એ લાગતો હતો,

વા મંદ શાંત ઉચ્ચાર લાગતો એ હતો અનંતતાતણો

જયારે નિદ્રાતણે હૈયે મૌન શું એ કરતી વાત હોય છે.

" અભિવાદન હે મૃત્યો ! સર્વશકિતમાન ને વિજયી તને,

બૃહદાકાર તું ભવ્ય અંધકાર અનંતનો.

તું શૂન્ય જે કરી આપે જગા સૌને અસ્તિમાં આવવાતણી,

ક્ષુધા તું કરડી ખાઈ જનારી વિશ્વજાતને,

સમાપ્ત કરતી શીત શેષાંશો  સૂરજોતણા,

દાઢોથી અગ્નિની સારા વિશ્વને ખાઈ જાય તું,

જેણે તારા બનાવ્યા છે તે શકિતને વેડફી મારનાર તું,

તું અચેતનતા બીજ વહે છે જે વિચારનાં,

અજ્ઞાન જે મહીં સર્વ-પોઢી રહ્યું છે દફનાયલું

ને પોલા વક્ષમાં એના ધીરે ધીરે આવે છે જે પ્રકાશમાં

શુભ્ર અજ્ઞાનનું ધારી મુખછદ્મ મનોમય.

તું મારો પડછાયો છે ને મારું હથિયાર છે.

મેં આપ્યું છે તને મારું ઘોર રૂપ ડરામણું,

ને ત્રાસ, શોક ને દુઃખ રૂપ તારું આપ્યું છે તીક્ષ્ણ ખડ્ગ મેં

જેથી માનવનો આત્મા અલ્પ અર્ધ-સચેત સ્વ-દિનો પરે

પ્રકાશ પાડવા માટે બળાત્કારે પ્રયાસ કરતો રહે.

તું ઉત્તેજન છે એનું કર્યો એનાં મહત્તાનાં બનાવવા,

ચાબખો ઝંખના માટે એની નિત્યસુખાર્થની,

તું આવશ્યકતા એની તીવ્ર છે અમૃતત્વની.

મૃત્યુ ! જીવ હજી થોડું, ઓજાર મુજ થા હજી.

દિન એક મનુષ્યેય

૧૦૭


 

હૈયું તારું મૌન કેરું અગાધ અવબોધશે

ને સૌ છાવરી દેતો જાણશે શાંતિ રાત્રિની,

ગભીર જાણશે આજ્ઞાધીનતા એ

ઋતધર્મ નિત્યનો અનુવર્તતી,

અને તારી દૃષ્ટિ કેરી શાંત અણનમા દયા.

પરંતુ હવાણાં તું જે છે અકાલ બલિષ્ઠતા

તે રહે બાજુએ ખડો,

અને તું માર્ગ છોડી દે મારી સંમુર્ત્ત શકિતનો.

તારા કાળા છદ્મમાંથી કર છૂટો દેદીપ્યમાન દેવને;

કર છૂટો વિશ્વ કેરા આત્માને-સત્યવાનને

મુક્ત તારા ગ્રાહમાંથી દુઃખ ને અજ્ઞતાતણા,

કે જીવન અને ભાગ્ય કેરો ઈશ બનીને સ્થિત થાય એ

પ્રભુના ગૃહમાં પ્રતિનિધ્ય ધારી મનુષ્યનું,

બની પ્રજ્ઞાતણો સાથી, બની પતિ પ્રભાતણો,

સનાતન વધૂ કેરો બની વર સનાતન."

બોલી એ એન અપ્રતીત યમ બાધા હજીયે નાખતો હતો,

જાણતો એ હતો તોય જાણવાની ના હજી પાડતો હતો,

જોતો 'તો તોય જોવાની ના હજી પાડતો હતો.

ઊભો અટલ એ દાવો કરતો સ્વાધિકારનો.

આત્મા એનો નમ્યો; કિંતુ દેવોને પણ બાંધતો

છે જે ધર્મ એના સ્વીય સ્વભાવનો

તેને આજ્ઞાધીન એનો સંકલ્પ વર્તતો હતો.

વિરોધ એકબીજાનો કરતાં 'તાં બન્ને સંમુખતા ધરી.

અંધકારતણા ઘોર દુર્ગ જેવું

સત્ત્વ યમતણું ઊર્ધ્વ આરોહી આભને અડ્યું;

મહાસિંધુ વળે ઘેરી

તેમ જીવન સાવિત્રી કેરું એને ઘેરી ચોમેરથી વળ્યું.

ટકી છાયા જરાવાર સ્વર્ગને તુચ્છકારતી:

આક્રમંતી  સંમુખેથી, ઊર્ધ્વમાંથી દબાવતી,

સચેત શકિતનો પીંડ ઘન,એવી

દિવ્ય એની કામનાની યમે જોહુકમી સહી.

અસહ્ય શકિતનો ભાર દાબતો 'તી એનું અણનમ્યું શિર

અને વૃક્ષ હઠે ભર્યું;

જવલંતી જીભની જેમ જ્યોતિ એના વિચારો અવલેહતી,

૧૦૮


 

એના હૃદયમાં જ્યોતિ હતી એક જ્યોતિધર્મ મહાવ્યથા,

એની નસોમહીં જ્યોતિ દોડતી 'તી દિપ્ત કો યાતના સમી;

એનો અંધાર સાવિત્રી કેરી અર્ચિષની મહીં

જ્લ્પનાએ ભર્યો લુપ્ત થતો હતો.

સાવિત્રીનો વશીભૂત કરતો શબ્દ મૃત્યુના

પ્રત્યેક અંગને આજ્ઞાપતો હતો

 

ને એના ઘોર સંકલ્પ માટે સ્થાન એકેય રાખતો ન 'તો.

જે સંકલ્પ નિરાધાર કો જગાએ ધકેલાયેલ લાગતો

ને ફરીથી લેશમાત્ર પ્રવેશી શકતો ન 'તો

કિંતુ એને ખાલીખમ જ છોડતો.

એણે પોકાર રાત્રીને કર્યો કિંતુ ધ્રૂજતી એ હઠી ગઈ,

કર્યો નરકને સાદ, કિંતુ ખિન્ન વદને એ ફરી ગયું:

અવલંબન લેવાને અચિત્  ની પ્રતિ એ વળ્યો,

જે અચિત્ થી જન્મે, એનો થયો હતો

ને બૃહદ્-રૂપ એનું જે હતું આધાર આપતું:

એણે ખેંચી લીધો એને નિઃસીમા રિક્તતા પ્રતિ,

જાણે કે આપનાથી એ ગળી જાવા આપને હોય માગતો:

પોતાના બળને એણે હાક પાડી

કિંતુ એણે નકારી હાક એહની.

પ્રકાશે ભરખી લીધો પીંડ એનો,

આત્મા એનો અન્ન એનું બની ગયો.

અંતે એણે પિછાણ્યું કે હાર અપરિહાર્ય છે

ને પોતે રૂપ લીધું 'તું તેને એણે તજ્યું શીર્ણ થઈ જતું,

માનવી જીવને ભોગ પોતાનો કરવાતણી

અને અમર આત્માને બળાત્કારે મર્ત્ય બનાવવાતણી

આશા એણે પરિત્યજી.

ભાગ્યો એ દૂર ટાળીને સાવિત્રીના ભયોત્પાદક સ્પર્શને

અને પાછી હઠી જતી રાત્રિને શરણે ગયો.

સ્વપ્ન-સંધ્યામહીં એહ પ્રતીકાત્મક વિશ્વની

વિષમાં વિશ્વવ્યાપી એ છાયા લીન થઈ ગઈ,

જ્યાંથી આવી હતી પોતે તે શૂન્યમાં વિલોપિતા.

જાણે કે લઈ લેવાયું હોય એનું મૂલ કારણ, તેમ તે

સાંધ્ય પ્રકાશનો દેશ તેમના આત્મામાંહ્યથી

ઝાંખવાઈ સરી ગયો,

૧૦૯


 

ને સત્યવાન-સાવિત્રી એકલાં બે રહ્યાં તહીં.

કિતું એકે ન બેમાંથી હલ્યું : એ બે જણાંની વચગાળમાં

મૂગી અદૃશ્ય ને અર્ધપારદર્શી ભીંત એક ખડી હતી.

વિરામે દીર્ધ ને ખાલી પળના એ કશું હાલી શક્યું નહીં:

અવિજ્ઞાત ને અબોધગમ્ય સંકલ્પની સહુ

પ્રતીક્ષા કરતાં હતાં.

૧૦૯


ચોથો  સર્ગ   સમાપ્ત

 

દસમું પર્વ સમાપ્ત









Let us co-create the website.

Share your feedback. Help us improve. Or ask a question.

Image Description
Connect for updates