સાવિત્રી

Sri Aurobindo symbol
Sri Aurobindo

Sri Aurobindo's major poetic work, an epic in blank verse. In Savitri, a legend from the Mahabharata becomes the symbol of the human soul's spiritual destiny. In poetic language, Sri Aurobindo describes his vision of existence and explores the reason for ignorance, darkness, suffering and pain, the purpose of life on earth and the prospect of a glorious future for humanity. The writing of the epic extended over much of the later part of his life.

Sri Aurobindo Birth Centenary Library (SABCL) Savitri Vols. 28,29 816 pages 1970 Edition
English
 PDF     Poems
Sri Aurobindo symbol
Sri Aurobindo

Sri Aurobindo's major poetic work, an epic in blank verse. In Savitri, a legend from the Mahabharata becomes the symbol of the human soul's spiritual destiny. In poetic language, Sri Aurobindo describes his vision of existence and explores the reason for ignorance, darkness, suffering and pain, the purpose of life on earth and the prospect of a glorious future for humanity. The writing of the epic extended over much of the later part of his life.

Gujarati Translations of books by Sri Aurobindo સાવિત્રી 1973 Edition
Gujarati Translation
Translator:   Pujalal

સર્ગ  બીજો

વિધિનો માર્ગ અને દુ:ખની સમસ્યા

 

વસ્તુનિર્દેશ

   

         નાફેર નિર્માણ ઉપર મૌનની મુદ્રા મરાઈ ગઈ. છતાં એ નિર્માણને સામો પ્રશ્ન પૂછતો એક અવાજ ઊઠયો . રાણી સામાન્ય ક્ક્ષાએ ઊતરી પડી નિશ્ચલ બેઠેલા ઋષિ તરફ વળી ને દૈવની અકળ ગતિને પૃથ્વી જે પ્રશ્ન પૂછે છે તે પ્રશ્ન પૂછવા લાગી, પૃથ્વીલોકના બહિસ્તલ ઉપરની ચેતનામાંથી એણે જગતના મૂક હૃદયમાં રહેલા દુઃખને ને અજ્ઞાન દૈવની વિરુદ્ધ ઊઠતા મનુષ્યના બળવાને એણે વાચા આપી :

        "  ઋષિરાય !  આ શોક અને દુઃખની દૃઢ દૈવરૂપ ધારતી ભયંકર રહસ્યમયતા ક્યાંથી ઉદભવી છે ? શું ક્રૂર કાયદો તમારા પ્રભુએ કર્યો છે ?  કે  પછી બીજી કોઈ દારુણ દાનવી શક્તિએ ?  સ્વાભાવિક ક્રમે ચાલતા પ્રાણી-જીવનની સહજસ્ફુરણાને સ્થાને મનુષ્યના મને આ રોગ ઊભો કર્યો કે શું ?  આમારું જીવન પીડા ને પોકાર સાથે જન્મ્યું છે. વિકાસ પામતા જીવ માટે સત્ય અને મુક્તિ વિલુપ્ત થયાં છે. હજારો અનિષ્ટો આક્રમણ કરતાં આવે છે ને જીવનના સ્વાભાવિક સુખને સમાપ્ત કરી દે છે, રોગ દોગ અમારાં શરીરોને સતાવતા રહે છે ને અંતે એમને મૃત્યુને હવાલે કરી દીધા વગર જંપતો નથી. અમારી પોતાની અંદર જ અમે સ્વ-શત્રુઓને સંઘરીએ છીએ. સ્ખલન, જૂઠાણું, પાપ અને શાપ અમને પજવ્યા  જ કરે છે. પુણ્ય પણ અમારે માટે બંદીખાનું બની જાય છે. પગલે પગલે અમને પકડી લેવા માટે જાળ બિછાવાયેલી છે. માણસ પોતે જ ચાહીને નરકના સકંજામાં સપડાઈ જાય છે પોતાના સુખનો તેમ જ બીજાંઓના ભલાનો ભોગ આપતો રહે છે. માણસની પોતાની ઈચ્છા-શક્તિ મૃત્યુ, કાળ અને કમભાગ્યની સાથે કાવતરામાં ભળી જાય છે. નિષ્ફળ જીવનોની પરંપરાઓમાંથી માણસ પસાર થતો રહે છે. એનું જીવન એક નિરર્થક કથાવસ્તુનો કે એક  પ્રસંગમાત્ર બની જાય છે. આ વિચિત્ર અને વંધ્ય વાર્તાનો કયાંથી આરંભ થયો ?  કઈ શક્તિએ અમર આત્માને આ લોકમાં જન્મ લેવાઈ ફરજ પાડી ? પોતાના અમૃત્વના હકને જતો કરવાની મતિ કોણે એને આપી ?  શું કોઈ મહાકાયાએ આ

૧૩૩


આકાશ ભરતું તારકમંડળ રચ્યું છે ?  તો પછી આત્માની સુરક્ષા શેમાં રહી છે ?  સંભવ છે કે અમે જેને જીવ સમજીએ છીએ તે માત્ર એક સ્વપ્ન છે અને સનાતન આત્મા સમાધિમાં સંવેદાતી એક  કપોલકલ્પના છે ?"

        થોડી વાર ચૂપ રહી નારદ બોલ્યા અને મર્ત્યલોકની વૈખરીમાં એમણે ભાગ્યની સમજનાં ઊંડાં સૂચનો આપ્યાં :

        " તો શું રાત્રિ છે માટે સૂર્ય એક સ્વપ્નું છે ?  મર્ત્યના હૃદયમાં ગુપ્ત ભાવે સનાતનનો નિવાસ છે. અંતરાત્માની ગહન ગુહામાં એ વિરાજમાન છે. રાણી !  માત્ર તારી અને એની વચ્ચે અંધકારનો પડદો આડો પડેલો  છે. તારા અજ્ઞાનનો ઝગમગાટ પ્રભુના મંગળ મુખને અવગુંઠિત કરી દે છે. તારું મન શાશ્વત જ્યોતિને ને તારા હૃદયની આશાઓ અને અપેક્ષાઓ શાશ્વતના સંકલ્પને સંતાડી રાખે છે. પૃથ્વી-લોકનાં સુખો અમર આનંદને તારી પાસે આવવા દેતા નથી, એ વચમાં અંતરાયરૂપ બની જાય છે.

        આવું છે માટે દુઃખ જન્મ્યું છે, જડતામાંથી જગાડવા માટે  એ આવ્યું છે. અજ્ઞાન છે ત્યાં દુઃખ આવવાનું જ. સુખદુઃખ જોડિયાં જન્મ્યાં છે, પણ પ્રથમ જન્મ્યું છે દુઃખ ને એની પછી જ સુખનો જન્મ સંભવ્યો છે.

        દુઃખ એ દેવોનો ઘણ છે. એના પ્રહારથી મર્ત્ય હૃદયની શિલાજડતા તોડવામાં આવે છે ને જાગેલું ચેતન સૂર્ય પ્રતિ ઊંચે ચડવાનું શીખે છે. પૃથ્વીની પ્રસવપીડા હજુ પૂરી થઇ નથી. શતકો પર શતકો વીતે છે ને હજુ દેવસ્વરૂપનો જન્મ થયો નથી. પણ એ પુરાણી માતા હર્ષપૂર્વક બધું સહેતી રહી છે. પીડા ને પરિશ્રમમાંથી બધાં સર્જનો થાય છે.

        ઘોર ગર્તોમાંથી પાપબળો  જાગે છે, તેમની સામે મોરચા માંડવાના હોય છે. ઘમસાણોનો ઘોર નાદ મચતો રહે છે. માણસ જીવે ને પ્રભુનો જન્મ થાય તેને માટે માણસો મૃત્યુ વહોરે છે. ઘાટ આપતા ઘણોના ઘા મોટી યાતના તો છે, છતાં ભીતરમાંનો આત્મા એને આનંદથી અપનાવી લે છે. જે પોતાનું પરિત્રાણ કરવા માગતો હોય તેણે અકિંચન અને શાન્ત થવાનું છે, જે સમસ્ત જાતિનો ઉદ્ધાર કરવાને બહાર પડયો હોય તેણે તે જાતિના દુઃખમાં ભાગીદાર બનવાનું છે, જગદુદ્વારકોએ જગતના શોકદુઃખની ઝૂંસરી ને માનવોના ભાગ્યનો ભાર ખભે લેવાનો છે.

         પ્રભુનો પુત્ર માનવીનો પુત્ર બનીને જન્મ્યો. એણે સનાતનનું ઋણ ફેડ્યું. જે પોતે સર્જનહાર છે તેને  દુઃખના ને મૃત્યુના નિષ્ઠુર નિયમની નીચે આવવાનું થયું. એ પ્રભુ સાથે એકરૂપ બનેલો છે. જે ઘૂંસરી ઉતારવા પ્રભુ પૃથ્વી ઉપર આવે છે તે ઘૂંસરી એને પોતાને વહેવી પડે છે. પૃથ્વીના પાપશાપનો બોજો એના આત્મા પર લદાય છે. આસુરી શત્રુ શક્તિઓ એની સામે અડીખમ અડે છે. એનું જીવન એટલે સતત સંગ્રામ અને ઘોર ઘેરો. જગતનું ઝેર એને નીલકંઠ બનાવે છે. પોતાના યજ્ઞમાં એ પોતે જ બલિદાન બને છે. એને  માટે વધસ્તંભનું નિર્માણ છે.

૧૩૪


પણ મોટાં બલિદાનો વગર મોટાં સ્વર્ગો મળતાં નથી. પૃથ્વી ઉપર પ્રભુની શાંતિનું રાજ્ય સ્થાપવું હોય તેને બધું જ જીતવું પડે છે, બધું જ વેઠવું પડે છે. અંતરમાં રહેલા રિપુઓને જીત્યા વગર માણસ પોતાના દૈવી નિર્માણને સિદ્ધ કરી શકતો નથી. જગતને ઊંચે લઈ જવા માટે જ્ન્મેલાઓને આ આંતર યુદ્ધમાં થઈને પસાર થવું પડે છે. તે વગર મોટી પ્રાપ્તિઓ કરી કે કરાવી શકાતી નથી.

         વિશ્વોદ્વાર મહાકઠિન કાર્ય છે. એનો બોજો અસહ્ય છે. કેમ કે જગત પોતે જ એની વિરુદ્ધ ઊભું થાય છે, ને જેમને બચાવવા એ આવ્યો હોય છે તે લોકો જ એના દારુણ દુશ્મનો બની જાય છે. આવો કોઈ ઉદ્ધારક આવે છે ત્યારે એના હાથે થોડાક ઉદ્ધાર પામે છે, બીજા ઘણા મથતા રહે છે ને ઘણા તો નિષ્ફળ જ નીવડે છે. પ્રભુના સૂર્યના સામીપ્યમાં જવા માટે માર્ગો છે ખરા, પરંતુ કેવળ પવિત્ર આત્માઓ જ પ્રકાશમાં પગલાં માંડી શકે છે.

          પરંતુ એક આવશે-દિવ્ય કવચધારી ને અજેય. પ્રભુની રાત્રિનું તેમ જ પ્રભુના સૂર્યનું એનામાં પ્રજ્ઞાન હશે. બધા જ વિરોધોનું ને વિપરીતોનું એ સમાધાન સાધશે. અશુભો શુભમાં પલટાઈ જશે, શોક મહામુદાની ગોદમાં ભરાશે, પૃથ્વી પ્રભુના પ્રકાશનું પરમધામ બનશે, આ મર્ત્ય જિંદગી સનાતનની  સંમુદાનું નિવાસ્થાન બનશે, શરીરને અમૃતત્વનો આસ્વાદ મળશે. આવું થશે ત્યારે જ વિશ્વોદ્ધારકનું કાર્ય પૂર્ણાહુતિ પામશે.

           ત્યાં સુધી, હે મર્ત્ય !  દુઃખના મહાનિયમને સહી લે. પરમાત્માની શક્તિને તારા આત્માનો આશ્રય બનાવ, પરમ સત્ય પ્રત્યે વળ, પ્રેમ માટે પ્રાર્થના કર, શાંતિનું આવાહન કરતો રહે. તારું નિત્યનું જીવન એક દિવ્ય યાત્રામાં પલટાવી નાખ. ક્ષુદ્ર હર્ષો અને ક્ષુદ્ર શોકો હોવા છતાંય તું પ્રભુ પ્રત્યે પ્રયાણ કરી રહેલો છે. પણ સાવધાન !  ભૂલેચૂકેય તું આસુરી માર્ગ લેતો નહિ. અસુર પોતાના ક્ષુદ્ર અહંકારનું આધિપત્ય સ્થાપવા માગે છે. પોતાનાં ને પારકાં દુઃખો વડે એ એને પરિપુષ્ટ બનાવે છે. પોતાના 'હું' માં એ બ્રહ્યાંડને ગળી જવા માગે છે.

             મર્ત્ય માનવ ! સહન કરવાનું આવે તો સહન કરી લે, પણ પ્રહારને નિમંત્રણ ન આપ. અનંતતા તારા આત્માનું લક્ષ્ય છે. પરમાનંદ પરમાત્માના માથાનો મુકુટ છે. દુઃખ માત્ર અજ્ઞાનનું મતું છે. આત્માનો પ્રારબ્ધ ઉપરનો વિજય એ શાંતિ છે. તારા આત્માનું સામર્થ્થ તને પ્રભુ સાથેની તદાત્મતા સમર્પશે. કેવળ પરમાત્માનાં શિખરો પર આનંદાનંદ દિગંબર સ્વરૂપે અટ્ટહાસ્ય કરે છે.

              હે મર્ત્ય ! મૃત્યુ ને દૈવ સામે બાકરી બાંધતો માં. તેં પોતે જ એમને આમંત્રી આણ્યાં છે. એક સમયે તું પરમ સત્યમાં, પ્રભુના પ્રકાશમાં, પરમાનંદના ધામમાં હતો. પણ ત્યાંથી તું કુતૂહલવશ અવિદ્યામાં ઝંપાપાત કરીને ઊતર્યો છે. વિપરીતમાંય પરમાત્માનો પરિચય સાધવાની ઈચ્છા તેં અમલમાં મૂકી છે. એક વિશ્વવિરાટ છદ્મવેશમાં સનાતનનો  આનંદ છુપાઈ રહ્યો છે."

૧૩૫


પછી અશ્વપતિએ નારદને ઉત્તર આપ્યો :

       " તો શું આત્મા ઉપર બહારના જગતનું રાજ્ય ચાલે છે ? એની કોઈ આંતરિક ઉપાય છે ખરો ? દૈવ શું વિશ્વશક્તિ દ્વારા લાંબે ગાળે સિદ્ધ થતો આત્માનો પોતાનો જ સંકલ્પ નથી ? મને લાગે છે કે સાવિત્રી એક અત્યંત ઓજસ્વી શક્તિ લઈને  અવતરી છે. શું એ શક્તિ દૈવની પરમોચ્ચ પ્રતિસ્પર્ધી નથી ? "

          પરંતુ નારદે સત્યને સત્યમાં છુપાવીને કહ્યું :

          " નીચે થઈ રહેલું બધું જ ઊર્ધ્વમાં પૂર્વદૃષ્ટ હોય છે. એની દોરતી દોરી અમર દેવોના હાથમાં છે. દિવ્ય ઘામનો વધારે જ્ઞાનવાન પ્રેમ માનવ પ્રાર્થનાને ઈનકારે છે. ઈચ્છા, ભય ને આશા એને આંધળો બનાવી શકતાં નથી. તારી પુત્રીનો આત્મા એક દિવ્ય મહિમાનો મહાનિલય છે. એ પોતાને તેમ જ પોતાની આસપાસના સર્વેને અનેરું રૂપાંતર સમર્પશે. માનવોને જે દુઃખની જરૂરિયાત છે તેમાં એણે ભાગ પાડ્યો છે. ઊર્ધ્વમાંના પોતાના સહજાનંદને એણે અહીંના દુઃખમાં પલટાવી દીધો છે.

            એક મહાજાદૂગરનાં મંત્રસૂત્રોએ જડ જગતના નિયમો બનાવ્યા છે. આત્માની અનુમતિ વગર એમને બદલી શકાતા નથી. પણ જાદૂગર પોતે ધારે તો બધું જ બદલી શકે છે. માનવ સંકલ્પ પ્રભુના સંકલ્પ સાથે એક બની જાય, માનવ વિચાર પ્રભુના વિચારોના પડઘા પાડે, તો માણસ પણ સર્વજ્ઞ અને સર્વશક્તિમાન બની શકે છે. માનવ મન પ્રભુના પ્રકાશને ઝીલે, પ્રભુની શક્તિથી માનવની શક્તિ સંચાલિત થાય તો માણસ પોતે ચમત્કારો કરતો ચમત્કાર બની જાય, પ્રકૃતિનો પ્રભુ બનીને પરમે વિરાજે.

            પ્રકૃતિ અને તારા આત્મા વચ્ચે ચાલતો વ્યવહાર,એ તારું ભાગ્ય છે, ને એમાં ન્યાયનિર્ણયનો આપનારો ઈશ્વર છે. માણસ જેને લક્ષ્ય બનાવે છે ને જે માર્ગ લે છે તે તેનું ભાગ્ય છે. અંતર્યામી પ્રભુ પ્રતિ બારણાં ઊઘડી જાય ત્યાં સુધી દેવોને માટે જે યજ્ઞ થાય છે તેનું નામ ભાગ્ય.

            પ્રકૃતિના અજ્ઞાનમાં આવેલા ઓ આત્મા ! તારું ભગ્ય એક સંગ્રામ છે, એક અખંડ આગેકદમ કૂચ છે. આમ યુદ્ધને માર્ગે પ્રયાણ કરતો માણસ આખરે પરમ પ્રભુના પ્રકાશના શિખરે જઈને ઊભો રહે છે.

            સત્યવાન મૃત્યુનો તું નકામો અફસોસ કરે છે. એનું મૃત્યુ એક મહત્તર જીવનનો આરંભ છે. મૃત્યુ એ આત્માને મળેલો મોટો અવસર  છે. એક ચૈતન્યમયી શક્તિએ જીવનની યોજના ઘડી છે. એના મહાન શિલ્પકાર્યમાં જે મોટા મોટા શિલ્પકારો છે તેમાં સૌથી મોટી સાવિત્રી છે.

             રાણી ! ગૂઢ સંકલ્પને બદલી નાખવાને મથતી નહિ. કાળમાં થતા અકસ્માતો એ વિશાળ યોજનાનાં પગથિયાં છે. પોતાના સંકલ્પને પ્રભુના સંકલ્પની સાથે એકાકાર બનાવનારની આડે આવતી નહિ. એ પોતે જ પોતાના વિપરીત ભાવિને ભેટવાને સમર્થ છે. અખિલ બ્રહ્યાંડની સામે અડેલું એનું એકલીનું બળ દૈવનો

૧૩૬


 સામનો કરશે ને એ કોઈ મનુષ્યની કે કોઈ દેવની મદદ માગશે નહિ. મહાત્માઓ જયારે કેવળ એકલવાયા બની ગયા હોય છે ત્યારે એમનું બળ પરાકાષ્ઠાએ પહોંચે છે, પ્રભુની શક્તિ એમનામાં પ્રકટ થાય છે. જે આત્મા એકમાત્ર પોતાની સાથે જ રહેતો હોય છે તેને પ્રભુનો ભેટો થાય છે.

        એક એવો સમય આવશે જયારે સાવિત્રી સાવ એકલી પડી જવાની. એને  સહાય કરવા ત્યારે કોઈ હશે નહિ. આખાય વિશ્વનું ભાવિ પોતાના હૃદયમાં લઈને એ એક આખરી કિનાર પર જઈ ઊભશે. કાં તો મહાવિજય, કાં તો મહાનિષ્ફળતા, એ બે જ એને માટે હશે. યા તો મૃત્યુની સામે યા તો પ્રભુની સામે એકલી  એ ખડી થશે. નહિ કોઈ માનવ કે નહિ કોઈ કવચધારી દેદીપ્યમાન દેવ એને તે સમયે સહાય કરી શકે. રાણી !  દેવલોકની પ્રત્યે પોકાર કરતી નહિ. તારી સાવિત્રી પોતે જ પોતાનું પરિત્રાણ કરી લેશે. આ મહામથામણમાં તારું કોઈ સ્થાન નથી. તું પાછી હઠીને જોયા કર. વિશ્વનું ભાગ્ય અને સાવિત્રી-ઉભયને તું  પ્રભુની સંભાળમાં સોંપી દે. વચ્ચે પડતી નહિ. સાવિત્રીને ને એના ઓજસ્વી આત્માને ભાગ્યને હવાલે એમને એમ છોડી દે."

         આટલું બોલી નારદજી પૃથ્વીલોકમાંથી પોતાના ઊર્ધ્વના આનંદધામમાં સિધાવ્યા. ઊંચે તકાયેલું કોઈ તેજસ્વી તીર જાય તેમ એમનું જ્યોતિર્મય શરીર અદૃષ્ટમાં અંતર્લીન થઈ ગયું. પરંતુ એમની પાછળ અમર પ્રેમનું એમનું ગાન  ત્યારેય  પૃથ્વીલોકમાં ધ્વનિત-પ્રતિધ્વનિત થયા કરતું હતું.

 

   

મૌને સીલ કરી દીધો ચુકાદો જે કર્યો રદ જતો નથી,

નીકળ્યો દિવ્ય હોઠોથી શબ્દ વિધિવિધાનનો

નિર્માણ કરતો નક્કી જેને કોઈ ઉલટાવી શકે નહીં,

સિવાય કે સ્વયં સ્વર્ગતણો સંકલ્પ ફેરવે

પોતે નક્કી કરેલા નિજ માર્ગને.

યા તો એવું લાગતું 'તું; તે છતાં મૌનમાંહ્યથી

અવાજ એક ઊઠયો જે નાફેર નિર્માણને

પ્રશ્ન પૂછી રહ્યો હતો.

મથતી 'તી એક ઈચ્છા

નિર્વિકાર ઈચ્છાશક્તિ સામે વિરોધ આદરી,

એક માતાતણા હૈયે સાંભળી 'તી વાણી વિધિવિધાનની

મૃત્યુના સાદને એક મંજુરી શી થતી ધ્વનિત જે હતી,

ને જે જીવન ને આશા કેરા ઠંડા અંત શી નીકળી હતી.

ફરી બેસી ગઈ આશા ઓલવાયેલ આગ શી.

૧૩૭


   

પોતે જે આત્માને રાખ્યો હતો રક્ષી, તેની એકાંતતા પરે

લહ્યો આક્રાંતતો એણે સીસા શા એક હસ્તને,

હતો એ કરતો ઘાવ ઓચિંતા દુઃખશસ્ત્રથી

એના નિશ્ચલ સંતોષે ને સામ્રાજ્યે

મુશ્કેલીથી મેળવાઈ હતી તે ચિત્તશાંતિના.

એ થોડી વાર સામાન્ય માનવોનો મનના સ્તરમાં પડી

ક્ષેત્ર જે મર્ત્ય શોકનું,

ભાગીદાર બની રાણી ધર્મમાં પ્રકૃતિતણા.

સામાન્ય માણસો કેરું ભાગ્ય એણે ઉપાડિયું,

સામાન્ય હૃદયો સ્હે છે કાળમાં તે સહ્યું સ્વયં.

અતકર્ય શક્તિની પ્રત્યે પૃથ્વી કેરા પ્રશ્નને વાચ આપતી

રાણી વળી હવે સ્થૈર્ય હજી ધારી બેઠેલા મુનિની પ્રતિ :

અસંતોષે પ્રકૃતિના ઊંડાણોના સમાક્રાંત થઈ જઈ, 

પાડતી ભાગ પીડામાં હંકારાતી મૂગી સૌ વસ્તુઓતણી,

એમને સર્વ દુઃખે ને પોકારે અજ્ઞ એમના

સહભાગી બની જઈ,

ભાવાવેશે શોક શી ને સ્વર્ગને પ્રશ્ન પૂછતી

મા સાવિત્રીતણી વદી.

ખોઈ બેઠી જરાવાર અવસ્થા સ્વસ્થ આત્મની,

ભાગ્યે સામન્ય જીવોના ભાગીદાર જરાવાર બની ગઈ,

મૃત્યુનો ને કાળ કેરો ભારે હાથ એણે પોતા પરે ધર્યો,

યંત્રણા જિંદગી કેરાં પીડાગ્રસ્ત ઊંડાણોમાંહ્યની લહી.

આપી પોતાતણી વાણી સપાટીએ રહેતા જગ-જીવને

વિશ્વના મૂક હૈયામાં છે જે દુઃખ

અને માણસનું બંડ નિજ અજ્ઞ ભાગ્ય કેરી વિરુદ્ધમાં,

તેને વ્યક્ત કર્યાં એણે પોતાનાં વચનો વડે. 

" ઋષિજી !  પૃથિવી કેરા સુવિચિત્ર દ્વૈધપ્રધાન જીવને

કઈ નિષ્ઠુર વિદ્વેષી અવશ્યંભાવિતા વડે,

કઈ ધૂને ભાવશૂન્ય ઈચ્છા કેરી એક સર્જનહારની,

નિરુદ્દેશ અકસ્માતે કયા, યા તો યદ્દચ્છાએ પ્રભાવિતા,

આપાતિક પદોમાંથી જેણે નિયમ છે ઘડયો,

પ્રારબ્ધ વિરચાયું છે ભાવમાંથી મુહૂર્તના,

શોક ને દુઃખની ઘોરતર જન્મી રહસ્યમયતા તથા ?

પ્રભુ તે શું તમારો છે જેણે ક્રૂર કાયદો આ રચેલ છે ?

૧૩૮


   

યા કો ઘોર વિપત્કારી શક્તિએ છે બગાડ્યું કાર્ય એહનું,

ને ઊભો એ નિરાધાર રક્ષા કે ત્રાણ આપવા ?

આ પૃથ્વી પર જે વારે ભલા સાથે બુરું જોડિયું બન્યું

ત્યારે એક વવાયું 'તું

પ્રાણહારી બીજ જૂઠે આરંભે જિંદગીતણા.

ત્યારે પ્રથમ પ્રાકટ્ય મનનો રોગ પામિયો,

વ્યથા વિચારની એની પ્રકટી ને શોધ જીવનલક્ષ્યની.

પ્રાણીનાં કર્મની ખુલ્લે ખુલ્લી સાદાઈ જે હતી

તેને વળ દઈ એણે આપ્યાં રૂપો સારાંનાં ને ખરાબનાં;

દેહના દેવતાઓએ કાપી કાઢયો માર્ગ તે પલટાવતું,

ને જે તારકનું તેજ પડે નીચે વ્યોમોમાંથી વિચારનાં

જેવા સ્વલક્ષ્યની શોધે જિંદગી ભટકયે જતી

તેનો અનુસરે માર્ગ વાંકોચૂંકો એ અનિશ્ચિતતા ભર્યો;

માર્ગદર્શન એ આપે ભાવનાને

અને સંકલ્પને દોરે ડામાડોળ બનેલને.

અંતરતમ આત્માની દૃષ્ટિ કેરા-સૂચ્ચગ્ર સાથમાં

સહજપ્રેરણાની જે સલામ તદાત્મતા

હતી તે લુપ્ત છે થઈ,

પગલાં ખાતરીબંધ ભરાતાં જે સાદી ચાલે નિસર્ગની

તે મહીં બાધ આવતો,

વિકાસ પામતા સત્ત્વ કેરાં સત્ય ને સ્વાતંત્ર્ય શમી જતાં.

હજી ના જન્મનો ભોગ બન્યા આત્મા, તેમનો અધિકાર જે

તે પ્રાચીના પાપમુકત શુદ્ધિ ને શાંતિમાંહ્યથી

જિંદગી આપણી જન્મી દુઃખમાં ને રુદનસ્વરને લઈ,

નંખાયેલી અહીં નીચે સહેવાને

આ કઠોર જોખમોએ ભર્યા જગે.

જોકે પ્રકૃતિ પૃથ્વીની સત્કારે છે ઉચ્છવાસ સ્વર્ગલોકનો

જે જીવનતણી ઈચ્છા પ્રેરે છે જડતત્ત્વમાં,

છતાં હજાર આપત્તિ આક્ર્મે છે મર્ત્ય જીવનકાળને

ને સ્વભાવિક આનંદ જિંદગીનો એથી ક્ષીણ થઈ જતો;

આપણા દેહ છે યંત્રો બનાવાયેલ યુક્તિથી

એમના કિંતુ સર્વેય ય ભાગો માટે

ચલાકીથી એટલી જ પ્રયોજાઈ ગયેલ છે

ને દૈત્યોની યુક્તિ સાથે વિનિર્મિત થયેલ છે

૧૩૯


   

મર્ત્ય જોખમ કેરો ને એના વિશિષ્ઠ દુઃખનો

અનિવાર્ય એમને યોગ્ય વારસો,

કાળ ને દૈવનો વેરો એમને ભરવો પડે,

એમની રીત સ્હેવાની ને રીત મરવાતણી.

આપણા ઉચ્ચ સ્થાનાર્થે છૂટકાનો દંડ આ ભરવો પડે,

નિશાની ને છાપ છે એ આપણી માણસાઈની.

દારુણ દલ રોગોનું આવે માનવ દેહમાં

પરવાનો પામેલું ત્યાં નિવાસનો,

જિંદગીને રિબાવે એ મૃત્યુ કેરાં પ્રભંધકો.

દુષ્ટતા ભર્યાં એવાં દરોમાં દુનિયાતણાં,

અવચેતનનાં એનાં બિલોના મારગોમહીં

તરાપ મારવા કેરી સંતાઈને રાહ જોઈ રહેલ છે

જીવનપુર ઘેરામાં છે જે તેને ઘેરતાં ભયજોખમે :

માનવીની જિંદગીના દુર્ગે દીધો પ્રવેશ તો

સુરંગ ફોડતાં એના બલ નીચે,

અંગો વ્યંગ દેતાં કે ઓચિંતા એને મારીય નાખતાં. 

પોતે જ પોષીએ છીએ જીવલેણ બળો ભીતર આપણે ;

આપણા શત્રુને પોતે બનાવીએ છીએ અતિથિ આપણા:

તેઓ જનાવરો પેઠે નીકળીને પોતાનાં બિલમાંહ્યથી

સર્પી આવે અને કાપ્યે જાય તારો

વીણા કેરા દિવ્ય સંગીતકારની,

તારા આપ ઘસાઈને પાતળા થાય છે તદા

સંગીત લોપ પામે છે યા તો છેલ્લા દુ:ખાંત સ્વર સાથમાં

તૂટી વાદિત્ર જાય છે.

ઘેરો ઘલાયલો હોય એવા કિલ્લા જેવા આપણા સર્વથા :

જે થવા મથીએ છીએ આપણે તે સઘળું સ્વપ્નના સમું

જડ-અજ્ઞાનની ઘેરી નિદ્રામાં પલટી જતું.

વિસંવાદે વિશ્વ કેરા ને કુરૂપે માનુષી વસ્તુઓતણા

મન દુઃખ સહે છે પાંગળું બની.

જિંદગી છે ખજાનો જે બેકાર ખરચાય છે,

યા તો સસ્તે જતો રહે,

વ્યર્થ વેચાઈ જાયે એ બજારે અંધ ભાગ્યના,

કાળના દેવતાઓનો અમૂલો ઉપહાર એ

પરવા વણને લોકે ગુમાવતો યા રખાતો અપાત્રમાં,

૧૪૦


   

ચૂકી જવાય છે જેને એવું આશ્ચર્ય જિંદગી,

છે એ કલા મરોડાઈ બની વિકૃત જે જતી;

સ્થાને કાળા તમોગ્રસ્ત શોધમાં નીકળેલ એ,

છે એ યોદ્ધો અપર્યાપ્ત સજાયો હથિયારથી

અને જે અડતો ઘોર વૈષમ્યોની વિરુદ્ધમાં,

ગૂંચવી નાખતું કામ છે અપાયેલ જેહને

એવો એક અપૂર્ણ કર્મકાર એ,

ઉભા કરેલ અજ્ઞાને પ્રશ્નો કેરો અજ્ઞાન ન્યાયકાર એ,

એનાં ઉડ્ડયનો સ્વર્ગ પ્રત્યેનાં, તે

છે બંધ ને નથી ચાવી એવાં દ્વારે પહોંચતાં,

એનાં પ્રસ્ફોટનો ભવ્ય કથળી કીચડે જતાં.

દાનો મનુષ્યને છે જે મળ્યાં પ્રકૃતિ પાસથી

તેમને છે શાપ એક અપાયલો  

હાથે હાથ મિલાવીને સૌ પોતાના વિપક્ષી સાથ ચાલતું,

મિતિવિભ્રમ છે સાથી

મર્ત્ય એવા આપણા માનવીઓના વિચારનો,

સત્યના ગૂઢ હૈયામાં છે અસત્ય છુપાયલું,

પ્રોલ્લાસી નિજ પુષ્પોએ હર્ષ કેરાં પાપ પ્રસારતું વિષ,

કે આત્મા પર આંકે છે ડામના લાલ ડાઘને;

છે નીતિ ધૂસરો બંધ બંદીગૃહેય એહ છે.

આપણે કાજ પ્રત્યેક પગલે છે જાળ બિછાયલી.

વિવેકબુદ્ધિ ને આત્મજ્યોતિ માટે છે જેહ પરદેશનો

તેહ અંધારમાંહેથી પ્રકટે છે આપણાં કર્મનો ઝરો;

અજ્ઞાન ને અવિદ્યામાં આવ્યાં છે મૂળ આપણાં.

વધતી જ જતી નોંધપત્રિકા વિપદોતણી,

છે એ હિસાબ ભૂતનો

ને ભવિષ્યતણી પોથી અદૃષ્ટની :

નૈસર્ગિક અનિષ્ટોના સંખ્યાબંધ સમૂહ પે

સૈકાઓ ખડકે જાતા

માનવીની મૂર્ખતાઓ ને ગુના ઇનસાનના;

પાષણ-ભાર જાણે કે પૂરતો ના જગત્ તણો

તેમ દેવોતણે ચાસે બીજ જક્કી દુઃખ કેરાં વવાય છે

માનવીના સ્વહસ્તથી,

ભુલાયેલા ભૂતકાળે દટાયલાં

૧૪૧


   

કુકર્મોમાંહ્યથી જૂનાં વિશાળો વધતો જતો

કરુણાંત પાક પ્રૌઢ લણાય છે.

કરી પસંદ પોતે જ

નારકીય સકંજામાં એ પોતે ચાલતો જતો;

આ મર્ત્ય જીવ પોતે જ પોતા કેરો શત્રુ સૌથી ખરાબ છે.

એનું પદાર્થ-વિજ્ઞાન શિલ્પી એના પોતાના ઘોર નાશનું;

પૃથ્વીને ઢૂંઢતો એહ એનાં સાધન લૂંટવા

અને પ્હોંચાડવા હાનિ સ્વ-જાતિને;

પોતાનું સુખ ને શ્રેય બીજાંઓનું એને હાથે હણાય છે.

એ કશું યે નથી શીખ્યો કાળથી ને કાળના ઇતિહાસથી;

કાળના યૌવને કાચા થતું જેમ જૂના સમયની મહીં

અજ્ઞાન પૃથિવી જયારે દોડતી'તી ઘોરી માર્ગે નસીબના,

તેમ રૂપો પુરાણાં છે વળગીને રહેલાં વિશ્વ-આત્માને :

શૂન્યે શમાવતાં યુદ્ધો જિંદગીની મિષ્ટ સસ્મિત શાંતિને,

સંગ્રામો, લૂટ ને પાયમાલી ને કતલો થતી

સામસામે ઝૂઝનારી જાતિઓની હજી રમત ક્રૂર છે;

 સૈકાઓએ રચ્યું હોય તેને મૂર્ખ ઘડી એક કરે ઝબે,

બેકાબૂ  ક્રોધ-ઉન્માદ કે ઝનૂને ભર્યો વિદ્વેષ દે કરી

જમીનદોસ્ત સૌન્દર્ય ને મહત્તા

રચાયેલાં માનવી પ્રતિભા વડે,

રાષ્ટ્રના શ્રમની મોટી પેદાશ પ્રલયે પડે.

એણે હોય કર્યું સિદ્ધ તે બધું એ

ધારે ખેંચી જતો ઘોર પ્રપાતની

સર્વનાશ અને પાત કેરી વીરકથામહીં

નાખતો પલટાવી એ પ્રતાપી નિજ ભવ્યતા;

ગંદકીને ને કિચ મધ્યે મને સંતોષ માનતી

ક્ષુદ્રતા જાય છે એની કીટ માફક સર્પતી,

દેવલોકતણો દંડ માગે એ નિજ મસ્તકે,

ને આળોટ્યા કરે પોતે પોતે સર્જેલ દુઃખમાં

છે એનો ભાગ કાર્તૃ ત્વે વિશ્વ કેરી કરુણાંત કથામહીં,

એનો સંકલ્પ ષડ્યંત્રે ભળેલો છે

મૃત્યુ, કાળ,અને ભાગ્ય કેરો સાથી બની જઈ.

અલ્પકાલીન પ્રકટ્યા એનું એક સમસ્યા ધરા પરે

નિત્ય આવૃત્તિ પામે છે, કિંતુ ઉચ્ચ પરિણામ ન લાવતું, 

૧૪૨


   

એ તો ભટકત રે'તો પ્રભુ કેરા ક્લ્પોનાં મંડલોમહીં,

વિશાળી જેમની દીર્ધજીવિતામાં

બંદી એની જિંદગી છે બની ગઈ.

એના આત્માતણી ખોજ વિશાળી ને

આશાઓ એહની પાછી હરહંમેશ આવતી

પોતાના માર્ગની વ્યર્થ ક્ક્ષા અનુસર્યા કરે,

ભુલાઈ તુર્ત જાનારી જિંદગીઓ કેરો મારગ કાપતી

નષ્ટ પરિશ્રમો કેરી ફ્લ્હીણી પુનરાવૃત્તિઓ કરે.

અર્થહીન કહાણીમાં સર્વ એક પ્રસંગ છે.

શા માટે એ બધું છે ને શા માટે આપણે અહીં ?

નિત્યાનંદતણી કોક સત્-તા પાસે

કે કો અવ્યક્ત નિઃસ્પંદ તુંગ શૃંગે અંતરહિત શાંતિના

પાછા ફરી જવા કેરું આપણા હો આત્મા કરું અદૃષ્ટ જો,

-કેમ કે આપણે છીએ तत् સ્વરૂપે

ને तत्માંથી આવવું આપણું થયું --

તો ક્યાંથી આ થયો ઊભો મધ્ય-રંગ વંધ્ય વિચિત્રતા ભર્યો

અંત આવે નહીં એવા કાળક્ષેત્રે રહેલો અમથો ટકી ?

અથવા હોય અસ્તિત્વ આ સત્ત્વોનું અવશ્ય જો

ને ટૂંકાં જીવનો કેરું તેમનાં અનિવાર્ય જો,

અવિધા ને અશ્રુઓની તો જરૂર શી હતી ચૈત્ય જીવને ?

શોક ને દુઃખને માટે ક્યાંથી પોકાર ઉદભવ્યો ?

અસહાયપણે યા તો આવ્યું સર્વ ક્યાંથી કારણના વિના ?

જન્મવા અમૃત્માને બલાત્કાર કર્યો કવણ શક્તિએ ?

એકદા શાશ્વતીનો જે હતો સાક્ષી સનાતન,

ક્ષણભંગુર ક્ષેત્રોમાં ડેરાતંબૂ નાખનારો અમર્ત્ય જે

તે વિચારો તથા સ્વપ્નાંતણા ખંડેરની મહીં

જિંદગીના અર્ધ-દીપ્ત અંધકારે પડાવ નિજ નાખતો.

આંનદધામથી કોણે પડવાને છે એને સમજાવિયું,

અને અમર જે એનો હક તેનું અપાવ્યું બલિદાન છે ?

કોણે લડેલ છે એની પર ઈચ્છા અખંડા જીવવાતણી

આ રૂપાળા અને શોક ભર્યા લોકમહીં ભટકતા રહી,

અને વીંઢારવા ભાર હર્ષનો ને શોકનો, પ્રેમનો વળી ?

યા જો કળાતણાં મૃત્યો પર આંખ સત્-તા કો હો ન રાખતી,

અવ્યક્તિભાવ તો કાઠી અવશ્યંભાવિતા કઈ

૧૪૩


   

બળાત્કારે કરાવે છે શ્રમ વ્યર્થ અલ્પાયુ વસ્તુઓ કને ?

તો મોટી એક માયાએ તારકો વિરચેલ છે.

તો પછી ક્યાં રહેલી છે ચૈત્યાત્માની સલામતી ?

અસત્ ઘૂમંત સૂર્યોની મધ્યે ક્યાં સ્થાન એહનું ?

નહીં તો ધામ પોતાનું છોડી એ ભટક્યે જતો

કાળની યદ્દચ્છાની અંધ વીથી મધ્યે ભૂલો પડી જઈ,

ને ન નીકળવા કેરો માર્ગ એને મળતો વ્યર્થ વિશ્વથી.

અથવા રાજ્ય માયાનું ક્યાં આરંભાય છે અને

ક્યાં એનો અંત આવતો ?

છે સંભવિત કે જેને જીવ રૂપે

આપણે જાણીએ છીએ તે છે કેવળ સ્વપ્ન કો,

ને સનાતન આત્મા છે ભાનભૂલી દશામહીં

લ્હેવતી એક કલ્પના."

 

પછી થોડા મૌન કેડે આપ્યો ઉત્તર નારદે :

બોલ્યા એ પાર્થિવી વાણી સાથે મેળ સાધીને અધરોષ્ઠનો,

અને કૈંક હવે દૈવ કેરા ગહન અર્થનું

લદાયું મર્ત્ય વાણીના તૂટી જાય એવા સંકેતની મહીં.

દીપ્તિમંત બન્યું ભાલ એમનું દિવ્ય દર્શને,

અલૌકિક વિચારોની તકાતી શું બની ગયું,

જાણે કે લિપિએ બદ્ધ ન થયેલી ભાષાના અક્ષરો વડે

એની વિશાળતા માંહે દેવો કેરા હતા લેખો લખાયલા.

ને પ્રકાશમહીં કાર્ય કાળ કેરું થતું 'તું તે થયું છતું,

એનાં અદીઠ કાર્યો યે નજારે પડતાં હતાં,

કલ્પના ઊડણે એના થતી ખુલ્લી, એની પૂરી થયેલ ના

તે દૂર દૂર નંખાઈ યોજનાઓ દૂર દૂર વિલોકતી,

વિશ્વવિશાળ આ દૃષ્ટે માનચિત્ર રૂપે ત્યાં ક્યારની હતી :

" ત્યારે શું સૂર્ય છે સ્વપ્ન કેમ કે રાત હોય છે ?

મર્ત્યને હૃદયે ગૂઢ છે રહેલો સનાતન :

તારા આત્માતણે ધામે એનો ગુપ્ત નિવાસ છે,

જ્યોતિ એક ઝગે છે ત્યાં જેને દુઃખશોક શક્ ત ન લંઘવા.

તારી જાત અને તેની વચ્ચે ઉભો રહેલો અંધકાર છે,

ન સુણી કે ન સંવેદી શક્તિ તું

એ અભ્યાગતને આશ્ચર્યથી ભર્યા,

૧૪૪


   

શકતી તું નથી  જોઈ આનંદપ્રદ સૂર્યને.

છે અજ્ઞાનતણી જ્યોતિ, રાણી !  વિચાર તાહરો.

ઝગતો પડદો એનો છુપાવે છે તારાથી મુખ ઇશનું.

પ્રકાશિત કરે છે એ જગ એક જન્મ્યું છે જે અચિત્ થકી,

પણ એ અમૃતાત્માનો છુપાવે છે આશય જગમાંહ્યનો

પ્રકાશ મનનો તારા છુપાવી તુજથી રહ્યો

વિચાર શાશ્વતાત્મનો,

આશાઓ તુજ હૈયાની છુપાવી તુજથી રહી

સંકલ્પ પૃથ્વીતણાં બંધ તારાથી રાખતાં કરી

આનંદ અમૃતાત્મનો.

તેમાંથી થઇ છે ઊભી

કાળા ઘૂસી આવનારા દેવ કેરી જરૂરત,

જગતને ડારતો છે એ શિક્ષાદાતા, છે સ્રષ્ટા દુઃખરૂપ એ.

અજ્ઞાન હોય ત્યાં નિશ્ચે દુઃખને આવવું પડે;

છે તારો શોક પોકાર જ્યોતિને અંધકારનો;

છે અચિત્ દેહનો તારા મૂક આધાર મૂળનો

ને એ અચિત્ તણું સૌથી પ્હેલું સંતાન દુઃખ છે

અવચેત અવસ્થામાં પ્હેલેથી જ દુઃખ સૂતેલ ત્યાં હતું :

છાયા છાયામયે ગર્ભે અંધકાર વડે ભર્યા

જાગવાની અને હસ્તી માટે વાટ

જુએ છે એ પ્રાણ કેરો થાય સંચાર ત્યાં સુધી.

એક ઓરમહીં આવી સુખ સાથે આ ભયંકર શક્તિ યે.

જીગરે જિંદગી કેરા જન્મી'તી એ

પોતા કેરા જોડિયાને છુપાવતી;

પરંતુ જનમ્યું દુઃખ પહેલું ને

માત્ર તેની પછીથી સુખ સંભવ્યું.

ભોંય આરંભની કાઠી દુઃખે ખેડી વિશ્વ-ધારણઘેનની.

ઢેફામાંથી શરૂઆત દુઃખ દ્વારા આત્માના ચેતને કરી,

સળકી જિંદગી ઊઠી દુઃખ દ્વારા ઊંડે પડળ-પૂઠળે.

અટકાયતમાં, નીચે નિમગ્ન, જડદ્રવ્યના

લય મધ્યે છુપાયલું

સભાન નિજની પ્રત્યે થયું સ્વપ્નસેવી મન સુષુપ્ત જે;

પોતાનાં સપનોમાંથી એણે દૃશ્ય રાજ્યની રચના કરી,

૧૪૫


   

અવચેતન અગાધોથી એણે રૂપો લીધાં સ્વકાર્ય સાધવા,

પછી પોતે બનાવેલું જગ આલોકવા વળ્યું.

દુઃખ ને સુખના દ્વારા, યુગ્મ દ્વારા જ્યોતિ ને અંધકાના

અચેતન જગે જોયો સચેત નિજ આત્મને,

નહીં તો ન કદી કોઈ ફેરફાર આવ્યો હોત અચેતમાં.

દુઃખ છે ઘણ દેવોનો, મર્ત્ય હૃદયની મહીં

બાધા છે જડસી જેહ, જીવતા પથરાતણી

જડતા મંદ છે જેહ તેને તોડી પાડવાને પ્રવર્તતો.

અભાવે માગવાની ને અશ્રુઓ સારવાતણી

એના હૈયા પરે બેળે લાદી ફરજ હોત ના,

તો ઢળેલો રહ્યો હોત આત્મા એનો નિરાંતના

સુખરામે, અને એને માનવીની પ્રારંભિક દશાથકી

આગળ વધવા કેરો આવ્યો હોત કદાપિય વિચાર ના

અને સૂર્ય દિશે ઊંચે ચડવાનું શીખ્યો હોત કદી ન એ.

પરિશ્રમે ભરી છે આ પૃથિવી ને

દુઃખ છે ત્યાં ઠસોઠસ ભરાયલું;

પીડા પ્રસવની અંતહીન એને મજબૂર કરે હજી; 

સમાપ્ત શતકો થાય, ને પસાર યુગો અવરથા થતા,

ને હજી યે દેવ-જન્મ નથી એની મહીં થયો.

માતા પ્રાચીન આ સૌનો હર્ષથી સામનો કરે,

આમંત્રે એ તીવ્ર પીડા અને રોમહર્ષ ભવ્ય પ્રકારનો;

કેમ કે સર્જના સર્વ આવે સાથે દુઃખ ને શ્રમને લઈ.

પૃથિવી આ ભરેલી છે દેવોની વેદનાથકી.

કાળ કેરા પરોણાએ પ્રેરાયેલા શ્રમ તે સેવતા સદા,

ઈચ્છા શાશ્વતની સિદ્ધ કરવા મથતા રહે,

અને મર્ત્ય સ્વરૂપોમાં દિવ્ય જીવન સર્જવા.

ગર્તોમાથી ઊઠનારા પાપોનો સામનો કરી,

માનવી અજ્ઞાનનો ને એનાજક્કી  બળોનો સામનો કરી,

માનુષી મનની ઘોર મૂર્ખતા સામને પડી

એના માનવ હૈયાની અંધ એવી અનિચ્છાની વિરુદ્ધમાં

મનુષ્યહૃદયોમાંહે ઈચ્છા એની પડવી પાર જોઈએ.

મોક્ષ માનવનો થાય ત્યાં સુધી છે આત્માનું ભાગધેય આ.

સમરાંગણની હોહા, પગલાંનો ધ્વનિ ને છે પ્રયાણ ત્યાં :

વિલપંતા સિંધુ જેવો એક પોકાર ઊઠતો,

૧૪૬


   

મૃત્યુના ફટકાઓની નીચે હાસ્ય નિરાશાએ ભર્યું થતું,

દુર્ભાગ્ય-દંડમાં રક્ત, પરસેવો, શ્રમ ને અશ્રુઓ વહે.

જીવે મનુષ્ય ને જન્મે પ્રભુ, તેને માટે મરંત માનવો.

દુઃખ છે પ્રકૃતિ કેરો હસ્ત જે કાઢતો ઘડી

કંડારીને મનુષ્યોને મહિમાના સ્વરૂપમાં :

દૈવી નિર્દયતા સાથે પ્રેરાયેલો પરિશ્રમ

ટાંકણાથી ઘડી કાઢે અનિચ્છુ એક ઢાળને.

ધગશે પૂર્ણ સંકલ્પે અતિઘોર શ્રમના ઘણ ઊંચકી

વિશ્વમાં વિશ્વકર્માઓ દુરારાધ્ય વિશ્વના શિલ્પકાર્યમાં

કામે લાગી રહેલ છે :

પ્રૌઢ પ્રહારથી તેઓ પોતાનાં પોતને ઘડે;

પ્રચંડ અગ્નિમુદ્રાથી ઓળખાઈ એમના પુત્ર આવતા.

જોકે સ્પર્શ મહાઘોર ઘાટ દેનાર દેવનો

મર્ત્ય નાડીયંત્ર માટે છે અસહ્ય રિબામણી,

છતાં આગ્નેય આત્માનું બઢે છે બળ ભીતરે

પોતાનું જે પરિત્રાણ પ્રાર્થે તેણે

રહેવાનું છે સાદા શાંત ભાવમાં;

જાતિનું જે પરિત્રાણ પ્રાર્થે તેણે

ભાગ પડાવવાનો છે જાતિના દુઃખની મહીં :

સુભવ્ય પ્રેરણાનું જે કરે છે અનુવર્તન

તેણે આ જાણવું રહ્યું.

આવે છે જે મહાત્માઓ આ દુ:ખાર્ત્ત દુનિયાને બચાવવા,

કાળની છાયમાંથી ને કર્મના કાયદાથકી

આવે છે જે ઉગારવા

તેમને શોક ને દુઃખે જોતરાઈ જવાનું છે જરૂરનું :

જે ચક્ર તોડવાની તે આશાઓ હોય રાખતા

તેનાથી છે તે પોતે પકડાયલા

માનવી ભાગ્યનો ભાર વહેવાનો છે ખભા પર એમણે.

સ્વર્ગ-સંપત્તિ લાવે તે અને મૂલ્ય તેમનાં દુઃખ ચૂકવે.

યા તો સ્વ-પ્રાણથી તેઓ ભરપાઈ કરે છે જ્ઞાન-દાનની.

પ્રભુનો પુત્ર જન્મેલો રૂપે માનવ-પુત્રના

પીએ એ કડવો પ્યાલો, અંગીકાર પ્રભુના ઋણનો કરે,

જે સનાતનને માથે ચઢેલું તે દેવું પતિત જાતિનું,

૧૪૭


   

એના સંકલ્પથી જેહ

બંધાઈ છે મુત્યુ સાથે અને સાથે મથતી જિંદગીતણી,

વ્યર્થ ઝંખી રહી છે જે આરામાર્થે

અને સીમા વિનાની શાંતિ પામવા.

હવે દેવું ભરાયું છે ને ભૂંસાઈ ગયો છે મૂળ આંકડો.

માનવી રૂપમાં દુઃખ સનાતન સહી રહ્યો,

કરારે મુક્તિના એણે સ્વરકતે છે સહી કરી :

દ્વારો એણે ઉઘાડ્યાં છે અમર્ત્ય નિજ શાંતિનાં.

ક્ષતિપૂર્ત્તિ કરે દેવ દાવાની મનુજીવના,

સહે છે સૃષ્ટિનો કર્ત્તા દુઃખ ને મૃત્યુનો વિધિ;

પ્રતીકારતણો ઘાવ ઊતરે છે અવતારી પ્રભુ પરે.

સ્વર્ગે લઈ જતો માર્ગ મર્ત્ય કેરો એના પ્રેમે રચેલ છે :

મર્ત્ય અજ્ઞાનના કાળા હિસાબે હ્યાં પાસાં બે સમ રાખવા

એણે અર્પણ કીધાં છે પોતનાં પ્રાણ ને પ્રભા.

પૂરું થઇ ગયું છે એ બલિદાન ઘોર ને ગૂઢતા ભર્યું,

સમર્પાયેલ વિશ્વાર્થે પભુ કેરા હોમાયેલા શરીરથી;

છે એના ભાગ્યમાં ગેથ્સેમની બાગ છેલ્લી જ્યાં પ્રાર્થના થઈ,

અને ક્રોસતણો ટિંબો કાલ્વરી છે નસીબમાં,

ઊંચકી જાય છે એ ક્રોસ માનવાત્મા જહીં ખીલે મારાય છે;

ટોળાના અપશબ્દો છે સાથ એને વળાવવા;

સ્વીકાર હકનો એના અપમાન અને ટાણાં વડે થતો;

એની સાથે મરાયેલા

બે ચોર કરતા ઠઠ્ઠો એના સુભવ્ય મૃત્યુનો.

ઉદ્વારકતણે માર્ગે ચાલ્યો છે એ રક્ત નીગળતે શિરે.

તાદાત્મ્ય પ્રભુ સાથેનું જેણે પ્રાપ્ત કરેલ છે

તે દેહમૃત્યુને સાટે મેળવે છે મહતી આત્મજ્યોતિને.

વિજયી બનતું એનું અમૃત જ્ઞાન મૃત્યુથી.

ક્રોસ ઉપરથી એનો અવાજ ઘોષણા કરે,

" છું હું, છું હું પ્રભુ"; હા, છે સર્વ કાંઈ પ્રભુ પ્રભુ";

પ્રતિઘોષ જગાવે છે સાદ અમર સ્વર્ગનો.

બીજ પ્રભુત્વનું મર્ત્ય હૃદયોમાં સુષુપ્ત છે,

વિશ્વવૃક્ષ [પરે પુષ્પ પ્રકટે છે પ્રભુત્વનું :

પ્રભુને કરશે સાક્ષાત્ સર્વ કોઈ જાત ને વસ્તુજાતમાં,

જગને કરવા સાહ્ય કિંતુ જયારે પ્રભુનો દૂત આવતો

૧૪૮


   

પૃથ્વીના આત્મને દોરી જવા ઉચ્ચતર પ્રતિ,

ત્યારે છોડી નાખવા જે ઝૂંસરીને એ આવેલો હતો અહીં

તે ઝૂંસરી પડે એને પોતાનેય ઉપાડવી;

જે દુઃખ કરવા દૂર માગતો એ તે એને વેઠવું પડે :

દુર્દૈવથી ધરા કેરા હોય મુક્ત અસ્પૃષ્ટ જે

તે ના અનુભવ્યાં પોતે હોય એવાં અનિષ્ટનાં

શી રીતે ઓસડો કરે ?

વિશ્વની વેદનાને એ છાવરે નિજ શાંતિથી;

ને બાહ્ય દૃષ્ટિ જોકે ના નિશાની કોઈ દેખતી

ને શાંતિદાન પામે છે દીર્ણશીર્ણ માનવી ઉર આપણાં,

છતાં સંગ્રામ છે ત્યાં ને અણદીઠી કિંમતે ચૂકવાય છે;

આગ, સંઘર્ષ ને મલ્લયુદ્ધ ભીતર હોય છે.

દુઃખી જગતને જાય ઊંચકી એ પોતાને હૃદયે લઈ;

એનાં પાપતણો ભાર લદાયે છે એના વિચારની પરે,

શોક જગતનો એનો બની જતો :

પુરાણો બોજ પૃથ્વીનો બની ભારે એના આત્મા પરે ઢળે;

રાત્રિ ને શક્તિઓ એની ઘેરી લે છે પગલાં મંદ એહનાં,

સહેવો પડતો એને ગ્રાહ આસુર શત્રુનો;

એની આગેકૂચ એક યુદ્ધ છે ને છે યાત્રા એક એહની.

અનિષ્ટ જિંદગી કેરું કરે છે ઘા,

દુઃખથી દુનિયાના એ આક્રાંત થઇ જાય છે :

એના ગહન હૈયામાં મોં વકાસી રહ્યા છે વ્રણ કોટી કૈં.

એ અનિદ્ર કરે યાત્રા અંતહીના રાત્રિની મધ્યમાં થઈ;

એના માર્ગતણી આડે ભીડંભીડા વિરોધી શક્તિઓ કરે;

છે ઘેરો એક, છે યુદ્ધ એનું આંતર જીવન.

સંભવે મૂલ્ય આથી  યે વધુ ભૂંડું

અને દુઃખ વધુ ઘોર પ્રકારનું :

એનું વિશાળ ઐકાત્મ્ય અને પ્રેમ સૌને આશ્રય આપતો

વિશ્વની વેદના એનાં ઊંડાણોમાંહ્ય લાવશે,

પ્રાણીમાત્રતણો શોક આવી એનાં બારણાં ઠોકશે અને

એના આવાસમાં આવાસ રાખશે;

સહાનુભૂતિનો એક દોર ઘોર બાંધવા શક્તિમાન છે

દુઃખ સમસ્તને એના એકલાના જ દુઃખમાં,

સર્વે વિશ્વોતણી સર્વ વ્યથાને એ એક  એની બનાવતો.

૧૪૯


   

ભેટો એને થાય એક પુરાણી શત્રુ-શક્તિનો,

વિશ્વના જીર્ણ હૈયાને કરતા દીર્ણ કોરડા

એની ઉપર ઊતરે;

એની આંખોતણી લે છે મુલાકાત રુદનો શતકોતણાં :

પહેરણ પહેરે એ રક્ત-લિપ્ત પ્રચંડ માનવાશ્વનું,

વિષે વિશ્વતણા એના કંઠને નીલ છે કર્યો.

જડ દ્રવ્યતણી રાજધાની કેરા ચૌટાના ચોકની મહીં

જિંદગી જે કહેવાતી તેહના વ્યવસાયના

ભાવતાલતણી વચે,

સદા સળગતા એક અગ્નિ-સ્તંભે છે એ બદ્ધ બની ગયો,

બળે છે એ આદિ એક અણદીઠ કિનાર પે

કે રૂપાંતર પામેલું દ્રવ્ય જાય બની પદાર્થ આત્મનો :

છે પોતાના જ યજ્ઞે એ પોતે જ બલિદાનમાં.

પૃથ્વીની મર્ત્યતા સાથે અમૃતરૂપ જે,

થતો પ્રકટ ને નાશ પામતો જે માર્ગો ઉપર કાળના,

તે તાલોએ શાશ્વતીના પ્રભુની પળ સર્જતો.

મરે છે એ, જગત્ જેથી નવો જન્મ પામે ને જીવતું રહે.

કરાલતમ આગોથી એ બચી જાય છે, છતાં

આવે ઉપરનો લોક નવ ઘૂસી ડુબાડંત સમુદ્ર શો,

તે છતાં યે ઉચ્ચ સ્વર્ગ થતું પ્રાપ્ત માત્ર દૂ:સાધ્ય હોમથી :

નારકી જગને જીતી લેવા જે હોય માગતો

યુદ્ધ ને યંત્રણા સામે તેને ઊભા થવું પડે.

માનુષી ગહનોમાં ને છૂપા કાળતણા હૃદે

પ્રચ્છન્ન શત્રુતા કાળી વસી એક રહેલ છે,

પ્રભુના કાર્યને દેવા પલટાવી ને વિરૂપ બનાવવા

માટેના હકનો દાવો કરંત એ.

છૂપો છાપો વિશ્વ કરી પ્રયાત્રા પર મારવા

દુશ્મનાઈ લપાઈ એક છે રહી;

વિચાર, વાચ ને કર્મ પર ચિહ્ ન મૂકી એ એક જાય છે :

સર્જાયેલી સઘળી વસ્તુઓ પરે

કલંકની અને ખામીતણી એ છાપ મારતી;

પૃથ્વી પર મનાઈ છે શાંતિ કેરી એ ના હણાય ત્યાં સુધી.

ન કો દુશ્મન દેખાતો, આસપાસ પરંતુ અણદીઠ એ,

ઘેરો ઘાલે શક્તિઓ જે અગોચર રહેલ છે,

૧૫૦


   

અજાણ્યા દેશના સ્પર્શેા, વિચારો જે ન આપણા,

તે લે આપણને અંબી

ને ભલું કરતું હૈયું કરી વિવશ નાખતા;

સંદિગ્ધ જાળમાં એક છે ઝલાઈ ગયાં જીવન આપણાં.

જન્મ જૂના જમાનાથી વિરોધી શક્તિનો થયો :

ચડી એ આવતી મર્ત્ય માનવી જિંદગી પરે,

સીધો અમૃતનો પંથ એ એનાથી છુપાવતી.

શક્તિ એક પ્રવેશી છે ઢાંકી દેવા માટે શાશ્વત જ્યોતિને,

જે સનાતન સંકલ્પ તેની સામે છે એ શક્તિ વિરોધમાં

વાળી જુદી દિશાએ દે સંદેશા એ અમોઘ સત્ય શબ્દના,

વિશ્વની યોજના કેરી રૂપરેખા કરી વિકૃત નાખતી :

પાપ પ્રત્યે પ્રલોભાવે માનવીના હૈયાને ફંક એક કો,

પ્રજ્ઞાનચક્ષુ ને આત્મદૃષ્ટિને એ સીલબંધ બનાવતી,

અહીંનાં આપણાં દુઃખ કેરું એ આદિમૂળ છે,

મહાપત્તિ અને પીડા સાથે બાંધી પૃથ્વીને એહ રાખતી.

પ્રભુની શાંતિને જેઓ માગે નીચે ઉતારવા

તેમને આ શક્તિને જીતવી પડે.

માનવી હૃદયે વા સ કરતો ગુપ્ત શત્રુ આ

માણસે જીતવો પડે,

નહીં તો જાય ચૂકી એ ઊર્ધ્વના નિજ ભાવિને.

આ છે અંતરનું યુદ્ધ જે ટાળ્યું ટળતું નથી.

 

વિશ્વોદ્વારક નું ભારે કાર્ય મુશ્કેલ છે ઘણું;

બનતું વિશ્વ પોતે જ શત્રુ એનો વિરોધતો,

છે એના દુશ્મનો જીવો જેમને એ છે આવેલો બચાવવા.

ને છે બચાવવા કેરી ઈચ્છાવાળા પણ એના વિપક્ષમાં :

નિજ અજ્ઞાનની પ્રત્યે જગ આ પ્રેમ રાખતું,

એનું તિમિર ફંટાઈ વળે પાછું ઉદ્ધારનાર જ્યોતિથી,

તાજના બદલામાં એ વધસ્તંભ સમર્પતું.

લાંબી રાત્રિમહીં ધીરે ધીરે દિવ્ય પ્રભાવનાં

પડતાં હોય ટીપાંઓ એવું છે કાર્ય એહનું;

કાળની દીર્ધ યાત્રા એ જુએ છે ને જોતો અલ્પ જિતાયલુ;

થતો ઉદ્ધાર થોડાંનો, બાકીનાંઓ મથ્થા કરે

અને નિષ્ફળ નીવડે :

૧૫૧


   

સૂર્ય એક થયો પસાર હોય છે,

છાયા રાત્રીતણી પાછી પડે છે પૃથિવીપરે.

હા, માર્ગો સુખિયા છે જે પ્રભુ કેરા સૂર્યની છે નજીકના;

પરંતુ હોય છે થોડા ચાલે છે જે માર્ગે સૂર્યે પ્રકાશતા;

આત્મા છે જેમનો શુદ્ધ

તેઓ માત્ર ચાલવાને છે સમર્થ પ્રકાશમાં.

છે બતાવાયલો માર્ગ બ્હાર નીકળવાતણો,

શોક, અંધાર ને બેડીમહીંથી છૂટવાતણો

માર્ગ મુશ્કેલ એહ છે;

કિંતુ થોડાક છૂટેલા કઈ રીતે વિશ્વને મુક્તિ આપશે ?

સમૂહ માનવીઓનો ઝૂંસરીની નીચે વાર લગાડતો.

છુટકારો ગમે તેવો હોય છો ઉચ્ચ, તે છતાં

જિંદગીને મોક્ષ એ નવ આપતો,

પૂઠે રહી ગઈ છે જે જિંદગી આ પતિતા પૃથિવી પરે

તેને મોક્ષ મળે નહીં.

કરી શકે નહીં મોક્ષ ઉદ્ધાર ત્યકત જાતિનો,

ન વા આપી શકે એને જય ને રાજ્ય ઇશનું.

આવવું જોઈએ એક

વધુ મોટી શક્તિએ ને વધુ વ્યાપક જ્યોતિએ.

જોકે પૃથ્વી પરે જ્યોતિ વધે છે ને રાત્રિ ઓસરતી રહે,

છતાં યે પાપનો નાશ એના પોતાના નિવાસે જ થાય ના,

ના કરે જ્યોતિ આક્રાંત અચિત્ આધાર વિશ્વનો,

ને હણાયેલ ના હોય વિરોધી બળ આસુરી,

ત્યાં સુધી સેવતા એણે રે'વાનું છે પરિશ્રમ,

કાં કે કાર્ય અર્ધમાત્ર થયેલ છે.

હજીએ એક એ આવે જેણે કવચ છે ધર્યું

ને પરાજેય જે નથી,

એનો નિશ્ચલ સંકલ્પ ભેટે છે ચંચલા ઘડી;

વિજયી શિરને એના વિશ્વના ઘા નમાવી શકશે નહીં;

છે એનાં પગલાં શાંત ને અચૂક વધતી રાત્રિની મહીં;

લક્ષ્ય દૂર સરે તો ય ગતિ એની નવ થાય ઉતાવળી,

રાત્રિમાં ઊઠતા ઊંચા સ્વરો પ્રત્યે ન એ વળે.

નીમ્નના દેવતાઓની એ સહાય ન માગતો;

ધ્રુવ ધ્યેય પરે એની આંખો સ્થિર થયેલ છે.

 ૧૫૨


   

વળી બાજુ પરે જાય માનવી કે

વધુ સ્હેલા  પંથો પસંદ એ કરે;

એ તો પરંતુ ઊંચા ને એકમાત્ર મુશ્કેલ માર્ગને જ લે

જે એકલો જ આરોહી શકે ઊંચે શૃંગોએ શાશ્વતાત્મનાં;

અનિર્વાચ્ચ સ્તરોએ છે ક્યારનો એ સુણ્યો એનો પદધ્વનિ;

પૃથ્વી ને સ્વર્ગને એણે બનાવ્યાં છે સ્વ-સાધનો,

પૃથ્વી ને સ્વર્ગની કિંતુ મર્યાદાઓ એનાથી છે સરી પડી;

અતિક્રાંત કરી દીધા એણે નિયમ એમનો,

કિંતુ સાધનરૂપે એ લે એને ઉપયોગમાં.

ઝાલ્યા છે પ્રાણના એણે હાથ ને સ્વ હૈયાને વશ છે કર્યું.

છળો પ્રકૃતિનાં એની દૃષ્ટિને ના દોરી ખોટી દિશે જતાં,

સત્યના દૂરના લક્ષ્ય પ્રત્યે એની દૃષ્ટિ છે દૃઢતા ભરી;

એના સંકલ્પને તોડી શકતો ના બ્હેરો વિરોધ દૈવનો.

ભયપ્રેરક માર્ગોમાં ને વિઘાતક વાટમાં,

આત્મા અભેધ ને હૈયું હણાયા વણનું લઈ

પૃથ્વીની શક્તિઓ કેરા વિરોધોની વચ્ચે એ જીવતો રહે,

છૂપા છાપા પ્રકૃતિના, દોરડા દુનિયાતણા

એને કૈં ન કરી શકે.

સુખદુઃખ અતિક્રાંત કરતો એ આત્માના મહિમા વડે

પાપ ને પુણ્યની સામે રહે ઊભો શાંત ને સમ દૃષ્ટિએ.

નારસિંહી સમસ્યાને એને યે ભીડાવી પડે

ને એના દીર્ધ અંધારે ઝંપલાવી ઊંડે ઊતરવું પડે.

પોતાની દૃષ્ટિથી યે જે પોતાને છન્ન રાખતાં

તે અચિત્ ગહનોમાં એ કરીને માર્ગ છે ગયો :

આ ચમત્કારથી પૂર્ણ જગતોને આપે છે ઘાટ જેહ તે

નિદ્રા પ્રભુતણી ગૂઢ એણે પ્રત્યક્ષ છે કરી.

મુક ઈશ્વરને એણે નીરખ્યો છે બનાવતો

ચોકઠું જડદ્રવ્યનું,

નિજ અજ્ઞાન નિદ્રાનાં સ્વપ્નોમાં સ્વપ્ન સેવતો,

ને નક્ષત્રો રચે છે જે શક્તિ એક અચેતના

તેનું એણે અવલોકન છે કર્યું.

પઢયો છે એ અચિત્ કેરી પ્રક્રિયાઓ અને નિયમ એહનો,

અસંબદ્ધ વિચારો ને કર્મ સ્તંભિત એહનાં,

અંધાધૂંધી યંત્રભાવી એની આવૃત્તિઓતણી,

૧૫૩


   

સાદ એના અક્સ્માતી, જૂઠી રીતે સાચા કર્ણે જપો વળી,

આડે માર્ગે જતા દોરી ધ્યાન દેતા અવગુંથિત આત્મને.

આવે છે શ્રવણે એના બધી ચીજો, કિંતુ ના ટકતું કશું;

થયું સૌ મૌનથી ઊભું, પાછું એની ચૂપકીમાં ચળ્યું જતું.

એની નિદ્રાલુતાએ છે સ્થાપ્યું વિશ્વસમસ્તને,

ધૂંધળા જગથી એના મિથ્થા જગત લાગતું.

ઊઠેલું શૂન્યમાંથી ને વળેલું શૂન્યની પ્રતિ

કાળું સમર્થ અજ્ઞાન એહનું છે આરંભ પૃથિવીતણો;

રદ્દી પદાર્થ છે એહ જેના દ્વારા બન્યું બધું;

શક્ય છે કે ધબી જાય સૃષ્ટિ એનાં અગાધ ,ગહનોમહીં,

એનો વિરોધ રોકે છે આગેકદમ આત્મનાં,

છે એ માતા આપણી અજ્ઞતાતણી.

એના અંધાર ગર્તોમાં જ્યોતિ એણે અવશ્ય આણવી રહી,

નહીં તો દ્રવ્યની નિદ્રા જીતવાને કદી સત્ય સમર્થ ના,

ને આખી પૃથિવી મીટ માંડવાને નેત્રોમાં પરમાત્મનાં.

અંધારમાં રહેલી સૌ વસ્તુઓને

એના જ્ઞાને પડશે અજવાળવી

ને એની શક્તિએ સર્વે વિપર્યસ્ત

બનેલી વસ્તુઓ કેરી પડશે ગ્રંથિ છોડવી:

જૂઠાણાના સિંધુ કેરે સામે કાંઠે એહને પડશે જવું,

પ્રવેશ કરવો એને પડવાનો વિશ્વના અંધકારમાં

લાવવાને પ્રકાશ ત્યાં.

કરવું પડશે એની આંખો સામે હૈયું ખુલ્લું અનિષ્ટનું,

શીખવી પડશે એને વિશ્વવ્યાપી એની કાળી જરૂરત,

જાણવો પડશે એનો અધિકાર,

અને એનાં ઘોર મૂળો માટીમાંહ્ય નિસર્ગની.

જાણવો પડશે એને દૈત્ય-કર્મ પ્રેરનારા વિચારને,

જે ભૂલ કરતા ગર્વ આસુરીને ન્યાયયુક્ત બતાવતો,

પૃથ્વીનાં કુબ્જ સ્વપ્નોમાં છુપાયેલા અસત્યને

વાજબી જે ઠરાવતો :

એણે પ્રવેશવાનું છે રાત્રીની શાશ્વતીમહીં

ને યથા પ્રભુનો સૂર્ય જાણે છે એ તથૈવ છે

જાણવાનો પ્રભુના અંધકારને.

આને માટે જવાનું છે એને ગર્તતણે તલે,

૧૫૪


   આક્રાંત કરવાનાં છે વિરાટો દુઃખથી ભર્યાં.

અવિનાશી અને પ્રાજ્ઞ ને અનંત સ્વયં, છતાં

બચાવી વિશ્વને લેવા એને નરકની મહીં

કરવાની રહેલી છે મુસાફરી.

બધા વિશ્વો મળે છે ત્યાં સીમાઓ પર તેમની

ઉન્મજજન કરી બ્હાર આવશે એ શાશ્વત જ્યોતિની મહીં;

તહીં પ્રકૃતિનાં સર્વથકી ઉચ્ચ સોપાનોની કિનાર પે

પ્રત્યેક વસ્તુનો ગૂઢ ધર્મ સંસિદ્ધ થાય છે,

જે અન્યોન્ય પ્રત્યે વિરોધમાં હતાં

તેમનો દીર્ધકાલીન ભેદ ત્યાં જાય છે મટી,

દુઃખ ત્યાં રૂપ લે તીવ્ર અને જલદ હર્ષનું;

પાપ ત્યાં પલટાઈને મૂળરૂપ પોતાનું શુભ ધારતું,

પરમાનંદને હૈયે પોઢી ત્યાં શોક જાય છે :

પ્રશન્ન સુખનાં આંસુ સારવાનું શીખી ત્યાં હોય છે ધરા;

ભારોભાર ભરાયે છે આંખો એની ઉત્કંઠ સંમુદા વડે.

ત્યારે હ્યાં આવશે અંત વેદનાના ધર્મની સંહિતાતણો.

ધરતીને બનાવાશે ધામ સ્વર્ગીય જ્યોતિનું,

માનવી હૃદયોમાંહે સ્વર્ગ-જાયો

દ્રષ્ટા એક નિવાસ કરતો થશે;

પરચૈતન્યની જ્યોતિ સ્પર્શશે ચક્ષુ માનવી,

સત્ય ચૈતન્યનું વિશ્વ આવશે અવની પરે,

જડતત્ત્વ સમાક્રાંત કરશે એ પરમાત્મપ્રકાશથી,

અમર્ત્ય ચિંતનો પ્રત્યે મૌન એનું જગાડશે,

અને જગાડશે મૂક હૈયું એનું જીવંત શબ્દની પ્રતિ.

મર્ત્ય જીવન આ ધામ બની જાશે શાશ્વતી સંમુદાતણું,

પામશે દેહનો આત્મા આસ્વાદ અમૃતત્વનો.

વિશ્વોદ્વારકનું કાર્ય ત્યારે પૂર્ણ થઈ જશે.

 

ત્યાં સુધી છે વહેવાનું સ્વ-મૃત્યુબીજ જીવને.

ને ધીરી રાત્રિમાં શોકવિલાપ સુણવો રહ્યો.

હે મર્ત્ય !  લે સહી તું આ જગ કેરો મહાનિયમ દુઃખનો,

દુઃખિત દુનિયામાંના તારા મુશ્કેલ માર્ગમાં

તારા આત્માતણા આધાર-અર્થ તું

ઝૂક આશ્રય લેવાને બળનો દિવ્ય ધામના,

૧૫૫


   

ઊર્ધ્વના સત્યની પ્રત્યે વળેલો રે',

પ્રેમ ને શાંતિને માટે સેવે સદભિલાષ તું.

મહાસુખતણું અલ્પ તને દાન થયું છે ઊર્ધ્વ ધામથી,

દિવ્ય સ્પર્શ તને એક થયેલો છે તારા માનવ આયખે;

રોજની જિંદગી તારી જાત્રા રૂપ બનાવ તું.

કેમ કે ક્ષુદ્ર હર્ષો ને શોકો દ્વારા જાય છે તું પ્રતિ.

જોખમે પૂર્ણમાર્ગ તું પ્રભુ પ્રત્યે ઉતાવળ કરીશ ના,

અનામી શક્તિની પ્રત્યે તારાં દ્વાર ન ખોલતો,

આસુરી પંથથી ઊંચે ચઢતો ના પભુ પ્રતિ.

નિજ એકલ સંકલ્પ ઋતધર્મ સામે એહ ખડો કરે,

એના માર્ગતણી આડે નાખે છે એ નિજ ગર્વ મહાબલી.

અમર્ત્ય સૂર્યની પાસે રહેવાને અભીપ્સતો

તોફાનોની ચઢી સીડી જોરભેર જતો એ સ્વર્ગની ભણી.

જિંદગી ને નિસર્ગની

પાસેથી અમરો કેરો બળાત્કારે લેવાને હક ઝૂંટવી

વિશ્વ, વિધિ, અને સ્વર્ગ ધસારાભેર જીતતો.

આવતો એ નથી દિવ્ય ગાદી પાસે વિશ્વસર્જનહારની

અને જોતો નથી વાટ

એને એની મર્ત્યતાથી ઉદ્ધારી ઊર્ધ્વ લાવવા

માટે સામે પ્રસારેલા હસ્તની પરમેશના.

બધું બનાવવા માગે પોતાનું એ, છૂટું એ કૈં ન છોડતો,

ક્ષુદ્ર સ્વરૂપ પોતાનું વિસ્તારીને

ભીડવા એ રહ્યો માગી અનંતને.

ખુલ્લા દેવોતણા માર્ગો અવરોધી બનાવતો

પોતાની સંપદા ભૂની હવાને ને પ્રકાશને;

એકહથ્થી બનાવી એ સચરાચર-શક્તિને

સામાન્ય માણસો કેરી જિંદગીની પર રાજ્ય ચલાવતો.

પોતાની ને પરાયાંની પીડાને એ સ્વ સાધન બનાવતો :

સ્વ સિંહાસન  એ માંડે મૃત્યુ ને દુઃખની પરે.

સંભ્રમે ને શસ્રઘોષે એનાં બલિષ્ટ કર્મના,

નામના-બદનામીની હોહાના અતિરેકમાં,

દ્વેષ ને ઉગ્રતા કેરા એના ઘોર પ્રમાણથી,

પગલાં હેઠળે એનાં ધરા કેરા ધ્રુજાટથી,

સનાતનતણી શાંતિ સામે મૂકે સ્પર્ધામાં નિજ જાત એ,

 ૧૫૬


   

અને અનુભવે છે એ પોતાનામાં મહિમા એક દેવનો :

છે શક્તિ પ્રતિમા એને માટે દિવ્ય સ્વરૂપની.

હૈયું અસુરનું એક છે સમુદ્ર આગનો અથ ઓજનો;

મૃત્યએ વસ્તુઓના ને વિનાશે, વિનિપાતમાં

ને પ્રહર્ષણ પામતો,

પોતાની ને પારકાંની પીડાથી એ પોતાનું બળ પોષતો;

લે એ આનંદ કરુણ્યે અને રાગાવેગમાં વિશ્વલોકના,

યુદ્ધ ને યાતના માગે એનો ગર્વ અને એનું મહાબલ.

દેહનાં દમનોમાં એ મહાગૌરવ માનતો,

ને જિતેન્દ્રિયતા કેરે નામે ઢાંકી દેતો એ ચિહ્ ન ઘાતણાં.

દૃષ્ટિ જિજ્ઞાસુની એના ઉરથી ઓસરી જતી

ને પામી શકતી ના એ જ્યોતિ શાશ્વતતાતણી;

ચૈત્યાત્મરહિતા એક રિક્તતા શું જોતો એ પારપારને,

કાળા અનંતને રૂપે લેતો એ નિજ રાત્રિને.

એનો સ્વભાવ તોતિંગ બનાવી દે અવાસ્તવિક શૂન્યને

ને મીડામાં નિહાળે એ એક કેવળ સત્યતા :

મુદ્રિત કરવા માગે નોજ એક રૂપ એ વિશ્વની પરે,

ને પોતાના નામમાત્રે ભરી દેવા માગે એ લોકવાયકા,

વિશાળા વિશ્વનું કેન્દ્ર બની એની પળો જતી.

એ સક્ષાત્ પ્રભુને રૂપે નિહાળે છે પોતાની ક્ષુદ્ર જાતને.

એનું નાનકડું 'હું' છે આખું વિશ્વ ગળી ગયું,

અનંતતામહીં એની અહંતા વિસ્તરેલ છે.

આદિ શૂન્યમહીં એક સ્પંદ શું મન એહનું

એના વિચારને આંકે હોરહીન કાળની સ્લેટની પરે.

ચૈત્યની અતિશે મોટી રીકતતા પર માંડતો

તોતિંગ ફિલસૂફી એ એક શૂન્યાત્મતાતણી.

એનામાં વાસ નિર્વાણ કરતું ને બોલતું ને પ્રવર્તતું,

અશક્ય ઢંગથી એક સચરાચર સર્જતું.

એનો અરૂપ આત્મા છે શૂન્ય એક સનાતન,

રિકત, અવ્યક્તરૂપા ને કેવલા છે સત્-તા આત્મિક એહની.

વિકાસ પામતા આત્મા માનવીના, લેતો એ પગલું ન તું,

પ્રભુની રાત્રિમાં એ ના નાખતો તું નિજાત્મને.

દુઃખને વેઠતો આત્મા ન ચાવી શાશ્વતીતણી,

કે સ્વર્ગ જિંદગી પાસે મોક્ષશૂલ્ક રૂપે શોક ન માગતું,

૧૫૭


   

સહી લે, મર્ત્ય !  તું કિંતુ પ્રહાર નવ માગતો,

શોક ને યંત્રણા શીઘ્ર શીઘ્ર શોધી કાઢવાનાં જ છે તને.

તારા સંકલ્પને માટે અતિશે છે પ્રચંડ એહ સાહસ:

માનવી બળને માટે મર્યાદામાં માત્ર શક્ય સલામતી;

છતાં અનંતતા તારા આત્માનું પ્રાપ્ય લક્ષ્ય છે;

જગના અશ્રુએ પૂર્ણ મુખ પૂઠે એનો આનંદ રાજતો.

તારામાં શક્તિ છે એક તું જેને જાણતો નથી;

તું છે એક પાત્ર બંદિ સ્ફુલિંગનું.

થવા એ મુક્ત માગે છે કાળના કોષમાંહ્યથી,

ને એને જ્યાં સુધી પૂરી રાખશે તું ત્યાં સુધી સીલની વ્યથા:

પરમાનંદ છે તાજ શોભતો પ્રભુને શિરે,

છે એ શાશ્વત ને મુક્ત, એને માટે બોજારૂપ બની નથી

રહસ્યમયતા અંધ દુઃખની જિંદગીતણી :

દુઃખ મતું અવિદ્યાનું,

જિંદગીએ નકારેલો દેવ છે ગુપ્ત એની સાખ આપતું :

એને એ ન કરે પ્રાપ્ત

ત્યાં સુધી ન કદી અંત આવવો શક્ય દુઃખનો.

શાંતિ છે જીત આત્માની પરાસ્ત દૈવની પરે.

સહી લે; આખરે પ્રાપ્ત થશે માર્ગ તારા આનંદનો તને.

છે આનંદ જ સામગ્રી ગૂઢ જીવસમસ્તની,

દુઃખ ને શોક સુદ્ધાં યે છે વાઘાઓ વિશ્વાનંદતણા અને

છે છુપાઈ રહેલો એ તારા શોક અને પોકાર પુઠળે.

બળ આંશિક છે તારું, પ્રભુનું પૂર્ણ એ નથી,

ક્ષુદ્ર તારા સ્વરૂપે જે આક્રાંતા તે

ચેતના તુજ જાયે છે ભૂલી શ્રી ભગવાનને,

માંસમાટીતણી ઝાંખી છાયામાં ચાલનાર એ

સહી ન શકતી સ્પર્શ સુપ્રચંડ જગત્ તણો,

તેથી તું ચીસ પાડે છે ને કહે છે કે છે  દુઃખ દુભાવતું.

ઔદાસીન્ય, વ્યથા, હર્ષ,-એમ વેશ ધારી ત્રણ પ્રકારના

રાજ્યો પ્રહર્ષણે પૂર્ણ નટરાજ છે વાટો પર વિશ્વની,

એ ત્રણેને કારણે તું પરમાનંદનું વપુ

પ્રભુનું નવ પેખતી.

સામર્થ્ય તુજ આત્મનું તને એક પ્રભુ સાથે બનાવશે,

મહામુદામહીં તારી પલટાશે મહાવ્યથા,

૧૫૮


   

ઔદાસીન્ય બની ઊંડું પલટાશે શાંતિમાંહે અનંતની,

કે કેવલાત્મને શૃંગે બ્રહ્યાનંદ હસશે નગ્ન રૂપમાં.

 

મૃત્યુ ને દૈવની સામે ફરિયાદ કરતા મર્ત્ય જીવ હે !

તેં પોતે જ નિમંત્રી છે

તે પીડાઓ કાજ દેતો નહીં તું દોષ કોઈને;

આ કષ્ટોએ ક્લિષ્ટ લોક તેં પસંદ નિવાસાર્થે કરેલ છે,

તારી પીડાતણો તું પોતે જ સર્જનહાર છે.

એકવારતણો સીમામુક્ત અમૃત આત્મમાં,

સત્ય, ચૈતન્ય, ને જ્યોતિ કેરા વિરાટની મહીં,

તે જીવે બ્હારમાં કીધી દૃષ્ટિ સ્વ-સુખશાંતિથી.

એને અનુભવે આવ્યું બ્રહ્ય કેરું અંતહીન મહાસુખ,

પોતાને જાણતો 'તો એ મૃત્યુહીન, દિક્-કાલાતીત એક હી,

હતો શાશ્વતને જોતો, રહેતો 'તો અનંતમાં.

પછી, કુતૂહલે સત્યે નાખેલી એક છાયના,

આત્માના કોક અન્યત્વ પ્રત્યે એણે આંખો તાણી નિહાળિયું,

ખેંચાયો એ અજાણ્યા કો મુખ પ્રત્યે રાત્રિમાંથી વિલોકતા.

અભાવવાચિકા એણે સંવેદી ત્યાં અનંતતા, 

રિક્તતા એક સ્વર્ગીય જેની અત્યંતતા સીમાવિવર્જિતા

પ્રભુને ને નિત્યના કાલ કેરી અનુકૃતિ કરી

ભૂમિકા પાડતી પૂરી વિપરીત જન્મ માટે નિસર્ગના,

સ્તબ્ધ, કઠોર ને પાકી અચિત્-તાને માટે જડપદાર્થની

જેમાં આશ્રય પામી 'તી અલ્પજીવી જીવની વૈભવી પ્રભા,

જેનાથી અજવાળાતાં હતાં જન્મ, મૃત્યુ ને અજ્ઞ જિંદગી.

ઊભું મન થયું તાકી રહ્યું એ રિક્તતા પ્રતિ 

કદી સંભવ ના  જેનો તેનાં રૂપો વિરચાયાં તહીં સુધી;

એણે આવાસ આપ્યો જે છે સમસ્ત તેનાથી વિપરીતને.

દેખાયું શૂન્ય આત્માના સીલબંધ મહાકારણરૂપમાં,

ખાલી અનંતમાં એનો મૂક આલંબ લાગતું,

જેનો ઘોર મહાગર્તે છે અવશ્ય થવું આત્મવિલોપન:

હતી પ્રકૃતિ અંધારી જીવની ને ધારતી બીજ એ હતી

આત્માનું જે છુપાયો 'તો

અને પોતે નથી એવો હતો આભાસ આપતો.

ચેતના શાશ્વતી ધામ બની આત્મવિવર્જિત

૧૫૯


   

સર્વસમર્થ કો એક અચિત્ તણું;

હવા સહજ આત્માની હતી ના શ્વસવા હવે.

અચેતન જગે એક પરદેશી સમોવડો

આનંદ મર્ત્ય હોરાનો  બની પ્રસંગ ત્યાં ગયો.

શૂન્યની ભવ્યતા પ્રત્યે ખેંચાતા કોઈ એક શો

આકર્ષાયેલ આત્મા ત્યાં ઝૂકયો ગર્તતણી પ્રતિ :

સાહસાર્થે અવિદ્યાના હતો એ રાખતો સ્પૃહા

ને આશ્ચર્ય, અચંબાને માટે અજ્ઞાતરૂપના,

ગર્ભે અંધેરના, ઊંડે ખાડે શૂન્યસ્વરૂપના

જે અનંત છુપાઈ 'તી શક્યતા તે માટે ઉત્સુક એ હતો,

યા યાદ્દચ્છિકતા કેરાં અગાધ નયનોથકી

હતો એ અવલોકતો,

થાક્યો 'તો એ સ્વસુખથી વિકાર નવ પામતા,

ધરી વિમુખતા પાછો વળ્યો 'તો અમૃતત્વથી :

અકસ્માતતણા સાદે, ભયની મોહિનીથકી

આકર્ષાયેલ એ હતો,

આકાંક્ષા રાખતો 'તો એ શોકના કરુણાંતની

દુઃખના નાટયની, સર્વનાશના ખતરાતણી,

ઘવાઈને જેમતેમ કરીને બચવાતણી,

સંગીતની મહાધ્વંસ કેરા, એની મનોમોહતાતણી,

ને ધડાકા સાથમાં પડવાતણી,

દયાના સ્વાદ કેરી ને રોગાવિષ્ટ પ્રેમ કેરા જુગારની,

અને સંદિગ્ધ છે એવા મુખની તગદીરના.

કડા પ્રયાસ કેરા ને કઠોર શ્રમના જગે,

યુદ્ધે વિલોપની ધારે મહાજોખમથી ભરી,

સંઘર્ષે શક્તિઓ કેરા ને સંદેહે વિશાળવા,

આનંદે શૂન્યતામાંથી સમુદ્ ભાવિત સૃષ્ટિના,

માર્ગો પર અવિદ્યાના મિલનોએ વિચિત્ર કૈં,

અર્ધ-વિજ્ઞાત આત્માઓ કેરા સ્નેહસમાગમે,

કે એકાકી મહત્તાએ ને સ્વ જગત જીતતી

પૃથક્ સત્ત્વતણી એકલ શક્તિએ

સાવ સલામતીવાળી એની શાશ્વતતાથકી

આવાહ્યો એહને હતો.

આરંભ અતિશે મોટા અવારોહણનો થયો,

૧૬૦


   

મોટો દૈત્ય અવપાત શરૂ થયો,

કેમ કે આત્મ જે જોતો તે સત્ય એક સર્જતું,

ને આત્મા કલ્પના જેની કરે તેનું બને જગત્ .

અકાળથી છલંગીને આવનારા વિચારથી

સંભૂતિ સંભવી શકે,

બને સૂચક એ વિશ્વ-પરિણામતણો, અને

દેવોની માર્ગ-સૂચિકા,

નિત્યના કાળમાં એક યુગચક્રતણી ગતિ.

જન્મેલું આંધળી એક જંગી પસંદગીથકી

દિગ્ મૂઢ ને અસંતુષ્ટ આ રીતે છે આવ્યું મહાન આ જગત્ ,

અડ્ડો અજ્ઞાનતાનો આ ને આ નિવાસ દુઃખનો:

કામનાના તણાયા છે તંબૂઓ ત્યાં ને છે મથક શોકનાં.

છદ્મવેશ વિશાળો કો છુપાવે છે આનંદ શાશ્વતાત્મનો."

 

પછી ઉત્તરમાં અશ્વપતિ દેવર્ષિને કહે :

" તો શું બાહ્ય જગત્ રાજ્ય આત્મા પર ચલાવતું ?

ઋષિરાજ ! નથી તો શું ઉપાય અંતરે કશો ?

વિશ્વ કેરી શક્તિ જેને લાંબે કાળે પરિપૂર્ણ બનાવતી

તે સંકલ્પ જ આત્માનો જો ન દૈવ, તો શું છે દૈવ અન્ય કૈં ?

સાવિત્રી સાથ આવી છે શક્તિ એક મહાબલી

એવું હું માનતો હતો;

તે શક્તિ શું નથી દૈવ કેરી ઉચ્ચ સમોવડી ? "

પણ નારદજી બોલ્યા સત્યથી સત્ય ઢાંકતા :

" અશ્વપતિ !

આકસ્મિક ઘડીઓ ને પળોમાં દેવલોકની

જેને તટે પડે ભૂલાં યા દોડે પગલાં તમ, 

તે યાદ્દચ્છિક માર્ગોના જેવું જોકે જણાય છે,

છતાં યે સ્વલ્પથી સ્વલ્પ સ્ખલનો યે

તમારાં છે પૂર્વદ્દૃષ્ટ જ ઊર્ધ્વમાં. 

અજ્ઞાતમાં થઈ કાલસ્રોતને અનુવર્તતા

છે આલેખાયલા વૃત્તખંડકો જિંદગીતણા

એક અચૂક રીતથી;

પ્રશાંત અમરો જેને સાચવે છે

તે સંકેતસૂત્રે એ દોરવાય છે.

૧૬૧


   સંદેશાવહ ચંદ્રોની પ્રકાશાતી લિપિ ચિત્રરૂપિણી,

સીલબંધ વિચારે જે ન ઝલાતો

તેનાથી કૈં ઉદાત્તતર અર્થને

આલેખે છે પ્રતીકોના પ્રયોગથી,

પરંતુ પૃથિવી કેરા મનને શબ્દ માહરો

પ્રતીતિ આપશે કેવી રીતે આ ઉચ્ચ લેખની ?

દિવ્ય ધામતણો પ્રેમ વધુ સમજદાર છે,

મર્ત્યની તે પ્રાર્થના ઈનકારતો;

મર્ત્યની કામના કેરી ફૂંકે અંધ થયા વિના,

ભયનાં ને આશ કેરાં ધુમ્મસોએ મેઘાચ્છન્ન થયા વિના,

પ્રેમના મૃત્યુ સાથેના ઝગડાની ઉપરે એહ ઝૂકતો;

દુઃખનો હક સાવિત્રી કેરો એને માટે અદલ રાખતો.

આત્મામાં તુજ પુત્રીના એક માહાત્મ્ય છે વસ્યું,

છે જે સમર્થ દેવોને પલટાવી

પોતાની જાત એની ને સૌને યે આસપાસના,

પણ લક્ષ્યે પ્હોંચવાને છે આવશ્યક એહને

કરીને પાર જવાનું પાષણો દુઃભોગના.

સ્વર્ગ કેરી સુધા-પ્યાલી સમી છે એ રચાયલી,

ચિદાકાશતણે તત્ત્વે નિર્માયેલી

સાવિત્રીએ ઢૂંઢી છે અહીંની હવા,

છતાં યે માનવી દુઃખશોક કેરી જરૂરતે

ભાગીદારી છે આવશ્યક એહની,

આનંદહેતુ પોતાનો પીડામાં પલટાવવો

અનિવાર્ય જ એહને.

શબ્દોથી દોરવાયે છે મન મર્ત્ય મનુષ્યનું,

એની નિવૃત્ત થાયે છે દૃષ્ટિ દીવાલોની પૂઠે વિચારની

ને માત્ર અર્ધ-ખોલેલાં બારણાંમાં થઈ એ બ્હાર દેખતી.

આકાશની પટીઓમાં કાપે છે એ મર્યાદામુક્ત સત્યને

ને પ્રત્યેક પટીને એ સર્વે સ્વર્ગોતણે રૂપે પ્રમાણતો.

અનંત શક્યતા પ્રત્યે માંડી એ મીટ તાકતો

ને યદ્દચ્છાતણું નામ આપે છે એ ઘાટગ્રાહી વિરાટને.

દીર્ધકાલીન એ જોતો પરિણામો સર્વસમર્થ શક્તિનાં,

યોજતી પગલાંઓનો ક્રમ જેહ અંતવિહીન કાલમાં,

કિંતુ એની કીડીઓમાં કલ્પે છે એ અર્થરહિત સાંકળી

૧૬૨


   

યા હસ્ત મૃત કલ્પે છે ઉષ્માહીન અવશ્યંભાવિતાતણો;

 નિગૂઢ જગદંબાના ઉરને એ નથી ઉત્તર આપતો,

ચૂકી એ જાય છે માના હૈયા કેરા હિલોળા ભાવથી ભર્યા

અને અનુભવે છે એ નિષ્પ્રાણ કાયદાતણાં

અંગો ઠંડાંગાર ને અકડાયલાં.

વિશ્વ સત્યતણાં મુક્ત નિરપેક્ષ ડગોમહીં

ઈચ્છા અકાલની કાલે નિજ સંકલ્પ સાધતી

કઠોર યંત્ર શી ભાસે યા અર્થશૂન્ય દૈવ શી.

સૂત્રોએ એક માયાવી કેરાં કીધા કાયદા જડતત્વના

ને જ્યાં સુધી ટકે છે એ ત્યાં સુધી છે બદ્ધ સૌ એમના વડે :

કિંતુ પ્રત્યેક કર્માર્થે છે જરૂરી સંમતિ પરમાત્મની

અને સ્વાતંત્ર્ય ચાલે છે મિલાવીને કદમો કાયદા સહ.

મરજી હોય માયાવી કેરી તો હ્યાં બદલાઈ બધું શકે.

ઈચ્છા જો માનવી કેરી ઈશ્વરેચ્છા સાથે એક બની શકે,

પ્રભુ કેરા વિચારોનો પડઘો જો પાડે વિચાર માનવી,

તો સર્વજ્ઞ અને સર્વશક્તિમાન મનુષ્યેય બની શકે;

કિંતુ એ હાલ ચાલે છે સંશયાળ રશ્મિમાંહ્ય નિસર્ગના.

પ્રભુની જ્યોતિને ઝીલી શકે છે તે છતાં મન મનુષ્યનું,

પ્રભુની શક્તિએ શક્તિ માનવીની સંચાલિત થઈ શકે,

આવું થતાં બને છે એ ચમત્કાર ચમત્કારો બતાવતો.

કેમ કે માત્ર આ રીતે બની રાજા શકતો એ નિસર્ગનો.

છે એ નિયત નિર્માણ, મરવાનું નિશ્ચે છે સત્યવાનને;

ઘડી નક્કી થયેલી છે, ને પસંદ થયો છે જીવલેણ ઘા.

બીજું જે કૈં થશે તે છે સાવિત્રીના આત્મામાંહ્ય લખાયલું.

પરંતુ ભાગ્યનો લેખ ઉઘાડો પાડનાર ના

ઘડી આવે તહીં સુધી

જુએ છે વાટ દુર્વાચ્ય અને મૂક લખાણ એ,

દૈવ છે સત્ય અજ્ઞાને કાર્ય અર્થે પ્રવર્તતું.

રાજા !  પ્રકૃતિ ને તારા આત્મા વચ્ચે

પ્રત્યેક ઘટિકાએ જે સોદો ચાલી રહેલ છે

ને નિર્ણાયક છે જેમાં એને પૂર્વદૃષ્ટિથી દેખતા પ્રભુ,

તે છે પ્રારબ્ધ તાહરું,

પ્રારબ્ધ સરવૈયું છે વિધિને ચોપડે ચઢયું.

પોતાના ભાગ્યને લેવા સ્વીકારી કે નકારવા

૧૬૩


                 માનવી શક્તિમાન છે.

સમર્થન કરે જોકે એકે એહ અણદીઠ નિદેશનું,

તથાપિ એ લખે તારા જમાપાસે તારો ઇન્કાર ચોપડે :

કાં કે દુર્ભાગ્ય ના અંત, નથી સીલ નિગૂઢ એ.

ઊઠેલો જિંદગી કેરા કુરુણાન્ત મહાવિધ્વંસમાંહ્યથી,

દેહની યંત્રણામાંથી અને મરણમાંહ્યથી,

આત્મા ઊંચે ચઢે હારે બનેલો બલવત્તર;

પ્રત્યેક પતને એની દૈવી પાંખો વિશાળતરતા ધરે.

એનાં સુભવ્ય વૈફ્લ્યો સરવાળે બની વિજય જાય છે.

માનવ !  ઘટનાઓ જે તારે માર્ગે તને મળે

તે હર્ષશોકના જોકે કરે છે ઘા

તારા દેહ અને આત્માતણી પરે

છતાં તે ભાગ્ય ના તારું; સ્પર્શી જરાક એ તને

પસાર થઈ જાય છે :

મૃત્યુ સુદ્ધાંય કાપી ના શકે તારા આત્માના માર્ગની ગતિ :

તારું લક્ષ્ય અને માર્ગ કરતો તું પસંદ જે

તે છે પ્રારબ્ધ તાહરું .

તારા વિચાર ને તારું હૈયું ને કર્મ તાહરાં

હોમતું વેદિની મહીં

છે તારું ભાગ્ય લાંબો કો યજ્ઞ એક દેવોને કારણે થતો,

ને એ દેવો

નિગૂઢ તુજ આત્માને પ્રકટાવી તને પ્રત્યક્ષ ના કરે,

ના બનાવે તને એકરૂપ તારા હૃદયસ્થિત દેવ શું,

ત્યાં સુધી એ પ્રવર્તતો.

અજ્ઞાનમાં અવિદ્યાના ઘૂસી આવેલ, આત્મ હે !

અદૃષ્ટ પરમોત્તુંગો પ્રત્યે જતા યાત્રી હે ! શસ્રથી સજ્યા,

તારા આત્માતણું ભાગ્ય છે સંગ્રામ,

છે અંખડ આગેકદમજોશ એ

વિરોધી શક્તિઓ સામે અણદીઠ પ્રવર્તતી,

માર્ગસંચાર છે એક જડમાંથી અકાલાત્મે લઈ જતો.

અંધ, પૂર્વજ્ઞાનહીન કાળ મધ્યે થઈ સાહસ ખેડતો,

લાંબી જીવનમાળામાં થઈ બેળે બેળે પ્રગતિ સાધતો,

સૈકાઓમાં થઈ આત્મા મોખરાને આગે આગે ધકેલતો.

પૃથ્વીની સમ-ભોમોની ધૂળ ને કીચમાં થઈ

૧૬૪


   મોરચાઓ પરે ઝાઝા રક્ષાયેલા

ને ભયોએ ભરેલા મોખરા પરે,

હત્યારા હુમલાઓમાં ને ઘવાઈ ધીરી પીછેહઠોમહીં,

કે આદર્શતણો તૂટ્યોફૂટ્યો કિલ્લો ટકાવતાં,

કે થાણાં પર એકાકી ઝાઝાં સામે ઝઝૂમતાં,

તાપણીઓ આસપાસ રાતે પડાવ નાખતાં,

પ્રતીક્ષા કરતાં ધીરાં તૂર્યો કેરી પ્રભાતનાં,

ક્ષુધામાં, સંપદોમાં ને દુઃખને દોહ્યલે સમે,

જંગી જોખમમાંહે ને વિજયે, વિનિપાતમાં 

લીલી લીલી જિંદગીની ગલીઓમાં, રણની રેતની પરે

બોડાં બીડોમહીં ઊભી વાટે, સૂર્યે ન્હાતાં કટકને પથે,

અડોઅડ દલોમાં ને વેરતા પૃષ્ટભાગમાં

સદાયે ઘૂમતા સેનામુખ કેરા

અગ્નિઓના સંકેતે દોરવાયલું,

આગેકદમ વાધે છે સૈન્ય માર્ગભૂલેલા દેવતાતણું.

લાંબે ગાળે પછી હર્ષ અનિર્વાચ્ય લહાય છે,

ભુલાયેલું પછી એને સ્વરૂપ યાદ આવતું;

જે વ્યોમોથી પડયો 'તો એ તે પુનઃપ્રાત થાય છે.

આખરે મોખરા કેરું દુર્દાન્ત દલ એહનું

બળાત્કારે હરી લે છે અવિદ્યાના છેલ્લા સંચારમાર્ગ સૌ :

જ્ઞાત છેલ્લી હદો પાર કરીને એ નિસર્ગની

ઘોર અજ્ઞાતને જાણી લેવાની શોધ આદરી,

સીમાચિહ્ નો વટાવીને દેખાતી વસ્તુઓતણાં,

એક અદભુત ઊંચેની હવા મધ્ય થઈ આરોહતો જતો

ને અંતે સૃષ્ટિના મૂક મસ્તકે અધિરોહતો

આત્મા ખડો થતો દીપ્તિમંત શૃંગો ઉપરે પરમેશનાં.

મરવું પડશે સત્યવાનને, તું તેનો શોક વૃથા કરે;

છે એનું મૃત્યુ આરંભ જિંદગીનો મહત્તરા,

મૃત્યુ છે તક આત્મની.

વિશાળા આશયે એક આણ્યા છે આત્મ સંનિધે,

મહાન એક ઉદ્દેશ સધાવાને પ્રેમે ને મૃત્યુએ મળી

એક પ્રપંચ છે રચ્યો.

કેમ કે ભય ને દુઃખમાં થઈને સ્વર્ગનું સુખ આવશે,

આવશે ઘટના કાળ કેરી જે ના જોવા પામે અગાઉથી,

૧૬૫


                  થશે સિદ્ધ પ્રભુની ગુપ્ત યોજના.

ઈંટોથી કૈં યદ્દચ્છાની અસ્તવ્યસ્ત રચાયું વિશ્વ આ નથી,

આંધળો દેવ ના કોઈ છે શિલ્પકાર ભાગ્યનો;

યોજના જિંદગી કેરી રચનારી સચેતા એક શક્તિ છે,

છે એક  અર્થ પ્રત્યે રેખા ને વૃત્તખંડમાં.

છે શિલ્પકાર્ય આ એક ઉચ્ચ ને ભવ્યતાભર્યું,

નામવાળા ને નનામા છે અનેક કડિયાઓતણી કૃતિ,

જેમાં ન દેખતા હસ્ત અનુવર્તે અદૃષ્ટને,

અને એના શ્રેષ્ટ શિલ્પકારોમાંની સાવિત્રી પણ એક છે.

 

રાણી ! પ્રયાસ છોડી દે ગૂઢ ઈચ્છા બદલી નાખવાતણો;

કાળ કેરા અકસ્માતો છે સોપાનો એના વિરાટ યોજને.

નિજ એકલ ઈચ્છાને ને પ્રભુની ઈચ્છાને એક જાણતા

હૈયા કેરી તાગહીન ક્ષણો આડે ન આણતી

ક્ષણજીવી નિરાધાર તારાં માનવ અશ્રુઓ :

વિરોધી ભાવી પોતાનું ભેટવા એ સમર્થ છે;

બેસે છે અળગું એહ શોક સાથે મૃત્યુની સંમુખે રહી,

શસ્સ્રાસ્ત્રે સજ્જ એકાકી વિપરીત ભાવિનો સામનો કરી.

આ ગંજાવર વિશ્વે એ ઊભી છે અળગી પડી

નિજ નીરવ આત્માની ઈચ્છાશક્તિ કેરા સામર્થ્થથી સજી,

બલિદાનતણા એના ચૈત્યાત્માનો એનામાં ભાવ છે ભર્યો,

એનું એકલવાયીનું બળ સારા વિશ્વનો સામનો કરી

દૈવ સામને અડેલું છે ને નથી સાહ્ય માગતું

માનવીની અથવા કોઈ દેવની :

પૃથ્વીના ભાગ્યથી પૂર્ણ કોઈ વાર હોય છે એક જિંદગી,

ન એ પોકારતી ત્રાણ માટે કોઈ બળોને બદ્ધ કાળથી.

પ્રચંડ નિજ કર્યાર્થે છે એ પર્યાપ્ત એકલી.

તારું ગજું નથી જ્યાં તે સંઘર્ષે તું વચમાં પડતી નહીં,

છે આ સંગ્રામ અત્યંત ઊંડો, મર્ત્ય વિચારે ના તગાય એ,

દિગંબર બની આત્મા ઊભે સામે અનંતની

ત્યારે અનમ્ય બંધોને આ નિસર્ગતણા એ પ્રશ્ન જે કરે

તેની આડે ન આવતી,

મૌન શાશ્વતતા કેરા પગલાં હોય માંડતો

એકાકી મર્ત્ય સંકલ્પ, તે અત્યંત વિશાળવા

૧૬૬


   

પ્રસંગે તું વચમાં આવતી નહીં.

સાથી વગરનો તારો સ્વર્ગમાં જેમ સંચરે

વૈશાલ્યો વ્યોમ કેરાં અચંબામાં પડ્યા વિના,

યાત્રા અનંતતા કેરી કરતો સ્વ-પ્રકાશથી

તેમ બલિષ્ઠ હોયે છે મહાત્માઓ જ્યારે એ હોય એકલા.

ઈશ-દત્ત મહાશક્તિ આત્મા કેરી એમનું બળ હોય છે,

જ્યોતિર્મય નિજાત્માની નરી નિર્જનતાથકી

આવનારું રશ્મિ એક માર્ગદર્શન હોય છે;

જે આત્મા આત્મની સાથે એકલો જ રહી શકે

તેને ભેટો થાય છે ભગવાનનો;

એનું વિવિક્ત છે વિશ્વ મિલનસ્થાન એમનું.

આવે દિવસ એવો કે

જયારે એને વિના સાહ્ય એકલું ઊભવું પડે

જગ ને જાતના ઘોર ભાગ્ય કેરી જોખમી એક ધાર પે.

એકલી નિજ છાતીની પર ભાવી વિશ્વનું એ વહી જતી,

પડેલા એકલા હૈયે વહેતી આશ માનવી

જીતવા કે જવા વ્યર્થ છેલ્લી એક કિનારે આશ-વર્જિતા;

એકલી મુત્યુની સાથે ને કિનારી નજદીક વિનાશની,

છેલ્લા ઘોર પ્રસંગે એ એકમાત્ર એનું માહાત્મ્ય એકલું,

કાળનો કારમો સેતુ એકલીએ કરવો પાર ત્યાં રહ્યો,

ને વિશ્વ-ભાવિના સર્વથકી ઉચ્ચ બિંદુએ પ્હોંચવું રહ્યું,

જ્યાં યા તો સૌ જિતાયે કે માનવાર્થે પડે સર્વ ગુમાવવું.

વિશ્વના ભાગ્યનિર્માણે  નિર્ણયાત્મક જે ઘડી

તેના અઘોર એ મૌને એકલી એ હોય, હોય તજાયલી,

મર્ત્ય કાળતણી પાર આત્મા એનો ચઢી જઈ

હોય ઊભો મૃત્યુ સાથે અથવા તો પ્રભુની સાથ એકલો

બની અલાયદો મૌન ભરી ઘોર કિનાર પે,

ને અટૂલી પડી પોતે ઊભી હોય

પોતાની જાતની સાથે, મૃત્યુ સાથે ને સાથે ભવિત્વની,

કાળ-અકાળની વચ્ચે આવેલી એક ધાર પે

જયારે અવશ્ય છે અંત સત્ત્વ કેરો

કે ફરી બાંધવાનો છે નિજ આધાર જીવને,

ત્યારે એને એકલીને પડશે જીતવું તહીં,

પડશે યા ધબી જવું.

૧૬૭


   સહાય માનુષી એકે તે ઘડીએ પ્હોંચી એને નહીં શકે,

દેવ કવચધારી કો દીપ્તિમંત પાસે હોય નહીં ખડો.

પોકાર સ્વર્ગ પ્રત્યે ના,

કેમ કે એ એકલી જ છે સમર્થ બચાવવા.

આને માટે જ છે આવી

શક્તિ મૌનમયી કાર્ય લઈ આદિષ્ટ નીમ્નમાં;

માનવી રૂપ લીધું છે એની માંહે સચિત્ સંકલ્પ-શક્તિએ :

બચાવી શકશે એક એ જ જાત, બચાવી શકશે જગત્ .

રાણી !  પાછી હઠી ઊભ એ ગંજાવર દૃશ્યથી,

એની ને ભાગ્યની એની ઘડી વચ્ચે ન આવતી.

અવશ્ય આવવાની છે ઘડી એની

ને કો વચ્ચે પડવાને સમર્થ ના :

વિચાર રાખ ના એને વાળવાનો

એના દેવલોકપ્રેષિત કાર્યથી,

એના ઉત્તુંગ સંકલ્પથકી એને મથતી ના બચાવવા.

તારું એકે નથી સ્થાન ઘોર સંઘર્ષમાંહ્ય એ;

તારો પ્રેમ અને તારી ઉત્કંઠા પંચ ત્યાં નથી,

છોડી દે ભવનું ભાગ્ય અને એને

એકમાત્ર ભાળમાં ભગવાનની.

એને એના એકલીન બળે નિર્ભર છોડતો

દેખાતો પ્રભુ હોય, ને

બધું હચમચી ઉઠે, પડી ભાગે, ને જુએ માત્ર અંતને,

ને હૈયું ન કરે કામ, રહે માત્ર મૃત્યુ ને રાત્રિ, તે છતાં

ઘોર વિનાશની સામે

ઝૂઝવાને દેવ-દીધું બળ એનું સમર્થ છે,

છેક છેલ્લી કિનારીએ મૃત્યુમાત્ર જહીં સામે જણાય ને

ન કોઈ માનવી શક્તિ

બાધા નાખી શકે વચ્ચે યા તો સાહ્ય કરી શકે.

ગૂઢ સંકલ્પની આગે આડે આવી

આજીજીનો વિચાર કરતી નહીં,

એનો આત્મા અને એની શક્તિ વચ્ચે પડીશ ના,

છોડી દે કિંતુ તું એને એના ભવ્ય આત્મા ને ભાગ્યની પરે."

 

બોલ્યા નારદ ને બંધ પડયા, છોડી દૃશ્ય પાર્થિવ સંચર્યા.

૧૬૮


   જે પૃથ્વી પર સંઘર્ષ અને દુઃખ છે તેનાથી સુદૂરના

પોતાના પરમાનંદધામની પ્રતિ એ પળ્યા.

તેજસ્વી તીર તાકેલું સીધું સ્વર્ગતણી પ્રતિ,

નિત્યના દિવ્ય દ્રષ્ટાનો દેહ એવો પ્રદીપતો

નીલ-લોહિત મધ્યાહન-મહિમા આક્રમી ગયો,

અને ઓસરતા તારા સમો અદૃશ્ય એ થયો,

અંતર્લીન બની જાતો આભમાંહ્ય અદૃષ્ટની;

છતાંય હજુ પોકાર સંભળાતો હતો એક અનંતમાં,

હજુ યે સુણતા આત્મા માટે મર્ત્ય ધરા પરે

એક ઉદાત્ત આઘેનું અમર સ્વરમાં થતું

શાશ્વત પ્રેમનું સ્તોત્રગાન ચાલી રહ્યું હતું.

૧૬૯


બીજો  સર્ગ   સમાપ્ત

 

છઠઠું  પર્વ  સમાપ્ત









Let us co-create the website.

Share your feedback. Help us improve. Or ask a question.

Image Description
Connect for updates