સાવિત્રી

Sri Aurobindo symbol
Sri Aurobindo

Sri Aurobindo's major poetic work, an epic in blank verse. In Savitri, a legend from the Mahabharata becomes the symbol of the human soul's spiritual destiny. In poetic language, Sri Aurobindo describes his vision of existence and explores the reason for ignorance, darkness, suffering and pain, the purpose of life on earth and the prospect of a glorious future for humanity. The writing of the epic extended over much of the later part of his life.

Sri Aurobindo Birth Centenary Library (SABCL) Savitri Vols. 28,29 816 pages 1970 Edition
English
 PDF     Poems
Sri Aurobindo symbol
Sri Aurobindo

Sri Aurobindo's major poetic work, an epic in blank verse. In Savitri, a legend from the Mahabharata becomes the symbol of the human soul's spiritual destiny. In poetic language, Sri Aurobindo describes his vision of existence and explores the reason for ignorance, darkness, suffering and pain, the purpose of life on earth and the prospect of a glorious future for humanity. The writing of the epic extended over much of the later part of his life.

Gujarati Translations of books by Sri Aurobindo સાવિત્રી 1973 Edition
Gujarati Translation
Translator:   Pujalal

સાવિત્રી

પર્વ ૬

વિધિનો શબ્દ


પ્રથમ સર્ગ

વિધિનો શબ્દ

વસ્તુનિર્દેશ

           મર્ત્ય લોકની સીમાઓ આગળની મહાશાંતિના પ્રકાશિત પટને ઓળંગી ગાતા ગાતા દેવર્ષિ નારદ આવ્યા, અને શ્રમ ,શોધ, શોક અને આશાની ભૂમિકા તરફ વળ્યા. ત્યાં એક ગુપ્ત આત્મા શ્વસી રહ્યો હતો, મૃત્યુરસનો ત્યાં આસ્વાદ હતો, દેવોનો સનાતન શ્રમ ત્યાં ચલતો હતો.

            પ્રાણીઓ અને મનુષ્ય જીવો ઉપર દૃષ્ટિપાત થતાં દેવર્ષિના ગાનના સ્વરો બદલાયા. હવે એમણે વૈકુંઠનાં ગણાં છોડી અજ્ઞાનનાં, દૈવનાં ગણાં આરંભ્યાં,  ને પરિત્રાતા વિષ્ણુ ભગવાનનું નામ લેવા માંડયું. જગતનો ગૂઢ જન્મ, તારાઓની ઉત્પત્તિ, જીવનનો આરંભ, ચૈતન્યની ધબકો એમના ગાનનો વિષય બન્યો. અચિત્ રહસ્ય-મયતા, જ્યોતિ માટે ઝંખતો અંધકાર, માનવ હૃદયના પ્રત્યત્તરની રાહ જોતો પરમ પ્રેમ, અમૃતે આરોહતું મૃત્યુ, રાત્રિના હૃદયમાંથી પોકારતું પરમ સત્ય, પ્રકૃતિ-માતાનું ગૂઢ પ્રજ્ઞાન, જડ જગતમાંથી પ્રકટ થતો પ્રાણ, પશુમાં ને મનુષ્યમાં પ્રબોધ પામતું ચૈતન્ય, ભાવી મહિમા, અમર દેહો, પરમ રૂપાંતર ને પરમ આનંદ,-આ સૌના સૂરો એમના ગાનમાં પ્રકટ થવા માંડયા. અને એમનું ગાન સુણીને, આખરે પોતાના ઉદ્ધારનો દિવસ નજીક આવી રહ્યો છે એ વિચારે અસુરોની આંખો પણ ભીની થઈ ગઈ.

          અમર ધામો ઉપર અધિકાર ધરાવનારા એ દિવ્ય માનવ પૃથ્વી ઉપર પધાર્યા, ને રાજા અશ્વપતિએ તથા રાણીએ પોતાના ગગનચુંબી રાજમહેલમાં એમનો આદરસત્કાર કર્યો. પતિપત્નીએ જગતની જંજાળમાંથી મૂહુર્તેક મુક્ત થઈ દેવર્ષિની દિવ્ય સંગીતમયી વાણીનો આસ્વાદ આરંભ્યો. માનવજાતના પરિશ્રમો. દેવોના પૃથ્વી ઉપરના ઉદ્દેશો, દુઃખની પૂઠે સ્પંદી રહેલો ગૂઢ આનંદ દેવર્ષિના સૂરોમાં આલાપાયો. પ્રેમનું પદ્મહૃદય, એની સત્યમયી સહસ્ર પાંખડીઓ આભાસો પાછળ અવગુંઠનમાં કેવી ઊંઘી રહી હતી તે એમણે ગાયું. પ્રત્યેક સ્પર્શે એ કેવી પ્રસ્પંદિત

૧૦૨


થાય છે, ને એક દિવસ દિવ્ય પ્રેમીની પ્રાપ્તિ થતાં પ્રેમીના બાગમાં કેવી પ્રફુલ્લિત થઈ ઊઠશે અને મહાસુખના મધુર સ્વર સાંભળશે, એ એમણે ગાયું. પૃથ્વી પોતાની તામિસ્ર તંદ્રામાંથી જાગી ઉઠશે, એનાં મનનાં સ્વપ્નાંમાથી  બહાર નીકળશે, અને પ્રકટ થયેલા પ્રભુના મુખનાં મંગળ દર્શન કરશે, આમ એ ગાતા હતા ત્યાં સાવિત્રીનો રથ આવી પહોંચ્યો અને પ્રેમના પ્રભામંડળથી પ્રકાશિત મનોહર મુખ સાથે ને આંખોમાં આનંદની ઝલક લઈ સાવિત્રી પિતાની સમીપમાં ઉપસ્થિત થઈ અને ત્યાં એણે પરમેષ્ઠીના પુત્ર નારદનાં દર્શન કર્યાં. 

            દેવર્ષિએ પોતાની અમર દૃષ્ટિ એની ઉપર ફેરવી અને જાણે પોતે કશું જાણતા ન હોય તેમ એને સોદગાર સંબોધી: : " કોણ આ વધૂ આવી છે, જવાળામાંથી જન્મી હોય એવી ને વિવાહના વૈભવોથી વિભાસ્વર ?  કઈ વનવીથિઓમાંથી આ આંખોની મોહિની લાવી છે ?  પૃથ્વી પર સોનેરી વિસ્તારો છે, છાયાલીન ગિરિઓ છે, ઝંખતાં ઝરણાં છે, મીઠો મર્મરધ્વનિ

શરવનમાં શમી જાય છે,-આવા કોઈ આનંદદાયક સ્થાનમાં તું થોભું હતી ને ?  અજ્ઞાત આંખોની મીટની અસર નીચે આવી હતી ને ? તારાં ઊંડાણોને પ્રહર્ષણથી ભરનાર સ્વરને સાંભળ્યો હતો ને ?  લાગે છે કે તેં એક અલૌકિક રસનું પાન કર્યું છે, મનુષ્યને અગમ્ય એવી અદભુત આભાઓથી અવ-ગુંઠિત થઈને તું આવી છે. અપ્સરાઓના વિહારો મધ્યે શું તું ગંધમાદનમાં ઘૂમી આવી છે ?  દેવોના ક્યાં ધામોમાં તારાં પગલાં ભૂલાં પડયાં હતાં ?  તેં દૈવી સૂરો સાંભળ્યા લાગે છે અને જાણે હજુય તે સાંભળી રહી હોય એવું લાગે છે. તારો આત્મા દેવોનો સહોદર છે, તારા મૌને એક અલૌકિક મહામુદાનું ફળ ચાખ્યું છે. તારું આત્મસૌન્દર્ય અનામય ઓપી રહ્યું છે. તારાં સ્વપ્નાંમાં સુરક્ષિત રહેલી તું એકાકી આનંદે છે.

અદૃશ્ય શૃંગો પર દૈવને જો સૂતું જ રાખી શકાય તો તારું ઉન્મીલન કેવું સુખી અને સ્વર્ગીય બની રહે !  વિપરીત ભાગ્ય સદાકાળ માટે સૂતેલું જ રહે તો કેવું સૌભાગ્ય ! "

           નારદ બોલ્યા પણ તે માત્ર પ્રિય સત્ય જ બોલ્યા. મર્ત્યો ઉપર દયા દર્શાવી ગૂઢ જ્ઞાનને એમણે પ્રકટ કર્યું નહિ. પણ  અશ્વપતિ વિચક્ષણ હતો. દેવર્ષિના શબ્દો પૂઠે સંતાયેલું સૂચન એના ધ્યાનમાં આવ્યું ને સાવધાન શબ્દોમાં એ ઉત્તરમાં વધો :

           " હે અમર ઋષિરાય ! તમે તો સઘળું જ જાણો છો. તમારા શબ્દો પાછળ જો જોઈ શકતો હોઉં તો જણાય છે કે એક તરુણ જીવનના અરુણોદયનો દિવ્ય આરંભ થાય છે. અમૃતના ઉત્સોમાંથી એણે પાન કર્યું છે, સ્વર્ગપારના રહસ્યોનું એ અભીપ્સુ છે, ભુવનોની સર્જનહાર શક્તિ સાથે એનો આત્મવ્યવહાર ચાલે છે. આવા આત્માઓ જગતમાં જવલ્લે જન્મે છે. સ્વર્ગનું સુખસંગીત જીવનમાં ધ્વનાવનાર દેહ અને દેહી વિરલ હોય છે.

              પણ આ આપની સાવિત્રીને જુઓ. કેવી એ સર્વાંગસુંદર છે ! એના સ્ફટિકોપમ આત્મામાં સ્વર્ગનાં પ્રભાતો પ્રકટ થઈ રહ્યાં છે, એનાં ઊંડાણોમાં આનંદધામો પ્રતિબિંબિત થાય છે. આ તરુણ આત્માએ અશ્રુનો સ્પર્શ અનુભવ્યો નથી. એના

૧૦૩


 ચમત્કારી જીવનની પળો હસતી હસતી પુલકાય છે. એનું આ આનંદમય જીવન અખંડિત રહે એવા એને આશીર્વાદ આપો. એનો પવિત્ર પ્રેમ અમૃતરસ રેલાવ્યા કરે અને પૃથ્વીને પ્રફુલ્લિત બનાવતો રહે એવાં આપનાં દિવ્ય વચન ઉચ્ચારો. એના જીવનનાં સુપ્રભાતોને રત્નરમણીય બનાવી દો.

          મહાન આત્માઓ માટેની અગ્નિકસોટીમાંથી એને સલામત પસાર કરો. દેવોના સેતુ ઉપર થઈ એને શાશ્વત ધામે સુરક્ષતિ પહોંચાડો. આ બાલાના દિવસો શોકરહિત આનંદમાં ઉલ્લસતા રહે અને અહીં સ્વર્ગના સૂરો ધ્વનાવે એવી આપની કૃપાનું પાત્ર એને બનાવી દો."

           પણ નારદ ચૂપ રહ્યા. એમને ખબર હતી કે નસીબ બળવાન છે ને શબ્દો નિરર્થક છે. થોડી વાર પછી માનવીના અજ્ઞાનને જાણે ગેલાવતા હોય તેમ એ બોલ્યા : 

            " કયા મોટા સમારંભ માટે સાવિત્રી ઉતાવળે રથે ગઈ હતી ? હિરથી હૈયું ભરીને ને સુલોચનોમાં સ્વર્ગ લઈને એ ક્યાંથી આવી છે ? કયા મહનીય મુખે એને અણધાર્યાં દેશન આપ્યાં છે ? "

             રાજાએ ઉત્તર આપ્યો :

             " લાલ અશોકે એને જતાં જોઈ છે ને આવતાં આવકારી છે. એને લાયક વર એની યાચના કરતો અહીં આવ્યો નહિ, તેથી પતિંવરા મધુરમૂત્તિં એ પોતે જ એની શોધમાં નીકળી. હવે હરખાતે હૈયે એ પછી ફરી છે. કુંવરી !  હવે તું પોતે જ બાકી રહેલો ઉત્તર આપ."

              સાવિત્રી શાંત સ્વરે બોલી : " પિતાજી !  મેં તમારી આજ્ઞાને અમલમાં મૂકી છે. જેને માટે હું નીકળી હતી તે મને દૂરના દેશમાં મળ્યો છે. શાલ્વ રાજ્યના પ્રચંડ પહાડોની મધ્યે વનની એક એકાંત કિનારે, અત્યારે અંધ અને રાજ્યભ્રષ્ટ મહારાજા ધુમત્સેનનો પુત્ર સત્યવાન મને મળ્યો ને મેં એને પતિ રૂપે પસંદ કર્યો છે. હવે કશું બાકી રહેતું નથી."

               આશ્ચર્યચકિત સૌ થોડી વાર તો ચૂપ રહ્યાં. પછી અશ્વપતિએ અંતરમાં દૃષ્ટિ કરીને જોયું તો સત્યવાનના નામ ઉપર એક ઘોર છાયા તરતી દેખાઈ, અને ઓચિંતી એક મહાજ્યોતિએ એની પૂઠ પકડી. પુત્રીની  આંખોમાં આંખ પરોવીને રાજા બોલ્યો : " બેટા !  તેં રૂડું કર્યું છે. તારી પ્રેમપસંદગીને મારી અનુમતિ છે. તેં કહ્યું તેટલું જ હોય તો ચિંતાને અવકાશ નથી, બધું  ઠીક થઈ જશે, અને કદાચ એથી વધારે કંઈ હશે તો તેને ય ઠેકાણે આણી શકાશે. અશુભ જેવું લાગતું હોય તો પણ તેની પાછળ શુભ સંકલ્પ જ છૂપું કાર્ય કરી રહેલો હોય છે. વિપરીતોની વચ્ચે થઈને આપણે પ્રભુ પાસે જ સરતા હોઈએ છીએ. તમસમાંથી જ્યોતિ પ્રત્યે આપણે વધીએ છીએ. મૃત્યુ આપણને અમૃતત્વે લઈ જનારો માર્ગ છે. અંતે તો શાશ્વત શ્રેયનો જ વિજય છે."

                  તે પળે જ નારદ દારુણ વેણ કાઢયાં હોત, પણ રાજા વચ્ચે જ ઉતાવળ કરી

૧૦૪


 બોલી ઉઠ્યો :

             " હે પરમાનંદના ગાયક !  અંધને દારક દૃષ્ટિ આપતા નહિ, પૂર્વજ્ઞાન જબરજસ્ત કસોટી છે, દુર્બળ મર્ત્ય હૃદયપર તમે તે લાદતા નહિ. અમારી પાસેથી અત્યારે દેવત્વની આશા રાખતા નહિ. અહીં નથી કૈલાસ કે નથી વૈકુંઠ; અહીં તો છે કાળમીંઢ કરાળ પહાડો, લપસણા માર્ગો. દેવો દુર્બળ માનવ પર વધારે પડતા નિર્દય થતા લાગે છે. અહીં તો કાળના ને મૃત્યુના ભણકારા વાગતા રહે છે. દુર્દેવનું નિવારણ શક્ય ન હોય તો, હે મહામુનિ !  બોલતા નહિ."

              નારદ મૌન રહ્યા. પણ ગભરાટમાં પડેલી રાણી બોલી ઊઠી :

               " હે દેવર્ષિ !  આપનું આગમન શુભ અવસરે જ થયું છે. બે જીવનોના સુખી સંયોગને આપના આશીર્વાદથી અમર બનાવો. સત્યવાન સાચે જ સૌભાગ્યવાન છે કે મારી સાવિત્રીએ અસંખ્યોમાંથી એક એને જ જીવનના સાથી રૂપે વર્યો છે. દુરિત જેવું કંઈ હોય તો તમારી દિવ્ય આશિષથી એને દૂર કરો. અથવા તો ઘોર દુર્ભાગ્ય જ એ કુટુંબને માથે ઝઝૂમી રહ્યું હોય તો તે પણ જણાવો, કે જેથી આ અકસ્માત્ થયેલા માર્ગ વચ્ચેના મિલનમાંથી સાવિત્રીને બચાવી લેવાય."

                નારદ ધીરેથી બોલ્યા :

                " જેઓ માત્ર હંકારતાં જ હોય છે તેમને માટે પૂર્વજ્ઞાન શા કામનું ? સુરક્ષા માટે બારણાં ઉઘાડાં હોય તો પણ જેમનું આવી બન્યું છે તેઓ એમની પાસે થઈને આગળ પસાર થાય છે. ભાગ્ય એ ભગવાનના ચાપ પરથી છૂટેલા બાણ જેવું છે."

                 પણ રાણીનું માની મમતાથી ભર્યું હૃદય આખરે માનુષી હતું,  તેથી તેણે તો આવેશમાં આવી જઈ વિશ્વવિધાતા સંકલ્પની ઉપર એક પછી એક આક્ષેપો ખડકવા માંડયા:

                  " દુદૈંવે એ શાલ્વ છોકરાનું રૂપ લઈને મારી સાવિત્રીને સકંજામાં લીધી છે. પૂર્વ જન્મનું વેર વાળવા ક્યાંથી એ હસતો હસતો વનમાંથી નીકળ્યો !  નારદજી ! અમારાં માનવી હૃદયો નરમ હોય છે, દયાથી એ દ્વવી જાય છે. પરાયા દુઃખે ય એ દુઃખી બની જાય છે, ને આ તો મારી પોતાની પુત્રી છે, એને માટે એ કેમ દુખી ન થાય ?  દેવર્ષિ !  અમારે માથે દૈવનો મહાકોપ ઊતરવાનો હોય તો તે પણ છુપાવતા નહિ. જે હોય તે કહો."

                  પછી નારદ ઊંચે સ્વરે ઓચર્યા :

                   " રાણી !  તારે સત્ય જ સંભાળવું હોય તો લે એ આ રહ્યું. તારી પુત્રીએ જે સત્યવાનને પતિ તરીકે પસંદ કર્યો છે તે છે તો પરુષોત્તમ,  પૃથ્વીનો પ્રભુતાએ પરિપૂર્ણ પરિપાક, સ્વર્ગોનીયે શોભા,  સૌન્દર્યનો સર્વોત્તમ સાર, ધરતીની ખાણમાંથી ખોદી કાઢેલો દેવતા, દેવોનો માનવ રૂપે મહીતલે ઊતરેલો મહનીય મહિમા, પણ આજની ઘડીથી બરાબર બાર મહિના પછી આ જ દિવસે ને આજ ઘડીએ એનું મૃત્યુ થશે."

                  રાણી નિરાશાના ઉદગાર કાઢતી બોલી :

૧૦૫


                 " તો પછી એનામાં પ્રકટ થયેલી બધી જ દિવ્યતાઓ નકામી છે. સાવિત્રી ! જા તું ફરી, તારી ખોજ આગળ ચલાવ, ને તારા સહચરને શોધી લાવ, પછી ભલેને એ સત્યવાન કરતાં ઓછો દિવ્ય હોત."

                 પછી સાવિત્રી મક્કમ મને બોલી :

                  " મા !  મારા હૃદયે જે એકવાર પસંદગી કરી તે કરી, હવે ફરીથી કરવાની રહેતી નથી.  સત્યવાનને મરવું પડશે તો મને પણ મરતાં આવડે છે. દુર્દેવ મૃત્યુ કે કાળ-કોઈ અમારા આત્માઓને વિખુટા પાડવા શક્તિમાન નથી. નિયતિના નિયમને બદલાવું હોય તો બદલાય, મારા આત્માનો સંકલ્પ બદલાવાનો નથી." 

                   ડૂસકાં ખાતી રાણીએ સાવિત્રીને ઘણીયે સમજાવી પણ તે એકની બે થઇ નહીં. એ બોલી :

                   " મારો સંકલ્પ સનાતનના સંકલ્પનો એક ભાગ છે. મારું ભાગ્ય મારા આત્માના સામર્થ્યનું સર્જન છે, મારું આત્મબળ બધું જ સહેવાનું સહી લેશે. મારામાં દાનવનું નહિ પણ દેવાધિદેવનું દૈવત છે. દેવો જેમ સ્વર્ગમાં તેમ હું પૃથ્વી ઉપર સત્યવાનના સાથમાં સંચરીશ. અમારું આયખું એક વર્ષ માટે હોય તો ય ભલે. હું જાણું છું કે અમારા પ્રેમજીવનનું નિર્માણ આ નહિ પણ કોઈ બીજું જ છે. એ કોણ છે ને હું કોણ છું તે હું જાણું છું. અમારા આત્માઓ અહીં પૃથ્વી પર શાને માટે આવ્યા છે તેનું મને ભાન છે. મેં સત્યવાનમાં સ્મિતમુખ પ્રભુનાં દર્શન કર્યાં છે."

                    પછી તો સૌ ચૂપ થઈ ગયાં.

મર્ત્યની ભૂમિની સીમા રચનારી મૌન સરહદોમહીં

મહાવિસ્તાર ઓળંગી દેદીપ્યમાન શાંતિનો

વિશાળા ને વિસ્ફુરંતા વાયુમંડળમાં થઇ

દેવલોક થકી આવ્યા ગાતા ગાતા દેવોના ઋષિ નારદ.

આકર્ષાઈ હેમવર્ણી ગ્રીષ્મની ધરતીથકી

આવી 'તી જે એમની નીચવાસમાં

ને જે દેવોતણા મેજે દીપ્ત ત્રાંસા વાડકા શી વિભાસતી,

ફેરફૂંદડીઓ ખાતી ચલાવાઈ એક અદૃશ્ય હસ્તથી,

ઝીલવા એક નાના શા સૂર્ય કેરી ઉષ્માને પ્રકાશને,

આવ્યા એ જગતે એક

જ્યાં હતાં શ્રમ ને શોધ, આશા ને શોક જયાં હતાં

અવકાશોમહીં આ જ્યાં મૃત્યુ ને જિંદગી વચે

આવ-જાની હતી રમત ચાલતી.

ચૈત્ય-ગગનની પાર કરી સીમા સ્પર્શને ગમ્ય જે નથી,

૧૦૬


મનના જગતમાંથી એ પ્રવેશ્યા જ્યાં વસ્તુઓ સ્થૂલરૂપ છે,

અચિત્ આત્માતણી છે જ્યાં આસપાસ કરામતો,

ને છે કર્યો અંધ એક સુપ્તજાગ્રત શક્તિનાં.

એમની હેઠ લેતા 'તા ચક્કરો કોટી ભાસ્કરો :

ધારી અનુભવે વ્યોમસિંધુની ઊર્મિ એમણે;

પ્રથમ સ્પર્શનો હર્ષ અર્પ્યો આદિમ વાયુએ;

નિગૂઢ એક આત્માનો ઓજઃપૂર્ણ ઉચ્છવાસ ચાલતો હતો.

આ બૃહત્ બ્રહ્યાંડ કેરું સંકોચન-વિકાશન

કરતા ગુપ્ત સામર્થ્યે સર્જનહાર અગ્નિના

રચવા ને રૂપ દેવા પ્રકટાવી નિજ ત્રિવિધ શક્તિને,

અત્યંત સૂક્ષ્મ મોજાંઓ સ્ફુલિંગાત્મક તેમની

પ્રકટાવી નૃત્યની રૂપગૂંથણી,

એની નિહારિકાઓનાં એકમોએ

રૂપની ને પિંડની જે કરી 'તી તે કરી પ્રકટ સ્થાપના,

આધારભૂમિ જાદૂઈ ને આયોજન વિશ્વનું,

એની પ્રસ્ફોટ પામી'તી પ્રભા જેહ તારકોના પ્રકાશમાં;

રસ જીવન કેરો ને મૃત્યુ કેરો નારદે ત્યાં લહ્યો સહ;

પદાર્થઘનતા કેરા ગાઢ સંબંધમાં અને

રૂપો કેરા તમોગ્રસ્ત ઐક્યમાં ઝંપલાવિયું

ને આત્માની મૂક એવી એકતામાં ભાગીદાર બની ગયા.

જોયો વિશ્વાત્મને કામે લાગેલો નિજ એમણે,

આંખોએ એમની માપ્યા અવકાશો, તાગ્યાં ઊંડાણો દૃષ્ટિએ,

આંતર દૃષ્ટિએ માપી ગતિઓ ચૈત્ય-આત્મની,

શાશ્વત શ્રમ દેવોનો જોયો, દૃષ્ટિ

પશુઓ ને મનુષ્યોની જિંદગી ઉપરે કરી.

ગાનારનો મનોભાવ બદલાઈ ગયો અને

પ્રહર્ષ ને દયાભાવે સ્પર્શાયો સ્વર એમનો;

કદી ન કરમાતી તે જ્યોતિ કેરું ગાન સાવ શમી ગયું, 

એકતાનું અને શુદ્ધ સદાની સંમુદાતણું

ગાન બંધ પડી ગયું,

અમર પ્રેમના હૈયા કેરું ગાન એમનું વિરમી ગયું,

અજ્ઞાનનું અને ભાગ્યદેવતાનું ગાન ગાન બની ગયું.

ગાવા નારદજી લાગ્યા ગાન હાવે શ્રીવિષ્ણુ ભગવાનનું,

નિગૂઢ વિશ્વનો જન્મ ગાયો, ગાયો મોદ ને ભાવ એમણે,

૧૦૭


કેવી રીતે થયા તારા ને જીવન શરૂ થયું

ને ચૈત્ય-સ્પંદથી હાલી ઊઠયા મૂક પ્રદેશ ત્યાં,

તેમનું ગાન આરભ્યું.

અચિત્ નાં ને ગૂઢ એના આત્માનાં સ્તવનો કર્યાં

ના સંકલ્પ, ના વિચાર, ના સંવેદન, તે છતાં

સર્વને રૂપ આપતી

ને પોતે જે કરે છે તે જાણતી ના

એની સર્વશક્તિમંતી શક્તિની સ્તુતિઓ કરી,

અંધ, અચૂક એની જે રહસ્યમય ગૂઢતા,

શાશ્વત જ્યોતિની પ્રત્યે ઝંખતો અંધકાર જે,

અંધારા ગર્તમાં પાંખો નીચે રાખંત પ્રેમ જે,

જોતો વાટ માનવીના હૈયા કેરા જવાબની,

અને અમૃતતા પ્રત્યે આરોહી મૃત્યુ જાય જે

તેનાં ગાન આરંભ્યાં નારદે હવે.

રાત્રિનાં અંધ ઊંડાણોમાંહેથી જે સત્યનો સાદ ઊઠતો,

હૈયે પ્રકૃતિના ગુપ્ત જે પ્રજ્ઞા-માત છે રહી,,

ને એની મૂકતા દ્વારા ભાવના કાર્ય જે કરે,

ને રૂપાંતરતા દેતા હસ્તો એના ચમત્કાર કરંત જે, 

શીલા ને સૂર્યમાં ગાઢ ઘોરી જીવન જે રહ્યું,

મન જે પડદા પૂઠે રાજે ગૂઢ મનોવિહીન જીવને,

અને જનાવરોમાં ને મનુષ્યોમાં જાગે છે જેહ ચેતના,

તે સર્વે નાં ગાન ગાયાં સુરર્ષિએ.

હજી યે જન્મવાનો છે મહિમા જે અને આશ્ચર્ય તેહનાં,

અવગુંઠન પોતાનું અંતે આઘું કરી દેનાર દેવનાં,

બનાવાયેલ છે દિવ્ય એવા દેહોતણાં અને

મહાસુખ બનાવાઈ છે એવી જિંદગીતણાં,

અમર્ત્ય ઓજને લેતી નિજાશ્લેષે અમર્ત્ય માધુરીતણાં,

હૈયું સંવેદતું હૈયું

ને વિચાર દૃષ્ટિ સીધી વિચાર પર નાખતો

તેનાં ને બંધ સૌ તૂટી પડે ત્યારે મળનાર મુદાતણાં

આલાપ્યાં ગાન નારદે.

ને એ ગાતા હતા ત્યારે

અસુરોનીય આંખોમાં હર્ષનાં અશ્રુ ઉભર્યાં,

ગાને નારદના આપ્યું એમને જે હતું તે પૂર્વદેર્શને,

૧૦૮


કે દીર્ધ ઘોર જે કાર્ય કરી તેઓ રહ્યા હતા

તેહનો અંત આવશે,

જે પરાભવની આશા વૃથા તે રાખતા હતા

તે હવે તેમને થશે,

પોતે પસંદ કીધું 'તું તે દુર્ભાગ્યમાંથી એ છૂટશે હવે,

ને પોતે જે एक માંથી હતા આવ્યા તેમાં પાછા પહોંચશે.

જીતી લીધેક છે જેણે સદનો અમરોતણાં

દિવ્ય માનવ તે આવ્યો માનવોની પાસે ત્યાં પૃથિવી પરે.

ઝબૂકી વીજ કો જેમ ઊતરે તેમ ઊતર્યો

મહિમા એક ઊર્ધ્વથી,

આવતાં પાસ દે ખાયાં ઋષિનાં લીન નેત્ર બે

જોતાં પ્રકાશથી વ્યાપ્ત મેઘમંડળમાંહ્યથી,

વિચિત્ર વિલિખાયેલું શોભમાન મો'રા જેવું પુરણ કો

એમનું મુખ દેખાયું અજવાળે નીચે ઊતરતું જતું,

રાજા અશ્વપતિ કેરા મદ્રદેશે હવા ખાતા મહાલયે,

સુમનો ચઢતાં'તાં જ્યાં ઊંચે નાજુક આરસે.

વિચારશીલ વિદ્વાન રાજાએ ત્યાં કર્યો સત્કાર એમનો;

 મહારાણી અને માતા સાવિત્રીની

માનવી ત્યાં વિરાજેલી રાજાના પાર્શ્વમાં હતી,

સત્ત્વે સુંદર ને ભાવે ભરી બુદ્ધિમતી તથા

યજ્ઞની જવાળની જેમ વિભાસી વાયુમાં થઈ

ધરાધામથકી સ્વર્ગધામ પ્રત્યે અભીપ્સા ઊર્ધ્વ રાખતી,

ત્યાં અસ્પૃષ્ટ રહી પૃથ્વીલોકે કેરા ધેરામાંથી ઘડી સુધી 

પામરા જિંદગી કેરો ને ચિંતાનો વ્યાપાર વેગળો કરી

બેઠાં તે ઊચ્ચ ને છંદોમય સૂરે વૃત્તિ વાળી સ્વભાવની :

તે દરમ્યાન દેવર્ષિ સ્વરનો મેળ મેળવી

બોલ્યા વર્ણવતા મોટા શ્રમો માનવ જાતના,

ને પૃથ્વી પર દેવો શા માટેનો શ્રમ સેવતા

તે વાણીમાં કર્યું વ્યક્ત,

જે આશ્ચર્ય અને ગુહ્ય દુઃખ પાછળ છે રહ્યાં

તેનો સસ્પંદ આનંદ ગાયો છંદોમય સ્વરે.

તેઓ પાસે કર્યું ગાન પ્રેમના ઉર-પદ્મનું,

જ્યોતિર્મયી કળીઓ જ્યાં સત્ય કેરી સહસ્રશ:,

જે આભાસી વસ્તુઓથી અવગુંઠનમાં રહી

૧૦૯


પોઢેલું છે પ્રકંપતું.

સ્પર્શે પ્રત્યેક એ કંપી ઊઠે છે ને કરે છે યત્ન જાગવા,

અને એ સુણશે એક દિન સૂર સુખ ને સંમુદાતણો 

ને એ બાગે પ્રેયસીના પ્રફુલ્લિત બની જશે

જયારે શોધી કઢાયેલા પ્રભુ એના બંદી એને બનાવશે.

બલિષ્ટ ધ્રૂજતી એક પરમાનંદ-કુંડલી

અગાધ વિશ્વના હૈયામહીં લાગી વિસર્પવા.

સ્વ-દ્રવ્યજડતામાંથી ને મનોમય સ્વપ્નથી

જાગી એ ને પ્રકાશેલા પ્રભુના મુખની પરે

પડી નજર એહની.

આમ નારદ ગાતા 'તા અને હર્ષ પૃથ્વીના કાલની મહીં

પ્રસર્પી આવતો 'તો ને લેતો પકડ સ્વર્ગની

તેવામાં જ પડયો કાને ઘોડાના દાબડાતણો

અવાજ આપતો સાદ સાવિત્રીના ત્વરંતા ઉરના સમો;

આવી રાજકુમારિકા.

પ્રસાદ-ખંડમાં એનાં પગલાંઓ પડયાં ઝલક વેરતાં.

સુખે સભર આશ્ચર્ય હતું એની ઊંડી અગાધ મીટમાં,

આવી એ પલટાયેલી પ્રેમના પરિવેશથી;

તેજસ્વી ધુમ્મસે હર્ષ કેરા એની આંખો ઋદ્વ બની હતી,

દેવોના દૂતનું કાર્ય કરી કોઈ આવતું હોત તે વિધે

ઉદ્દાત કાર્ય પોતાના હૈયા કેરું અદા કરી

પોતાના પ્રેમને માટે અને એની નિત્યતા અર્થ ઊજળું

અનુમોદન દેવોનું લાવેલી નિજ સાથમાં,

મહૌજા સ્વપિતા કેરા સિંહાસન સમીપમાં

સાવિત્રી સમુપસ્થિતા :

ને આવિષ્કૃત પૃથ્વીએ સૌન્દર્યાર્થે સમુત્સુકા,

રૂપાંતરિત ને નવ્યા નિજ હૈયાતણી અદભુત જ્યોતિમાં

આશ્ચર્યમતા કેરા ગુલાબ શી,

માધુરી મહાસે પૂર્ણ જોઈ એણે પુત્રીની સ્વર્ગલોકના

ને એની આર્ચના કરી.

વિશાળી અમૃતા દૃષ્ટિ સાવિત્રી પર એમણે

કરી એને નિજ આંતર દૃષ્ટિની

જ્યોતિની મધ્યમાં ધરી,

અને અમર પોતાના

૧૧૦


અધરોષ્ઠથકી જ્ઞાન સંકેલાયેલ રાખતાં

સંબોધી એમણે એને, " છે આ કોણ, અહીં આવેલ આ વધૂ,

જવલા-જન્મી, આસપાસ જેના જ્યોતિત શીર્ષની

વિવાહવૈભવો મારે ઝબકારા વિભાઓ નિજ વેરતા ?

ઓસે છાયેલ મૌનોની મહીં પાછી વળી જતી

કે ચંદ્રને દૃગે અર્ધ-દૃષ્ટ વારિ-કિનારની

કઈ કુંજગલી કેરી લીલા ઝબકમાંહ્યથી

મોહિનીભર આંખોનો લાવી છે તું પ્રભાવ આ ?

છે પૃથ્વી પાસ વિસ્તારો સોનેરી, છે ગિરિઓ લીન છાયમાં

લપેટી રાત્રિથી જે લે સ્વપ્નમગ્ન આભાસી નિજ મસ્તકો,

છે ઢંકાયેલ કાંઠાઓ રક્ષાયેલા સુખી વન-વિહારમાં

મુદામગ્ન બની જતા,

એમને ભેટમાં લેતા વાંકાચૂંકા બાહુઓ ઝંખના ભર્યા

અખંડ ધારથી વ્હેતા પ્રવાહના,

અનુરાગી ઊર્મિઓએ સમાલિંગન આપતી

એમને ઊર્ધ્વની પ્રત્યે અવલોકંત નિર્ઝરી :

એના વિશુદ્ધ આશ્લેષ કેરા શીત-શિખરી મર્મરોમહીં

કંપતા શરની સેજોમહીં તેઓ આત્મલુપ્ત બની જતા.

ને આ સૌ ગૂઢ સાન્નિધ્યો છે જેમાં એક આત્મનું

મહાસુખ લહેવાતું વિનાશ નવ પામતું,

ને તેઓ જગતી-જાયું હૈયું ખુલ્લું કરે આનંદની પ્રતિ.

થંભી તું ત્યાં હતી કે શું, પડી આશ્ચર્યની મહીં

અજાણી આંખડીઓને બરદાસ્ત કરી હતી ?

કે હતો સંભાળ્યો સૂર જેણે તારી જિંદગીના પ્રહર્ષને

હતી ફરજ પાડેલી બળાત્કારે ગળાઈ બ્હાર આવવા

ધ્યાનથી સુણતા તારા ચિદાત્માની મહીં થઈ ?

યા વિશ્વાસ કરે મારો જો વિચાર

વિલાસંતી આ તારી દૃષ્ટિની પરે

તો કે'શે કે તેં પૃથ્વીને પ્યાલે પાન કર્યું નથી,

કિંતુ આકાશ શા નીલ પડદાઓ પ્રભાતના

વટાવી સંચરી 'તી તું ને જાદૂઈ કો એક પ્રાંતરે તહીં

માનવી આંખને માટે સહ્ય તેથી વધુ ક્યાંય વિભાસતા

પ્રદેશોમાં ઘેરાઈ તું ગઈ હતી.

આનંદના અવજોનાં દલોના હુમલા તલે

૧૧૧


ને પરીઓ કેરા કાનનકુંજમાં

સૂર્યપ્રકાશથી છાઈ શાખાઓની

તું મનોમોહિની મધ્યે ઝલાયલી,

ઘૂમે છે અપ્સરાઓ જ્યાં તે લસંતા

ગંધમાદનના ઢાળોતણી વાટે નીચે દોરાયલી હતી,

કોઈએ જે નથી દીઠી

તે ક્રીડાઓમહીં તારાં ગાત્રોએ ભાગ લીધો છે,

ને તારા માનવી પાય દેવ-સેવ્યાં સ્થાનોમાં સંચરેલ છે,

દેવ-વાણી સુણી મર્ત્ય તારા વક્ષે કંપ અનુભવેલ છે,

અને ઉત્તર આપ્યો છે તારા ચૈત્યે એક અજ્ઞાત શબ્દને.

મૃદુ ને મોદ માણંતા માતરિશ્વામહીં થઈ

પાસેથી ને દૂરમાંથી આવતા પાસ, તે ક્યા

દેવોના પદ-સંચારો ને બંસીઓ કઈ મોહક સ્વર્ગની

પુલકે ભર રાગો જે આસપાસ ઊંચે સૂરે વહાવતી

તે અત્યારે સાશ્ચર્ય સાંભળી તું રહેલ છે ?

એમણે મૌન પોષ્યું છે તારું ખાવા આપીને લાલ રંગનું

ફૂલ કોક ચમત્કારી સંમુદા સાન્દ્ર આપતું,

ને મહાસુખનાં ઝાંખાં શીશી-શૃંગો પર તેં પાય છે ધર્યા.

પ્રભાની પાંખવાળી ઓ ! કર પ્રકટ, ક્યાં થકી

લીલી જટિલ ઝાડીમાં થઈને તું આવી છે પાંખ વીંઝતી

તેજીલી ને રંગની રુચિએ ભરી ?

તારું શરીર લાગે છે કોઈ વસંતકાળના

વિહંગમતણા સૂર-સાદ સાથે રહેલું લયમેળમાં.

તારા હસ્તતણા ખાલી ગુલાબોમાં

પોતાનું જ છે સૌન્દર્ય ભરાયલું

ને રોમહર્ષ છે યાદ રહેલા પરિરંભનો,

ને તારામાં પ્રકાશે છે કુંભ કો દિવ્ય ધામનો,

ને એ છે સારથી સજ્જ હૈયું તારું ગૂઢ માધુર્યથી ભર્યું,

ઊભરાઈ જતું તાજા મધે અમૃતથી ભર્યા.

રંજના રાજવીઓની સાથે તારો વાર્તાલાપ થયો નથી.

સંગીત જિંદગી કેરું ભયપૂર્ણ તારે કાને ધ્વને હજી

દૂરના સ્વરમાધુર્યે ભરેલું ને દ્રુત દિવ્ય કિન્નરસ્વરના સમું,

યા પ્હાડોમાં થઈ જાતા જળ જેવું મૃદુ ઊર્મિ ઉછાળતું,

યા અનેક સમીરોના સુપ્રચંડ પ્રૌઢ સંગીતના સમું.

૧૧૨


શશીશુભ્રા વસે છે તું નિજાનંદમહીં અંતર-આત્માના.

રૂપલા મૃગલી જેવી આવે છે તું કાનનોની મહીં થઈ,

પ્રવાલ પુષ્પ છે જ્યાં ને મુકુલો છે સ્વપ્નો વિલસને ભર્યાં

યા વાયુ-દેવતા એક પર્ણોમાં થઈ ભાગતી,

રત્ન-નેની ક્પોતી ઓ ! હિમ શી શુભ્ર પાંખ પે

ભમતી, ભાગતી તારી ઝાડીઓમાં વિશુદ્ધ અભિલાષની,

ન ઘવાયેલ સૌન્દર્ય વિષે નિજ ચિદાત્મના.

તારી પાર્થિવતા માટે વસ્તુઓ આ માત્ર છે પ્રતિમૂર્તિઓ

કિંતુ જે તુજમાં સુપ્ત છે તેનું એ સત્યમાં સત્ય સત્ય છે.

કેમ કે તુજ આત્મસત્ -તા છે આવી, છે દેવો કેરી બહેન એ,

મનોમોહક નેત્રોને તન તારું ધરાતણું,

મોદમાં સ્વર્ગ-જાયાઓ સાથે તારી સગાઈ છે.

ઓ હે !  આવેલ આ જંગી જોખમોએ ભરેલા જગની મહીં,

હાલ જે માત્ર દેખાય તારાં સ્વપ્નાંતણા વૈભવમાં થઈ,

પ્રેમ, સૌન્દર્ય ભાગ્યે જ જ્યાં નિવાસ સુરક્ષિત કરી શકે,

ત્યાં તું મોટું સત્ત્વ એક ભયંકર પ્રમાણનું,

એકાકી ચૈત્ય-આત્મા તું સ્વર્ણ-ધામે વિચારના

વસેલી છે સુરક્ષાની દીવાલોમાં પોતાનાં સપનાંતણી.

પીછો અદીઠ જે લે છે મનુષ્યોનાં બેભાન જીવનોતણો

તે નિર્માણ તજી સૂતું સુખનાં શિખરો પરે

આદર્શના સુવર્ણે જો હૈયું તારું તાળાબંધ રહી શકે

તો પ્રબોધ બને તારો એટલો જ ઊંચો ને સુખથી ભર્યો !

જો સદાકાળને માટે શક્ય હોય સૂતું નિર્માણ છોડવું ! "

 

 

બોલ્યા એ પણ શબ્દોમાં નિજ જ્ઞાન દીધું પ્રકટ ના થવા.

રમે છે વાદળું જેમ તેજસ્વી વીજ-હાસ શું

પરંતુ રાખતું વજૂ  સંકેલી નિજ હાર્દમાં,

તે વિધે તેમણે મુક્ત કર્યાં માત્ર પ્રતિરૂપો જ ઊજળાં.

ઝમકે પૂર્ણ સંગીત કરે છે તે પ્રકારથી

નારદે નિજ વાણીથી વિચારોને પોતાના અવગુંઠિયા;

મર્ત્યો પ્રત્યે દયા દાખી વાત એ કરતા હતા

સજીવ સુષમા કેરી ને અત્યારે છે જે તે સંમુદાતણી,

મીઠી વાતો કરે જેમ સમુલ્લાસી વસંતની

હવાની સાથ વાયરો :

૧૧૩


નિજ સર્વજ્ઞ ચિત્તે એ બાકીનું સૌ સંતાડી રાખતા હતા.

જેમણે એમની દિવ્ય સુણી વાણી તેમને કાજ સ્વર્ગની

દયા જે પડદો નાખે છે ભાવી દુઃખની પરે

તે સંમતિ જણાવે છે અમરોની અંતવિહીન મોદને.

અશ્વપતિ પરંતુ ત્યાં ઋષિજીને પ્રતિ-ઉત્તર આપતો;

ધ્યાનથી સુણતા એના

મને નોંધ હતી લીધી સંદેહાત્મક અંતની,

શબ્દો પાછળની છાયા ઓળખી 'તી અમંગળા,

પરંતુ પૃથિવી કેરી જિંદગીની

ભયે ભરેલ જે રૂપરેખાઓ છે આંકેલી, તે મહીં અહીં

દૈવ-સંમુખતા નિત્ય રાખનારા કેરી શાંતિ મુખે ધરી

એણે સાવધ શબ્દોમાં ઢાંકયા રાખ્યા વિચારને

ઉત્તર આપતા કહ્યું :

" અમર્ત્ય ઋષિ હે ! સર્વ અહીંનું જાણતા તમે,

પ્રતીકાત્મક રૂપોની કાંડારાયેલ ઢાલ જે

તમે રાખેલ છે સામે તમારા દિવ્ય ચિત્તની,

તે મધ્ય થઇ જો વાંચી શકું હું કૈં

રશ્મિ દ્વારા સ્વ-મનોકામનાતણા

તો હુંથી જાય છે જોયાં પગલાંઓ

યુવા એક દેવતાત્મા સમાણી જિંદગીતણાં,

લસંત લોચનો સાથે સુખભેર આરંભાયેલ ભૂ પરે;

અજ્ઞેયાત્મક ને અજ્ઞાત મધ્યમાં

સીમાઓ પર જન્મેલી ચમત્કાર ભર્યાં બે જગતોતણી,

અનંતનાં ભભૂકંત પ્રતીકો પ્રકટાવતી

અને આંતર સૂર્યોની મહાજ્યોતિમહીં વસી.

કાં કે વાંચેલ છે એણે ને તોડી છે સીલબંધી  છુપાયલી,

કર્યું છે પાન આનંદ-કૂપોમાંથી અમર્ત્યના,

સ્વર્ગના અર્ગલો રત્ન-રચ્યા, તેની પારમાં દૃષ્ટિ છે કરી,

એણે પ્રવેશ કીધો છે અભીપ્સંતી રહસ્યમયતામહીં,

પામર વસ્તુઓ પાર વિશ્વ કેરી એની નજર જાય છે,

શક્તિઓ જે રચે વિશ્વો તેઓ સાથે એનો સંલાપ ચાલતો,

જ્યાં સુધી નીલમોના ને મૌકિતકોના રચ્યા પૂરે

પ્રકાશમાન દ્વારોમાં ને ગૂઢ ગલીઓમહીં

ને દેવોનાં દલો કેરી કૂચ પ્રૌઢ કર્મને પગલે બઢે.

૧૧૪


માનવી જિંદગીઓમાં જોકે વિરામ આવતા

ને તે સમયને માટે મનુષ્ય કાજ રાખતી

ધરા ટૂંકાં અને પૂર્ણ કેટલાંક મુહૂર્તો પૂર્ણતાતણાં

ને ત્યારે પગલાં કાળ કેરાં અચેત, લાગતાં

અમરોના જીવનોની શાશ્વતી ક્ષણના સમાં,

છતાં વિરલ આ સ્પર્શ પામતું મૃત્યુનું જગત્ :

નક્ષત્રોની ઉગ્રતાએ ભરેલી ને મુશ્કેલ ગતિની મહીં

જવલ્લે ચૈત્ય ને દેહ એવો એક અહીંયાં જન્મ પામતો

જેનું જીવન સ્વર્ગીય સૂરતા સાચવી શકે,

ને જેનો લય આવૃત્તિ બહુસૂરી રાગ કેરી કરી શકે,

અશ્રાંત ધબકે જેહ હવામાં હર્ષની થઈ,

ડોલાવે અપ્સરાઓનાં અંગોને તે ગીત મધ્યે ઝલાયલો

જયારે એ તરતી હોય તેજ:પૂર્ણ જ્યોતિના મેઘના સમી

ચંદ્રમણિમયી ભોમે સ્વર્ગ  કેરી એક આનંદ-ઊર્મિ શી.

જુઓ પ્રભા તથા પ્રેમે પ્રતિમા આ ઢળાયલી,

દેવતાઓતણા ભાવોત્સાહની શ્લોકબદ્ધતા,

પ્રાસાનુપ્રાસથી યુક્ત, યષ્ટિ કાંચન ઊર્મિની !

ઊભરાઈ જતો કુંભ સંમુદાનો--એવું એનું શરીર છે,

સોનેરી કાંસ્યની શોભાતણે ઘાટે ઘડાયલું ,

જાણે કે હોય ના પૃથ્વીતણી ગુપ્ત મુદાનું સત્ય ઝીલવા.

આંખો એની સ્વપ્ન-સર્જી આરસીઓ પ્રદીપ્ત છે,

યુક્તિ સાથે સજાયેલી સુરમાની કિનારી ઘેનથી ભરી,

સ્વર્ગના પ્રતિબિંબોને ઊંડાણોમાં પોતાનાં રાખતી હજુ.

જેવું શરીર છે એનું એવી એ અંતરેય છે,

ન હજી અશ્રુએ સ્પૃષ્ટ એના તરુણ આત્મમાં

અગ્નિના ટપકાં જેમ રૂપેરી પત્રની પરે

તેમ પ્રભાત સ્વર્ગીય પ્રભાવંતાં પુનરાવૃત્ત થાય છે.

એના સ્ફાટિક આત્માના નિષ્કલંક આશ્ચર્યે પૂર્ણ ભાવને

વસ્તુઓ સઘળી રમ્ય નવી શાશ્વત લાગતી.

અવિકારી નભોનીલ પ્રકટાવે વિશાળા સ્વ-વિચારને;

પ્લવમાન રહે ચંદ્ર ચમત્કારી

આકાશોમાં થઈ આશ્ચર્ય પામતાં;

કાળ ને મૃત્યુની હાંસી

કરતાં પૃથિવી કેરાં પુષ્પો પ્રસ્ફુટ થાય છે;

૧૧૫


છે જાદૂગર જિંદગી,

મનોમોહક જે તેમાં પરિવર્તન આવતાં

તે સસ્મિત ઘડીઓની પાસમાં થઇ દોડતાં

પસાર થઇ જાય છે આનંદી બાળકો સમાં.

પણ જો જિંદગી કેરો આ આનંદ ટકી શકે

ને એના લયને લ્હેતા દિનોમાં ના

દુઃખ નાખી શકે કર્કશ સૂર કો !

પૂર્વજ્ઞાની દૃષ્ટિવાળા, જુઓ એને, ભક્ત ગાયક હે તમે,

ને આશીર્વાદ આપો કે બાલા આ ચારુતા ભરી

પોતાના પ્રેમના સ્વચ્છ ઉરમાંથી અશોકા જિંદગીતણી

અમીની ધાર રેલાવે પોતાની આસપાસમાં,

પૃથ્વીના શ્રાંત હૈયાના ઘા રુઝાવે પોતાની સંમુદા વડે,,

ને મહાનંદ વિસ્તારે સુખે સભર જાળ શો.

જેમ અલકનંદાના મર્મરંતા ઉર્મિલ સ્રોતને તટે

સુવિશાળ સ્વર્ણવર્ણં ઉદારાત્મ વૃક્ષ પુષ્પિત થાય છે,

જ્યાં મુગ્ધ વેગ ધારીને વહે છે જળ દોડતાં

કાલાઘેલા સ્વરે મિષ્ટ ઉષા કેરી દીપ્તિની સાથ બોલતાં,

ને સ્વર્ગની સુતાઓનો ઘૂંટણોની

આસપાસ લાગ્યાં રે'તાં હસતા ગાનને લયે,

ને શશી-સ્વર્ણ અંગો ને વાદળી સમ વાળવી

બાળાઓ ટપકાવંતી વારીબિંદુ મોતીડાં સમ ઊજળાં

ચમત્કાર લાગતાં,

પ્રભાપર્ણ સમાં તેવાં ખચ્યાં રત્ને આનાં યે સુપ્રભાત છે.

મનુષ્યો પર ઢાળે છે આયે એમ પોતાના સુખશર્મને.

પ્રભાવી શર્મની જવાળા રૂપે એનો અવતાર થયેલ છે,

અને અવશ્ય એ જવાળા પૃથ્વીને યે પ્રજવલંત બનાવશે :

દુર્દૈવ એહને જોશે જતી ને એ નક્કી કૈં બોલાશે નહીં

ઘણી યે વાર કિંતુ હ્યાં મા અસાવધ છોડતી

પોતાનાં વ્હાલુડાંઓને હસ્તોમાંહે નસીબના :

વીણા પ્રભુતણી મૂક બનતી ને

સાદ એનો પરમાનંદને થતો

નિરુત્સાહિત ફાવે ના પૃથ્વી કેરા અવાજોમાંહ્ય દુઃખના;

તંત્રીઓ ન કરે નાદ સંમુદાની અહીંયાં મોહિનીતણી

અથવા માનવી હૈયે વ્હેલી વ્હેલી બની નીરવ જાય એ.

૧૧૬


અમારી પાસ પર્યાપ્ત ગાન છે શોકદુઃખનાં,

આપો આદેશ કે એના દિવસો સુખના અને

શોકરહિતતાતણા

એકવાર ફરી સ્વર્ગ ધ્વનાવે હ્યાં ધરા પરે.

કે જે મહાન છે આત્મા તેને માટે અવશ્ય છે

સદા અગ્નિપરીક્ષણો ? 

દેવો કેરા ઘોર સેતુતણી પરે

શાશ્વત-ધામની યાત્રા કરનારી જિંદગી મર્ત્ય માનવી

પ્રેમ,શ્રદ્ધા અને પુણ્ય હર્ષને કવચે સજી

એકવાર થવા દેજો હેમખેમ પસાર વ્રણના વિના."

કિંતુ નારદ ના બોલ્યા; બેઠા એ ચુપકી ધરી,

કેમ કે જાણતા 'તા એ

કે શબ્દો છે નકામા ને સર્વસત્તાદ દૈવ છે.

એમણે દેખતી આંખે અવલોક્યું અદૃષ્ટમાં,

પછી માનવ અજ્ઞાન સાથે ક્રીડા કરંત એ

જાણે અજ્ઞાન છે પોતે તેમ પ્રશ્ન કરતા વળતું વધા :

" કયા મોટા કામ માટે રથચક્રો એનાં વેગે ગયાં હતાં ?

ને એ ક્યાંથી ફરેલી છે આ પ્રભાવ પોતાને હૃદયે લઈ,

ને એની આંખમાં સ્વર્ગ દૃશ્યમાન બનાવતી ?

છે કયા દેવનો ભેટો થયો એને અચિંતવ્યો ?

પરમોચ્ચ કયું એને મુખ જોવા મળી ગયું ? "

આપ્યો જવાબ રાજાએ રક્તાશોક નિરીક્ષતો

હતો એને જવા સમે

ને જુએ છે હવે એને જઈ પાછી ફરેલને.

ઊઠી એકા ઉજજવલંતી ઉષા કેરી હવામહીં

એકાંત ડાળથી થાકી ગયેલી કો પ્રોલ્લાસી પક્ષિણી સમી,

શોધવા નિજ સ્વામીને માધુરી આ અટવા નીકળી પડી,

ઝડપી પાંખે વીંઝીને પોતાનો માર્ગ કાપતી,

કેમ કે એ સ્વયં ના'વ્યો એની પાસે પૃથ્વી પર હજી સુધી.

દૂરના સાદથી દોર્યું ધૂંધળું શું વેગી ઊડણ એહનું

ગ્રીષ્મ કેરાં પ્રભાતો ને ભાસ્કરોજજવલ ભૂમિઓ

પર દોરા જેવો માર્ગ કરી ગયું.

બાકીનું સુખીયું સર્વ એની લાદી પાંખણોએ રહેલ છે

ને મુગ્ધ રક્ષતા ઓઠ છે હજી સંઘરી રહ્યા.

૧૧૭


કુમારી !  હર્ષથી પૂર્ણભાવ છે તું સમાગતા,

ઓચિંતી તુજ હૈયાની ધબકોએ

જાણ્યું છે જે કર પ્રકટ નામ તે.

કોને પસંદ કીધો છે માનવોની મહીં તે રાજરાજવી ? "

ને દે ઉત્તર સાવિત્રી સ્થિર શાંત નિજ સ્વરે,

જેમ કો બોલતું હોય આંખો હેઠ અદૃષ્ટની :

" હે પિતા ! હે મહારાજ ! આપની મેં ઈચ્છા સિદ્ધ કરેલ છે,

જેને હું શોધતી 'તી તે મને દૂર પ્રદેશોમાં મળેલ છે;

અનુવર્તન મેં મારા હૈયા કેરું કરેલ છે,

સાદ એનો સુણેલ છે.

શાલ્વદેશતણા પ્રૌઢ પ્હાડોની ને

ધ્યાનલીન વનોની વચગાળામાં

નિજ પર્ણકુટીમહીં

નિવસે છે ધુમત્સેન, અંધ, દેશનિકાલ ને

પરિત્યક્ત, મહારાજા એકવાર મહાબલી.

એ ધુમત્સેનનો પુત્ર સત્યવાન મને મળ્યો

મોટી જંગલઝાડીની કિનારી પર નિર્જના.

કરી છે મેં પિતા મારી પસંદગી,

પાકી મારી પસંદગી."

આશ્ચર્યલીન સૌ બેઠાં ક્ષણવાર અવાક ત્યાં

પછી અશ્વપતિ સ્વાંતે કરી દૃષ્ટિ નિહાળતાં

જોતો સઘન કો છાયા પ્લવતી નામની પરે

ને અચાનક તોતિંગ જ્યોતિ એનો લેતી પીછો શિકારમાં;

નિજ પુત્રીતણાં નેત્રોમહીં એ નીરખી વધો :

" છે તેં રૂડું કર્યું ને છે મારી અનુમતિ તને.

જો આટલું જ હોયે તો રૂડું નિશ્ચય છે બધું;

એથી હોય વધારે જો તો યે સર્વ રૂડું જ સંભવી શકે.

માનવી દૃષ્ટિને લાગે ઈષ્ટ યા તો અનિષ્ટ એ

છતાં કલ્યાણ માટે જ છૂપી ઈચ્છા કેરું કાર્ય થઈ શકે.

આપણા ભાગ્યનો લેખ બે રીતે છે લખાયલો :

નિસર્ગના વિરોધોમાં થઈ જાતા આપણે પ્રભુ-સંનિધે;

અંધકારમહીંથી યે જ્યોતિ પ્રત્યે આપણી વૃદ્ધિ થાય છે.

મૃત્યુ છે આપણો માર્ગ અમૃતત્વે લઈ જતો.

' સર્વનાશ, સર્વનાશ, ' રડી ઊઠે હાર્યા પોકાર વિશ્વના,

૧૧૮


છતાંય  જય  તો અંતે  થાય શાશ્વત શ્રેયનો."

ત્યારે જ ઓચર્યા હોત મુનિ, કિંતુ થઈ રાજા ઉતાવળો

બોલી ઊઠ્યો અને રોકી રાખ્યો શબ્દ ભયંકર :

" પરમાનંદના ગાતા !  અંધને ના આપો દૃષ્ટિ ભયે ભરી,

સ્વાભાવિક હકે કાં કે તમે સર્વ જોયું છે સ્પષ્ટ રૂપમાં.

કસોટી કારમી જેહ આવે છે પૂર્વજ્ઞાનથી

તે લાદો ના પ્રકંપતા હૈયા ઉપર મર્ત્યના,

અમારાં કર્મમાં હાલ દેવતાની માગણી કરતા નહીં.

સ્વર્ગની અપ્સરાઓ જ્યાં ઘૂમે છે તે સુખી શૃંગો અહીં નથી,

નથી કૈલાસ કે તારા-રચી સીડી નથી વૈકુંઠની અહીં,

સીધા કઠોર-દંતાળા ડુંગરા માત્ર છે અહીં

હામ થોડા જ ભીડે જ્યાં ચડવાનો વિચારે કરવાતણી;

આવે ચક્કર જ્યાં એવા ખડકોથી

દૂર કેરા નીચે બોલાવતા સ્વરો,

ઠંડા લપસણા, સાવ સીધા મારગ છે અહીં.

દુર્બળા માનવી જાતિ પ્રત્યે દેવો અતિમાત્ર કઠોર છે,

વિશાળા નિજ સ્વર્ગોમાં વસે છે એ મુક્ત દારુણ દૈવથી

ને ભૂલી જાય છે તેઓ માનવીના પાય ઘાએ છવાયલા,

શોકને સાટકે મૂર્ચ્છા પામતાં અંગ એહનાં,

હૈયું એનું જતા ભૂલી સુણતું જે

કાળનો ને મૃત્યુ કેરો પદધ્વનિ;

મર્ત્યની દૃષ્ટિથી માર્ગ ભાવિનો છે છુપાયલો :

અવગુંઠિત ને ગુપ્ત મુખ પ્રત્યે માનવી કરતો ગતિ.

પગલું એક આગેનું અજવાળાય એટલી

માત્ર છે આશા એહની,

સામનો કરવા માટે સમસ્યાનો નિજ ઢાંકેલ ભાગ્યની

થોડાક બળને માટે કરે છે એહ માગણી.

અસ્પષ્ટ અર્ધ-દેખાતી શક્તિ એની વાટ જોઈ રહેલ છે,

જિંદગીના અનિશ્ચિત દિનો પરે

છે ઝઝૂમી રહ્યો મોટો ભય એવું ભાન એને થયા કરે,

એની ફૂંક થતી રક્ષે છે પોતાની ઝંખાઓ એ ઝબુકતી;

કોઈ ટાળી શકે ના જે તેવા ગ્રાહે એનાં ભીષણ આંગળાં

પોતાને પકડે લેતાં લહી એ શકતો નથી.

જો એ શક્તિતણો ગ્રાહ કરવા શ્લય શકત હો

૧૧૯


તો જ કેવળ બોલજો,

છે સંભવિત કે લોહ-પાશમાંથી માર્ગ છે છૂટવાતણો :

કદાચ નિજ શબ્દોથી આપણને ઠગે છે મન આપણું,

ને  ' દૈવ'  નામ આપે છે આપણા જ ચુનાવને;

કદાચ આપણી ઈચ્છાશક્તિ કેરી અંધતા એ જ દૈવ છે."

પરંતુ ગભરાઇને બોલી ઊઠી રાણી રાજાતણી હવે :

" ઋષિરાજ ! તમારું જે થયું ઉજ્જવલ આવવું

તે સવેળ જ છે થયું

સુખી જીવનની ઉચ્ચ આ મહત્ત્વતણી ક્ષણે.

તો સુમંગલ વાણીથી અશોક ભુવનોતણી

હો तथास्तु સુપ્રસન્ન યોગે બે તારકોતણા

ને તમારો દિવ્ય શબ્દ દો સમર્થન હર્ષને.

ભો હ્યાં અમ વિચારોનો મહીં ખેંચી ન લાવતા,

અમારા શબ્દ મા સર્જો તે દુર્ભાગ્ય જેનો છે ડર એમને.

ભણકારા હ્યાં ના કો, ને મોકો નહિ શોકને 

અનિષ્ઠ ભાખતું માથું કરી ઊંચું તાકવા પ્રેમની પરે :

પૃથ્વીના માણસોમાં છે સત્યવાન સૌભાગ્યવાન એકલો

આત્મા આખા સમૂહમાં

જેને જીવનના સાથી રૂપે આપી સાવિત્રીએ પસંદગી,

ને આશ્રમેય સદભાગી વન કેરો, જહીં તજી

મ્હેલ, સંપત્તિ ને ગાડી જશે મારી સાવિત્રી વાસ કારણે

ને જહીં સ્વર્ગ આણશે.

તો આશિષે તમારી લો મારો મુદ્રા અમર્ત્યની

આ આમોદી જીવનોના નિષ્કલંક શ્રેય ને સુખની પરે

અને અનિષ્ઠ છાયાને હડસેલી

કરો આધી આયુ કેરા એમના દિવસો થાકી.

માનવી હૃદયે આવી પડે ભારે અતિશે  છાય કાળુડી;

હૈયું હિંમત ના ભીડે આ ધરાએ અતિમાત્ર સુખી થવા.

અતિ ઇજજવલ હર્ષોનો પીછો લેનાર ઘાવનો

ભય એને રહ્યા કરે,

દૈવ કેરા પ્રસારેલા હાથમાંનો ન દેખાનાર ચાબખો

એને ભય વડે ભરે,

મહાસૌભાગ્યની ઉચ્ચ પરાકાષ્ઠા પૂઠે છૂપેલ જોખમે

ડર એ દિલમાં થતો,

૧૨૦


સ્મિત જીવનનું લાડ લડાવનતું સ્મિત છે વ્યંગથી ભર્યું,

દેવો કેરું હાસ્ય એને કંપમાન બનાવતું.

યા ઘોર નાશનો ચિત્તો લપાયેલો હોયે અદૃશ્ય પેંતરે,

યા તો અનિષ્ટની પાંખો પ્રસરી હો એ કુટંબતણી પરે,

તો તે પણ કહો, જેથી ફરી બાજુ પરે જઈ

જિંદગીઓ બચાવીએ અમારી એ

યદ્દચ્છાવશ આવેલા મારવર્તી વિનાશથી

ને પરાયા ભાગ્ય સાથે થઈ છે જે તેહ સંડોવણી થકી."

ને ધીરે રહી રાણીને આપ્યો ઉત્તર નારદે :

" જે હંકારાય છે તેઓ માટે છે શી સહાય પૂર્વદૃષ્ટિમાં ?

અવાજ કરતાં દ્વાર ખૂલે પાસે સલામત,

છતાં આવી બન્યું જેનું હોય  છે તે આગે જ ચાલતો રહે.

દૈવે રચેલ તોસ્તાન રંગમંચતણી પરે

ભાવિનું જ્ઞાન છે માત્ર  ઉમેરો દુઃખની મહીં,

બોજો રિબાવનારો ને છે પ્રકાશ નિરર્થક.

કવિ છે સર્વકાલીન મન વૈસ્વ

એણે સ્વ રાજવી અંકે નાટય કેરા

પ્રતિપંકિત પૃષ્ઠાંકિત કરેલ છે;

ભીમકાય નટો માંડે પગલાં અણદીઠ ત્યાં,

ને છૂપા અભિનેતાના છદ્મ જેવો રહેલો છે મનુષ્ય ત્યાં.

બોલશે હોઠે પોતાના શું યે એ ન જાણતો.

કેમ કે શક્તિ કો ગૂઢ બલાત્કારે પાય એના ચલાવતી

ને એના કંપતા ચૈત્ય કરતાં છે બલવત્તર જિંદગી.

એ કડી શક્તિની માંગો નકારી કોઈ ના શકે,

પોકાર, પ્રાર્થના કોઈ વાળી એને ન શકે નિજ માર્ગથી,

છે એ તીર વછૂટેલું ઈશ કેરી કમાનથી."

નથી ફરજ જેઓની પડતી શોકદુઃખની

તેઓના એ શબ્દ નારદના હતા,

જિંદગીનાં ચાલી રહેલ ચક્રને,

ક્ષણભંગુર ચીજોની વ્યગ્રતાને ચાલતી દીર્ધ કાળથી,

ને અશાંત જગત્ કેરા કષ્ટને ને એના ઉદ્દામ ભાવને

કરતા એ હતા સાહ્ય પ્રશાંતિથી.

જાણે છાતી વીંધાઈ નિજ હોય ના

તેમ માએ જોઈ શિક્ષા પુરાણી મનુજાતની

૧૨૧


થયેલી નિજ બાલને.

બીજા ભાગ્યને યોગ્ય જેની મધુરતા હતી

તેને હતું અપાયેલું માત્ર મોટું પ્રમાણ અશ્રુઓતણું.

અભિલાષા રાખતી 'તી દેવો કેરા સ્વભાવની,

મહોજસ્વી વિચારોમાં મન એનું બન્યું બખ્તરિયું હતું,

પ્રજ્ઞાની ઠાલની પૂઠે સ્થિત એનો હતો સંકલ્પ સાબદો,

જ્ઞાનનાં સ્થિર સ્વર્ગોએ જોકે આરૂઢ એ હતી,

જોકે પ્રશાંત ને શાણી હતી રાણી રાજા અશ્વપતિતણી

છતાં યે એ હતી આખર માનુષી

અને શોકતણી પ્રત્યે દ્વારો એનાં અવ ખુલ્લાં થઈ ગયાં;

અટ્ટલ કાયદા કેરા આરસ-દેવતાતણા

પાષણ-ચક્ષુ અન્યાય પર એણે નિજ આક્ષેપ મૂકિયો;

વિશ્વ-શક્તિતણી સામે ટટાર-શિર ઊભતાં

જીવનોને મહાપત્તિ આપે છે બળ જેહ તે

એણે નિજાર્થ ના ચહ્યું :

નિષ્પક્ષ ન્યાયકર્ત્તાની સામે એને હૈયે અપીલ ત્યાં કરી,

ને વ્યક્તિભાવથી મુક્ત एक કેરે

માથે દોષ દુષ્ટતાનો ચઢાવિયો.

બોલાવ્યો સાહ્ય માટે ના એણે શાંત નિજાત્મને,

કિંતુ બોજા તળે જેમ સામાન્ય જન થાય છે

પડું પડું અને દુઃખ નિજ એ અજ્ઞ શબ્દમાં

સોદગાર બ્હાર કાઢતો,

તેમ રાણીએય હાવે વિશ્વ કેરા ધીર સંકલ્પની પરે

દોષારોપણ આદર્યું :

" મહાપત્તિ કઈ એના માર્ગ વચ્ચે સર્પી છે ચુપકી ધરી,

કાળા વનતણા કૂડા હૈયાથી  બ્હાર નીકળી,

શાલ્વના છોકરા કેરું ધરી રૂપ સુહામણું

કયું અનિષ્ઠ આવીને મલકાતું થયું મારગમાં ખડું ?

કદાચ શત્રુ એ આવ્યો બાલાના પૂર્વ જન્મનો,

પુરાણા અપરાધોના છૂપા શસ્ત્રે સજાયલો,

અજાણ આપ પોતે યે એમ એણે એને અજ્ઞાતને ગ્રહી.

અહીંયાં પ્રેમ ને દ્વેષ કારમાં અટવાયલાં

કાળનાં જોખમો વચ્ચે આંધળા ભમનાર જે

આપણે તેમને મળે.

૧૨૨


આપણા દિન અંકોડા છે કો એક દારુણ શું શૃંખલાતણા,

અવશ્યંભાવિતા વેર વાળી લે છે બેફામ પગલાં પરે;

ઓળખાય નહીં એવે વેશે આવે ક્રૂરતાઓ પુરાણની,

ઉપયોગ કરે દેવો ભુલાયેલાં આપણાં કરમોતણો.

છતાં વ્યર્થ બનાવાયો છે  આખો યે કાયદો કડવાશનો .

આપણાં જ મનો ન્યાય તોળે દુર્ભાગ્યયોગનો.

કેમ કે આપણે  શીખ્યા ન કશું યે,

આપણી જાત કેરો ને જાતોનો અન્ય લોકની

કરતા આપણે સાવ ખરાબ ઉપયોગ જે

તે કર્યા કરતા હજુ,

અને ભ્રષ્ટ સ્વ સ્વર્ગીય સ્વરૂપથી

પાતાળના પિશાચોને રૂપે પ્રેમ કાળુડો જાય છે બની.

વીફરેલા ફિરસ્તો એ સ્વ હર્ષોની સામે રોષે ભરાય છે,

કરે ઘાયલ એ તો યે લાગે મીઠા

ને જતા તે એમને ન કરી શકે,

એની મીટે બનાવ્યો છે નિઃશસ્ત્ર જેહ જીવને

તેની પ્રત્યે બની નિષ્ઠુર જાય એ,

પોતાની વેદનાઓને લઈ એ જાય ભેટવા

ધ્રૂજતા સ્વ શિકારને,

એની પકડને મંત્રમુગ્ધ જેમ 

બાઝી રે'વા બળાત્કાર કરે એ આપણી પરે,

જાણે કે આપણે પ્રેમી હોઈએ ના આપણી યાતનાતણા. 

આ એક મર્મવેધી છે દુઃખ જગતની મહીં

ને શોક પાસ છે બીજા ફાંસા ઝાલી લેવા જીવન આપણું.

આપણી દિલસોજીઓ બની જાય આપણી જ રિબામણો.

મારામાં બળ છે દંડ મારો ભોગવવાતણું

જાણીને ન્યાય્ય એહને,

કિંતુ હેરાન આ પૃથ્વી પર ખાતા ચાબખા અસહાય શા

જીવનો શોક ને દુઃખે

ઘવાઈ એ ઘણી વાર કમજોર બની જતું

ભેટો થાતાં આંખોનો દુઃખ વેઠતી.

શોકનું જ્ઞાન જેઓને નથી એવા દેવો જેવાં અમે નથી,

તેઓ તો ધીરતા ધારી દુનિયાના દુઃખને અવલોકતા,

પ્રશાંત દૃષ્ટિએ તેઓ જોતા ક્ષુદ્ર માનવી રંગમંચને

૧૨૩


અને માનવ હૈયામાં

પસાર થઈ જાનારા અલ્પજીવી આવેગી અનુરાગને.

હલાવી અમને નાખે હજી યે હ્યાં પુરાણી દુઃખની કથા,

અત્યારે શ્વસતાં ના જે તે હૈયાંની પીડા સાચવતાં અમે,

માનવી દુઃખને જોઈ ધ્રુજારી અમને થતી,

બીજાં જે ભોગવે છે તે દુર્દશામાં અમે ભાગ પડાવતાં.

જરા ના જેમને આવે

એવાં રાગથકી મુક્ત અમારાં પોપચાં નથી.

અમને ક્રૂર લાગે છે સ્વર્ગ કેરી તટસ્થતા:

અમારી એકલાં કેરી પૂરતી ના કરુણાંત ક્થાવલી,

સર્વ કરુણ ને દુઃખો અમે નિજ બનાવતાં;

પસાર થઈ ચૂકેલા માહાત્મ્યાર્થે અમને શોક થાય છે,

ને મર્ત્ય વસ્તુઓ માંહે અશ્રુઓનો સ્પર્શ સંવેદતા અમે.

હૈયાને મુજ દારે છે અજાણ્યાનીય વેદના,

ને આ તો વ્હાલસોયું છે મારું સંતાન, નારદ !

સર્વનાશ અમારો જો હોય તો તે અમથી ન છુપાવતા.

ખરાબ સર્વથી છે આ,  અજ્ઞાત મુખ ભાગ્યનું,

અનિષ્ઠ ભાખતો આ છે ભય મૂક

દેખાતો હોય તેનાથી સંવેદે વધુ આવતો,

પૂઠે બેઠકની દા'ડે, રાતે શય્યા સમીપમાં,

અમારાં હૃદયો કેરી છાયામાંહે ભાગ્ય સંતાયલું રહે,

પ્રહાર કરવા કેરી વાટ જોતી યાતના અણદીઠની.

જાણવું સર્વથી સારું,

સહેવાનું ગમે તેવું મુશ્કેલ હૂય એ ભલે."

ઉચ્ચ સ્વરે પછી બોલ્યા ઋષિ વિદ્ધ કરતા ઉર માતનું,

સાવિત્રીને સ્વસંકલ્પ લોહ જેવો બનાવવા

કેરી ફરજ પાડતા

શબ્દોએ એમના મુક્ત કરી સ્પ્રિંગ વિશ્વ કેરા અદૃષ્ટની.

માનવી હૃદયો કેરી વ્યથા કેરો કુહાડો તીક્ષ્ણ ધારનો

બનાવી મહા દેવો કાપી કાઢે પોતાના વૈશ્વ માર્ગને :

ક્ષણના હેતુને માટે નિજ નિર્માણ-કર્મના

માનુષી રક્ત ને અશ્રુ વેડફી એ મારે છે ખૂબ છૂટથી.

ન આ પ્રકૃતિનું વૈશ્વ સમતોલન આપણું,

પ્રમાણ ગૂઢ વા એની અપેક્ષાનું ને પ્રયોગોપયોગનું.

૧૨૪


શબ્દ એકલ મૂકી દે છૂટી વિશ્વવિશાળી કાર્યશક્તિઓ,

યદ્દચ્છાવશ કીધેલું

કર્મ એક કરે નક્કી વિશ્વની ભવિતવ્યતા.

તેથી હવે ઘડીએ એ કરી દીધું નારદે મુક્ત ભાગ્યને :

" દાવો તેં સત્યને માટે કર્યો છે તો લે આપું સત્ય આ તને.

માનવો મધ્ય છે જેને સાવિત્રીએ વરેલ તે

છે ચમત્કાર પૃથ્વી ને સ્વર્ગના સંમિલાપનો,

મોખરે એ રહેલો છે પ્રયાત્રામાં નિસર્ગની,

એનો એકલ આત્મા સૌ કાળ કેરી કૃતિઓથી બઢી જતો.

છે એ કલમ કાપેલી નીલમી કો સ્વર્ગ કેરી સુષુપ્તિથી,

સત્યવાનતણો આત્મા છે આહલાદકતા ભર્યો,

છે એ કિરણ આવેલું પરાનંદે પૂર્ણ અનંતમાંહ્યથી,

સંમુદાના સ્તોત્ર પ્રત્યે થતું જાગ્રત મૌન એ.

દેવત્વ સહ રાજ્ત્વ એને માથે છે શોભાયમાન શેખરો;

મહાસુખતણા એક સ્વર્ગ કેરી

સ્મૃતિ એની આંખોએ સંઘરેલ છે.

આકાશે ચંદ્ર એકાકી સમાન સુહસંત એ,

વસંત વાંછતો તેવા મીઠા મુકુલના સમો

સૌમ્ય છે એ સ્વરૂપમાં,

તટો નીરવ ચૂમંતા સ્રોત શો સ્વચ્છતામહીં.

આત્મા ને ઇન્દ્રિયક્ષેત્ર ચમકાવે એ વિભાસંત વિસ્મયે.

ગ્રંથી જીવંત એ એક સોનેરી સ્વર્ગલોકની,

ઝંખતા જગની પ્રત્યે ઝૂકતો છે આસમાની અસીમ એ,

કાળનો આનંદ છે એ કેરી દેવું લીધેલો શાશ્વતીથકી,

તારો વૈભવવંતો એ, અથવા તો ગુલાબ સંમુદાતણું.

સમપ્રમાણ સાન્નિધ્યો છે એનામાં આત્મા ને પ્રકૃતિતણાં,

સમતોલ રહેલાં એ વિશાળા એક મેળમાં

અન્યોન્યે ઓગળી જતાં.

સ્વર્ગના સુખિયા લોકો કેરાં યે હૃદયો નથી

મર્ત્યનિર્માણના  એના હૈયા જેવાં સત્યનિષ્ઠાળ મીથડાં,

જે સૌ આનંદને માને જગ કેરું દાન સહજ ભાવનું

ને દે આનંદ સર્વેને, સહજાત ગણી હક જગત્ તણો.

એની વાણી વહે એક જ્યોતિ આંતર સત્યની,

સામાન્ય વસ્તુઓમાં છે શક્તિ જેહ

૧૨૫


તે સાથેના વિશાળાક્ષ વ્યવહારતણે બળે

અવગુંઠનથી મુક્ત મન એનું બનેલ છે,

છે એ દ્રષ્ટા ધરિત્રીનાં રૂપો મધ્યે અનાચ્છાદિત દેવનો.

નિર્વાત અથ નિઃસ્પદ વ્યોમ કેરી શાંતિપૂર્ણ વિશાલતા

વિશ્વ નિરીક્ષતી એક મન જેમ અગાધિત વિચારના,

પ્રભાતે પ્રમુદા પ્રત્યે ખુલ્લો  કરેલ નીરવ

પ્રભોજજવલ અને ધ્યાનનિમગ્ન અવકાશ કો,

સુખી શૈલ પરે લીલાં વૃક્ષો કેરું ગૂંચવાયેલ જંગલ,

માળો મર્મરતો જેને બનાવ્યો છે પોતાનો મલયાનિલે,

--આ એનાં પ્રતિરૂપો છે, છે સાદૃશ્યો, સગાં સુંદરતામહીં,

ને ઊંડાણે છે એ એનાં સમોવડાં.

સંકલ્પ ચડવા માટે ઊંચકીને લઈ ઉલ્લાસને જતો

સ્વર્ગને શિખરે રે'વા અને એને બનાવવા

સાથી પાર્થિવ સૌન્દર્ય કેરી મોહકતાતણો,

મર્ત્ય આનંદનો ખોળો સેવનારી

અમરોની હવા માટે અભીપ્સા એ નિષેવતો.

એનું માધુર્ય ને મોદ આકર્ષે  સઘળાં ઉરો

એમની સાથ રે'વાને અધિવાસી બની સુખી,

સ્વર્ગને સ્પર્શવા માટે બંધાયેલા મિનારના

જેવું છે બળ એહનું,

ખોદી કાઢયો દેવ છે એ જિંદગીની પાષણ-ખાણમાંહ્યથી.

અહો હાનિ !

જે તત્ત્વોનો બનેલો છે એનો દેહકોષ આ રળિયામણો,

માધુર્યો પ્રકટાવે એ જિંદગીમાં પોતાનાં તે અગાઉ જો

એને મ્રત્યુ કરી નાખે દીર્ણશીર્ણ એ પાંચે તત્વની મહીં,

ઉધાર દીધ દેવોએ ખજાનો અણજોડ એ

જાણે કે ન ધરા રાખી શકી ઝાઝી વાર સ્વર્ગીય લોકથી,

એવો વિરલ આ આત્મા, એવો દિવ્ય બનાવટે !

આ પ્રસન્ન ઘડી ઊડી બેસે બેફામ એક કો

કાળની ડાળખીએ તે ટૂંકા એક જ વર્ષમાં

સ્વર્ગે ધીરેલ પૃથ્વીને મહિમા સર્વશ્રેષ્ઠ આ

પોતાનો અંત પામશે,

આ વૈભવ થશે લુપ્ત વ્યોમથી મર્ત્ય  લોકના  :

મહિમા સ્વર્ગનો આવ્યો

૧૨૬


કિંતુ એ એટલો મોટો હતો કે ના એ અહીંયાં ટકી શકયો.

વેગવંતી પાંખવાળા બાર માસ

સાવિત્રીને અને સત્યવાનને છે અપાયલા;

દિન આ આવતાં પાછો મરવાનું નક્કી છે સત્યવાનનું."

તેજસ્વી નગ્ન વિધુત્  શું વાક્ય આ નીકળી પડયું.

રાણી પરંતુ ચીત્કારી, " નકામી તો છે કૃપા સ્વર્ગધામની !

દેદીપ્યમાન દાનોથી કરે સ્વર્ગ મનુષ્યોની વિડંબના,

કેમ કે મૃત્યુ છે મધપાનમાત્ર ઊંચકીને લઈ જતો,

જે પાત્રે છે ભર્યો હર્ષ અત્યંત અલ્પ કાલનો,

ને અસાવધાન દેવો જે

એક ભાવોદ્રેકપૂર્ણ ક્ષણ માટે મર્ત્ય હોઠે સમર્પતા.

પરંતુ ઇનકારું છું હું કૃપા ની વિડંબના.

સાવિત્રી ! કર પ્રસ્થાન ફરી તારે રથે ચઢી

ને ફરી વસતીવાળા પ્રદેશોમાં કર તારી મુસાફરી.

અફસોસ ! વનો કેરા હરા હર્ષતણી મહીં

ખોટે માર્ગે દોરનારા સાદને છે હૈયું તારું નમી પડયું.

દુભાગ્યવશ માથું આ છોડ, તારી ફરી કર પસંદગી,

છે બાગવાન મૃત્યુ આ આશ્ચર્યમય વૃક્ષનો;

માધુર્ય પ્રેમનું પોઢી રહેલું છે

એના આરસ શા પાંડુર હસ્તમાં.

મધમીઠલડી શ્રેણી બની આગળ આવતો

લવ હર્ષ વહોરે છે અત્યંત કટુ અંતને.

તારી પસંદગી કેરી વકીલાત કરીશ ના,

કેમ કે છે મૃત્યુએ રદ એ કરી.

તારાં યૌવન ને કાંતિ ઉદાસીન જમીનની

પરે પડી ગયેલી કો ખાલી પેટી થવા સર્જાયલાં નથી;

ઓછા અપૂર્વ કો બીજા વર દ્વારા

વધારે સુખથી પૂર્ણ તારું સૌભાગ્ય સંભવે."

પરંતુ ઉગ્ર હૈયાથી સાવિત્રી ઉત્તરે વદી,-

સ્વર શાંત હતો એનો, મુખ એનું સ્થિર પોલાદ શું હતું:

" હૈયે મારે એકવાર છે કરેલી પસંદગી

ને ફરી એ કરશે ન પસંદગી.

જે શબ્દ ઉચ્ચરી છું હું તે ભૂંસાશે નહીં કદી,

પ્રભુને ચોપડે છે એ લખાઈને ચઢી ગયો.

૧૨૭


એકવાર ઉચ્ચારાયેલ સત્ય જે

તે ભલે ને લુપ્ત થાય ધરા કેરા વાયુમંડળમાંહ્યથી

ભુલાઈ મનથી જાય, તે છતાં યે

અમર ધ્વનવાનું એ સર્વકાળ કાળની સ્મૃતિની મહીં.

ભાગ્યના હાથથી નાંખ્યા પાસાઓ તે પડતા માત્ર એકદા

દેવો કેરી એક શાશ્વતિકી ક્ષણે.

મારે હૈયે પ્રતિજ્ઞા છે સીલબંધ આપેલી સત્યવાનને :

સહીસિક્કો નથી ભૂંસી શકવાનો વિરોધી ભાગ્યદેવતા,

મુદ્રા મારી ન પ્રારબ્ધ, મૃત્યુ યા તો કાળ શકત મિટાવવા.

વિયુક્ત કરશે કોણ તેમને જેહ અંતરે

એક આત્મા બનેલ છે ?

મૃત્યુનો ગ્રાહ છે શકત શરીરો અમ ખંડવા

આત્માઓને ખંડવા એ સમર્થ ના;

મૃત્યુ એને લઈ લે તો મરવાનું આવડે છે મને ય, મા !

જે ચાહે કે શકે તે છો મારી સાથે કરતી ભવિતવ્યતા;

બલિષ્ઠ મૃત્યુથી છું હું ને છું મારા ભાગ્યથી હું મહત્તરા;

વિશ્વના નાશ કેડે યે મારો પ્રેમ રે'શે અખંડ જીવતો,

મારી અમરતા સામે નિરાધાર બની જઈ

સર્વનાશ મારાથી પડશે સરી.

દૈવનો કાયદો લેશે પલટો, ના સંકલ્પ મુજ આત્માનો."

સંકલ્પ વજ્રના જેવો, સાવિત્રીએ કાંસ્યે ઢાળ્યું સ્વભાષણ,

પરંતુ સુણતી રાણી કેરે ચિત્તે સ્વયં વાંછયા વિનાશનાં

વચનો સરખાં એનાં વચનો ધ્વનતાં હતાં,

છુટકારાતણી એકેએક બારી નકારતાં.

નિરાશાર્થે જ પોતાની માએ  ઉત્તર વાળિયો;

ડૂસકાતી નિજાશાઓ મધ્યે ભારે હૃદયે શ્રમ કો કરે

વધારે દુખિયા તારમાંથી સૂર સાહ્ય કેરો જગાડવા

તેમ માતા આક્રોશ કરતી વદી:

" બેટા !  તું તુજ આત્માના ભર્યા વૈભવની મહીં

રહેલી અદકા મોટા જગત્ કેરી કિનાર પે,

ને અંજાઈ વિચારોથી તાહરા અતિમાનુષી

સમર્પી તું રહેલી છે શાશ્વતી મર્ત્ય આશને.

આ વિકારી અને અજ્ઞ પૃથિવી ઉપરે અહીં

છે પ્રેમી કોણ ને મિત્રેય કોણ છે ?

૧૨૮


સૌ પસાર થઈ જાતું, એનું એ ન રહે કશું.

ક્ષણભંગુર આ ગોળા પરે કોઈ કોઈને અરથે નથી.

ચાહે છે હાલ તું જેને તે અજાણ્યો એક આવેલ છે, અને

વિદાય થઈ જશે એ દૂર કેરા અણજાણ પ્રદેશમાં.

થોડા વખતને માટે

જિંદગીનો રંગમંચ ભીતરેથી છે એને જે અપાયેલો

તે પરે ક્ષણનો એનો પાઠ પૂરો થઈ જતાં

જશે એ અન્ય દૃશ્યોમાં અને અન્ય નટો કને,

ને નવાં ને અજાણ્યાં મોં વચ્ચે હાસ્ય કરશે રડશેય એ.

ચાહ્યો છે દેહ તેં જે તે ઉદાસીન મહાબલ નિસર્ગમાં

જડ ને અવિકારી છે એવા દ્રવ્ય મધ્યે જગતજાતના

દૂર નંખાઈ જાય છે

ને બીજાંનાં જીવનોના આનંદાર્થે કાચું દ્રવ્ય બની જતો.

પરંતુ આપણા જીવો પ્રભુના ચક્રની પરે

ચકડોળે ચઢયા રે'તા ને હમેશાં આવે ને જાય છે વળી,

કૂંડાળામાંહ્ય જાદૂઈ સીમારહિત નૃત્યના

મહાન નટરાજના

સંયોજિત થતા તેઓ અને પાછા વિયોજિત થઈ જતા.

એના ઉદ્દામ સંગીતે

આપણી લાગણીઓ છે માત્ર ઊંચા સૂરો વિલય પામતા,

ઢુંઢતા એક હૈયાની ભાવાવેશે ભરેલી ગતિઓ થકી

બદલાતા બલાત્કારે

ઘડી કેરા ઘડી સાથે અંકોડાઓ જોડયા સતત જાય જ્યાં.

દૂરથી ઉત્તરો દેતું સ્વર્ગ કેરું ગાન આવાહવું અહીં,

પોકાર કરવો એક અગૃહીત મહાસુખતણી પ્રતિ

એટલી જ આપણે હામ ભીડતા;

એકવાર ગ્રહાતાં એ સંગીત સ્વર્ગલોકનું

એનો અર્થ આપણે ખોઈ બેસતા;

અત્યંત નિકટે જાતાં લયવાહી પોકાર દૂર ભાગતો

યા તો ક્ષીણ થઈ જતો;

ગૂંચવી નાખતાં એવાં પ્રતીકો છે માધુર્યો સઘળાં અહીં.

આપણે હૃદયે છે જે પ્રેમી તેની પૂર્વે પ્રેમ મરી જતો :

આપણા હર્ષ છે ભાંગી જાય એવે પાત્રે રાખેલ અત્તરો.

ઓ !  ત્યારે વ્હાણ ભાંગ્યું શું કાળના આ મહાસાગરની મહીં

૧૨૯


શઢ જીવનના તાણે કામનાના ઝંઝાવાતતણી મહીં

ને અંધ ઉરને આપે સાદ એને સુકાને આવવાતણો !

વત્સે !  ઉદઘોષશે શું તું ને પછી અનુવર્તશે

શાશ્વતેચ્છાતણા નિયમ સંમુખે,

ઉદ્ધતાઈ ભરી તાનાશાહી આસુર ભાવની

જે ઉગ્ર નિજ ઈચ્છાને કાયદારૂપ જાણતી

જગતે જ્યાં નથી સત્ય, નથી જ્યોતિ અથવા ઈશ્વરે નથી ?

બોલે છે હાલ તું જે તે દેવો માત્ર બોલવાને સમર્થ છે.

તું જે માનુષી તેહ દેવો પેઠે વિચાર ના.

કેમ કે માનવી નીચો છે દેવોથી ને ઊંચો પશુઓથકી,

માર્ગદર્શનને માટે મળેલી છે એને બુદ્ધિ વિવેકની;

પક્ષી ને પશુઓ કેરાં કર્યો જેમ

હંકારાતો  ન એ કામે, કરતો ન વિચાર જે :

સંચાલન કરે એનું ન નાગી અનિવાર્યતા

અચેત વસ્તુઓને એ ચલાવે છે જેમ સંવેદના વિના.

પચાવી પાડવા રાજ્ય દેવો કેરું ઉગ્ર ઉદ્દામ વેગથી

આગેકદમ આરોહે દૈત્ય-દાનવનાં દલો,

કે નારકીય વિસ્તારો કેરી સરહદે સરે.

એમનાં હૃદયો કેરા અવિચારી આવેગે ચાલતાં રહી

નિત્યના ધર્મની સામે એ પોતાનાં જીવનોને અફાળતાં,

પછડાતાં પડી ભાંગે પોતાના જ અત્યુગ્ર દ્રવ્યપુંજથી :

સવિચાર મનુષ્યાર્થે રચાયો મધ્ય-માર્ગ છે.

સતર્ક બુદ્ધિની જોતે પોતા કેરાં પગલાંની પસંદગી,

અનેક માર્ગમાંહેથી પોતા કેરા માર્ગ કેરી પસંદગી

પ્રત્યેકને અપાઈ છે ને પ્રત્યેકે નિજ મુશ્કેલ લક્ષ્યને

અનંત શક્યતાઓની મધ્યમાંથી

કરી માર્ગ પ્હોંચવાનુંય હોય છે.

સુંદર મુખની પૂઠે જવા માટે લક્ષ્ય તારું ન છોડતી.

તારા મનથકી ઊર્ધ્વે હશે જયારે ચઢેલ તું

ને રહેતી હશે શાંત બૃહત્તાની મહીં તું एक एव ની,

નિત્ય કેરો બની પ્રેમ શકવાનો માત્ર ત્યારે મહાસુખે,

ને દિવ્ય પ્રેમ લેવાનો સ્થાન ત્યારે માનવી સ્નેહગ્રંથિનું.

છે ઢાંકયો કાયદો એક, શક્તિ એક કઠોર છે :

તારા અમર આત્માને બલવાન બનાવવા

૧૩૦


માટેનો એ તને આદેશ આપતી.

કર્મ, વિચાર, ગંભીર મિત આમોદરૂપ એ

નિજ અર્પે કૃપાઓ હિતકારિણી,

જે સોપાનો બને છે ચડવાતણાં

ને લઈ જાય છે દૂરતણાં છૂપાં પ્રભુનાં શિખરો પરે.

શાંતિએ પૂર્ણ યાત્રાનું રૂપ ત્યારે લેતું જીવન આપણું,

પ્રત્યેક વર્ષ ત્યાં એક ગાઉ દૂર દિવ્ય માર્ગથકી રહે,

પ્રતિપ્રભાત થાયે છે ખુલ્લું એક વિશાળતર જ્યોતિમાં.

કર્મો તારાં તને સાહ્ય કરે છે ને

ઘટનાઓ છે સંકેત-સ્વરૂપિતણી,

જાગર્તિ ને સુષુપ્તિ છે

અમૃતા શક્તિના દ્વારા તને આર્પાયલી તકો :

ઉદ્ધારી તું શકે આમ તારા શુદ્ધ અપરાજિત આત્મને

ને એ વિસ્તરતો સ્વર્ગે થાય છે ને વિશાળી સાંધ્ય શાંતિમાં

વ્યોમ જેવો ઉદાસીન અને સૌમ્ય

ધીરે ધીરે બૃહત્તાને પામે કાલાતીત શાંતિતણી મહીં."

દૃઢ-નિશ્ચય નેત્રોએ સાવિત્રીએ કિંતુ ઉત્તર આપિયો :

" મારો સંકલ્પ છે ભાગ સંકલ્પનો સનાતન,

મારા આત્માતણું ઓજ બનાવી જે શકે તે મુજ ભાગ્ય છે,

મારું નિર્માણ છે મારા આત્માની શક્તિની પ્રજા;

બળ મારું નથી અસુરનું બળ,

છે એ તો પરમેશનું.

મારી સુખમયી સત્ય સત્-તા મારી પાસે છે થઈ

મારા શરીરની પાર એક અન્ય કેરા આત્માતણી મહીં :

ઊંડો ને અવિકારી મેં પ્રેમાત્મા પ્રાપ્ત છે કર્યો.

તો પછી એકલી જાત માટે વાંછું  હું કલ્યાણ કઈ વિધે,

કે અભીપ્સા કરી શુભ્ર ને શૂન્યાકાર શાંતિની,

અનંત નિજ એકાંત અને સુષુપ્તિમાંહ્યથી

આવવા બ્હાર જે આશે પ્રેર્યો છે મુજ આત્મને

તેને કેવે પ્રકારે હું હણી શકું ?

જે મહાદીપ્તિને માટે પોતે આવેલ છે અહીં

તેની ઝાંખી છે મારા આત્મને થઈ,

વસ્તુજાતતણી જવાળામહીં એણે

એક વિરાટ હૈયાને જોયું છે ધડકારતું,

૧૩૧


જોઈ શાશ્વતતા મારી એની શાશ્વતતાતણા

સમાશ્લેશતણી મહીં,

અને થાકયા વિના મિષ્ટ કાળનાં ગહનોથકી

નિત્યના પ્રેમની ઊંડી શક્યતાની ઝાંખી એને થયેલ છે.

આ છે આ પ્રથમ સ્થાને, આ છે આનંદ આખરી,

એની ધબકની આગે છે દરિદ્ર

ભાગ્યશાળી હજારો વર્ષનાં ધનો.

મારે માટે મૃત્યુ-શોક નથી કાંઈ વિસાતના,

યા સામાન્ય જિંદગીઓ, યા દિનો સુખથી ભર્યા.

સાધારણ મનુષ્યોના જીવો સાથે છે મારે શું પ્રયોજન ?

યા સત્યવાનનાં ના જે તે નેત્રો ને અધરો શા હિસાબનાં ?

એના બાહુથકી પાછા ફરવાની નથી મારે જરૂર કો,

અને શોધી કઢાયેલા એના પ્રેમતણા સ્વર્ગીય ધામથી

ને નિઃસ્પંદ  અનંતત્વે લઈ જતી

યાત્રાથીય વળી પાછા ફરવાની જરૂર ના.

સત્યવાનમહીં મારા આત્માને કારણે હવે

બહુમૂલ્ય ગણું છું હું મારા જન્મતણા ધન્ય સુયોગને :

સૂર્યાતપે અને સ્વપ્ને લીલામી મારાગોતણા

સ્વર્ગમાં દેવતાઓની જેમ એના સાથમાં સંચરીશ હું.

એક વરસ માટે જો, તો એ વર્ષ મારું જીવન છે બધું,

ને તે છતાંય જાણું છું

કે થોડાક કાળ માટે જીવવું ને ચાહવું ને મરી જવું

એમાં મારું ભાગ્યનિર્માણ ના બધું.

કેમ કે હું જાણું છું, શા માટે

આત્મા મારો આવ્યો છે પૃથિવી પરે

ને હું કોણ ને જેને ચાહું છું તે ય કોણ છે.

મારા અમૃત આત્માની મહીંથી મેં દૃષ્ટિ એની પરે કરી,

મને સ્મિત સમર્પંતા પ્રભુને મેં જોયો છે સત્યવાનમાં;

માવી મુખમાં મારી દૃષ્ટે શાશ્વત છે ચઢયો."

પછી તો કોઈ ના એના શબ્દો કેરો આપી ઉત્તર ત્યાં શક્યું.

બેઠાં મૌન ધરી સર્વે ભાગ્ય કેરી આંખોમાં અવલોક્તાં.

૧૩૨


પ્રથમ  સર્ગ  સમાપ્ત









Let us co-create the website.

Share your feedback. Help us improve. Or ask a question.

Image Description
Connect for updates